સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા
લાઇટ્સ ઓફ લક્ષ્મી દિવાળીના તહેવારનો ધબકાર !
જે આપણને 'લક્ષ્ય' ભણી લઈ જવામાં મદદ કરે એ લક્ષ્મી. એ લક્ષ્ય ભોજન હોય, ઘર હોય, ગાડી હોય, વસ્ત્રો-અલંકારો હોય
દિવાળી ફેસ્ટિવલ પાછળના સિક્રેટ્સને અનલોક કરી ટ્રેડિશન સમજવાનો ટ્રેન્ડ શરુ કરીએ!
હે લક્ષ્મીજી! હૃદય-કામના આજે આવી અધરે,
કૃપા કરો, કૈં લેવા કાજે હાથ કદી ન પ્રસરે.
બની શકે તો સરસ્વતીની સાથે- સાથે આવો,
કાં તો મારા પરસેવાની ધારે ધારે આવો,
બસ બે રસ્તે સ્વાગત માડી, મુજ મન તમને કગરે.
અણદીઠ રહીને આવો કે મા કુમકુમ પગલે આવો,
સુખ-શાંતિના સાચા અર્થો ઘરના મનમાં વાવો,
યાચક આવે આંગણિયે તો હાથ કદી ના થથરે.
ગમે તમોને ત્યાં લગ મા મુજ ઘર વાસો કરજો,
તમે પધારી હળવેથી, બસ હળવેથી સંચરજો,
જાજો એને ઉંબરિયે જે મુજથી ઝાઝાં સમરે
દિવાળી આવે તો મધુસૂદન પટેલની આ રળિયામણી કવિતા પણ યાદ આવે. કેવી સરસ પ્રાર્થના છે અહીં ! નમ્ર ને નક્કર! એવી લક્ષ્મી ગમે જેમાં સર્જકતા- કળા- પરિશ્રમ- બુદ્ધિની કદર હોય. જે હાથ લંબાવીને યાચના/ ભીખ/ દાનમાં નહિ પણ ટેલેન્ટરની કદર રૃપે ગિફ્ટમાં મળે. જે આપણને જેમ મળી એમ ઉદારતાથી આપણે બીજાને આપી શકીએ! વાહ.
લક્ષ્મીપૂજનનો તહેવાર ન હોત તો પ્રોફિટપ્રેમી પ્રજાકદાચ દિવાળીને યાદ પણ ન કરતી હોત સરખી. છતાં ય આ કાઠિયાવાડી માહોલમાં ઉછરેલા ચિત્ત માટે એનીથિંગ, એવરીથિંગ ઇઝ ડિવાઇડેડ ઇનટુ પ્રિ-દિવાલી એન્ડ પોસ્ટ દિવાલી. દિવાળી એટલે બસ દિવાળી. જાણે સમયના ધસમસતા દરિયા વચ્ચે અચાનક આવેલો કોઈ રંગીન સુવાસિત મનોરમ્ય બગીચો ધરાવતો થાક ઉતારતો ટાપુ!
શું છે દિવાળી? અગાઉ પણ લખેલું એમ જીવનના ચાર ફોર્સનો સંગમ છે. સાયન્સ કહે છે બ્રહ્માંડમાં ચાર શક્તિ છે : ગુરૃત્વાકર્ષણ, વિદ્યુત ચુંબકત્વ, સ્ટ્રોંગ ન્યુક્લીઅર ફોર્સ, વીક ન્યુક્લીઅર ફોર્સ. ફિલોસોફી કહે છે, નેચરના ચાર એલીમેન્ટ્સ છે : અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી. એમ સંસારના ચાર પરિબળો છે : ધર્મ (એટલે પૂજાપાઠ નહિ, પ્રકૃતિ સહજ બક્ષિસ/ સ્વભાવ જેમ કે સાપ ઉડી ન શકે ને પંખી જમીન પર સરકીને ચાલી ન શકે.
ઉપરાંત એકબીજા સાથે રહેવાના સત્ય અને ન્યાયના, વિવેક અને સદાચારના નિયમોનું પાલન એ ધર્મ) અર્થ (સગવડ, સુવિધા પૈસો, કામ (સેક્સ, આશા, ઇચ્છા), મોક્ષ (નિર્લેપતા, સાક્ષીભાવ, કર્મનું પેશન પણ ફળનું ટેન્શન નહિ એવી આનંદમયી તૃપ્તિની અવસ્થા.
દરેક ચતુષ્કોણમાં પાંચમું પરિબળ ગિફટ રૃપે છે. યુનિવર્સના ચાર ફોર્સથી રચાય છે એ છે ઉર્જા, સ્પેસટાઇમની સૃષ્ટિ. કુદરતના ચાર પરિણામો જેમાં સમાઇ જાય છે એ છે આકાશ. સ્પેસ. (આમ થયા આપણા પંચ મહાભૂત) સંસારના ચાર પુરુષાર્થ પરિબળ પછી મળે છે એ - પ્રેમ અને આનંદ. એટલે ઇશ્ક ઇબાદત છે. સત ચિત આનંદ એ અલ્ટીમેટ હેપિનેસ છે.
તો પાંચમુ પરિબળ, જેનું નવ વર્ષની મંગલ નવીનતાનો ઉત્સવ છે, એ દિવાળી તણા પણ ચાર સ્ટેજીસ છે. નોર્મલ લાઇફના. પહેલું વાક બારસ : વાઘ નહિ 'વાક', 'વાક્' યાને વાગ્દેવી. વાણી સરસ્વતીની પૂજા. મતલબ જીવનમાં કળા, સાહિત્ય, સંગીત, શબ્દ, શોખ, સર્જકતા અને રસિકતાનું મહત્વ. બીજું પર્વ છે : ધન તેરસ. કાળક્રમ ધનના કુંભ ને કુબેર સુધી વાત આવી પણ બાકી તો એ ધન્વંતરી યાને આરોગ્યની આરાધના. મસ્તક પર કેશકલાપ ને પેટમાં પાચન ઉત્તમ હોય, પગના નખથી ગાલના ગટ્ટા સુધી ગુલાબી સુરખી હોય,
આંખોમાં ચમક ને સાંધામાં રોનક હોય, નાક- શ્વાસ નિરામય ને વજન નિયંત્રિત રહે, દાંત મજબૂત ને કરોડ રજ્જુ સાબુત રહે, કમર દર્દહીન ને સ્વાદ તલ્લીન રહે, ત્વચામાં તેજ ને સ્ફૂર્તિમાં ઓજ હોય, હૃદય, યકૃત, ફેફસાં, મગજ, મૂત્રપિંડ, જેવા બધા અંગો રંગોળીના રંગો જેવા પ્રભાવશાળી રહે એ ધનતેરસ.
અને પછી કાળીચૌદશ કાલી એટલે અભય, પરાક્રમ, વીરતા. આત્મવિશ્વાસથી આફતનો મુકાબલો કરવાનો ફાઇટિંગ સ્પિરિટ. આદ્યશક્તિનું સત્ય- ન્યાય માટેનું રૌદ્ર રૃપ. મૂર્તિમંત પરાક્રમથી સનાતન વિજયની લાલસા ને લાયકાતથી દુષ્ટ પાપી દુર્જનોથી છલકાતું ખપ્પર. આસુરી અને ગુનાખોરી સામે રક્તરંજીત ખડગ. તંત્રનો અભ્યાસ કરો તો સૃષ્ટિના સર્જન અને સર્વનાશ વચ્ચે ભોગના અમર્યાદ આનંદની મુક્તિ અને બિનધાસ્ત મસ્તી.
પુરુષ પ્રકૃતિના સંગમનો વિસ્ફોટ. સ્વયંસિદ્ધા શક્તિની 'ડાર્ક મેટર'ની ભૌતિક ઊર્જા અને વિકરાળ અસુંદરતા સહજ સ્વીકારનું યુદ્ધવિજયી સ્વરૃપ એ કાલી. માટે જીવન સંગ્રામમાં નિત્ય પડકાર ફેંકવાની આંતરિક તાકાત બની રહે, વિપરિત પરિસ્થિતિ અને કટોકટીની ક્ષણોમાં સાહસ અને મક્કમ મનોબળ જળવાય, એ કાળી ચૌદશ.
અને દિવાળી. લક્ષ્મી પૂજન. સંસારચાલક વિષ્ણુના સંગિનીનો પ્રકાશ મળે તો જીવનપંથ મુસીબતો વચ્ચે ય કમળપાંદડી જેવો કોમળ ગુલાબી રહે. હમણાં જ મેસેજ વાઇરલ થયો છે : ''શુભેચ્છાઓ તો ઘણાં વર્ષોથી આપો છો. ફળતી નથી ને વરસમાં હેપીનેસ રહેતી નથી. તો રોકડા આપો રોકડા!''
આ નોલેજ (વાકબારસ), કરેજ (કાળી ચૌદશ), હેલ્થ (ધનતેરસ), વેલ્થ (દિવાળી)ના ચાર દિવસના પર્વને હવે ગુજરાત બહારના ભારતે તો માર્કેટની ખરીદી સિવાય એક દિવસના દિવાળી ઉત્સવમાં જ સીમિત કરી દીધો છે. લક્ષ્મી પર તો માહિતી લેખ પણ લખાઈ ગયો છે, તો હવે નવું શું જાણવાનું પેલા રોકડાની જબ્બર અપેક્ષા વિના? ડેફિનેટલી, ભારત, રીતસરનો લક્ષ્મીપૂજક જ દેશ છે.
પૈસો અહીં ભલભલા પાપો ધોઈ નાખે છે. પૈસામાં ઓટ આવે તો વફાદારી મૂલ્યોમાં ખોટ આવે છે. પૈસો મળે ત્યાં સુધી ઇમાનદારી કે નીતિમત્તાની કોઈ ચિંતા કરતું નથી. ચિંતકો તો ભાડે ય મળે છે. મની ઇઝ ધ કી ટુ હની!
પણ આપણા વાર્તા રસથી છલોછલ, ઘણી જગ્યાએ પરસ્પર એકદમ વિરોધાભાસી અને ભલભલા પંડિતોને કન્ફ્યુઝ કરી દે એવા કોમ્લીપેકેટેડ પુરાણો થકી જરા વેગળું લક્ષ્મીચિંતન કરવા મળે ખરું.
આપણે ત્યાં શાસ્ત્રોક્ત પરંપરા અને લોકપરંપરાની ભારે વિચિત્ર અને ગૂંચવાડાવાળી ભેળસેળ થઈ ગઈ છે. કાળી ચૌદશના વડાં દિવાળી પર ફૂટતા ફટાકડાને ટેકનિકલી ધર્મ સાથે લાગતુંવળગતું નથી. એ 'કલ્ચરલ' ઇફેક્ટ છે. 'રિલીજીયસ' નહિ.
પણ ધર્મઝનૂનનો રાજકીય ઉન્માદ રોમરોમ લઈને ફરતા ટોળાંને વાકબારસનું વાઘબારસ જ દેખાય ત્યાં જ્ઞાાનને બદલે ગર્જનાઓ જ ન સૂઝે ને! બાકી, ચીનમાં શોધાયેલા ફટાકડા વિશ્વભરના તહેવારોમાં ક્યાંથી પહોંચ્યા? ફટાકડા અંગે આદેશ તો શું વર્ણન આપતો એક સંસ્કૃત શ્લોક નહિ જડે.
નવરાત્રિના દાંડિયા રાસ- ચોકની ગરબી જેવું જ. પણ રોશનીનો ઉત્સવ રંગોળી, દીવડાથી આતશબાજી, ઇલેક્ટ્રિક સીરિઝ સુધી અપગ્રેડ થતો જ ગયો છે. ફોર ધ પીપલ, બાય ધ પીપલ. ભારતની આ જ તો લિજ્જત છે. આપણી સંસ્કૃતિ જડબંધિયાર નથી વહેતી ધારા છે, બધું સમાવીને નવું રચતી જ જાય હંમેશા!
ઘણું બધું આપણે ત્યાં સિમ્બોલિક છે. એક પ્રકારની ઇન્ટરેસ્ટિંગ પઝલ છે, સોલ્વ કરવામાં જન્મજન્માંતર નીકળી જાય તેવી. જેમ કે, લક્ષ્મી સાથે શિલ્પ કે ચિત્રોમાં હાથી કેમ? આવો સવાલ ક્યારેય થયો છે? કમળની જેમ હાથી પ્રાચીન ભારતની ઓળખ સમાન પ્રતીક છે. યુરોપ અમેરિકાએ જેમ સિંહ નથી જોયા, એમ હાથી પણ જોયા નથી. હાથી એવું અનોખું પ્રાણી છે કે શાકાહારી હોવા છતાં માંસાહારી પ્રાણીઓ એના પર હુમલો કરતા ડરે છે. સૂંઢમાંથી પાણી છાંટે તો વરસાદ જેવું લાગે. આમ પણ જૂના કૃષિપ્રધાન અને મોન્સૂન લવર એવા આપણા દેશમાં જીવન માટે મહત્ત્વ અન્નનું હતું.
