પ્રીત સન્ધુની શાંત ક્રાંતિ .
- આજકાલ-પ્રીતિ શાહ
- 'આંત્રપ્રેન્યોરની યાત્રામાં પડકારો આવે. ઘણા નિર્ણયો લેવાના હોય, તેમાં કોઈ ભૂલ પણ થાય. કેટલીક વખત જોખમ લેવું પડે, પરંતુ લાંબે ગાળે ફાયદો થતો હોય છે'
અ મૃતસરમાં જન્મેલી પ્રીત સન્ધુએ નાની ઉંમરે મોટું સ્વપ્ન જોયું અને તેને સાકાર કરવા અથાક મહેનત કરી. દ્રઢ સંકલ્પ અને સખત પુરુષાર્થથી કેવી રીતે સફળતા હાંસલ કરી શકાય છે તેનું જીવંત દ્રષ્ટાંત પ્રીત સન્ધુનું જીવન છે. આજે એની એવીપીએલ ઇન્ટરનેશનલ સંસ્થા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે મહિલા સશક્તીકરણ, ઈનોવેશન અને યુવાનોને આત્મનિર્ભર બનાવવાની પ્રતીક બની ચૂકી છે. પ્રીત સન્ધુએ ૨૦૧૧માં ચંડીગઢમાં એક નાનકડી ઑફિસથી શરૂઆત કરી હતી. સીમિત સંસાધનો અને ઓછા મૂડીરોકાણ સાથે પ્રીત સન્ધુ અને તેમના પતિ દીપ સિહાગ સિસાએએ ૨૦૧૬માં એવીપીએલ ઇન્ટરનેશનલની સ્થાપના કરી. તેમણે સ્કિલ ઇન્ડિયા મિશન સાથે કામ કર્યું હતું. તેમણે જોયું કે ભારતનાં ગામડાંઓમાં અને સેમિ-અર્બન વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓનું સ્કૂલમાંથી અભ્યાસ છોડી દેવાનું પ્રમાણ ઘણું મોટું છે. જેઓ અભ્યાસ નથી કરતા તેમનામાં પણ કોઈને કોઈ કૌશલ તો હોય છે જ અને તે અંગે તાલીમ પણ લે છે, પરંતુ ગામ છોડીને જતા નથી અથવા તો જે લોકો ગામ છોડીને ગયા હોય છે, તેઓ થોડા સમયમાં પાછા આવી જાય છે.
આવા લોકો મોટેભાગે ખેતી સાથે જોડાયેલા હોય છે, તેથી પ્રીત સન્ધુએ વિચાર્યું કે એવું કંઈક કરવું જોઈએ કે તેમને પોતાની જગ્યાએથી ક્યાંય જવું ન પડે અને એમાંથી એને વિચાર આવ્યો કે ટૅક્નૉલૉજીને ખેતી સાથે જોડવી. તેમણે ખેતીમાં ડ્રોનનો ઉપયોગ કેવી રીતે થાય તે વિચાર્યું અને એ રીતે એક શાંત ક્રાંતિની શરૂઆત થઈ. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઈન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા ભારત સરકારનાં અભિયાનોએ પણ તેમને પ્રોત્સાહિત કર્યા. ભારતની સત્તર રાજ્યોની સરકારો અને ઉત્તર પ્રદેશની ત્રણ સરકારી પોલીટૅક્નીક સંસ્થાઓના સહયોગથી હજારો યુવાનોને ડ્રોન ટૅક્નૉલૉજીની તાલીમ આપી. આજે ડ્રોન ટૅક્નૉલૉજીમાં પ્રીત સન્ધુની કંપની કૌશલ્ય વિકાસનું એક કેન્દ્ર બની ચૂકી છે. આ સ્ટાર્ટઅપની અત્યારે માઈક્રો, સ્મોલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (એમએસએમઈ)માં ગણના થાય છે અને વર્ષે પચાસ કરોડનું ટર્નઑવર ધરાવે છે.
