Get The App

યોગ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા યોગી રામ ઠાકુર

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
યોગ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા યોગી રામ ઠાકુર 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- 'હું તને ઇશ્વરનું એક નામ અને મંત્ર આપું છું. એ તને બધા સંકટમાંથી ઉગારી, અનેક યોગસિદ્ધિઓ આપશે. તું એનો નિષ્ઠાપૂર્વક વધુને વધુ જાપ કરતો રહેજે.'

ભારતની ભૂમિ પર અનેક સિદ્ધયોગીઓ અને રહસ્યવાદી સંતો પ્રગટ થયા છે. ઓગણીસમી સદીમાં આવા જ એક ઉત્તમ કોટિના સિદ્ધયોગી રામ ઠાકુર અવિભાજિત બંગાળમાં ફરીદપુર જિલ્લાના ડિંગામાનિક ગામમાં ૨ ફેબુ્રઆરી ૧૮૬૦ના રોજ રાધામાધવ ચક્રવર્તી અને કમલાદેવી થકી જન્મ્યા હતા. તેમનું બાળપણનું નામ રામચંદ્ર દેવ હતું. કેટલાક તેમને કૈવલ્યનાથ પણ કહેતા. રાધામાધવ ચક્રવર્તી એક ઉત્તમ તંત્રયોગી હતા. તે મહાન તંત્રાચાર્ય મૃત્યુંજયના શિષ્ય હતા. રામ ઠાકુર માત્ર આઠ વર્ષની વયના હતા ત્યારે જ તેમના પિતા રાધામાધવનું નિધન થઇ ગયું હતું પણ એટલા ઓછા સમયમાં પણ રામ ઠાકુરે પિતા પાસેથી તંત્રયોગનું મૂળભૂત જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું.

વિદ્યાર્થીકાળ દરમિયાન રામ ઠાકુરને એક સ્વપ્ન આવ્યું અને તેમાં એક દિવ્ય તેજ ધરાવતા મહાત્માના દર્શન થયા. સ્વપ્નમાં તે મહાત્માએ તેમને કહ્યું - 'હું તને ઇશ્વરનું એક નામ અને મંત્ર આપું છું. એ તને બધા સંકટમાંથી ઉગારી, અનેક યોગસિદ્ધિઓ આપશે. તું એનો નિષ્ઠાપૂર્વક વધુને વધુ જાપ કરતો રહેજે.' આટલું કહ્યા બાદ તે મહાત્મા ત્યાંથી ચાલવા લાગ્યા. તેમને વધારે કંઇ પૂછવા રામ ઠાકુર તેમની પાછળ દોડયા અને પડી ગયા. તે વખતે તેમની નિદ્રા તૂટી જતાં સ્વપ્ન પણ જતું રહ્યું. પરંતુ મહાત્માએ આપેલો નામ-મંત્ર બરાબર યાદ રહી ગયા હતા એટલે તેમણે તે સિદ્ધ કરવાનો નિર્ણય કરી લીધો. તેમના પિતા પંચવટી નામના સ્થળે તંત્ર સાધના કરતા રહેતા હતા. તે જ જગ્યાએ જઇને તેમણે મંત્ર જાપ અને સાધના કરવાનું શરૂ કરી દીધું.

