Gujarat

હિંમતનગરમાં ટયુશનિયા શિક્ષકના ઘરે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ

By GS Team
1 Jan 20222 mins read
This article was originally published on 1 Jan 2022
હિંમતનગરમાં ટયુશનિયા શિક્ષકના ઘરે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ

હિંમતનગર, તા. 31

હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ ઉપર વિજ્ઞાાન પ્રવાહના ટયુશનિયા શિક્ષકના ત્યાં શુક્રવાર સવારે તપાસથી હડકંપ મચ્યો હતો. તપાસ માટે ટીમો આવ્યાનું લીક કરી દેવાતાં વિદ્યાર્થીઓને છોડી મૂકાયા હતા પરંતુ દિવસ દરમ્યાન શહેરમાં ટયુશનિયા શિક્ષકોના ત્યાં તપાસનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સાબરકાંઠા ડી.ઈ.ઓ.એ મેં ટીમને સૂચના આપી હતી પરંતુ શું થયું તેની મને ખબર નથી તેવો જવાબ આપ્યો હતો.

જિલ્લાના તમામ વિસ્તારોમાં સવાર થી માંડી સાંજ સુધી ટયુશનની હાટડીઓ મંડાય છે અને ટયુશનિયા શિક્ષકો વર્ગખંડમાં યોગ્ય ધ્યાન આપતા ન હોવાની લેખિત ફરિયાદો પણ કમિશનર શાળાઓની કચેરી-ગાંધીનગર સુધી કરવામાં આવી છે. હિંમતનગરની જાણીતી વિજ્ઞાાન પ્રવાહ ધરાવતી શાળાના ફિઝીક્સ વિષયના શિક્ષક ટયુશન કરાવતા હોવાની વિગતો જગજાહેર છે ત્યારે તા.૩૧ ડિસેમ્બરે સવારે શિક્ષણ વિભાગની ટીમે ગાયત્રી મંદિર રોડ ઉપર આવેલા ટયુશનિયા શિક્ષકના ત્યાં તપાસ હાથ ધરતાં વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી હતી.

જ્યારે આ મામલો શિફ્તપૂર્વક સમેટી લેવામાં આવ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.

 ટયુશનિયા શિક્ષકને બક્ષવામાં આવ્યો હોય તો તેનું કારણ શું. આસપાસના સી.સી.ટીવી કેમેરા ચેક કરવામાં આવે તો પણ ચાલતા ટયુશનના હાટડાંનો પર્દાફાશ થઈ શકે તેમ છે.

ટયુશનનું રેગ્યુલર ચેકિંગ કરવા સૂચના : ડી.ઈ.ઓ.

સાબરકાંઠા ડી.ઈ.ઓ. સંજયભાઈ વ્યાસનો સંપર્ક કરતાં પરોઢે કોઈ ટયુશનિયા શિક્ષકના ત્યાં તપાસ થઈ હોય તેવું મારા ધ્યાનમાં નથી પરંતુ રુટીન તપાસ કરવા માટે એજ્યુકેશન ઈન્સ્પેક્ટરોને સૂચના આપવામાં આવી છે. શુક્રવાર સવારે વિજ્ઞાાન પ્રવાહના શિક્ષકના ત્યાં થયેલી તપાસ બાબતે પોતાની પાસે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું.