Gujarat

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મહા શિવરાત્રી પર્વ ઉમંગભેર ઉજવાયું

By GS Team
2 Mar 20222 mins read
This article was originally published on 2 Mar 2022
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મહા શિવરાત્રી પર્વ ઉમંગભેર ઉજવાયું

મોડાસા,તા.1

દેવાધિ દેવ મહાદેવની કૃપાપાત્ર થવા મહિમાવંતા પર્વ મહા શિવરાત્રીએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શીવાલયો શિવભક્તોના હર હર મહાદેવના ગગનભેદી નાદથી ગૂંજી ઉઠયા હતા.જિલ્લાના પ્રસિધ્ધ મહાદેવાલયો ખાતે પરંપરાગત મેળા યોજાયા હતા.અને ભગવાન ભોળાનાથની વિવિધ અભિષેક સહિત ચાર પ્રહરની પૂજા-અર્ચના  યોજાઈ હતી. જિલ્લામાં આ મહા પર્વ મહા શિવરાત્રી શ્રધ્ધા- ઉમંગભેર ઉજવાયું હતું.

જિલ્લાના પ્રસિધ્ધ એવા સ્વયંભૂ ધામ મોડાસાના ગેબીનાથ શિવાલયે વિશેષ અભિષેક અને ચાર પ્રહરની પૂજા યોજાઈ હતી.જયારે મોડાસા નગરમાં બીરાજતા બાબા કાશી વિશ્વનાથના શિવાલયથી યોજાયેલ પાલખી યાત્રા(શોભાયાત્રા)નગરના માર્ગો ઉપર  યોજાતાં મોટીસંખ્યામાં નગરજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગેબીનાથ મહાદેવ,ઉમેદપુર(દધાલીયા)ના ખંડુજી મહાદેવ સ્થાનકે પરંપરાગત લોકમેળાઓ યોજાતા દૂર દૂરથી મોટીસંખ્યામાં મેળા રસિકો  ઉમંગભેર ઉમટયા હતા.

મોડાસાના રામનાથ મહાદેવ,પાલનપુરના પશુપતિનાથ મહાદેવ,રામપાર્ક સોસાયટીના સોમનાથ મહાદેવ,ભિલોડાના અતિ  પ્રાચીન એવા ભવનાથ મહાદેવ,મોટીઈસરોલના મોટેશ્વર મહાદેવ,મેશ્વો નદી કિનારે બીરાજતા વડેશ્વર મહાદેવ,તાલુકાના જાલોદર ગામે લંકેશ્વર મહાદેવ,કોલવડાના કપિલેશ્વર મહાદેવ,શામપુરના કુંભેરા મહાદેવ,ગારૃડીના કેદારનાથ મહાદેવ અને મહાદેવપુરા(શિણોલ)ગામે માજુમ નદી અને ખારવા નદીના સંગમ સ્થાને બીરાજતાં  કાલંજર મહાદેવાલય ખાતે મહા શિવરાત્રી પર્વે વિશેષ અભિષેક પૂજા અને ચાર પ્રહરની પૂજા યોજાઈ હતી અને ભક્તો દર્શન કરી ધન્ય થયા હતાઆ ૫ર્વે ભગવાન ત્રિલોકનાથને જળ,દૂધ,દહી,મઘ,શેરડીના રસના અભિષેક સાથે બીલીપત્ર,ધંતૂરાનું ફુલ અર્પણ કરાયા હતા.

માલપુર નગરમાં બ્રહ્મ સમાજ સહિત તમામ નગરજનો દ્વારા ભોળાનાથ શિવશંભુની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા પછી રાત્રીના સમયે ચાર પ્રહરની શિવપુજાનું આયોજન કરાયું હતું.

કાલંજર મહાદેવ ખાતે ત્રિદેવનો સ્વયંભૂ શિવલીંગમાં વાસ છે

ધનસુરા તાલુકાના શિણોલ પાસે આવેલા મહાદેવપુરા ગામે મેશ્વો અને ખારવા નદીના સંગમ સ્થાને કાલંજર દેવ બીરાજે છે.આ શીવાલયમાં આવેલ સ્વયંભૂ ત્રિલીંગમાં દેવાધિ દેવ મહાદેવ સહિત બ્રહ્મા અને વિષ્ણુજીનો વાસ હોવાનું મનાય છે. અતિ પ્રાચીન એવા આ ધર્મસ્થાને મહાશિવરાત્રી પર્વે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટયા હતા અને અભિષેક પૂજા કરી ધન્યતા અનુભવી હતી.