કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
''આપણે પરલોક સુધારવાના પુણ્ય માટે ભગવાનની ભક્તિ કરીએ છીએ પણ ધરતી પરના બાળકનૈયાની ઉપેક્ષા કરીએ છીએ.'' - ધરણીધરે કહ્યું
''દિલમાં દયા ઊભરાતી હોય તો સાધુ થઈ જવું હતું ને! સંસારી બની મારી જિંદગી સાથે શું કામ ચેડાં કર્યાં?'' - મંગલાનો પ્રકોપ
''કાલિન્દી, આ બંગલામાં હું એકલો અટૂલો છું...''
''કાલિન્દી, મને ઊંઘ નથી આવતી, ફાટી આંખે સવાર થવાની રાહ જોઉં છું.''
''કાલિન્દી, મને તરસ લાગી છે. ટેબલ પર મૂકેલી પાણીની બોટલને મારો હાથ વાગતાં બોટલ નીચે પડી ખાલી થઈ ગઈ છે.''
''કાલિન્દી, મેં ચશ્માં ક્યાં મૂક્યાં તે મને યાદ નથી, બાથરૃમ સુધી કેવી રીતે જાઉં.''
એક્યાશી વર્ષના વિધુર વિદ્યાનંદ બોલતાં-બોલતાં રડી પડે છે... અકળામણમાં જોરથી ચીસ પાડે છે : કાલિન્દી, તું ક્યાં છે? મારી સાથે આવો દગો કરવાનો? ભગવાનને ઘેર પહોંચવાની આટલી બધી ઉતાવળ?'
વિદ્યાનંદ અડબડિયાં ખાતા-ખાતા ફ્રિઝ સુધી પહોંચે છે. ફ્રિઝમાં મૂકેલી બન્ને બોટલો થીજીને બરફ થઈ છે. બરફ વચ્ચેથી ટપકતી પાણીની બુંંદોથી તરસ છિપાવે છે... અને કાલિન્દીના નામની માળા જપતાં-જપતાં પલંગ પર પડતું મૂકે છે.
નાઈટ લેમ્પના પીળચટા પ્રકાશમાં સામેની ભીંત પર લટકતી કાલિન્દીની તસવીર દેખાય છે... વિદ્યાનંદ ગળગળા થઈ જાય છે અને સ્વગત બોલે છે :
''કાલિન્દી, તેં મને કોઈ દિવસ હરાવ્યો નથી, અને મેં તને 'હાર' પહેરાવી મારાથી અલગ કરી?''
વિદ્યાનંદ છત પર નજર કરે છે. છાતી પરનો બોજ વધતો જાય છે. ગમગીનીએ મનનો કબજો લઈ લીધો છે. સ્મરણોની વણજાર પીછો છોડતી નથી!
વિદ્યાનંદ ભૂતકાળમાં સરી પડે છે! આજથી સાઇઠ વર્ષ પહેલાંની વાત. ત્યારે તેઓ કાલિન્દી સાથે કૉલેજમાં ભણતા હતા. ભરાવદાર શરીર, સવા છ ફૂટની ઊંચાઈ, વિશાળ છાતી અને ગૌર વર્ણ! ચાલે તો જાણે ધરતી ધમધમે. બોલે તો જાણે સિંહે ગર્જના કરી!
વિદ્યાનંદ જેટલો ભણવામાં તેજસ્વી તેટલો જ નાટય પ્રવૃત્તિમાં ગળાડૂબ. છાત્રાલયમાં રહેતો, પણ છાત્રાલયના નિયમો તોડી નાટકો જોવાનું ચૂકતો નહીં. 'ભવ્ય ભાવના' નામના નાટકનો એક સંવાદ એ મોકો મળે બોલવાનું ચૂકતો નહીં : 'ભારે પત્તાંની બાજી તો સહુ કોઈ જીતી બતાવે, હલકાં પત્તાંની બાજી જીતી દેખાડે તો એ સાચો રમતવીર.'
વિદ્યાનંદના નસીબે હલકાં પત્તાંની બાજી જીતવાનો પડકાર ઊભો થયો હતો. નાનપણમાં જ માતા-પિતાનું અવસાન થતાં તેના પિતાજીના મિત્ર ધરણીધરે તેને આશરો આપ્યો હતો.
