વકીલાતનું સ્વયંશિક્ષણ વલ્લભભાઈના જીવનનો મોટો વળાંક
- સરદાર @150-હસિત મહેતા
- મેટ્રિક પાસ થવા સુધીમાં વલ્લભભાઈને 22મું બેસી ગયું હતું. એ પછી જો 6 વર્ષ એલએલ.બી. કરવામાં જાય, તો છેક 28 વર્ષે કમાવવાની શરૂઆત થાય
વ લ્લભભાઈ કરમસદની પ્રાથમિક શાળામાં ભણતાં હતા ત્યારે જ, બાર-તેર વર્ષની કાચી ઉંમરે એવી પાકી સમજણ કેળવી લીધી હતી કે જીવનમાં મોટા માણસ થવું છે. એ પછી જ્યારે તેમનું નિશાળોમાં ભણવાનું પૂરું થવા આવ્યું ત્યારે પેલા મોટા માણસ થવાના નિર્ધારને બૅરિસ્ટર બનવાનો ધોરીમાર્ગ મળી ગયો હતો.
પરંતુ વધતી ઉંમર, ઘરની સામાન્ય સ્થિતિ, પિતાજીની મંદિર-સેવામાં જીવન વ્યતીત કરવાની પ્રકૃતિ, મામાને મોસાળ રહેવાની ફરજ, આ બધા વચ્ચે બૅરિસ્ટર થવું તો થવું કેમ? મામા ડુંગરભાઈ તો અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચીફ એન્જિનીયર હોવાને નાતે વલ્લભભાઈને કારકુનની નોકરીએ વળગાડવા તત્પર હતા, પણ આ જીવનયોદ્ધા એમ કારકુન બનીને પોતાની મહત્ત્વકાંક્ષાની હાર માને તેમ નહોતા.
તો બીજી તરફ મેટ્રિક થયા પછી બી.એ. અને એલએલ.બી. થવા માટેનાં ૬ વર્ષની સમયસાહેબી પણ તેમની પાસે નહોતી. મોડા ભણવા બેઠા, તેમાંય ગુજરાતીમાં પૂરી સાત ચોપડી સુધી ભણ્યાં, એ પછી અંગ્રેજી ચોથીથી ફરી ભણવાનું શરૂ કર્યું, મેટ્રિકમાં નાપાસ થઈને બે વર્ષ ભણવું પડયું, આ બધા સંજોગો વચ્ચે મેટ્રિક પાસ થવા સુધીમાં તેમને ૨૨મું બેસી ગયું હતું.એ પછી જો ૬ વર્ષ એલ.એલ.બી. કરવામાં જાય, તો છેક ૨૮ વર્ષે કમાવવાની શરૂઆત થાય, જે વલ્લભભાઈને પોસાય તેમ નહોતું.
એ સમયે એક વ્યવસ્થા એવી હતી કે ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા આપીને ત્રણ વર્ષમાં વકીલ થઈ શકાય. વળી એ પરીક્ષા તો ઘેર બેઠાં વાંચીને આપી શકાય તેમ હતી. જેથી ભણવાનો ખર્ચ પણ ન થાય.
આ તક વલ્લભભાઈએ ઝડપી લીધી. જાતે જ વાંચવાની શરૂઆત કરી, જે તેમનાં જીવનનો બહુ મોટો વળાંક હતો, કારણ કે મેટ્રિક સુધીના અભ્યાસમાં તો એમનો સમય તોફાનો અને ઉછળકૂદભર્યા દિવસોમાં જ પસાર થયો હતો. હવે ગંભીર થઈને, જાત મહેનતથી, સ્વયંશિસ્તથી, ધારેલા સમયમાં વકીલાતનો આ અભ્યાસ પૂરો કરવાની જવાબદારી તેમણે નક્કી કરી લીધી હતી. સ્વયંશિક્ષણના આ ગાળા દરમ્યાન તેમનું વલણ બદલાયું, વધારે સ્થિર થયું. હવે તેઓ એકચિત્તે, પૂરી ગંભીરતાથી વાંચવામાં લાગી ગયા.