બે ઉલ્લાસના ઉત્સવો વસંત પંચમી અને શરદ પૂનમ એ ખેતીની ફસલ સાથે સંકળાયેલા છે. એટલે જ ત્યારે ખેતી માટે અનિવાર્ય ગાયની ઉપમા ધાર્મિક થઈ, ગૌમાતા- ધરતી માતા- લોક માતા (નદી) જેવા શબ્દો ઋણસ્વીકાર રૃપે આવ્યા અને એ જ અન્ન માટે ઉપયોગી પાણી ભરેલા કાળા વર્ષાવાદળોને હાથી સાથે વારંવાર સરખાવ્યા.
માટે 'ફેમિલી એનિમલ' હાથીનો લક્ષ્મીના ફેમિલીમાં સમાવેશ થયો રજવાડી ઠાઠમાઠના અલ્ટીમેટ 'દિગ્ગજ' સિમ્બોલ તરીકે.
પણ મહત્ત્વની વાત એ છે કે લક્ષ્મીના અલગ અલગ સંદર્ભમાં ત્રણ પિતા જોવા મળે છે. વરૃણ દેવ ગણાય પણ અન્ય બે નામોમાં પુલોમન અસુર છે. (લક્ષ્મીનું એક નામ પૌલોમી!)ને ભૃગુ ઋષિ પણ એના પુત્ર શુકાચાર્ય અસુરોના ગુરૃ! શુક્ર ઉર્ફે વીનસ આમ પણ વિલાસનું પ્રતીક ને લક્ષ્મી સાથે એને સારું ભળે. લક્ષ્મીનું નામ ભાર્ગવી. એક અર્થમાં શુક્રની બહેન.
એકચ્યુઅલી, ચિત્રવાર્તાઓ ને ધાર્મિક સીરિયલો - ફિલ્મોએ ગુલામ રહેલા ભારતના રોંગ કોન્સેપ્ટને ફેલાવ્યો, જેમાં અસુર એટલે ભયાનક હોય - માથે શિંગડા ને કાળા કાળા, મોટા ડોળા ને દાંત-પૂંછડાવાળા હોય. આપણા કથાવારસામાં તો દાનવ, દૈત્ય, અસુર દેવોના જ પિતરાઈભાઈઓ ને ઋષિપુત્રો છે. - દેવદત્ત પટનાઈક જેવા અભ્યાસુઓ એવું અર્થઘટન કરે છે કે, અસુરો પાતાળમાં રહે ને દેવો સ્વર્ગ યાને આકાશમાં. ખરેખર જેના થકી લક્ષ્મી છે, એ બધા જ તત્વો ધરતીના પેટાળમાં છે!
આઈ બાત સમજ મેં? જસ્ટ થિંક : સોનું, ચાંદી, હીરા આ બધો લક્ષ્મીનો ખજાનો ગણાય કે નહિ? તો એ ક્યાં મળે? ખાણમાં. ધરતીને ખોદો ત્યારે! એવું જ દરિયાના તળિયેથી મળતા મોતીનું. એ જ પોલાદ, તાંબા, જસત, પિત્તળ જેવી કીમતી ધાતુઓનું મેંગેનીઝ, પોટેશ્યમ, યુરેનિયમ જેવા ખનીજોનું.
આ બધા થકી લક્ષ્મી મળે કે વધે. અને બીજ વાવો તો ફસલ થાય એ ય ધરતીના પાતાળ થકી, ને બેશકીમતી પેટ્રોલિયમ પણ એ જ રીતે મળી આવે ને! એટલે લક્ષ્મીનું કનેકશન પાતાળ, અસુર, સાગર સાથે જોડાયું હશે? જસ્ટ થિંક પાણી પણ ધરતીના પાતાળમાં છે!
