Get The App

શિક્ષકે 'ગુરૂ' બનવા માટે આ સાત ગુણો વિકસાવવા જોઈએ

Updated: Sep 2nd, 2023

GS TEAM


Google News
Google News
શિક્ષકે 'ગુરૂ' બનવા માટે આ સાત ગુણો વિકસાવવા જોઈએ 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- ડૉ. રાધાકૃષ્ણન્ મહાન 'શિક્ષક' હતા. તેઓ માનતા કે શિક્ષણ કેવળ 'દિમાગી' પ્રશિક્ષણ નહીં પણ 'આત્મા'નું પ્રશિક્ષણ છે. 

૫ મી સપ્ટેમ્બર. શિક્ષકની ગરિમાગાન કરતો દિવસ, જેની સાથે શ્રેષ્ઠ ગુરુ ડૉ. રાધાકૃષ્ણનનું નામ સંકળાએલું છે. ડૉ. રાધાકૃષ્ણનો જન્મ ૫મી સપ્ટેમ્બર ૧૯૮૮ના દિવસે ચિતૂર જિલ્લાના તિરુત્તણી ગામમાં તેલૂગૂ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પૂર્વજો 'સર્વપલ્લી' ગામના નિવાસી હતા. ૧૯૩૯ થી ૧૯૪૮ સુધી તેઓ કલકત્તા યુનિવર્સિટીના કુલપતિ રહ્યા. ડૉ. રાધાકૃષ્ણને પૂર્વ તથા પશ્વિમના વિવિધ ધર્મશાસ્ત્રો અને દર્શન ગ્રંથોનો અભ્યાસ કર્યો પરિણામે તેમના વિચારોમાં પૂર્વ અને પશ્વિમના વિચારોનો સમન્વય જોવા મળે છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના નિમંત્રણથી તેમણે જીવનનો હિન્દુ દ્રષ્ટિકોણ (Hindu view of Life)  વિષય પર વ્યાખ્યા ન આપી પોતાની આધ્યાત્મિક દ્રષ્ટિનો પરિચય આપ્યો. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બ્રેડલે અને શંકર વિષય પર વ્યાખ્યા ન આપી હિન્દુધર્મની ઔદાત્યથી પશ્વિમને વાકેફ કરાવ્યું. અમેરિકાની અનેક યુનિવર્સિટીઓમાં તેમણે વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં. તેઓ વ્યાપક હિન્દુ ધર્મના પ્રચારક હતા. એમની પ્રસિધ્ધ કૃતિઓનાં નામ છે ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર, રિજન ઓફ રિલિજિયન ઈન કનટેમ્પરરી ફિલોસાફી, ઈન્ડિયન ફિલોસોફી, લાયબ્રેરી ઓફ ફિલોસોફી, હિન્દુ વ્યૂ ઓફ લાઈફ, ધ રિલિજયન વી નીડ, ફ્યૂચર ઓફ સિવિલાઈઝેશન, એન આઈડિયાલિરિક વ્યૂ ઓફ લાઈફ, ઈસ્ટ એન્ડ વેસ્ટ ઈન રિલિજિયન, ફ્રીડમ એન્ડ કલ્ચર, ધ હાર્ટઓફ હિન્દુસ્તાન, માય સર્ચ ફોર ટ્રુથ, ગૌતમ બુદ્ધ, ઈસ્ટર્ન રિલિજિયન એન્ડ વેસ્ટર્ન થોટ, મહાત્મા ગાંધી, ઈન્ડિયા એન્ડ ચાઈના, એજ્યુકેશન પોલિટિકસ એન્ડ વોર, રિલિજિયન એન્ડ સોસાયટી, ભગવદ્ગીતા, ગ્રેટ ઈન્ડિયન્સ, ધ ધમ્મપદ, ધ રિલિજિયન ઓફ ધ સ્પિરિટ એન્ડ વર્લ્ડઝ નીડ, રિકવરી ઓફ ફેઈથ, બ્રહ્મસૂત્ર વગેરે. એમના પ્રસિધ્ધ ગ્રંથોમાં જ નહીં, તેમનાં વ્યાખ્યોનો વગેરેમાં વિદ્વતા, શબ્દ પસંદગી, પ્રવાહ, વ્યાખ્યાનનાં વિષય પર અધિકાર અને અભિનવ શિલ્પનું દર્શન થાય છે.

