- શોધ-સંશોધન-વસંત મિસ્ત્રી
- રૂદ્રાક્ષથી તનાવ ઘટે છે. રોગપ્રતિકારકશક્તિ વધે છે. બ્લડપ્રેશરને કાબુમાં રાખી હૃદયને સ્વસ્થ કરી શકાય છે
અંકશાસ્ત્ર પ્રમાણે ૨૦૨૬નું વર્ષ સૂર્યનું વર્ષ કહેવાય છે. કારણ કે ૨ + ૨ + ૬ = ૧૦ = ૧ + ૦ = ૧ થાય છે જેનું સંચાલન સૂર્ય કરે છે. આ વર્ષમાં સૂર્યનારાયણની પૂજાથી અપાર સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. ઊગતા સૂર્ય તરફ ગાયત્રી મંત્ર બોલતા જળ અભિષેક કરવાથી હેલ્ધી, વેલ્ધી અને હેપ્પી રહી શકાય છે.
રૂદ્રાક્ષ પણ સૂર્ય સાથે સંબોધન હોવાથી એકમુખી, ૧૨ મુખી અને પંચમુખી રૂદ્રાક્ષ રાખવાથી આત્મવિશ્વાસ અને જીવનશક્તિ વધે છે. ઘરમાં સુખશાંતિ રહે છે.
સિદ્ધ કરેલા સાચા રૂદ્રાક્ષ જ સારી અસર કરે છે. પ્લાસ્ટિકના રૂદ્રાક્ષથી કોઈ ફાયદો થતો નથી. રૂદ્રાક્ષમાં કુદરતી છિદ્ર હોય અને તેમાંથી દોરો પસાર થઈ શકે એ સાચો રૂદ્રાક્ષ છે. શિવના અક્ષુમાંથી જન્મેલા વૃક્ષના ફળને રૂદ્રાક્ષ કહે છે. રૂદ્રાક્ષનું વૈજ્ઞાનિક મહત્વ બનારસ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું છે.
નેપાળના રૂદ્રાક્ષ જાણીતા છે. થાઈલેન્ડ, ઇન્ડોનેશિયાના રૂદ્રાક્ષ કદમાં નાના હોય છે. રૂદ્રાક્ષની માળાના મણકાં હિમાલય અને દક્ષિણ-પૂર્વ એશિયામાં મળતાં વૃક્ષના બીજમાંથી બને છે.
સંતોના મતે રૂદ્રાક્ષ પહેરવાથી ગજબની શાંતિ અનુભવાય છે. તેનાથી વિચારોમાં સ્પષ્ટતા આવે છે, ડાયાબિટીસમાં રાહત થાય છે. ઓરી-અછબડાની બળતરા ઓછી થાય છે. તાવના દુ:ખાવા મટે છે, પીડા ઓછી થાય છે. રૂદ્રાક્ષથી તનાવ ઘટે છે. રોગપ્રતિકારકશક્તિ વધે છે. બ્લડપ્રેશરને કાબુમાં રાખી હૃદયને સ્વસ્થ કરી શકાય છે. આ બધી અંધ માન્યતા નથી, કારણકે ઇન્ડિયન મટીરિઆ મેડિકામાં તેનો ઉલ્લેખ 'મેડિસિનલ પ્રોડક્ટ' તરીકે થયો છે !!
રૂદ્રાક્ષ પર પાતળી રેખાઓ જોવા મળે છે. બે રેખા વચ્ચેના ભાગને મુખ કહેવામાં આવે છે. રૂદ્રાક્ષને આવા એકથી માંડી ૧૪ મુખો હોય છે. દરેક પ્રકાર શરીર પર જુદી જુદી અસરો ઉપજાવે છે.
રૂદ્રાક્ષ તપખીરી રંગ ઉપરાંત લાલ, પીળા, કાળા અને સફેદ રંગના હોય છે. એક સંશોધન પ્રમાણે 'ઇલેઓકાર્પસ ગેનિટ્સ' નામનું વૃક્ષ ભૂરા રૂદ્રાક્ષ આપે છે. દર વર્ષે આ ફળ ૧૦૦૦-૨૦૦૦ ફળો આપે છે. આ ફળ 'બ્લ્યુ બેરી બીડ્સ' તરીકે ઓળખાય છે.
આ ફળમાં ટેનિન્સ, સ્ટીરોઈડ, ફ્લેવેનોઈડ્સ, આલ્કલોઈડ્સ, કાર્બોહાઈડ્રેઈટ અને કાર્ડિએક ગ્લાયકોસાઈડ્સ હોય છે. રૂદ્રાક્ષ એક આસ્થા છે, એક ઔષધિ પણ છે. તેમાં સ્પિરિચ્યુઅલ પાવર છે. શિવજીની આ ભેટને આળખો, ધારણ કરો, શરીરને સ્પર્શ થવા દો અને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરો એવું ઋષિમુનિઓ સૂચવી રહ્યા છે. મહાશિવરાત્રિથી રૂદ્રાક્ષની સફળ શરૂ કરવાથી શિવના આશિર્વાદ મળે છે...!


