Get The App

જિલ્લામાં ખેતી વિષયક જોડાણોમાં દિવસે વીજળી આપવામાં ધાંધિયા

- વીજ પુરવઠો અનિયમિત આપતા ખેડૂતોમાં આક્રોશ

- આઠ કલાકના બદલે માત્ર 3થી ૫ાચ કલાક વીજળી મળતો હોવાનો ખેડુતોનો આક્ષેપ

Updated: Feb 26th, 2022

GS TEAM

Google News
Google News
જિલ્લામાં ખેતી વિષયક જોડાણોમાં દિવસે વીજળી આપવામાં ધાંધિયા 1 - image

હિંમતનગર, તા. 25

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખેડુતોએ ઉનાળુ વાવેતર શરૂ કર્યું છે પરંતુ પ્રારંભે જ વીજ ધાંધીયા શરૂ થતાં ખેડુતોમાં રોષ જોવા મળ્યો છે. દિવસે અપાતા વીજ પુરવઠામાં ભારે અનિયમિતા હોવાના આરોપ લાગ્યા છે. હજું ઉનાળો શરૂ થયો નથી અને આ રીતે વીજ ધાંધીયા શરૂ થતાં આકરા ઉનાળામાં ખેતી વિષયક વીજ પુરવઠો મળશે કે કેમ ? તેવા સવાલ સર્જાયો છે.

રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા ખેડૂતોને સમયપત્રક પ્રમાણે ૮ કલાક વીજપુરવઠો આપવાની સરકારે જાહેરાત કરી છે ત્યારે અરવલ્લી જિલ્લાના કેટલાંક ગામડાઓમાં દિવસે અપાતાં વીજ પુરવઠામાં સળંગ ૮ કલાક વીજ પુરવઠો આપવાના બદલે માત્ર ૩ થી પ કલાક વીજ પુરવઠો મળતાં ખેડુતોને બોર, કુવામાં પાણી છતાં વાવેતર ઘટાડવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. વારંવાર ખેતી વિષયક વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે અને આ અંગે વીજ તંત્રનું ધ્યાન દોરવા છતાં તેનો કોઈ હકારાત્મક ઉકેલ આવ્યો નથી.

ખેડુતોના જણાવ્યા અનુસાર દિવસે અપાતાં વીજ પુરવઠામાં ધાંધીયા શરૂ થયા છે જેથી ખેડુતો પરેશાન બની ગયા છે . વારંવાર વીજપુરવઠો  ખોરવાતાં ખેડુતો અને ખેતમજૂરો પણ છેલ્લી હદે ત્રાસી ઉઠયા છે.  હજુ તો ફેબુ્રઆરી મહિનો પુરો થયો નથી ને હવે વીજ પુરવઠામાં અનિયમિતતા શરુ થઈ છે ત્યારે આકરા ઉનાળામાં આ રીતના વીજ ધાંધીયા ચાલુ રહે તો ખેડુતોનું ઉનાળું વાવેતર સુકાઈ જવાની સાથે ખેડુતો બરબાદ થઈ જાય તેવો ભય વ્યક્ત કર્યો છે.