ધરણીધર પ્રેમાળ અને દયાળુ હતાં, પણ એમની પત્ની મંગલા માથાની ફરેલી. પતિનું પણ એ કટુ શબ્દોમાં અપમાન કરે. પારકાનું ઘરમાં આગમન તો એમની આંખમાં કણાની જેમ ખૂંચે!
વિદ્યાનંદને જ્યારે ધરણીધર અંકલ પોતાની સાથે લઈને ઘેર આવ્યા ત્યારે મંગલા આન્ટીએ તેમનો ઉધડો લીધો : 'એમ કરો, આપણી સોસાયટીમાં ઘેર-ઘેર ફરી અનાથ બાળકોને શોધી કાઢો અને આ ઘરને અનાથાશ્રમ બનાવી દો. દિલમાં દયા ઊભરાતી હોય તો સાધુ થઈ જવું હતું ને! સંસારી બની મારી જિંદગી સાથે શું કામ ચેડાં કર્યાં? નોકરીમાં ટૂંકો પગાર ને સાંકડી મઢી, ભગતડાં ઝાઝાં! આપણાં ચાર બાળકોને ખાવાના સાંસા છે ત્યાં વળી ્ પાંચમા 'ધર્મપુત્ર'ને શું કામ ઉમેર્યો?'
મંગલાકાકીના વાક્બાણથી વીંધાતા ધરણીધર અંકલ લાચાર હતા. એમણે વિરોધ કરવાને બદલે કહ્યું : 'થોડા દિવસ વિદ્યાનંદને આપણી પાસે રહેવા દે, હું ધર્માદાની બોર્ડિંગનાં સરનામાં મેળવી તેને છાત્રાલયમાં દાખલ કરીશ. તું જાણે છે કે વિદ્યાનંદનો પિતા મારો જિગરજાન દોસ્ત હતો. અમે એક થાળીમાં જમતા અને સુખ-દુ:ખમાં સહભાગી બનતા. મારે મિત્રધર્મ તો અદા કરવો જોઈએ ને! વિદ્યાનંદ મારા મિત્રની થાપણ છે, એમ માની એને ઠારીશ તો ભગવાન ખુશ રહેશે!'
'ઘરનાં છોકરાં ઘંટી ચાટે, અને ઉપાધ્યાયને આટો'-ની મૂર્ખતા કરનારને ભગવાન પણ મદદ નથી કરતા. મહિનો પૂરો કરવામાં મુશ્કેલી પડે ત્યારે તમારો કોઈ ભગવાન મને કોડીયે પરખાવતા નથી! હવે સાંભળી લો, મારી છેલ્લી વોર્નિંગ! માનવતાના પ્રયોગો બંધ કરવાનું તમે બંધ નહીં કરો તો હું જ ઘર છોડીને મહિલા વિકાસગૃહમાં ચાલી જઈશ.'' - કહી મંગલા આન્ટી રસોડામાં પહોંચ્યાં...
નોકરીનો સમય થયો એટલે ધરણીધર અંકલ જમ્યા વગર જ વિદાય થયા. મંગલા આન્ટીએ કહ્યું : ''આ અપશુકનિયાળની માથાકૂટમાં ખાવા બનાવવામાં મોડું થયું... હવે બપોરે એને જ તમારું ટિફિન લઈને મોકલીશ.''
જમવાનું તૈયાર થતાં મંગલા આન્ટીના ચાર દીકરાઓ જમવા બેઠા. વિદ્યાનંદ જમવા બેસવાની રાહ જોતો હતો ત્યાં મંગલા આન્ટી તાડૂક્યાં : ''હવે તું મહેમાન નથી, સમજ્યો વિદ્યાનંદ? મારાં બાળકોને પીરસવાનું કામ તારું અને હું જમી લઉં પછી તને જમવાનું મળશે. ચાલ, થાળી-વાડકા ગોઠવી દે અને હું ગરમાગરમ રોટલી બનાવું તે શાક સાથે મારાં બાળુડાને પીરસ.''
વિદ્યાનંદ મૂંગે મોંઢે મંગલા આન્ટીનો આદેશ સાંભળી રહ્યો. રસોડામાં જઈ કાકીના હૂકમ મુજબ એણે ચારે બાળકોને પીરસવાનું શરૃ કર્યું.
બાળકોના જમ્યા બાદ કાકી ખાસ્સું ઘી ચોપડેલી રોટલીઓનો 'થોકડો' લઈ પાટલા પર ગોઠવાયા! વિદ્યાનંદ ઊભો ઊભો કાકીના આદેશની રાહ જોઈ રહ્યો હતો. મંગલા કાકીએ કહ્યું : 'મેં મારા ભોજન વખતનો તને સુપરવાઈઝર નથી બનાવ્યો. તારી નજર લાગશે તો ખાધેલું પચશે નહીં.
કાલે અગિયારશે મોરૈયાની ખીચડીથી ચલાવ્યું હતું એટલે આજે નિરાંતે જમીશ! હવે જા, તારી થાળી લઈ આવ. શાક તો સાવ ઓછું વધ્યું છે એટલે અથાણા સાથે રોટલી ખાઈ લે. અને રોટલીઓ પણ માત્ર ત્રણ જ છે.' - કહી મંગલાકાકીએ ઘી ચોપડયા વગરની કોરી રોટલીઓ વિદ્યાનંદની થાળીમાં ફેંકી હતી...
બપોરે ધરણીધર અંકલનું ટિફિન લઈ પોતે અંકલની ઑફિસ પહોંચ્યો હતો. કાકાએ ટિફિન ખોલ્યું અને જમવા બેઠા. અંકલના ટિફિનમાં પણ ભલીવાર નહોતો. કોરી ચાર રોટલીઓ અને અથાણું!
ધરણીધર અંકલે કહ્યું : ''વિદ્યાનંદ, શાક મૂકવાનું તારી કાકી ભૂલી ગયાં લાગે છે. પણ તને તો બરાબર જમાડયો હશે ને! મંગલાનો સ્વભાવ જરા આકરો છે, એટલે તારે પણ મારી જેમ સહનશીલ બનવું પડશે. ખરુંને?''
વિદ્યાનંદ ચૂપ રહ્યો હતો.
વિદ્યાનંદના આગમન પછી તેનો પૂરો કસ કાઢવાનું શરૃ કર્યું હતું. શાકભાજી લઈ આવવાનું, દળાવવાનું, કપડાંને ઈસ્ત્રી કરવાનું કામ તેને માથે નાખવામાં આવ્યું. મંગલાકાકીનાં ચાર બાળકો બીજા, ચોથા, પાંચમા અને ૬ઠ્ઠા ધોરણમાં ભણતાં હતાં. વિદ્યાનંદ આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો.
કાકીએ તેનો પૂરો લાભ લેવા માટે ચારેય બાળકોને લેસન કરાવવાની જવાબદારી પણ વિદ્યાનંદને ભળાવી દીધી! પોતે થાકી જતો એટલે અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શકતો નહોતો. એની તેજસ્વિતામાં ઓટનાં ચિહ્નો વરતાતાં સ્કૂલના આચાર્યે તેને બોલાવ્યો. ઘરના વાતાવરણ વિશે ખાસ્સી પૂછપરછ કરી પણ વિદ્યાનંદે કશી જ ફરિયાદ કરી નહીં.
આચાર્યે પોતાની રીતે ખાનગીમાં તપાસ કરી લીધી. વિદ્યાનંદ પર ત્રાસની કોઈ સીમા નહોતી. એમણે ધરણીધરને એકલા બોલાવી પરિસ્થિતિનો તાગ મેળવવાની કોશિશ કરી. ધરણીધરે પેટછૂટી વાત કરી પોતાની પત્નીના આક્રમક સ્વભાવની વિગતો આપી અને વિદ્યાનંદ ઉપર અપાર લાગણી હોવા છતાં પોતે પત્ની સામે મજબૂર છે, એ વાતનો સ્વીકાર કર્યો.
સ્કૂલના આચાર્યને લાગ્યું કે વિદ્યાનંદના સ્વાસ્થ્ય અને અભ્યાસની દ્રષ્ટિએ તેને ધરણીધરના પરિવારમાં રાખવો હિતાવહ નથી! એમણે એક છાત્રાલયના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી વિદ્યાનંદને નિ:શુલ્ક રહેવા-જમવાની વ્યવસ્થા કરી.
મંગલા આન્ટીને આ વાતની ખબર પડી એટલે ખુશખુશાલ થઈ ગયાં, પણ એમણે સ્કૂલના આચાર્ય સમક્ષ રડવાનું નાટક કર્યું : ''વિદ્યાનંદ તો મારો પાંચમો અને સૌથી વહાલો દીકરો છે. એના વગર હું કેવી રીતે જીવીશ? ઘરની બધી જ જવાબદારી એણે ઉપાડી લીધી છે. હું એને મારાથી અળગો કરવા તૈયાર નથી!''
આચાર્ય બધી વાતોથી વાકેફ હતા. તેમણે મંગલાને શાબ્દિક આશ્વાસન આપી વિદાય કર્યા. અને ધરણીધરને સાથે લઈ વિદ્યાનંદને છાત્રાલયમાં દાખલ કરવા પહોંચી ગયા.
એમણે છાત્રાલયના ગૃહપતિને કહ્યું : ''વિદ્યાનંદ તેજસ્વી વિદ્યાર્થી છે. પણ કાળનો કોપ તેની પર ઊતરેલો છે. તમારે એને ઠારવાનો છે. થોડોક રસ લેશે તો વિદ્યાનંદનું વ્યક્તિત્વ હીરાની જેમ ચમકશે. બળ્યા-જળ્યા માણસને ઠારવાનું કામ ભગવાનને ઠારવા સમાન છે.
આપણે પરલોક સુધારવા માટેનું પુણ્ય સંચિત કરવા ભગવાનની ભક્તિ કરીએ છીએ, પણ ધરતી પરના બાળકનૈયાની જિંદગી સુધારવાને મહત્ત્વ આપતા નથી. મને લાગે છે મારી વાત આપ સમજી ગયા છો. આપના છાત્રાલયમાં કોલેજમાં અભ્યાસ સુધી રહેવાની વ્યવસ્થા છે જ. એટલે ગ્રેજ્યુએટ બનાવી વિદ્યાનંદને મને સોંપજો.''
ધરણીધર સ્કૂલના આચાર્યની મહાનતા જોઈ ગદ્ગદ્ થઈ ગયા. એમના પગ પકડી એક નિરાધાર છોકરાની જિંદગી સુધારવાની નિસ્વાર્થ સેવા બદલ આભાર માન્યો.
વિદ્યાનંદે થોડા જ સમયમાં ગૃહપતિનું દિલ જીતી લીધું. એ રસોઈયાને પીરસવામાં મદદ કરતો. રાત્રે સમયસર લાઈટ બંધ થઈ જાય એનો ખ્યાલ રાખતો. છાત્રાલયનો કોઈ વિદ્યાર્થી માંદો પડે તો એને દવાખાને લઈ જતો અને તેમ છતાં પોતાના અભ્યાસની એ બરાબર કાળજી રાખતો.
ધરણીધર અંકલ મહિનામાં એકાદવાર તેની ખબર લેવા આવતા. ગૃહપતિના મુખે વિદ્યાનંદનાં વખાણ સાંભળી રાજીના રેડ થઈ જતા.
વિદ્યાનંદ હાયર સેકંડરીની સામાન્ય પ્રવાહની પરીક્ષા પાસ કરી તે આર્ટસ કોલેજમાં જોડાયો. નેવું ટકા લાવવાને કારણે તે કોલેજમાં સૌથી વધુ માર્કસ મેળવનાર તરીકે પ્રોફેસર્સને પણ વહાલો હતો.
કૉલેજની અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાનંદને એટલો જ રસ. અભિનયનું એનામાં કૌશલ્ય હતું એટલે કોલેજના વાર્ષિકોત્સવમાં એ નાટકમાં ભાગ લેતો. સંવાદો યાદ રાખવાની અને ફાંકડી રીતે બોલવાની તેનામાં આગવી આવડત હતી.
એક સામાજિક નાટકમાં તેને 'હીરો'નો રોલ આપવામાં આવ્યો અને તેની સહપાઠી કાલિન્દીને હીરોઈનનો. કાલિન્દી સ્વભાવે નમ્ર અને શિસ્તપ્રિય. વિદ્યાનંદના વ્યક્તિત્વથી એ પ્રભાવિત થઈ. ત્રણ વર્ષના નિકટના પરિચય બાદ એણે વિદ્યાનંદને જીવનસાથી બનાવવા અંગે પોતાના પિતાજીને વાત કરી. વિદ્યાનંદને મળવા બોલાવવાની કાલિન્દીને સૂચના આપી. કાલિન્દીના આનંદની કોઈ સીમા નહોતી.
