ખેડા સત્યાગ્રહ ૧૦૦ વર્ષ પછી ખેડૂતોની સ્થિતિ શું છે?
૧૯૧૭માં ગાંધીજી ચંપારણમાં ગળીના ખેત-મજૂરોનો પ્રશ્ન ઉકેલી રહ્યા હતા એ વખતે અહીં ઘરઆંગણે ગુજરાતમાં ખેડાના ખેડૂતોની સમસ્યા ઊભી થઈ હતી. પાક નિષ્ફળ ગયો હોવા છતા અંગ્રેજ સલ્તનત ખેડૂતો પાસેથી મહેસૂલ લેવા માંગતી હતી. ખેડૂતો-સરકાર વચ્ચે સંઘર્ષ શરૃ થયો અને પછી સ્થિતિ થાળે પાડવા માટે ફેબુ્રઆરી-માર્ચ ૧૯૧૮માં ગાંધીજીએ પોતાના શાશ્વત હથિયાર સત્યાગ્રહનો શહારો લીધો હતો. ઈતિહાસમાં 'ખેડા સત્યાગ્રહ' નામે ઓળખાયેલી એ લડતની એક શતાબ્દી નિમિત્તે વાત ત્યારની અને અત્યારની..
ચંપારણથી ડો.રાજેન્દ્રપ્રસાદ અને જીવતરામ કૃપલાણી આ સત્યાગ્રહ જોવા ખેડા આવ્યા હતા.
૧૯૧૯ની ૩૦મી માર્ચે લડત માટે નડિયાદમાં ભરાયેલી સભામાં સરદારે પ્રથમ જ વખત જાહેર ભાષણ કર્યું હતુ.
ખેડા સત્યાગ્રહનું નામ ખેડા જિલ્લાને કારણે થયું હતુ હતુ, બાકી ખેડા નગરમાં ચળવળ સબંધિત ખાસ પ્રવૃત્તિ થઈ ન હતી.
૧૯૧૮ના અરસાના યુવા વલ્લભભાઈ-મોહનદાસ
ખેડા સત્યાગ્રહે વલ્લભભાઈને નેતા તરીકે સ્થાપિત કર્યા. સત્યાગ્રહ વખતના વલ્લભભાઈ આ દુર્લભ તસવીરમાં દેખાય એવા લાગતા હતા. ગાંધીજી તો ચંપારણ વખતે જ સૂટ-બૂટ છોડીને ભારતના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ગયા હતા.
૧૯૧૫માં આફ્રિકાથી ભારત આવેલા બેરિસ્ટર મોહનદાસ સામે પહેલી સમસ્યા બિહારના ચંપારણ વિસ્તારની આવી હતી. યુવા મોહનદાસે ચંપારણ પહોંચી ત્યાં લડત આરંભી દીધી. ત્યાં વળી વતન ગુજરાતમાં ખેડાના ખેડૂતોએ ખાંડા ખખડાવા પડે એવા સમય-સંજોગો ઉભા થયા હતા.
૭૦ ઈંચ વરસાદે બાજી બગાડી
સામાન્ય રીતે ખેડા જિલ્લામાં વર્ષે ૨૫-૫૦ ઈંચ વરસાદ પડતો હતો. તેના બદલે ૧૯૧૭માં ૭૦ ઈંચ પડયો. અઢી ગણો વધારે વરસાદ પડવાથી ખેતરમાં ઊભેલી મૌલાત નષ્ટ થઈ. વરસાદે ખેડૂતોને નવડાવી દીધા. અતિવૃષ્ટિ પહેલાના વર્ષો જરા નબળાં રહ્યા હતા.
જે કંઈ પાક ઉગ્યો હતો તેને ઊંદરડા કોરી ખાતા હતા, જીવાતનો પાર ન હતો. બીજી તરફ પહેલા વિશ્વયુદ્ધને કારણે મજૂરીદર અને ખેત-સામગ્રીના ભાવ પહેલેથી ઊંચકાયેલા હતા. ખેડામાં જીવલેણ રોગ પ્લેગ ફેલાયો હતો અને બે વર્ષ (૧૯૧૭-૧૮)માં તેના કારણે અઢારેક હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. ટૂંકમાં ખેડૂતો બધી બાજુથી ભીંસમાં હતા.
એ વખતે નિયમ એવો હતો કે પાક ચાર આની (સોળ આની એટલે ૧૦૦ ટકા એ હિસાબે ચાર આની એટલે ૨૫ ટકા) કરતા ઓછો આવે તો મહેસૂલ(ખેતી પરનો કર) નહીં ભરવાનું. ખેડા પંથકમાં પાક પાયમાલ થઈ ચૂક્યો હતો, પણ સરકારે મહેસૂલ માફીની કોઈ જાહેરાત કરી ન હતી. ખેડા જિલ્લાના કઠલાલ ગામના મોહનલાલ પંડયા અને શંકરલાલ પરીખ પહેલેથી જ 'હોમરૃલ' લડતમાં સક્રિય હતા.
