હાર-જીત... જીંદગી કી યે હી હૈ રીત... .
- દોબારા-દોબારા-અલતાફ પટેલ
હાર કર ભી જો મુસ્કુરા દેતે હૈ
વહી જીત કર દુનિયાકો દીખા દેતે હૈ...(બંદા નવાઝ)
જી ત માટેની પૂરેપુરી તૈયાર કરવી, સાચા અર્થમાં પુરુષાર્થ કરવો છતાં નિષ્ફળતાના ફળ ચાખવા મળે તો વધુ પડતા વિહવળ બનવાની શી જરુર છે. હાર તો શીખવાડે ક્યાં ક્યાં ક્ષતિઓ થઈ છે, ક્યાં ક્યાં ખામીઓ રહી ગઈ. જો એ ક્ષતિઓ, ખામીઓને દૂર કરવા થાક અનુભવ્યા વગર અથાગ યત્નો કરવામાં આવે તો સમંદરના રત્નો પણ મળી આવે. નિરાશ થઈને બેસી રહેનાર નર કે નારનો જય જયકાર આ ભવમાં સંભવ નથી. કમર કસીને આગળ વધનારનું નામ જ અમર થઈ શકે. સાચા હૃદયથી હારનો સ્વીકાર કરીને હસતા મુખે ફરી તૈયારી કરનાર કોઈ પણ જાતના અપવાદ વગર વહેલા કે મોડા જીતનો સ્વાદ ચાખે જ છે.
જબ તક ના હો શિકારે નાકામી.. આદમી કામકા નહી હોતા...
દરેક વ્યક્તિ હંમેશા જીત્યા કરે તો તેને હારની ખબર નથી પડતી. રાઈ બરાબર હારથી પણ તે ગભરાઈ જાય. માની લઈએ જીતના જશ્નથી તે અભિમાની પણ બની જાય.. પણ જો તે એકાદવાર પણ હારે તો તેનું બધું જ અભિમાન નીતરી જાય અને એ સમયને યાદ કરીને ફરી પ્રયત્નશીલ બને તો તરી જાય.. એટલે હારથી માણસાઈ પ્રગટે. જીતી જીતીને બીજાની હાંસી ઉડાવી હોય પણ જ્યારે પોતે પછડાટ ખાય ત્યારે સમજાય કે જીત કાયમી નથી. હદમાં પોતાના કદ પ્રમાણે રહેવું..
આપકી સોચ પર નિર્ભર રહેતી હૈ જીત ઔર હાર... માન લો હાર હોગી ઔર ઠાન લો તો જીત હોગી...
તમે ચારોતરફ જોઈને શું વિચારો છો તેના ઉપર હાર જીતનો આધાર છે.. જો તમારી સોચ નબળી હોય તો મોચ આવવાની જ છે... જો તમારી સોચ સશક્ત હશે તો ગમે તેવી અશક્ત પળોને પણ હડસેલી જીત તરફ દોરી જશે... સકારાત્મક અભિગમ ગમે તેવા ગમને ડામી શકે. નકારાત્મક અભિગમ દમ કાઢી નાંખશે માટે તેનાથી બચવું.
જલાનેવાલે જલાતે હી હૈ ચિરાગ આખીર... યે ક્યા કહા કી હવા તેઝ હૈ જમાનેકી...
મનથી મજબુત ધારે તેવું કરી શકે. આખી બાજી રાજી થઈને પલટાવી શકે. તેનું ખમીર જ તેને અમીર બનાવી શકે... જેને અંધકારને પ્રકાશમાં પલટાવવો જ છે તે ગમે તે ભોગે ગમે તે ગટગટાવીને પ્રગટાવીને જ રહેશે.. કોઈ ગમે તેટલું તેની સામે જોર કરે પણ તે કમજોર પડશે નહીં.. તેની આગળ કોઈ પણ બહાનું કારગત ન નીવડી શકે. તેનું જોમ તેના રોમ રોમમાં એવું વહેતું હશે કે કોઈ ગમે તે કહેતું હોય તે તો આગળ ઘપીને જ રહેશે.
હારજીત તો બાદ કી બાત હૈ, કોશીશ કરના હમારા કામ હૈ...
એ વાત તો ગમે તેવા જકકી માટે નક્કી જ છે કે કોશીશ તો મરતા દમ સુધી કરતા જ રહેવું. જ્યાં જ્યાં ઉણપ દેખાય ત્યાં ત્યાં સફળ વ્યક્તિઓના સલાહ સૂચન તો આશીર્વાદ સમાન બની જાય..જેણે કોશીશ ત્યજી દીધી એને શીશ નમાવી કહીએ છીએ કે ક્યારેય સફળતા નહી પામે..
કોઈ જીતે તો તાલીયાં, હારે તો નફરત ઔર ગાલીયાં
યેહી સબસે બડા ઐબ હૈ...
યે અલતાફ ઇન્સાનીયતકા સલીકા નહીં શૈતાનકા ફરેબ હૈ.. (ઐબ- દુર્ગુણ, નબળાઈ, ફરેબ (ચાલાકી-દગો)