વિદ્યાનંદને એકાન્તમાં મળવા બોલાવી કાલિન્દીના પપ્પાએ કહ્યું : ''ગરીબ માબાપનાં સંતાનોએ ઊંચાં સપનાં જોવાની ભૂલ ન કરવી જોઈએ. તમે અનાથ છો, રહેવા માટે નાનકડું ઘર છે. કાલિન્દીનો હાથ હું એક બેરોજગાર અને ખાલી ખિસ્સાવાળા યુવાનને સોંપવા તૈયાર નથી! તમે સારી નોકરીમાં સ્થિર થાઓ. મોટો બંગલો બનાવો, ત્યાં સુધી કાલિન્દી રાહ જોવા તૈયાર હશે તો તમારો પ્રેમ સાચો. જાઓ, સ્વાવલંબી બનો ત્યારે મારે બારણે ટકોરા મારજો.''
કાલિન્દીને તેના પપ્પાએ કરેલા વિદ્યાનંદના અપમાનથી ભારે આઘાત લાગ્યો. તેણે પોતાની બચતમાંથી વિદ્યાનંદને નાનકડો બિઝનેસ કરવાની પ્રેરણા આપી અને વિદ્યાનંદે કાલિન્દીના પિતાજીએ આપેલો પડકાર ઝીલી લીધો. રાતદિવસ મહેનત કરી બચતમાંથી એક ફેક્ટરી પણ ખરીદી લીધી અને ઉત્તમ ક્લૉલિટીના પ્રોડક્શનને કારણે બજારમાં પણ તેને સારો પ્રતિસાદ મળ્યો. કાલિન્દીએ પણ નોકરી સ્વીકારી હતી. નોકરીનો પગાર તે વિદ્યાનંદની ફેક્ટરીના વિકાસ માટે જમા કરાવતી.
એમ પાંચ વર્ષ વીતી ગયાં. વિદ્યાનંદે એક બંગલો પણ ખરીદી લીધો અને બંગલામાં રહેવાનું શરૃ કર્યું. એક રસોયણબાઈ તેની સંભાળ રાખતી હતી. કાલિન્દીએ વિદ્યાનંદને પોતાને બંગલે મળવા દેવા આવવાની વિનંતી કરી પણ એણે કહ્યું : ''કાલિન્દી, તારા પપ્પાએ મારી સામે પડકાર ફેંક્યો છે. એ પડકાર હવે પૂરો થયો છે. હું એમની રજા સિવાય તને અપનાવવા તૈયાર નથી.'' વિદ્યાનંદની મહાનતા જોઈ કાલિન્દીને લાગ્યું કે વિદ્યાનંદ ભૂલો પડેલો દેવદૂત છે.
અને એક દિવસ તે કાલિન્દીના પિતાજી સામેથી વિદ્યાનંદને મળવા ગયા. વિદ્યાનંદે કરેલી અદ્ભુત પ્રગતિથી તેઓ પ્રસન્ન થઈ ગયા અને કાલિન્દી સાથે વિદ્યાનંદનાં ધામધૂમથી લગ્ન કર્યાં.
વિદ્યાનંદને લાગ્યું કે પોતાની તપસ્યા ફળી છે. એણે બિઝનેસ વિકાસ સાથે સમાજ સેવાનું કામ પણ આરંભ્યું. પોતે જે છાત્રાલયમાં નિ:શુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા મેળવી હતી, તેને નિયમિત દાન આપવાનો નિર્ણય કર્યો. કાલિન્દીની વર્ષગાંઠ તે છાત્રાલયમાં ઊજવતો અને છાત્રાલયના તમામ વિદ્યાર્થીઓને તે ભેટ-સોગાદ સાથે ભોજન કરાવતો.
છાત્રાલયના ગૃહપતિ હવે વૃદ્ધ થઈ ગયા હતા. વિદ્યાનંદે તેમને પોતાની ફેક્ટરીમાં રૃપિયા વીસ હજારના પગારથી મેનેજર બનાવ્યા.