વેલ અગેઇન, અસુર એટલે નેગેટિવ એવું તો સાવ છોકરાં રમાડવાના બ્લેક એન્ડ વ્હાઇટ નોશન્સ છે. બાકી સુરાપાન, અપ્સરા, અહંકાર ને વ્યભિચાર ઉપરાંત વારંવાર અસલામતી અનુભવતો દેવાધિરાજ ઇન્દ્ર છે, જેને કૃષ્ણે પણ પડકાર ફેંકેલો! (ને એ ઈન્દ્રનો પુત્ર અર્જુન કૃષ્ણસખા પણ રહેલો) પણ અસુર એટલે પૃથ્વી પર જે ભૌતિક સંપત્તિ છે, એના સર્જક. દેવ બધા ઉપર જેના થકી આ સંપત્તિ સર્જાય! સૂર્યનું તેજ, મરૃતનો પવન, ઈન્દ્રની વર્ષા વગેરે.
પણ દર વર્ષે એ બધા થકી ધરતીમાં હિલોળા ખાતો પાક આપણે કાપીએ. માટે દેવતાઓ અમર રહે, ને અસુરોનો નાશ થાય એ અર્થ પણ થઈ શકે ને! ને સંજીવની વિદ્યાથી અસુર જીવંત થાય અર્થાત્, નવેસરથી વાવણી થાય. નવું ઉત્ખનન ચાલું થાય. આ 'દેવાસુર સંગ્રામ' નિત્ય ચાલતો જ રહે છે!
પ્રકૃતિની ફળદ્રુપતા સનાતન છે. માણસોની આવનજાવન થયા કરે પણ પ્રજનન કે એના માટે રચાયેલો આનંદ (રંગબેરંગી ફુલો, સુગંધી ફુલો, પતંગિયા - આ બધું આકર્ષણ સેક્સ મેટિંગ માટે છે. મોરના પીંછાથી સિંહની કેશવાળી સુધી!) સનાતન, અનંત છે.
એટલે લક્ષ્મી અમરાવતી (સ્વર્ગ)માં જે ભેટ સાથે જાય છે, એ બધી મનોકામના પૂરી કરનાર જાદૂઈ ચીજો છે! કલ્પતરૃ, વૃક્ષ, કામધેનુ ગાય, ચિંતામણિ રત્ન અને અક્ષયપાત્ર - બધાનો ગુણધર્મ એ જ છે કે જે માંગો એ કદી ન ખૂટે અને મળ્યા જ કરે! અલ્ટીમેટ હ્યુમન ફેન્ટેસી!
ઘણા પુરાણોમાં વિષ્ણુ પહેલા લક્ષ્મીને સ્વર્ગમાં ગયેલી બતાવાઇ છે. ઇન્દ્રની પત્ની શચી એ લક્ષ્મીનું રૃપ ગણાય છે. આ બધું ભારે ગૂંચવાડાવાળું છે. કુબેર લક્ષ્મીનો ભાઈ ગણાય, ને યમ પણ! રાવણની લંકા સામે એણે કાઢી મૂકેલા કુબેરે 'અ-લંકા' યાને કૈલાસ પાસેની 'અલકાપુરી' વસાવી. પણ કુબેરની પત્નીનું નામ નીધિ.
ગણેશ જે લક્ષ્મી જેવા જ શુભમાંગલ્યના પ્રતીક છે (અને એમાં ય હાથી!) એની પત્ની પણ રિદ્ધિ. નીધિ અને રિદ્ધિ વળી લક્ષ્મીના જ નામો છે. ઈન્દ્રપત્ની શચીની જેમ. (સચીન શબ્દ એનો જ અપભ્રંશ છે!) વળી લક્ષ્મીની બહેન જયેષ્ઠા ઉર્ફે અલક્ષ્મીના પ્રાચીન શિલ્પો ય છે.
જે લક્ષ્મીનું પ્રતિરૃપ યાને કાઉન્ટર ઇમેજ છે. દુ:ખ, દરિદ્રતા લઈ આવે તે. એનું પ્રતીક વળી ઘુવડ. જે લક્ષ્મી સાથે ય જોડાયેલું. નાઇટ વૉચમેન તરીકે! લક્ષ્મીનો કુંભ પણ એટલે કે પાણી ભરવાનું એ માનવજાતનું પ્રથમ પાત્ર હતું. પાણી ઘરમાં સચવાતું થયું તો જળ એ જ જીવન થયું!
લેટ્સ કમ ટુ સિમ્પલ કન્કલુઝન. લક્ષ્મી ચંચળ છે. જેની પાસે ભાગ્ય અને સામર્થ્યનો સંગમ હોય ત્યાં જાય છે. પણ ટકે નહિ ને એ મેળવવા માટે સુર-અસુર વચ્ચે યુદ્ધ કાયમ ચાલ્યા જ કરે છે. પણ માત્ર મનુષ્યોમાં એક અતૃપ્ત અદમ્ય તલસાટ રહ્યા કરે છે : લક્ષ્મીનો! પ્રતિવર્ષ એ ભૂખ મટતી નથી.
