Get The App

અહિંસા : ગાંધીજીના શબ્દોમાં...

- સાઈન-ઈન- હર્ષ મેસવાણિયા

- દુનિયામાં ક્યાંય પણ હિંસા આચર્યા વગર સત્તા સામે મોરચો માંડવો હોય તો જાણ્યે-અજાણ્યે ગાંધીજીના વિચારો વગર ચાલ્યા સિવાય છૂટકો નથી. એ વિચારો શું હતા?

Updated: Sep 27th, 2020

GS TEAM


Google News
Google News
અહિંસા : ગાંધીજીના શબ્દોમાં... 1 - image


અહિંસા.

આ એક શબ્દ નથી. આખી સંહિતા છે. દુનિયામાં હિંસા ન કરવી હોય તેમ છતાં સત્તાધીશોને કે અન્યાયી કાયદાઓને પડકારવા હોય તો અહિંસક આંદોલન એકમાત્ર રસ્તો છે - એ રસ્તો જે ગાંધીજીએ દુનિયાને બતાવ્યો. ગાંધીજીના રસ્તે ચાલીને દુનિયામાં કેટલાય અહિંસક આંદોલનકારીઓ ન્યાય મેળવવામાં/અપાવવામાં સફળ થયા છે એ ઈતિહાસ જાણીતો છે.

ગાંધીજી માટે અહિંસા એ એક શબ્દ ન હતો, આચરણ હતું. તેમના અહિંસક આંદોલન વખતેય સ્થિતિ હાથમાંથી સરકી ગઈ હોય અને હિંસા થઈ હોય એવા બનાવો નોંધાયા જ છે. ચોરી-ચોરા ઈન્સિડેન્ટ એનું જાણીતું ઉદાહરણ છે અને ગાંધીજીએ એ વખતે આંદોલન મોકૂફ રાખીને પોતે પ્રાયશ્વિત કર્યું હતું. અહિંસક આંદોલનમાં હિંસાના બનાવોને ગાંધીજીએ ક્યારેય પ્રોત્સાહન આપ્યું નથી એ જ બતાવે છે કે તેમણે અહિંસાનો મેસેજ જીવી બતાવ્યો હતો.

અન્યાયને પડકારતી વખતે અહિંસાને વળગી રહેવાનું કામ કપરું છે. શાસકો ઓછા-વત્તા અંશે, જુદા-જુદા તરિકાથી જુલ્મ ન કરે એવું ભાગ્યે જ બને છે. આવી સ્થિતિમાં આંદોલનકારીઓ માટે અહિંસક બની રહેવું અતિ મુશ્કેલ છે. ગાંધીજીએ તો વર્ષો સુધી એ મુશ્કેલ કાર્ય સહજ રીતે કર્યું અને સફળ પણ રહ્યા.

વિશ્વ અહિંસા દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે ગાંધીજીના જ 'આપણે સૌ એક પિતાનાં સંતાન' પુસ્તકના આધારે અહિંસાની વ્યાખ્યા અહીં રજૂ કરી છે.

અહિંસા પ્રચંડ શસ્ત્ર 

અહિંસા એ મનુષ્ય જાતિની પ્રબળ શક્તિ છે. માણસે સર્જેલા પ્રચંડ શસ્ત્રો કરતાં એ વધારે પ્રચંડ છે. જેમ હિંસા આચરવા મારતા શીખવું પડે છે તેમ અહિંસાની તાલીમ સારું મરતાં શીખવું પડે છે. હિંસામાં ભયથી બચવાનો ઈલાજ શોધવામાં આવે છે, જ્યારે અહિંસામાં ભયને સ્થાન જ નથી. ભય મુક્ત થવા માટે અહિંસાના ઉપાસકે ઉચ્ચ કોટિની ત્યાગ વૃત્તિ કેળવવી જોઈએ. અહિંસાની તાલીમ હિંસાની તાલીમની સાવ ઊલટી હોય છે, બહારની રક્ષા માટે હિંસાની ગરજ છે, આત્માની, સ્વમાનની રક્ષા સારું અહિંસાની ગરજ છે.

મેં જોયું છે કે જીવન વિનાશની વચ્ચે જ ટકી રહ્યું છે, તેથી વિનાશ કરતાં બીજો કોઈ મોટો નિયમ હોવો જોઈએ. તે નિયમ તળે જ સુવ્યવસ્થિત સમાજ જેવી વસ્તુ હોઈ શકે, જીવન જીવવા યોગ્ય રહે અને જે તે જીવનનો નિયમ હોય તો આપણા રોજના વ્યવહારમાં પણ તેને અમલમાં મૂકવો જોઈએ. 

ગુસ્સામાં પણ અહિંસાનું પાલન

મને કદી ગુસ્સો નથી આવતો એમ નથી, પરંતુ લગભગ દરેક વખતે હું મારી લાગણીઓને કાબૂમાં રાખી શકું છું. પરિણામ ગમે તે આવે પરંતુ અહિંસાના નિયમોનું વિચારપૂર્વક સતત પાલન કરવા માટે મારા મનમાં હંમેશા યુદ્ધ ચાલતું જ હોય છે. આવા આંતરિક યુદ્ધને પરિણામે માણસ દિવસે દિવસે સબળ બનતો જાય છે.

મેં જોયું છે કે વ્યક્તિની જેમ રાષ્ટ્રો પણ આકરી કસોટીની તાવણીમાં તવાઈને ઘડાય છે, બીજી કોઈ રીતે નહીં. બીજાઓને પીડા આપવાથી નહીં, બીજાઓની પીડા દૂર કરવાથી જ વધારે આનંદ આવે છે. સત્ય અને અહિંસાના પાલન દરમિયાન મને સમજાયું કે વિરોધીઓને પીડા આપવાની વાતને એમાં સ્થાન નથી. ખામોશી અને સહાનુભૂતિ દ્વારા તેને ખોટે માર્ગેથી પાછો વાળવો એ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. જો અહિંસક આંદોલનની સફળતાનો આધાર અમલદારોના સ્વભાવ-સદભાવ પર હોય તો એ પોકળ છે. એનો ખરો આધાર આપણાં આત્મબળ પર છે.

અસરકારક આંદોલન પદ્ધતિ

ઘણાં કહેશે કે અહિંસક આંદોલન થઈ જ ન શકે અને ઇતિહાસમાં એવું આંદોલન કદી જોયું નથી. પણ મારી મહત્વાકાંક્ષા તો એવું દૃષ્ટાંત પૂરું પાડવાની છે. હું એ સ્વપ્ન સેવી રહ્યો છું કે મારો દેશ અહિંસા દ્વારા સ્વતંત્રતા મેળવે અને હું આખા જગતને અસંખ્ય વાર કહેવા ઇચ્છું છું કે અહિંસા જતી કરીને હું સ્વાતંત્ર્ય સંગ્રામ નહીં કરું. અહીં મેં સત્યનું નામ નથી દીધું, તે એટલા માટે કે સત્ય અહિંસા સિવાય બીજી રીતે પ્રગટ થઈ જ ન શકે.

માનવજાતિના કચડાતા વિભાગ પ્રત્યે જે રાજદ્વારી અને આથક અન્યાય થાય છે તે દૂર કરવા માટે અહિંસા સૌથી નિર્દોષ અને છતાં અસરકારક પદ્ધતિ છે. અનેક જુગની જે ઝંખના છે તે શાંતિની સ્થાપના અહિંસાના સદાચાર વગર મેળવવી શક્ય નથી.

સૌમાં અહિંસાની શક્તિ 

અહિંસા એવી શક્તિ છે તેનો પ્રયોગ બાળક, યુવાન, સ્ત્રી, વૃદ્ધ સો સરખી રીતે કરી શકે છે. માત્ર તેમનામાં પ્રેમ સ્વરૂપ ઈશ્વર વિશે અવિચળ શ્રદ્ધા હોવી જોઈએ અને મનુષ્યમાત્રને માટે સમાન પ્રેમ હોવો જોઈએ. અહિંસાનો જીવનધર્મ તરીકે સ્વીકાર કરવામાં આવે તો તે જીવનના પ્રત્યેક કાર્યમાં પ્રગટ થાય છે.

અહિંસાનો સિદ્ધાંત દરેક પ્રકારના શોષણનો સંપૂર્ણ નિષેધ કરે છે. યુદ્ધ સામે મારો વિરોધ મને એટલી હદે નથી લઈ જતો કે જેઓ યુદ્ધમાં ભાગ લેતા હોય તેમના પ્રયાસોને વિફળ બનાવવાનું મારું કર્તવ્ય થઈ પડે. હું તેમની જોડે દલીલ કરું છું. હું તેમની પાસે વધારે સારો રસ્તો રજૂ કરું છું ને તેમને પસંદગી કરવા સમજાવું છું. એકબીજાની કાપાકાપી કરવી એ માણસને માણસ તરીકે છાજતું નથી.

બીજા જન્મે ય અહિંસા!

શસ્ત્રોનો ત્યાગ કર્યા પછી મારી પાસે આવનારાને હું પ્રેમના પ્યાલા સિવાય બીજું કશું નહીં આપી શકું. એ પ્યાલો આપીને હું તેમને મારી નજીક ખેંચવાની આશા રાખું છું. માણસ માણસ વચ્ચે શાશ્વત વેર રહે એ મારી કલ્પનાની બહારની વાત છે. હું પુનર્જન્મમાં માનનારો માણસ રહ્યો, એટલે હું એવી પણ આશા રાખી રહ્યો છું કે આ જન્મે નહીં તો બીજે કોઈ જન્મે સમસ્ત માનવજાતિને પ્રેમપાશમાં લઈ શકીશ.

આજે દુનિયાભરમાં હિંસા વધી છે. જે અમેરિકાના ઉદાહરણો સમાનતા માટે દુનિયાભરમાં દેવાતા હતા ત્યાં પણ ફરીથી રંગભેદે માથું ઊંચક્યું છે અને તેના કારણે અવારનવાર હિંસા ફાટી નીકળે છે. યુએનની પીસ કાઉન્સિલે ટકોર કરીને શાંતિ જાળવી રાખવાની અમેરિકન સરકારને અપીલ કરવી પડી ત્યાં સુધી સ્થિતિ બગડી ગઈ છે.

હોંગકોંગમાં પ્રદર્શનકારીઓના અહિંસક દેખાવો હિંસામાં ફેરવાઈ જતાં આપણે જોયા છે. ચીનમાં ઉઈઘુર સમુદાય પર અત્યાર થઈ રહ્યો છે. અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ-પાકિસ્તાનમાં લઘુમતિ હિંદુઓ ઉપર અત્યાર થઈ રહ્યો છે. કેટલાય દેશોમાં માનવ અધિકાર જોખમમાં છે અને અધિકારો માટે લડતા આંદોલનકારીઓ અહિંસક આંદોલન વખતે હિંસા આચરી બેસતા હોય છે. અહિંસાના વિચારમાં અથવા કહો આચરણમાં મક્કમ રહેવું ભલભલા વિચારકો માટેય મુશ્કેલ છે.

હિંસાના આવા બનાવો વચ્ચે ગાંધીજીના માર્ગે ચાલનારા વિરલ વ્યક્તિત્વો પાક્યા છે, પાકતા રહે છે. અહિંસક ચળવળ વખતે ગાંધીવિચાર વગર છૂટકો નથી. ગાંધીજી જ કહે છે એમ અહિંસા એ કાયરતા નથી. હિંમતનું કામ છે, પરાક્રમ બતાવવાની પળ છે. એક તરફ હિંસાથી જવાબ અપાતો હોય ને બીજી તરફ એ હિંસા સામે હિંસા ન કરવાનું નક્કી હોય ત્યારે બેવડા સાહસની જરૂર પડે છે. હજુય સમાનતા, શાંતિ, અને ન્યાય માટે ગાંધીચીંધ્યા માર્ગે એવાં સાહસો થતાં રહે છે એ જગતનું સદ્ભાગ્ય છે.

Tags :