૧૭ એપ્રિલ, ૧૯૭૫માં આ મહાન તત્વચિંતકે પરલોક પ્રયાણ કર્યું. તેઓ શિક્ષણના ઉદ્દેશમાં આધ્યાત્મિક વિકાસ, સ્વતંત્ર ચિંતનનો વિકાસ, ચારિત્રિક ગુણોનો વિકાસ, સર્જનાત્મક શક્તિનો વિકાસ, અને આત્મજ્ઞાાન તથા અર્ન્તદ્રષ્ટિનો વિકાસ એ મુખ્ય છે. તેઓ સ્ત્રી-શિક્ષણના પક્ષઘર હતા. તેઓ માનતા કે સ્ત્રીઓને પણ એટલા જ અધિકારો હોવા જોઈએ જેટલા પુરુષોને. એમના શૈક્ષણિક દ્રષ્ટિકોણમાં માનવ અને માનવતા કેન્દ્રમાં છે. એટલે જ સાદુ જીવન અને ઉચ્ચ વિચારોને તેઓ મહત્વ આપતા. મનુષ્યના સર્વાંગીણ વિકાસમાં ડૉ. રાધાકૃષ્ણન્ અધ્યાત્મ-વાદ, સાર્વભોમવાદ અને માનવતાવાદને મહત્વ આપતા હતા. તેમનું તત્ત્વજ્ઞાાન પણ સાર્વભૌમ છે, સ્વાર્થશૂન્ય છે, ધર્માંધતા-રહિત છે અને માનવ કલ્યાણ તથા સમાજ-કલ્યાણમાં તેમને શ્રધ્ધા હતી.

એમના શિક્ષણમાં છાત્રપ્રેમ કેન્દ્રમાં હતો. એક યુનિવર્સિટીમાં તેમની પ્રોફેસર તરીકે નિમણૂક  થઈ ત્યારે બળદગાડાને બળદથી હંકારવાને બદલે વિદ્યાર્થીઓ ઘૂંસરીએ જોડાયા હતા. રશિયન લીડર સ્ટાલિનની આંખમાં આંસુ જોઈ તેના સમગ્ર શરીર પર હાથ ફેરવતાં એમણે કહ્યું હતું કે માણસે એવાં કર્મો કરવાં જોઈએ જેથી પૃથ્વી છોડતી વખતે એ નિર્ભય હોય. તેઓ માનતા કે શિક્ષણ કેવળ દિમાગી પ્રશિક્ષણ નહીં પણ આત્માનું પ્રશિક્ષણ છે. તેનો ઉદ્દેશ જ્ઞાાન અને વિવેકપ્રદાન કરવાનો છે શિક્ષણ મનુષ્યના ચારિત્રિક અને નૈતિક મૂલ્યોને સશક્ત ભૂમિકા પ્રદાન કરે છે. આધુનિક સંદર્ભમાં રાષ્ટ્રીયતા અને આંતર રાષ્ટ્રીયતા વચ્ચેનો સમન્વય એ ડૉ. રાધાકૃષ્ણનની ઉદાર દ્રષ્ટિકોણનું આદર્શ પરિણામ છે. ડૉ. રાધાકૃષ્ણના વ્યકિત્વ અને કૃતિત્વના સંક્ષિપ્ત અધ્યયન પછી શિક્ષક કેવો હોવો જોઈએ, એ વિશે મંતવ્ય રજૂ કરું છું. શીખવે તે શિક્ષક અને કેળવે તે ગુરૂ. શિક્ષકમાંથી ગુરુ બનવા માટે  પાયાના સાત ગુણોની આવશ્યકતા છે. તે છે 

૧. મનની મોટપ

૨. સંયમ

૩. મર્યાદા

૪. ક્ષમા

૫. વાત્સલ્ય

૬. ઉદારતા

૭. ચારિત્ર્ય શીલતા.

દ્રોણાચાર્ય મહાન ગુરૂ નથી કારણ કે તેઓ પક્ષપાતી છે. અર્જુનથી મોટો કોઈ બાણાવળી ન થાય એટલા માટે પોતાની માટીની મૂર્તિ બનાવી દ્રોણાચાર્યના નમન સાથે વિદ્યા સાધના કરતા એકલવ્યનો અંગૂઠો કપાવી લેનાર શિક્ષકને 'ગુરૂ' કેવી રીતે કહેવાય ? આજે પણ શિક્ષણ જગતમાં દ્રોણાચાર્યના વારસદારો જોવા મળે છે.

૧. મનની મોટપ અને દિલની વિશાળતા, મોટું મન, વિદ્યાર્થીમાં દોષદ્રષ્ટિ નહીં પણ ગુણદ્રષ્ટિ જોઈ તેના મહાન ગુણોનો વિકાસ કરવાના સદ્દવિચારો કરવા જોઈએ.

૨. મનની મોટપની સાથે-સાથે શિક્ષકમાં સંયમ હોવો જોઈએ. ઉશ્કેરાટ, ક્રોધ કે આવેશમાં આવી વિદ્યાર્થીને શારીરિક કે માનસિક સજા માટે તૈયાર રહેનાર ગુરૂ હોઈ શકે નહીં : ગુરૂ શબ્દમાં જ હલકાપણાનો અભાવ અને ગરિમાની સાધનાનો ભાવ સમાએલો છે.

૩. શિક્ષક અને ગુરૂ વચ્ચે અપેક્ષિત મર્યાદા પણ જરૂરી છે. આજકાલ કેટલાક શિક્ષકો એ મર્યાદા કોરાણે મૂકી વિદ્યાર્થિનીઓ સાથે નિકટતા કેળવી ગેરલાભો લે છે તે સર્વથા નિંદનીય છે. ગુરૂ શિષ્ય વચ્ચે લાગણીનો સંબંધ હોય પણ તેની સાથે-સાથે કેટલીક લક્ષ્મણ રેખાઓનું પાલન થવું પણ જરૂરી છે.

૪. ક્ષમા એ શિક્ષકનો પાયાનો ગુણ છે. વિદ્યાર્થીમાં ક્યારેક ઉદ્દંડતા અને ઉધ્ધતાઈ જોવા મળે. પણ તેને ધ્યાનમાં લઈને તેને 'ઝૂડી નાખનાર' શિક્ષક ગુરુના કહેવાય. ભૂલ બદલ તેને પ્રેમથી સમજાવી તેવી ભૂલ તે કદાપિ ન કરે એ માટેનું મનોબળ કેળવવામાં તેને મદદરૂપ થવું એ શિક્ષક માટે આવશ્યક મહાન ગુણો છે. ભણવામાં તે નબળો હોય તો તેને આકરી સજા કરવાની સાથે તેને ઠોઠ, અણધડ, નફફટ, નઠોર જેવા શબ્દોથી અપમાનિત કરવો એ શૈક્ષણિક મહાપાપ છે - શિક્ષકધર્મને લજવે તેવું.

૫. વાત્સલ્ય : શિક્ષક એટલે વાત્સલ્યની મૂર્તિ, બીજી માતા. એની આંખમાં અમી હોય, શબ્દોમાં આત્મીયતા અને વહાલ નિતરતું હોય. હું મારા વક્તવ્યમાં વારંવાર કહું છું કે શિક્ષક એ ન્યાયાધીશ નથી પણ પ્રેમાધીશ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોના શિક્ષણાધિકારી શ્રી એલ.ડી. દેસાઈએ મારા આ શબ્દો વિશેષ ગમતા અને તેનો વિશેષ ઉલ્લેખ પણ કરતા. ન્યાયાધીશનું કામ થયેલા અપરાધો બદલ કાયદાનુસાર સજા કરવાનું છે જ્યારે ગુરુના શબ્દકોશમાં સજા નહીં પ્રેમ અને વાત્સલ્યનું અગ્રિમ સ્થાન છે. જેના હૈયામાં કરુણા ન હોય, વિદ્યાર્થીઓ પ્રત્યે વાત્સલ્યનો ભાવ ન હોય એ 'નોકરીઆત' કહેવાય પણ સાચો શિક્ષક કે ગુરુ નહીં.

૬. ઉદારતા : શિક્ષકનું મન સદાય ઉદાર હોય એનામાં વેરવૃત્તિ કે પક્ષપાતી વલણ ક્યારેય ન હોય. વિદ્યાર્થીના દુર્ગુણોને સદાય વિસ્મરી જવાની તૈયારી હોય. વિદ્યાર્થી તરફ તેની દોષદ્રષ્ટિ નહીં. પણ ગુણદ્રષ્ટિ હોય અને તેને પ્રેમવર્ષાને લાયક સદાય માનવાની તૈયારી હોય. વર્ગમાં વિદ્યાર્થીને તેની ભૂલ, ચૂક કે દોષ બદલ સાચો શિક્ષક તેને વર્ગના અન્ય વિદ્યાર્થીઓની નજરે ઉપેક્ષણીય દેખાવ તેવી ટીકા-ટિપ્પણ કે સજા નહીં જ કરે. શિક્ષક એટલે જ ઉદારતાનો દરિયો અને માનસિક પ્રસન્નતાનો પ્રશાન્ત મહાસાગર. વિદ્યાર્થીઓ જેને જીવનભર યાદ કરતા રહે એ જ શિક્ષકનું સાચું પેન્શન.

૭. ચારિત્ર્યશીલતા : શિક્ષક એટલે જ મન, વચન અને કર્મોથી વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ બનવા માટે શિક્ષણ કાર્યમાં જોડાએલો પરમાત્માનો વરેણ્ય પુત્ર. એની પાસે ચારિત્ર્યશીલતાની મહામૂડી છે. તે ઝાંખી ન પડે કે લજવાય નહીં. તેવું ઉદાત્ત ચારિત્ર્ય એ શિક્ષકનું ભૂષણ નહીં આભૂષણ છે. જ્ઞાાન તો રાવણમાં હતું અને પાંડિત્યપણ. 

તેમ છતાં ચારિત્ર્યના અભાવે આજે યુગો પછી પણ એ 'સ્મરણપાત્ર' નહીં પણ 'દહનપાત્ર' ગણાય છે. ડૉ. રાધાકૃષ્ણ એટલે જ કહેતા કેમોટા-મોટા અપરાધો અશિક્ષિત વ્યક્તિઓ કરતાં શિક્ષિત વિદ્યાર્થીઓ જ આ ચરતા જોવા મળે છે. શિક્ષણની નવી નીતિ, નવા ઉદ્દેશ લાવવાથી શિક્ષણ સફળ નહીં થાય, એની જીવાદોરી છે સમર્પિત શિક્ષકો અને તેમનું ઉદાત્ત ચારિત્ર્ય.

આટલી ચર્ચા પછી શિક્ષકે 'ગુરૂ' બનવા માટે ક્યા છ ગુણો વિકસાવવા જોઈએ ?

૧. સ્વયં સ્વીકૃત અનુશાસન

૨. સતત સ્વાધ્યાય અને જ્ઞાાનવૃધ્ધિ માટેનો તલસાટ.

૩. પોતાના શૈક્ષણિક વ્યવસાય પ્રત્યે સન્માનની ભાવના.

૪. કેવળ ડિગ્રી કે પદવી ધારીઓ તૈયાર કરવાને બદલે શ્રેષ્ઠ નાગરિકત્વથી ભૂષિત થાય તેવા વિદ્યાર્થીઓનું ઘડતર.

૫. આત્મદ્રષ્ટા બની પોતાનામાં રહેલા દુર્ગુણોને દૂર કરવાની સતત તૈયારી.

૬. નિષ્કલંક ચારિત્ર્ય લોભ મોહ, ક્રોધ વગેરે છ વિશેષ દુર્ગુણોને જીવનમાંથી સદાય જાકારો.

Tags :