ગમે તેટલી લક્ષ્મી મળે તો ય ફોર્બ્સ લિસ્ટના શ્રીમંતોનું ય દિલ માંગે મોર એન્ડ મોર! લક્ષ્મી સ્થિર ત્યારે જ રહે જ્યારે એ વિષ્ણુ-નારાયણની સાથે હોય. અને ભારતીય અધ્યાત્મનો અર્ક નારાયણ અવતાર કૃષ્ણ સમજાવે છે કે સંસારને છલના માની ભાગી જવાથી એનો મોહ ટળવાનો નથી. (જોઈ લો દંભી બાબાઓના સ્કેન્ડલ્સ. કોઇ પણ ધર્મના!) પણ સંસારને લીલા માની એની સાથે રમવાનું છે. શક્ય એટલા ડિટેચ્ડ રહીને. કોક દી ઈદ, કોક દી રોજા.
એમ ક્યારેક દિવાળીના અન્નકૂટ તો ક્યારેક ઉપવાસનું તુલસીદલ. દરેક સ્થિતિને સ્વીકારી, પચાવી યાત્રા ચાલુ રાખવા પ્રયત્ન કરવો. કર્મ કરતાં રહેવું ને સુખ કેવળ ધનમાં કે તનમાં જ નહિ, મનમાં પણ શોધવું ને રાખવું. ભૂદેવી રૃપ લક્ષ્મીની કમ્ફર્ટસ પણ માણવી, શ્રીદેવીરૃપ લક્ષ્મીનું ગ્લેમર પણ ભોગવવું. લેકિન, એની 'ઓનરશિપ' હોવાનો ભ્રમ ન પાળવો! વિષ્ણુના અવતારોએ પ્રેમ કર્યો છે પણ આસક્તિ નથી રાખી. સીતા કે ગોપી / રાધા જોડે યુગલત્વ પણ રચાય ને વિયોગ પણ!
જે આપણને 'લક્ષ્ય' ભણી લઈ જવામાં મદદ કરે એ લક્ષ્મી. એ લક્ષ્ય ભોજન હોય, ઘર હોય, ગાડી હોય, વસ્ત્રો-અલંકારો હોય. આઇફોન એક્સ કે બીએમડબલ્યુ સેવન હોય. પ્રમોશન કે પેન્શન હોય. ઓપરેશન કે એજ્યુકેશન હોય. નવો બ્રિજ કે ટ્રેન હોય કે આફત સામેનું પ્રોટેકશન હોય! જયાં લક્ષ્ય છે, ત્યાં લક્ષ્મી તો જોઇશે જ. ભેટસોગાદ આપવામાં કે પછી આનંદપ્રમોદ કરવામાં. લક્ષ્યથી જ મુક્ત થઈ શકે એ ખરા સાધુસાધ્વી. એમને લક્ષ્મી ન ખપે.
પણ આપણે ફક્કડ સંસારી છીએ. દિવાળી દસ્તક દઈ રહી છે, ત્યારે જ આ વર્ષના ઇકોનોમિક્સનું નોબલ રિચાર્ડ થેલરને મળ્યું છે. જે બિહેવિઅરલ ઇકોનોમિક્સના જાણીતા નિષ્ણાત છે.
પશ્ચિમનું અર્થશાસ્ત્ર માત્ર ઉદ્યોગ, નફો, મજૂરી, વ્યાજ, ખર્ચ જેવા પરિબળોને જ નજરમાં રાખતું એક અર્થમાં મૂડીવાદને પ્રોત્સાહક સ્વાર્થી અર્થશાસ્ત્ર હતું. એના પ્રતિકારમાં જ સામ્યવાદ આવ્યો. જે વળી અવાસ્તવિક આદર્શવાદ હતો. સ્વાર્થ, મમત્વ, ઓળખ, અહોભાવ, આનંદ એ માણસની મૂળભૂત વૃત્તિઓ છે. ને અસમાનતા તો પ્રાકૃતિક સત્ય છે. એ ય વાયદા મુજબનો ઉદ્ધાર ન કરી શક્યો. કકળાટ બની ગયો.