સંસ્કૃત વાઙમયના પ્રકાંડ પંડિત, ભારતીય દાર્શનિક તંત્રાગમના તલસ્પર્શી જ્ઞાતા, રાષ્ટ્રીય સાહિત્યક અકાદમીના પુરસ્કાર વિજેતા અને પદ્મવિભૂષણ સન્માનિત પંડિત ગોપીનાથ કવિરાજ રામ ઠાકુર વિશે કહે છે - ઠાકુર મહાશયને સિદ્ધમંત્રનો લાભ બાલ્યાવસ્થાથી જ પ્રાપ્ત થયો હતો. જ્યારે તે ૧૨ વર્ષના હતા ત્યારે કામાખ્યા મંદિરમાં તેમનો ભેટો તેમને સ્વપ્નમાં આવ્યા હતા તે ગુરુ અનંગદેવ સાથે થયો હતો. ગુરુ ભાગ્યે દેહાવસ્થામાં રહેતા. તે વિદેહી, દેહાતીત રહી અનુભૂતિ કરાવતા. તેમણે રામ ઠાકુરને કામાખ્યામાં દીક્ષા આપી અને પછી તેમને લઇને અંતર્ધાન થઇ ગયા હતા. ૧૮૭૨માં રામ ઠાકુર એમના ગુરુ અનંગદેવ સાથે જતા રહ્યા તે પછી તેમની સાથે ૩૫ વર્ષ રહ્યા. આ દરમિયાન તેમણે ગુરુની સાથે રહી અનેક સિદ્ધાશ્રમોના દર્શન કર્યા અને તેમની પાસેથી યોગ પ્રક્રિયાઓ શીખી સાધના કરી યોગસિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. ગુરુની સાથે રામ ઠાકુર પણ આકાશ માર્ગે સંચરણ કરતા અને બીજા બધાને માટે અજ્ઞાત અને અદ્રશ્ય એવા ગુપ્ત સિદ્ધાશ્રમોમાં રહેતાં.

રામ ઠાકુરે એકવાર કેટલાક સાધકોને કહ્યું હતું - 'કૌશિક આશ્રમમાં ગુફાની અંદર ચિર કાળથી ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા પડછંદ કાયાવાળા સિદ્ધ યોગીઓના દર્શન કર્યા છે. હિમાલયમાં માન સરોવરથી આગળ ઉત્તર દિશામાં એક સિદ્ધોનો યોગાશ્રમ છે. અહીં કોઇ મંદિર નથી. પથ્થરના ચાર સ્તંભોથી ઘેરાયેલા સ્થાન પર સ્ફટિકનું શિવલિંગ છે જેમાંથી સતત દિવ્ય પ્રકાશ નીકળતો રહે છે. આશ્ચર્ય ઉપજાવે એવી એક વાત એ છે કે આ શિવલિંગની પૂજા એક અનુપમ દિવ્ય સૌંદર્ય ધરાવતી યુવતી કરે છે. પંડિત ગોપીનાથ કવિરાજે પણ આ સિદ્ધ સાધના સ્થળોનો ઉલ્લેખ કરી તેનું વર્ણન કરતા લખ્યું છે - 'શિવલિંગ પાસે થોડે ઉપર એક આસન હતું. એના પર યોગિરાજ ભગવાન શિવજી પોતે સમાધિની સ્થિતિમાં બિરાજમાન હતા. એમના સ્થિર સ્વરૂપને એક દેવી અનિમેષ નજરે નિહાળી રહી હતી. શિવજીનું મુખમંડળ જટાથી આચ્છાદિત હતું. એમના સ્વરૂપમાંથી દિવ્ય તેજ ચોમેર પ્રસરી રહ્યું હતું. તેમનું ધ્યાન કરનારી અને તે પછી તેમની પૂજા કરનારી દેવી સાક્ષાત્ શક્તિ સ્વરૂપા પાર્વતી-ગૌરી જ હતી.'

રામ ઠાકુર ત્યાં પાંચ દિવસ રહ્યા હતા. આશ્રમથી થોડે દૂર નીચે એક પહાડમાંથી આવતું ઝરણું હતું ત્યાંથી તે જળ લાવતા હતા. એ આશ્રમમાં દરરોજ પુષ્પ આભૂષણોથી શોભતી એક ૧૨ વર્ષની કિશોરી આવતી અને ભગવાન શિવની સ્તુતિ કરી નૃત્ય કરતી. પછી તે શિવ-પાર્વતીને પુષ્પ માળા પહેરાવી તે બન્નેની પૂજા કરતી. તે કઇ સ્તુતિ કરતી અને ગીત ગાતી તે રામ ઠાકુર સમજી શક્યા નહોતા. સાંજ પછી તે બેમાંથી કોઇ ત્યાં રોકાતું નહોતું. તે કિશોરી અને રામ ઠાકુર પોતપોતાના સ્થાને જતા રહેતાં. રામ ઠાકુર કહે છે કે આ સિદ્ધાશ્રમ જેવું રમણીય, શાંત, પરમ આનંદદાયક સ્થાન આખી દુનિયામાં ક્યાંય જોવા મળ્યું નથી. હિમાલયના સિદ્ધાશ્રમો ગૂઢ અને રહસ્યમય સ્થળો છે. તે બીજા કોઇને દેખાતા નથી, ત્યાં કોઇ પહોંચી શકતું નથી. કેવળ ઉચ્ચ સાધના પૂર્ણ થયા બાદ સિદ્ધ અવસ્થા આવે ત્યારે તે દેખાય છે અને ત્યાં જઇ શકાય છે. આવા આશ્રમોમાં વધારે ઉચ્ચ સાધના કર્યા બાદ રામ ઠાકુર પણ દિવ્ય સિદ્ધિઓ ધરાવતા થઇ ગયા હતા.

દેશ-વિદેશમાં પ્રસિદ્ધ પ્રખ્યાત સંત-યોગી નીમ કરોલી (નીબ કરૌરી) બાબા પણ અવાર નવાર રામ ઠાકુરનો ઉલ્લેખ કરી તેમની પ્રશંસા કરતા કહેતા - 'રામ ઠાકુર એક મહાન સંત હતા, એક બહુ જ મહાન સંત.' રામ ઠાકુર એમની યોગ સિદ્ધિઓના પ્રભાવથી સંકટગ્રસ્તોના સંકટ દૂર કરતા અને રોગીઓના રોગોને મટાડી દેતા. ડૉ. પ્રભાત ચક્રવર્તી નામના રામ ઠાકુરના એક ભક્તના ઘેર ત્રણ વ્યક્તિઓ શીતળાના રોગનો ભોગ બન્યા હતા. ડૉ. ચક્રવર્તી તેમના મિત્રો સાથે આ બાબત પર ચર્ચા કરી રહ્યા હતા. ત્યાં એમણે જોયું કે રામ ઠાકુર બેઠક ખંડમાંથી પસાર થઇ જેમાં રોગીઓને રાખ્યા હતા તે ઓરડામાં જઇ રહ્યા છે. ચક્રવર્તીની પત્નીએ સામેની દીવાલ પર લટકતા અરીસામાં રામ ઠાકુરને આવતા જોયા. તે દર્દીઓ પાસે ગયા અને તેમના માથા પર હાથ ધરી ઊભા રહ્યા. ડો. ચક્રવર્તીની પત્ની તેમને બેસવા આસન લઇને પાછી આવી અને ડો. ચક્રવર્તી એમનું સ્વાગત કરવા ત્યાં આવી પહોંચ્યા. ત્યારે તેમણે જોયું તો ત્યાં ક્યાંય રામ ઠાકુર હતા જ નહીં. પછી આ અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે તે દર્દીઓને સાજા કરવા શૂન્ય માર્ગે સૂક્ષ્મ રૂપમાંથી સ્થૂળ રૂપ ધારણ કરીને હરિદ્વારથી આવ્યા હતા અને થોડી સેકંડોમાં તો તેમનું કામ કરી અદ્રશ્ય થઇ ગયા હતા. ડૉ. ચક્રવર્તી, તેમની પત્ની અને તેમના મિત્રોએ એમને આવતા તો જોયા હતા પણ તેમને રોગીઓને સાજા કરી તરત ત્યાંથી પાછા ફરતા જોયા નહોતા. રામ ઠાકુરના દિવ્ય ઉપચારથી એ ત્રણેયના રોગ ચમત્કારિક રીતે દૂર થઇ ગયા હતા.

Tags :