જીવનનાટકના આ પલટા પાછળ સરદાર ચરિત્રકાર યશવંત દોશીને બે મહત્ત્વનાં કારણો દેખાયાં છે. એક તો શિક્ષકો શીખવે અને પોતે શીખે એ પદ્ધતિ જ વલ્લભભાઈને ફાવી નહીં હોય, એને બદલે સ્વયંશિક્ષણની રીત જ એમને જચી હશે. બીજું એ પણ ખરું કે અત્યાર સુધીના અભ્યાસમાં તેમની સામે કોઈ ચોક્કસ ધ્યેય ન હતું. પણ હવે તો ઝટ પૈસા કમાવા માંડવાનું એક જ નક્કી ધ્યેય તેમણે નજર સામે બાંધ્યું હતું. તેમાં તેમની વધતી ઉંમરે અને વધતા અનુભવ જ્ઞાને ભાગ ભજવ્યો હશે. બાવીસ વર્ષની ઉંમર થઈ ગઈ હતી, લગ્ન મંડાઈ ગયાં હતાં, થોડા વખતમાં ઘરસંસારનો બોજો આવશે-એવો ભાર પણ મંડરાયો હતો. આ બધાં કારણોએ વલ્લભભાઈને અભ્યાસમાં ગંભીર કરવામાં પૂરતો ભાગ ભજવ્યો હતો.
વકીલાતનો અભ્યાસ કરવા માટે વલ્લભભાઈએ વતનભૂમિ કરમસદ કરતાં જન્મભૂમિ નડિયાદ જ વધુ અનુકૂળ રહેશે, તેમ ઠેરવ્યું હતું, કારણ કે કાયદાના અભ્યાસ માટે મોંઘા પુસ્તકો ખરીદીને લવાય તેવી સ્થિતિ તો હતી નહીં. તેથી મોટા-મોટા વકીલોને ત્યાંથી કાયદાના થોથા ઉપાડી લાવીને અભ્યાસ કરવાની તક કરમસદ કરતાં નડિયાદમાં જ વધારે હતી.
વળી, નડિયાદ તો ડિસ્ટ્રીક્ટ કોર્ટનું થાણું હતું. કાયદાના ચોપડાઓ ઉપરાંત વિશેષ અનુભવ-જ્ઞાન કોર્ટના રૂમમાં બેસવાથી મળશે, એમ વલ્લભભાઈને લાગ્યું હતું. જે કરમસદમાં શક્ય બને તેમ ન હતું.
આવા કારણોવશ વલ્લભભાઈએ નડિયાદમાં રહીને, ઘેરબેઠાં વકીલાતનો અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય અમલમાં મૂક્યો. ઈ.સ.૧૮૯૭થી તેમનો આ વકીલાત અભ્યાસકાળ નડિયાદના આંગણે શરૂ થયો. એ સમયે વલ્લભભાઈના સમાજના ઘણા પાટીદાર અગ્રણીઓ નામાંકિત વકીલ થઈ ચૂક્યા હતા. વલ્લભભાઈ આવા કેટલાંક મોટા વકીલોની ઓફિસે જાય, કાયદાના થોથાં ઉથલાવે, જરૂર પડે તે ઘેર લાવે, તેનો પૂરતો અભ્યાસ કરીને પાછા આપી આવે.
આવા પુસ્તકિયા અભ્યાસ ઉપરાંત તેમણે નિયમિત રીતે નડિયાદ કોર્ટમાં જવાનું પણ શરૂ કર્યું. કોઈપણ કોર્ટ રૂમમાં ચાલતી વકીલોની દલીલબાજીને ધ્યાનથી તેઓ સાંભળતા. તેમાં ય ખાસ કરીને જ્યાં ઉલટ તપાસ ચાલતી હોય ત્યાં એકચિત્તે બેસતાં. આવા પ્રેક્ટિકલ ભણતરની રીત તેમણે જાતે જ શોધી, વિક્સાવી અને અમલમાં મૂકી, જે આગળ ઉપર એક સફળ વકીલ થનાર વલ્લભભાઈને માટે પાયારૂપ બની રહી.