વર્ષો વીતતાં ગયાં, પણ ઘરમાં ખોળાના ખૂંદનારની ખોટ ન પુરાઈ. ડૉક્ટરોની સલાહ મુજબ કાલિન્દી માતૃત્વ ધારણ કરી શકે તેમ ન હતી.
પરંતુ વિદ્યાનંદ જરાય દુ:ખી ન થયા. એમણે ધરણીધર અંકલના બાળકોને પોતાને ઘેર રાખી લીધાં અને અંકલને પણ આર્થિક ટેકો આપવાનું શરૃ કર્યું.
એમ જિંદગીના ચાર દાયકા પૂરા થયા. ધરણીધર અંકલ પણ ગુજરી ગયાં હતાં. એમનાં બે બાળકો પણ મોટા થઈ ગયા હતા અને વિદ્યાનંદનું ઘર છોડી બીજા શહેરમાં રહેવા ચાલ્યા ગયાં હતાં.
અને એકાએક કાલિન્દી દેવીની તબિયત લથડી. વિદ્યાનંદે તાબડતોબ સારવાર શરૃ કરાવી. પણ બ્લડ કેન્સર હોવાનું નિદાન થતાં તેઓ ભાંગી પડયા. અને ઉત્તમ સારવાર છતાં કાલિન્દી દેવી બચી શક્યાં નહીં. વિદ્યાનંદને માથે આભ તૂટી પડયું.
કાલિન્દીના અવસાનને કારણે તેમનું મન સાંસારિક જીવનમાંથી ઊઠી ગયું હતું. તીર્થયાત્રા કરતા રહ્યા પણ મનને શાન્તિ મળતી નહોતી.
કાલિન્દીદેવીના ઝુરાપામાં તેમની કાયા નબળી પડી રહી હતી. એક દાયકામાં તો વૃદ્ધાવસ્થાએ તેમનું હીર ખમીર ચૂસી લીધું હતું. અડધી રાત્રે તેઓ જાગીને કાલિન્દીના નામની બૂમો પાડતા હતા.
અને એક સવારે એમના બારણે ટકોરા પડયા. રસોયણબાઈ તેમની રજા લઈને પોતાને ઘેર ગઈ હતી.
વિદ્યાનંદ લથડિયાં ખાતા-ખાતા ઊભા થયા. બારણે એક નવ જવાન મરક-મરક હસતો ઉભો હતો. વિદ્યાનંદે કહ્યું : ''દીકરા, તમને મેં ન ઓળખ્યો!''
'પણ હું આપને ભૂલી શક્યો નથી. છાત્રાલયના ગૃહપતિનો હું પુત્ર છું. મારું નામ કુશાગ્ર છે. મારા પિતાજીનું તો અવસાન થયું છે, પણ મરતી વખતે એમણે મારી પાસે વચન માગ્યું હતું : ''દીકરા, વિદ્યાનંદ તો ઈશ્વર સમાન છે પણ કુદરતે એમની આકરી કસોટી કરી છે.
એમનાં પત્ની કાલિન્દીદેવીનું અવસાન થતાં પારાવાર માનસિક પીડા સાથે વિદ્યાનંદ દુ:ખના દહાડા પસાર કરી રહ્યા છે. તું અને તારી પત્ની ઉજ્જવલા તેમની સાથે રહી તેમની સેવા કરજો અને ફેક્ટરીની જવાબદારી પણ સંભાળી લેજો. મારે માથે તેમનું ઋણ છે.
પિતાનું ઋણ પુત્રે અદા કરવું જોઈએ.'' - કહી કુશાગ્ર વિદ્યાનંદને પગે લાગ્યો. અને કહ્યું : ''આ આપની પુત્રવધૂ ઉજ્જવલા. કાલિન્દી દાદીના ફોટાનું અમને દર્શન કરાવો એટલે તેમનો આત્મા જ્યાં હશે ત્યાં ટાઢક અનુભવશે.'' અને કુશાગ્ર તથા ઉજ્જવલાનો ટેકો લઈ વિદ્યાનંદ તેમને કાલિન્દી દેવીના ફોટા પાસે લઈ ગયા. નિસ્વાર્થ પ્રેમની સુવાસથી વિદ્યાનંદનું ઘર મહેંકી ઊઠયું.