ખેડાની દયનિય સ્થિતિ વખતે તેમણે મુંબઈ ધારાસભામાં (ત્યારે ગુજરાત મુંબઈ ઈલાકાનો જ ભાગ હતું) રહેલા વિઠ્ઠલભાઈ પટેલ અને બીજા ધારાસભ્ય ગોકળદાસ કહાનદાસ દ્વારા સરકારને કહેવડાવ્યું કે મહેસૂલ માફ થવું જોઈએ. સરકારે જવાબ આપ્યો કે ખેડાના કલેક્ટર મહેસૂલ માફીનો અંતિમ નિર્ણય લેશે. સરકાર ખેડાની સ્થિતિ ભૂલી ન જાય એટલા માટે નવેમ્બર ૧૯૧૭માં જ લેખિત અરજી પણ આપી દેવાઈ હતી.
અંગ્રેજો દ્વારા સત્તાનો દુરુપયોગ
કલેક્ટરે પોતાની રીતે સર્વે કરાવ્યો, જેમાં તલાટીને ધાક-ધમકી આપીને પાક ચાર આની કરતા વધુ આવ્યો હોવાની રજૂઆત થઈ હતી. એ હિસાબે મહેસૂલ માફ કરવાનું થતુ ન હતુ. માટે કલેક્ટરે મહેસૂલ ઉઘરાવાની શરૃઆત કરી દીધી હતી. મહેસૂલ ભરવા માટે કોઈએ ૭૫ ટકા જેવા ઊંચા વ્યાજે રકમ લેવી પડી. તો વળી એક પિતાએ મજબૂરીમાં પોતાની દસ જ વર્ષની દીકરીને તેનાથી ત્રણગણી ઉંમરના મૂરતિયા સાથે પરણાવવી પડી હતી. ખેડૂત-સરકાર વચ્ચે માથાકૂટ શરૃ થઈ.
તેના થોડા સમય પહેલા જ અમદાવાદમાં 'ગુજરાત સભા'ના પ્રમુખ તરીકે મોહનદાસની વરણી થઈ હતી. તેમના સુધી ખેડાની વાત પહોંચી. સભામાં સક્રિય વલ્લભભાઈ પટેલ, દાદાસાહેબ માવળંકર, કૃષ્ણલાલ દેસાઈ વગેરેએ પણ સરકારને કાગળ લખ્યા. પરંતુ સરકાર ગમે તે ભોગે મહેસૂલ વસૂલ કરવા માટે મક્કમ થઈ બેઠી હતી. ખેડાની હોળી સળગવાની શરૃઆત થઈ ત્યારે ગાંધીજી ચંપારણ હતા. પરંતુ તેમણે સરદાર પટેલ દ્વારા તપાસ કરાવી અને પછી લાંબી વિચારણાના અંતે નિર્ણય લીધો કે સત્યાગ્રહ કર્યા વગર ફિરંગી પ્રજા સુધરશે નહીં. સમાધાનના દરેક પ્રયાસ નિષ્ફળ નીવડયા હતા.
વલ્લભભાઈ અને ગાંધીજી હજુ એક વર્ષ પહેલા જ પ્રથમવાર મળ્યા હતા. ત્યારે વલ્લભભાઈને મોહનદાસ પ્રત્યે ખાસ આદર ન હતો. પરંતુ આ લડતમાં પોતાના વતન ખેડાના ખેડૂતોના સ્વમાનની વાત હોવાથી વલ્લભભાઈ સક્રિય થયા હતા. વળી ગાંધીજી પણ ઈચ્છતા હતા કે વલ્લભભાઈ પોતાની ટીમમાં શામેલ થાય, માટે તેમણે વલ્લભભાઈને પોતાની રીતે લડી લેવા છૂટ આપી હતી.
હવે તો સત્યાગ્રહ એ જ કલ્યાણ
ખેડાની પ્રજા માટે ગાંધીજીની પહેલી સલાહ એ હતી કે આકરી સ્થિતિ માટે તૈયાર રહેજો. તમારી જમીન, ઘર, સામગ્રી જપ્ત કરે તો કરવા દેશો. સરદાર પટેલને સૂચના આપી કે તમે અને તમારા સાથીદારો ગ્રામ્ય વિસ્તાર તપાસી માહિતી એકઠી કરો. એ સહાયકોમાં અનસૂયાબહેન સારાભાઈ, ઈન્દુલાલ યાજ્ઞિાક અને મહાદેવ દેસાઈ વગેરે યુવાનો અને શંકરલાલ-મોહનલાલ જેવા સ્થાનિકો હતા.
મહેસૂલ ઉઘરાણી માટે અંગ્રેજ સરકારની મક્કમતા અને કડકાઈ રોજ રોજ વધતી જતી હતી. એટલે એક સમયે તો કંટાળીને લોકોએ શરણાગતી સ્વીકારવાનું મન બનાવી લીધું હતું. ત્યારે ગાંધીજીએ મોહનલાલને સલાહ આપી ડૂંગળી ઉપડાવી લીધી.
એ ઘટના પછી પંડયા અને બીજા ચાર માણસોને એરેસ્ટ કરવામાં આવ્યા. ત્રણ જણાવે વીસ અને બે જણાને દસ દિવસની જેલસજા થઈ. પોલીસે તેમને પકડયા હતા અને લોકો વાજતે-ગાજતે તેમને જેલ સુધી વળાવવા ગયા હતા. સત્યાગ્રહ માટે કોઈને જેલવાસ થયો હોય એવો ગુજરાતનો એ પહેલો પ્રસંગ હતો. આ ઘટનાથી લોકોનો તળિયે જઈ રહેલો જુસ્સો ફરી સપાટી પર આવ્યો.
વીર-નર વલ્લભભાઈ
લડતકર્તાઓની માંગ એવી હતી કે ઘણા ખેડૂતો સમૃદ્ધ છે, જે મહેસૂલ ભરી શકશે. બાકી જેમની ખેતી પાઈમાલ થઈ છે એ તો મહેસૂલ આપી શકે એમ જ નથી. અંગ્રેજો શરૃઆતમાં કોઈ વાતે એ શરત સ્વીકારવા તૈયાર ન હતા. પણ પછી ૩જી જૂને ગાંધીજી ઉત્તરસંડા ગામે ગયા હતા. ત્યાં દબાણ હેઠળ આવેલી સરકારનો સંદેશો લઈને મામલતદાર આવ્યા અને જણાવ્યુ કે જેમની સ્થિતિ સારી છે એમણે મહેસૂલ ભરવાનું છે, ગરીબોનું મહેસૂલ મુલતવી રહેશે.
ગાંધીજીએ કહ્યુ એટલે મૌખિક રીતે કહેવાયેલી એ વાત લેખિતમાં પણ આપવામાં આવી. એ સાથે ખેડાની લડતનો અંત આવ્યો. જોકે અમલ થતાં સુધીમાં જૂન માસ આવી પહોંચ્યો હતો એટલે ૨૯મી જૂને 'ખેડા સત્યાગ્રહ વિજય દિવસ' ઉજવાયો હતો. એ વખતે થયેલા ભાષણમાં ગાંધીજીએ કહ્યુ હતુ કે વલ્લભભાઈ વગર આ વિજય શક્ય ન હતો. વલ્લભભાઈને તેમણે વીર નર કહ્યા હતા.
આ સત્યાગ્રહને કારણે દેશને એક નવાં નેતા મળ્યાં, સરદાર પટેલ. સરદાર પટેલના જીવનચરિત્રમાં રાજમોહન ગાંધીએ લખ્યુ છે :'આ સત્યાગ્રહ પહેલો પ્રસંગ હતો, જ્યારે દેશને સરદાર-ગાંધીની જોડી મળી. કદાચ વિધાતાની જ એ કમાલ હતી.' આ કદાચ દેશનો પહેલો એવો સત્યાગ્રહ હતો જેમાં કોઈ એક સમુદાય નહીં સમાજના ઘણા વર્ગો જોડાયા હતા. લડત સિદ્ધાંત માટેની હતી અને સૌને સ્પર્શતી હતી.
આજે શું સ્થિતિ છે?
ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ એટલી બધી સારી નથી, પરંતુ સાવ ખરાબ કહી શકાય એમ પણ નથી. ખેડાની વાત કરીએ તો અહીંના ખેડૂતો ઘણા સમૃદ્ધ છે અને ગુજરાતમાં સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશમાં ખેડાનો સમાવેશ થાય છે. તમાકુ, ઘઉં, બાજરી, કપાસ સહિતના પાકો આજના ખેડા જિલ્લામાં લેવાય છે. પાણીની પણ અહીં કોઈ કમી નથી. જોકે ખેતી મોંઘી થઈ છે. જેમની પાસે જમીન અને ઢગલો એક ધન નથી, એ ખેતી કરી શકે એમ નથી.
ગુજરાત સમૃદ્ધ બની રહ્યું હોવાં છતા એ હકીકત તો છે જ કે ખેતીપ્રધાન રાજ્ય હવે ઉદ્યોગપ્રધાન બની રહ્યું છે. ખેતીની જમીનનો રોજ રોજ ભોગ લેવાઈ રહ્યો છે. અને ખાસ તો ખેડૂતોએ વારંવાર પોતાની માગણી માટે સરકાર સાથે સંઘર્ષ કરવો પડે છે. એ રીતે ખેડા સત્યાગ્રહ ભલે ત્યારે પુરો થયો હોય, ખેડૂતોની લડત તો એક સદી પછી પણ ચાલુ જ છે.
સત્યાગ્રહ વિશેષ લલિત ખંભાયતા - ચિંતન રાવલ