પણ ભારતીય સંતુલન (યોગી શિવ પૂજાય તો ભોગીઓ માટે લક્ષ્મી પણ હોય) માનવીના મન સાથે જોડાયેલું છે. આપણા ધર્મશાસ્ત્રો ફિલોસોફિકલ કરતાં સાયકોલોજીકલ વધુ છે. ને બિહેવિયરલ ઇકોનોમિક્સ એ જ દિશાનું આધુનિક ચિંતન છે. કેવળ ચિંતન નથી. એપ્લાઇડ એક્શન છે. રિચાર્ડ થેલરે ૧૯૮૦માં 'એન્ડોવમેન્ટ ઇફેક્ટ'ની વાત કરી હતી.
પોતાની પાસે જે ચીજ હોય એની બજાર કિંમત ઓછી હોવા છતાં મનોમન એનું મૂલ્ય ઊંચુ જ આંકવાનો બાયસ માણસમાત્રમાં હોય છે! (એટલે એપલ યુઝર્સ ઓછા ફીચરવાળા ફોનથી ય હરખાઇને - એન્ડ્રોઇડ યુઝર્સને તુચ્છ માનતા હોય છે! ખીખીખી). ત્રણસો ચીજ રેક પડી હોય તો ગ્રાહક કન્ફયુઝડ થઈ ખરીદતો નથી. પણ ત્રણ હોય તો કમ્પેર કરી ખરીદે છે. કારણ કે, એમાં પોતે 'સમજી વિચારીને શ્રેષ્ઠ નિર્ણય' લીધો હોવાનો ઇગો સંતોષાય છે!
એકચ્યુઅલી 'ફ્રીકોનોમિક્સ' જેવા મસ્ત પુસ્તકોના પ્રેરક રિચાર્ડ થેલર સપોર્ટેડ બિહેવિઅરલ ઇકોનોમિક્સની લક્ષ્મી પૂજક ભારતના અસલી વિકાસ માટે ખાસ જરૃર છે. લોકોનો મોટો સમુહ તાકીદે કોઇ મોટો ચેન્જ સરકાર કે અદાલત આપે તો સ્વીકારી નથી શકતો. માટે એની પાસેથી ચોઇસ છીનવી લેવાને બદલે એવો માહોલ તૈયાર કરવાનો કે એ પોતે જ યોગ્ય વિકલ્પ તરફ ઢળે. કે ડિફોલ્ટ ઓપ્શન જ એના માટે રેડી રાખવાનો.
કારણ કે મોટા ભાગના લોકો જે પહેલા સત્તાવાર રીતે મળે એ સ્વીકારી લે છે. પેન્શનનું ઓપ્શન સીધું ટિક થઈ જતું હોય તો 'એગ્રી' કરી સેવિંગ કરશે. રિજેક્ટ કરવા નવું ફોર્મ બહુ ઓછાં ભરશે. એ જ રીતે માણસ ફાયદો સંભવિત હોય ને સામે નુકસાન ટાળવાનો વિકલ્પ હોય તો સલામતીના ભાગ રૃપે નુકસાન ટાળશે. માટે ગંદકીથી થતા રોગચાળા કે ટ્રાફિકથી થતા અકસ્માતોની અસરમાં વધુ શિસ્તબદ્ધ બને, ડાહીડાહી વાતો કરતાં!
ટુંકમાં, આજે લક્ષ્મીનું વરદાન જોઇતું હોય તો કોઇ પણ ક્ષેત્રમાં માણસનું મન પારખતાં ને એના નિર્ણયની પસંદગી સમજતાં આવડવું જોઈએ. પછી એ ગૃહલક્ષ્મી ને પ્રેમપ્રપોઝલ કેમ ન હોય! તો મીઠાઈઓ ખાવ, ફટાકડા ફોડો, રંગોળી-રોશની કરો પણ આપણો ઉત્સવ અચાનક ઉદાસી ન બને એવી રીતે! તહેવારો પરિવારો સાથે મોજ માટે છે. મોબાઇલમાં મેસેજીઝની ખોજ માટે નહિ!
ફાસ્ટ ફોરવર્ડ
મેં મને પુરવાર કરવા ક્યાં ઉમેર્યું છે કશું?
બસ, વધારે જે હતું; છોડયું હતું સમજણ થકી!
(લક્ષ્મી ડોબરિયા)
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar