Get The App

સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા

Updated: Oct 1st, 2017

GS TEAM


Google News
Google News

મુજે મેરી મસ્તી કહાં લે કે આઈ...? જહાં મેરે અપને સિવા કુછ નાહીં!

સચ બોલે કૂત્તાકાટે! સચ્ચાઈની, મૂલ્યોની, આદર્શની આપણને વાતો સાંભળવી બહુ ગમે છે. પણ આચરણ કરવામાં ચરણને ગોટલા ચડી જાય છે.

અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે
ચડનારા કોઈ નો મળ્યા હો... જી
અમે દાદરો બનીને ખીલા ખાધા રે
તપસ્યાના ફળ નો મળ્યા હો...જી
માથડા કપાવી અમે ઘંટીએ દળાણાં,
ચૂલે ચડયા ને પછી પીરસાણા રે
જમનારા કોઇ નો મળ્યા હો...જી
નામ રે બદલાવ્યા અમે પથિકોને કાજે,
કેડો બનીને જુગ જુગ સુતા રે
ચાલનારા કોઈ નો મળ્યા હો...જી
કુહાડે કપાણા, અમે આગ્યુંમાં ઓરાણા,
કાયા સળગાવી ખાક કીધી રે
ચોળનારા  કોઈ નો મળ્યા હો...જી

સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા 1 - image‘‘You Should never wear your best trousers when you go out to fight for freedom and truth.''

૧૮૮૨ના હેનરિક ઇબ્સનના જગવિખ્યાત નાટક 'એનિમી ઓફ ધ પીપલ'નો આ યાદગાર સંવાદ છે. સત્ય અને સ્વતંત્ર મિજાજ રાખનારા માણસે સારા કપડાં પહેરીને બહાર નીકળવું નહિ. લોકો એને રગદોળી નાખશે એ નક્કી છે! આપણા કાગબાપુની એવી જ વિખ્યાત એવી આ ઉપરની રચનાના અંશો સાથે કેવી આબાદ રીતે ફિટ થાય છે આ ફીલિંગ.

ખરેખર કોઇક ગાંધી કે જીસસ કે સોક્રેટિસ સાચી વાત કહેવા કે જે સાચું કહેવાયું છે એ મુજબ જીવવા જાય છે, ત્યારે એમને ચૂપ કરી દેવાનો એક વિકૃત આનંદ મળતો હોય છે, ટોળાને. કોઈ પ્રામાણિક જજે રાજીનામું આપવું પડે, પણ ન્યાયના જ હમ-પ્રોફેશન રખેવાળો કશું બોલે નહિ એ દાખલો તાજો છે. નરસિંહે નાતબહાર થવું પડે છે. સીતાએ અગ્નિપરીક્ષા આપવી પડે છે. જટાયુની પાંખો કપાઈ જાય છે. બર્બરિકનું ડોકું.

'અગ્નિપથ'માં કાદરખાને લખેલો અને અમિતાભે આબાદ પેશ કરેલો એક લોહીઝાણ સંવાદ સુપરપોપ્યુલર હતો : કહને કો યહ શહર હૈ, સિર્ફ કહને કો. મગર યહાં પે જંગલ કા કાનૂન ચલતા હૈ, માલૂમ...જંગલ કા! ચૂંટી કો બિસ્તુઇયા (વીંછી) ખા જાતા હૈ. બિસ્તુઇયા કો મેઢક. મેઢક કો સાંપ નિગલ જાતા હૈ, નેવલા સાંપ કો મારતા હૈ.

ભેડિયા નેવલે કા ખૂન ચૂસ લેતા હૈ. શેર નેવલે કો ચબા જાતા હૈ. ઇધર હર તાકાતવર અપને સે કમજોર કો મારકર જીતા હૈ માલૂમ! (શું રાઇટિંગ છે સાહેબ! નવોદિતોએ શીખવા જેવું. ખાલી ખા જાતા હૈ કે મારતા હૈ બીબાંઢાળ પુનરાવર્તનને બદલે જેમ હિંસક પ્રાણીઓની ડિગ્રી ઉપર જાય એમ એનું વર્ણન પણ બદલાય!) પણ વાત માત્ર શહેરની નથી. માનવજાતની છે.

બધા લોકો ડહાપણ ડહોળે છે કે ટૂથ વિલ સેટ યુ ફ્રી. પણ સાચે જ ટુથમોઢા પર ચોડી દો, કોઈ સ્યુગર કોટેડ સ્ટ્રેટેજી વિના તો ભડકે બળી ઉઠે છે. અભય ટ્રુથસીકર ને ટ્રુથસ્પીકરને કેદ કરવા માંગે છે, એમની ઉડાનની પાંખો કાપીને એમને પોતાની સાથે પાતાળમાં ઘસડવા માંગે છે. પોતાનો ઇગો ઘવાય છે એ જીરવાતું નથી એટલે સાત્વિક રીતે જીવીને સ્પષ્ટ સાચું કહેનારાને જ ઇગોઇસ્ટિક ઠેરવી દે છે! સ્પષ્ટવક્તા દુ:ખી ભવેત!
    
૧૯૬૯માં ધર્મેન્દ્રની કરિઅર બેસ્ટ ફિલ્મ આવેલી : 'સત્યકામ'. નારાયણ સાન્યાલની બંગાળી નવલકથા પરથી હૃષિકેશ મુખર્જી જેવા સમર્થ દિગ્દર્શકે બનાવેલી આ બેનમૂન ફિલ્મ આજે ય પર્સનલી મોસ્ટ ફેવરિટ ફિલ્મોમાંની એક છે, ને આજીવન રહેશે.

ભારતીય વારસાની અદ્રુત કથાને આબાદ ફિલ્મના પ્લોટમાં ગૂંથી લેવાઈ હતી. આપણે ત્યાં સીતા-રાધાની વાર્તાઓ બહુ થાય છે, ત્યાગ ને સમર્પણના આદર્શ તરીકે. પણ સત્યકામ ઋષિની માતા જાબાલિની પર્સનલ ફેવરિટ વાર્તા બહુ યાદ કરતી નથી, જે આજના જમાનામાં વધુ રિલેવન્ટ એન્ડ ફોરવર્ડ થિન્કિંગ છે.

જાબાલિ ગણિકા હતી. પ્રોસ્ટીટયુટ. પુત્ર સત્યકામને ગૌતમ ઋષિના આશ્રમમાં ભણવા મોકલ્યો અને રીવાજ મુજબ ગુરુએ ગોત્ર પૂછ્યું. બાળકને ખબર નહી, એટલે માને પૂછવા ગયો.માતાએ જે જવાબ આપ્યો એ જાહેરમાં નિર્દોષતાથી ગુરુકૂળમાં સંભળાવ્યો : 'મારી માતાએ યુવાનીમાં અનેક પુરુષોની સેવા કરી હોઈ મારા પિતાનું નામ કે ગોત્ર નિશ્ચિત નથી!' આશ્રમમાં હાહાકાર થયો.

કોઈ હસ્યું તો કોઇને ધર્મ ભ્રષ્ટ થતો લાગ્યો. પણ આચાર્ય ગૌતમે બાળકનો સ્નેહથી શિષ્ય તરીકે સ્વીકાર કરતા કહ્યું કે તમામ વિદ્યા પ્રાપ્ત થયા પછી પણ જે શીખવું અઘરું છે, એ સત્ય બોલવાની હિંમત તારી માતાએ તારામાં સંસ્કારરૃપે કેળવી છે. માટે હું તારી માના નામ પર ગોત્ર નક્કી કરી તને સત્યકામ જાબાલ તરીકે શિષ્યરુપે સ્વીકારું છું.

સત્યકામ ફિલ્મમાં તાજા આઝાદ થયેલા ભારતના બેકડ્રોપમાં ગંગાઘાટ પરના એક પરિવારની વાત છે, જે ખરા અર્થમાં વિદ્યા અને કળા પ્રેમી વારસો ધરાવતી પરંપરા હતી જેમાં ૧૪ પેઢીથી સત્ય આચરણના વ્રતના બધા અનુયાયીઓ હતા. દાદા સત્યશરણ બનેલા અશોકકુમારે નાનપણમાં માતાપિતા ગુમાવી દીધેલા ધર્મેન્દ્રને, યાને પૌત્ર સત્યપ્રિયને આમ જ ઉછેર્યો હતો. ગીતાના અધ્યાત્મથી કાલિદાસની સૌન્દર્યદ્રષ્ટિ સીંચીને! આધુનિક યુગ મુજબ એને એન્જીનીયર થવા મોકલેલો. જ્યાં મિત્ર નરેન (સંજીવકુમાર) મળી ગયેલો વાર્તાનાયકને. જ્ઞાાન થકી દેશના નવનિર્માણમાં ફાળો આપવાનો એને ઉત્સાહ હતા.

સત્યપ્રિય વળી હસમુખો ને રસિક યુવાન હતો. શુષ્ક કે સોગિયો સત્યવાદી નહોતો. પણ ફરજનિષ્ઠા અને પ્રમાણિકતાની ઇન્ટેગ્રીટીમાં સમાધાન કરતા તો  બચપણની તાલીમને લીધે શીખ્યો જ નહોતો. 'પ્રેક્ટિકલ'બનીને ગોળ ગોળ મીઠી મીઠી વાતો કરવાના નામે જૂઠ બોલતા એને ફાવતું નહોતું. કોમ્પ્રોમાઇઝના નામે કરપ્શન કરવાની એને ટેવ નહોતી.

સત્યકામ ફિલ્મ અંગે તો આંસુભીની આંખે માંડીને વાત કરવાની મજા પડે, પણ આપણે ત્યાં સત્યમેવ જયતે રૃપિયાની નોટ પર લખવા માટે છે. એ જ નોટ અસત્યમેવ જયતેનું હથિયાર છે! પોતાના મોઢા પર અરીસો બતાવતી ફિલ્મ પબ્લીકને બહુ ગમી નહિ.

હૃષિદા ખુદ ઓનેસ્ટ ફિલ્મ મેકર. રમૂજની હથોટી હોવા છતાં ફિલ્મ એમણે યોગ્ય રીતે બનાવી. એક લેવલથી ઉપરની આર્ટ આપણા દેશમાં પચાવવી જરા અઘરી પડે છે. ગુરુ દત્તની કાગઝ કે ફૂલ, રાજકપૂરની મેરા નામ જોકર, વિજય આનંદની તેરે મેરે સપને... આવી ઓનરેબલ ફ્લોપ્સનું તો લિસ્ટ થાય એમ છે! સત્યકામ પણ ફ્લોપ ગઇ.

દેશની ખોખલી સત્યપ્રિયતાનો નકાબ આમ ત્યારે જ ઉઘાડો પડી ગયો. હજુ તો ત્યારે ભ્રષ્ટાચારની આજની સરખામણીએ તો શરૃઆત હતી. પણ હૃષિદાએ ભાવિ ભાખી લીધેલાં. ફિલ્મ તો યુટયુબ પર પણ મફત જોવા મળે, પણ જોઈ જ ના હોય બધાએ તો વિગતે વાત કેમ કરવી સ્પોઇલર્સ વિના?

ફિલ્મમાં આજની જેમ જ સિધ્ધાંતવાદી નાયક પીટાતો જાય છે. સંવેદનશીલ હોઇને બીજાનું બાળક બળાત્કારને લીધે જેના ગર્ભમાં છે એની સ્ત્રીને ચાહતો હોઈ દુનિયાની પરવા વિના એની સાથે લગ્ન કરી એના બાળકને પોતાનું નામ પિતા તરીકે આપે છે. નોકરીઓ છૂટતી જાય છે. કારણ કે નીચેવાળા ને ઉપરવાળા બધાને સાચું સંભળાવી દેતો ને સાચી રીતે જ વર્તવા જીવવાની કોશિશ કરતો આ હીરો કઠે છે.

ક્યારેક જરૃરિયાતોના બોજમાં પીસાયેલી પત્ની પણ કહી દે છે કે સોનાને ઘાટ ઘડવા માટે એમાં થોડી અશુદ્ધિ ઉમેરવી પડે છે તો વળી એનાથી કંટાળેલા સાથીઓ કહે છે : બડા બદમાશ આદમી હૈ, રિશ્વત ભી નહીં લેતા! મિત્ર પણ ચીડાઈને સત્યપ્રિયને ટોકે છે, ત્યારે ફિલ્મના સાર સૂત્ર જેવો જવાબ એ આપે છે : હું માણસ છું. ભગવાનની શ્રેષ્ઠ કૃતિ. પરમાત્માનો પ્રતિનિધિ. અમૃતનું સંતાન. હું ખોટું શા માટે કરું? ભલે ગમે તેટલી પીડા વેઠવી પડે સાચું કહેવા ને જીવવાની મારી મથામણ-મમત નહિ જ મુકું.

બને તો જોજો પ્લીઝ.અદ્ભુત સંદેશ ને ડ્રામા છે ફિલ્મમાં. બોરિંગ પણ લાગશે, કારણ કે સાચી વાત સહન કરવાની આપણને જન્મજાત આદત નથી. બાકી અસલી ભારતીય સંસ્કૃતિ એટલે સવાર પડે સવર્ણ-દલિત કે હિન્દુ-મુસ્લિમના દ્રોહે રમવા લાગવું એમ નહિ. ભારતનો ખરો વારસો આ છે. નચિકેતાએ સગા બાપ સામે પણ સ્ટેન્ડ લીધેલું એકલા બાળક તરીકે ને યમદ્વારે જતા પણ ડર્યો નહોતો એ સત્યન્યાય! ગાંધીજીએ એ પકડયું એમાં તમામ વર્ગમાં આજે ય સ્વદેશે અળખામણા થયા. સત્યાગ્રહ માટે એમનું કમિટમેન્ટ લાજવાબ હતું.

પણ રજનીશે કહેલું એમ ઘણા તક સાધુઓ લાગ જોઇ એમની ચાલતી ગાડીમાં ડબ્બા બની જોડાઈ ગયા. દુ:ખી સત્યપ્રિય ફિલ્મમાંય કહે છે. ઓનેસ્ટી નહિ, બેસ્ટ પોલિસી તો ડિસઓનેસ્ટી છે. અંત પણ અદ્ભુત છે ફિલ્મમાં. સત્યકામની કથા પૂરી થતી નથી. કારણ કે સત્ય, પ્રેમ, વિવેક, જ્ઞાાનની યાત્રા સનાતન છે. અને રાજીન્દરસિંહ બેદીના મર્મવેધક સંવાદોની પરાકાષ્ઠા રૃપ બોધ : સત્ય બોલને મે અહંકાર નહિ, સત્ય બોલને કા સાહસ ચાહિયે!

વર્ષો પછી સાવ જુદી ટ્રીટમેન્ટ ને સેટ અપમાં બરાબર આ જ મુદ્દો ને નાયક લઇને આવેલી અતુલભાઉની અફલાતૂન ફિલ્મ 'ન્યૂટન' છે. અનેક લેયર પર એમાં કશું કહ્યા વિના પણ ઘણું કહેવાયું છે. આપણા દેશમાં જેમની વાત થતી જ નથી,

એવા સમુદાયની લાચારીની વાત કેન્દ્રમાં હોવા છતાં ફિલ્મ બોરિંગ નથી. સેન્સેટીવ દર્શકનો સતત રસ ટકાવી રાખે છે. ઉમદા અભિનયથી વિવિધ પાત્રો ને સંવાદો દ્વારા આપણી સીસ્ટમનો સીટી સ્કેન એમાં નીકળ્યો છે. કોઈ ફિક્સ હીરો કે વિલન એમાં નથી. એ હસાવે છે, રડાવે છે, ગુસ્સો લઇ આવે છે ને પીડા પણ આપે છે, ખલેલની. મસ્ટ સી. ઓસ્કારમાં ઘણા વખતે એટલીસ્ટ ઢંગની એન્ટ્રી મોકલી છે આપણે.

એ નથી ઇરાનીયન ફિલ્મ 'સિક્રેટ બેલેટ'ની નકલ કે નથી 'સત્યકામ'ની. પણ એનો આત્મા એક જ છે. 'ન્યૂટન'માં રાજકુમાર રાવ (ઇરફાન પછી બેસ્ટ એકટર ગ્લોબલ લેવલનો) ને સંજય મિશ્રા 'સત્યકામ'નો પડઘો પાડતો હોય એવો સંવાદ કહે છે : ઇમાનદારી રાખો, પણ ઇમાનદારીનો ઘમંડ ન રાખો. પ્રમાણિક થઇને તમે કંઇ ઉપકાર નથી કરતા. એ તો ફરજ છે. જો બધા પોતાનું કામ ઇમાનદારીથી કરે તો દેશમાં બહુ ઓછી સમસ્યાઓ રહે!

પણ જેન્યુઇન સવાલ એ છે કે સત્યપ્રિય આચાર્ય કે ન્યુટનકુમાર જેવા ઓરીજીનલ ઓનેસ્ટ લોકોને સ્વીકારવા, સત્કારવા જેટલો શુદ્ધ આપણો સમાજ છે ખરો? પોલિટિક્સ કે બિઝનેસ તો પછી, પરિવાર કે મિત્રો ય એમને કાયમ સહન કરી શકે છે ખરા? સાચે આવી રીતે જીવવા જાવ તો શું થાય? અરે, એક દિવસ માત્ર ને માત્ર સત્ય જ બોલવાનું વ્રત લેશો તો ય સાંજ પડયે બે'ક વોટ્સએપ ગુ્રપમાં છાજીયા લેવાતા હશે તમારા નામના. ત્રણેક સ્વજનો કે મિત્રો તમારા કડવા વેણને લીધે તેર મણનો તોબરો ચડાવી માઠું લગાડશે! સાચી સલાહ પણ આપશો તો અળખામણા થઇ જશો કે કોઇની ખોટી વાતનો જવાબ પણ આપશો તો ધરાર તમે ખોટા છો એવું એ ઠસાવવા લાગશે!

કરી જોજો પ્રયોગ. આ દશેરાના જન્મદિને બચપણના વર્ષો બાદ કરો તો ય થટ્ટી યર્સ કા એક્સપિરરીયન્સ હૈ આ લેખકડાને!
    
ઘેર ચુસ્ત સત્યપ્રેમી માતા પાસે ભણનારને પરીકથાઓ પાસેથી મૂલ્ય શિક્ષણ મળે. વિવિધ ભાષાના સાહિત્યમાંથી આદર્શ અને ભારતીય પ્રાચીન ધરોહર પાસેથી ચિંતન મળે. એટલે જૂઠને લીધે ઘરમાં ઉભી થતી અમુક સમસ્યાઓ જોઇને બે ચહેરા ધરાવતા અને દંભ કરતા લોકો માટે રીતસર એલર્જીથી લાલ ચાંઠા પડે ચામડી પર એવી ચીડ ચડવા લાગે.

કરકસરની ચરમસીમામાં જીવવાને લીધે જીતવાનું આવડે, પણ મોટા થયા પછી આ તમા-શો તો રોજ જોવાનો આવે ત્યારે? માત્ર સત્યને ખાતર એકઝાટકે શિક્ષણના ભ્રષ્ટાચારની પેન્શનવાળી નોકરી છોડી દીધી, ખિસ્સા ખાલી હોવા છતાં.

એ ઉસૂલો ખાતર કેવલ પૈસા ખાતર લેખનનું પ્લેટફોર્મ બદલાવ્યું નહી કે સામે ચાલીને એક પણ પ્રવચન માંગ્યું જ નહિ! અગાઉ ભણવામાં ય ઘર મુકીને બહાર કદમ મૂક્તાવેંત જ કરપ્ટ સીસ્ટમે વર્ષો ચૂસી લીધા. કોઈ અદ્રશ્ય શામળ-શાહે આંગળી પકડી સ્વમાનભેર લહેર કરાવી ને પ્રેમથી ચાહતા દોસ્તોના ભાવસમંદરમાં માથાબોળ ધુબાકા ખવડાવી ઉગારી લીધો.

પણ કારકિર્દીના ભાગરૃપે પ્રવાસો અને રોજ સંપર્કમાં ઉમેરતા અનેક નવા ચહેરાઓને લીધે સત્ય તો સાંપડયું જ કે, આપણે ત્યાં સત્યનારાયણની કથા ભલે થાય. સત્યઆચરણમાં તો થાક જ મળવાનો છે! પોતાની ભૂલ કબૂલ કરીને જાહેર તો શું ખાનગીમાં ય દિલથી સોરી કહેવાની પણ ટેવ પડી નથી.

જજમેન્ટલ આઈટેમ્સને. ભારાડી એવા દાધારંગા કરપ્ટ લોકો સામે બોલતી બંધ રાખશે, પણ જરાક એમની સંકુચિતતાને સત્યની અણી અડાડો તો ખીજાઈ જશે! પર્સનલ લાઈફમાં પણ કોઇને મૂરખ બનાવ્યા વિના કે પબ્લિક લાઈફમાં કોઇનો ખોટી રીતે રૃપિયો પણ લીધા વિના જીવનાર સાચા માણસને તો કનડવા દોડતા આવશે હર્ટ થયેલા હલકાઓ!

લેખનો મુકાબલો નથી થતો એટલે લેખકને પજવે છે. કળા નથી સમજાતી માટે કળાકાર સામે કકળાટ કરે છે. રમૂજવૃત્તિ નથી. એટલે હસવાને બદલે ભસવાનું રાખે છે. સચ્ચાઈ તો સૂરજ છે. રોશની ય આપે ને આગમાં સતત તપે પણ ખરી. ફેક્ટની સામે ફાઈટ થઇ નથી શકતી. એટલે મર્કટો સહજ વ્યક્ત થતી ભાષા કેવી તોછડી છે એના પર ધાંધલ કરે છે. પોતે પબ્લિસિટીના ઘેલાભૂખ્યા તરસ્યા હોય એટલે કોઈ સાચું ફટકારી દેનારને ય એવા જ માની લે છે.

માટે એ ફેંક છે એમના બદબૂદાર અભિપ્રાયોની ઉલટીઓ. લેસર મોર્ટાલ્સ ઉર્ફે ટણપા ટપોરીઓને મુક્તિમાં એમને આકર્ષણ નહી, ભય લાગે છે. માટે એ લોકો જ્યારે તર્કબદ્ધ તથ્યો સામે ટકી શક્તા નથી, ત્યારે ઇર્ષાની લીલીતીખી જલનમાં બળીને એ મુદ્દસર દલીલોને બદલે એ સત્ય કહેનારની પાછળ પડી જાય છે. એ વાસ્તવવાદીના પીંછા ખેરવવાનો, એની વિરુદ્ધ ઝેર ઓકવાનો ઉદ્યમ ચાલુ કરે છે.

એવું નથી કે સાવ સત્યવાદી હરિશ્ચંદ્ર જેવા એકસ્ટ્રીમ થઇ જાવ. કોમ્યુનિકેશનમાં તો કૃષ્ણ થવું પડે. સમય પારખીને સંવાદ કરવો જ પડે. મિત્રો સાથે તબિયત માટે જરૃરી આરામ અને આનંદ કરવા સુંદર કળાના સહારે બેઠાં હો ને કોઈ અચાનક ત્રાટકે રંગમાં ભંગ પાડવા ખુદના કામે, તો એ વખતે કઢાતું બહાનું જૂઠ નથી. સ્વબચાવ છે. કોઇની શોકસભામાં હાથ જોડી પુષ્પ અર્પણ કરો, ન ગમતી વ્યક્તિને જાહેરમાં સૌજન્યથી બોલાવો કે ન ભાવતું કોઇની લાગણી ખાતર પ્રેમથી ખાઈ લો તો એ દંભ નથી. વિવેક છે.

પણ ખોટા સમયે ખોટું માથું ખાતા કે જમવા પણ દીધા વિના ફોટો પડાવવા ધસી આવતા લોકોને કડક જવાબ આપો, તો એ અનિવાર્ય ફરજ છે. જે તમીઝ એમના પરિવાર કે ગુરુઓએ નથી શીખવાડી એ સમજાવવી પડે. સમયપાલન કે કામની ચોકસાઇ બાબતમાં આપણે ત્યાં સાવ જ લાલિયાવાડી જ ચાલે છે.

રિમાઇન્ડર્સ વિના કોઇને કર્મ માટેની ચીવટ આવતી જ નથી. અંગત સંબંધોમાં રિલેશનના કે કરિઅરના ભાવાવેશમાં ગલત ડિસિશન લેનારને ટોકો, તો એમને ભ્રામક આશાવાદમાં સાચું કહેનાર ગમતા નથી. અમુક અમુક પલાયનવાદી પોચટ લોકો વળી એમને ટ્રુથ કહો તો નેગેટીવિટી સમજી લે છે. પોતાના લાઇઝને ટ્રુથ માવાના વહેમમાં એ જીવે છે.

અને પોતાના પોઝિટીવ હવાઈ કિલ્લામાં કેદ રાજકુમારીઓ બનીને ઊંઘી જાય છે, સ્લીપિંગ બ્યુટીની જેમ શ્રાપગ્રસ્ત. કોલ્ડ. ડેડ. એમના પરપોટાને એ મેઘધનુષ સમજે છે અને એમાં સત્યનો સ્પર્શ સહન નથી થતો. લાગણીઓ અહી વરસવા માટે નથી હોતી. કેવળ દુભાવા માટે જ હોય છે.

જાહેર જીવનમાં તો હિરણ્યમયેન પાત્રેણસત્યસ્યાપીહિતમ મુખમ, તત્વં પૂષન અપાવુ્રંણું સત્ય ધર્માય દુષ્ટયે।

ઇશાવાસ્યઉપનિષદનું ક્લાસિક સૂત્ર કહે છે કે સોનાના પાત્રથી સત્ય ઢંકાયેલું છે! આ પ્રલોભનો ને સ્વાર્થ ને અહંકારની માયાજાળ છૂટે તો એના દર્શન થાય ને! એવા દર્શન કરનારા અલગારી સત્યકામો અને ન્યુટનો માટે કલાપીએ લખ્યું અમે જોગી બધા વરવા સ્મશાનો ઢુંઢનારાઓ, તહીંના ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ... અમે જાહેરખબરો સૌ જિગરની છે લખી નાખી, ન વાંચે કોઈ યા વાંચે ન પરવા રાખનારાઓ... બની ઉસ્તાદ આવો તો થશો આંહી તમે ચેલા, મગર મુરશિદ કરો તો તો અમે ચેલા થનારાઓ!

આ ખુદ્દારી, આ ખુમારી, આ ફનાગીરી, આ દિલદારી પાછળ બળ છે સત્યનું! એ સત્ય જે ખૂંચે છે અજ્ઞાાનીઓને, દઝાડે છે બુદ્ધિબુઠ્ઠાઓને, જે ચીરે છે લબાડ લુચ્ચા લપોડશંખોને, જે ટકરાય છે સંકુચિત જડસુ જગતકાજીઓ સામે, જે પ્રહાર કરે છે માન્યતાઓના મનગમતા ધુમ્મસના ભેજ પર અને ફેલાવે છે સનાતન તેજ. આપણને ગુલાબી ભૂતકાળમાં જીવવું ગમે છે.

પણ ખુદની ખામીના સ્વીકાર વિના તો એનો ઉપચાર ન થાય ને સુંદર ભવિષ્ય ન રચાય. આપણા દેશના ઇતિહાસના ગૌરવની વાતો બહુ થશે પણ કલંકની નહિ થાય કે, આપણી પ્રજાએ મોટે ભાગે જેણે પૈસો આપ્યો છે, કે પૈસાના ખ્વાબ આપ્યા છે એની જ ગુલામી કરી છે. સત્ય આપણા રેશમી વસ્ત્રો ઉતારીને બેડોળ શરીર દેખાડતો આયનો છે એટલે ખુદ માટે ગમતું નથી.

રશિયન સાહિત્યકાર દોસ્તોયવસ્કીની 'ધ ઇડિયટ' (ફિલ્મ : યુગપુરુષ)ના સાચું જ બોલતા ઇનોસન્ટ હીરોને સમજી ન શકતો જૂઠો સમાજ પાગલ ઠેરવી દે છે. એ આઉટસાઇડર છે, કૃત્રિમ પ્લાસ્ટિક માસ્ક પહેરવાને બદલે નેચરલ, સાહજિકરીતે વર્તે છે.

માટે હોશિયાર હોવા છતાં ઇડિયટ છે. દુનિયાની અસત્યની ફ્રેમમાં ફિટ ન થાવ તો તમે વિલન છો! વિજયાદશમી એ ફાફડા જલેબી કે રાવણદહન પુરતી એક દિવસ. બાકી તો એ છે સચ્ચાઈ માટે સંઘર્ષ કરવાનો ને એમાં જખમી થયા હોવા છતાં સ્મિત ફરકાવતા જવું તે! બાકી તો, યે બસ્તી હૈ મુર્દા પરસ્તો કી બસ્તી... યે દુનિયા અગર મિલ ભી જાય તો ક્યા હૈ!

ફાસ્ટ ફોરવર્ડ

જિંદગી પર બસ ઇતના હી લિખ પાયા હૂં મૈં,
બહુત મજબૂત રિશ્તે થે. બહુત કમજોર લોગો સે!
(હનુમાનજયંતી ૨૦૧૭ના પ્રવચનમાં મોરારિબાપુ)
 

Tags :