પ્રીત સન્ધુની એવીપીએલ ઈન્ટરનેશનલ અતિ આધુનિક ડ્રોન બનાવે છે અને ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશનને તેની માન્યતા મળેલી છે. કૃષિ ક્ષેત્રે પાકની સુરક્ષા અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. તેઓ ખેડૂતને સ્માર્ટ ખેડૂત બનાવવા માગે છે. ડ્રોન ટૅક્નૉલૉજી, એગ્રીટેક ઈનોવેશન, ગામડાંની મહિલાઓ અને યુવાનોના સશક્તીકરણમાં તેમનો મહત્ત્વનો ફાળો છે. પ્રીત સન્ધુની આ કંપની ડ્રોન મેન્યુફેક્ચરીંગ કરે છે, ડ્રોન પાયલોટની તાલીમ આપે છે અને તેનો સર્વિસ કોર્સ કરીને વ્યક્તિ પોતાની કારકિર્દી બનાવી શકે છે. પ્રીત સન્ધુ તેને વન સ્ટોપ સોલ્યુશન ગણાવે છે. પ્રીત સન્ધુ કહે છે કે કોઈ પણ આંત્રપ્રેન્યોરની યાત્રા સરળ નથી હોતી, એમાં પડકારો આવે, ઘણા નિર્ણયો લેવાના હોય, તેમાં કોઈ ભૂલ પણ થાય. કેટલીક વખત જોખમ લેવું પડે, પરંતુ લાંબે ગાળે ફાયદો પણ થતો હોય છે. આજે સ્પર્ધા વધી રહી છે અને એમાં ટીમ બિલ્ડીંગ મહત્ત્વની બાબત છે. ઘણા સ્ટાર્ટઅપ બંધ થઈ જાય છે. એક વખત બધાને ભેગા કરીને ટૅક્નૉલૉજી શીખવી દેવાથી કોઈ નક્કર પરિણામ આવતું નથી. તેમાં સફળતા મેળવવા સતત ધીરજ રાખીને શીખવવું પડે છે.
પ્રીત સન્ધુ તેઓને આંત્રપ્રેન્યોર બનાવવા માગે છે. આ લોકો વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે ગ્રામીણ વિસ્તારમાં કામ કરશે. એગ્રી ડ્રોન મોંઘા હોય છે, તેથી બધા તેને ખરીદે તે જરૂરી નથી. તેની સર્વિસ પણ લઈ શકે, જેથી તેને અને ખેડૂતને બંનેને આવક થશે. તેમનો ગ્રાહક ખેડૂત નથી, પરંતુ જેને તેઓ આંત્રપ્રેન્યોર બનાવે છે તેનો ગ્રાહક ખેડૂત છે. ભારતમાં માત્ર ઓટોમેશન અને આનલાઇનની વાત ન કરી શકાય. તેઓ એક મજબૂત ઈકોસિસ્ટમ બનાવવા માગે છે, જેમાં માત્ર ભારત નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોનો સમાવેશ કરવાનું તેમનું સ્વપ્ન છે. તેમના લોગોમાં 'ડ્રોન્સ બિયોન્ડ બાઉન્ડ્રીઝ' લખેલું છે.
આજે દેશના બાર રાજ્યોમાં સિત્તેર ઈનક્યુબેશન હબ છે, જ્યાં ખેડૂતો અને યુવાનોને ડ્રોન ટૅક્નૉલૉજી, સ્માર્ટ ફાર્મિંગ અને ખેતી વિષયક સમસ્યાના ઉકેલ માટે તાલીમ આપવામાં આવે છે. વિશ્વમાં પચાસ ગ્લોબલ ઈનક્યૂબેશન હબ છે. ગુરુગ્રામ, હરિયાણામાં ઑફિસ ધરાવનાર એવીપીએલ કંપનીનું બિહારમાં સોળ હજાર સ્ક્વેર ફૂટનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જ્યાં દર મહિને બે હજાર ડ્રોનનું ઉત્પાદન થશે અને દસ હજાર યુવાનોને નોકરી મળશે.
બે લાખ ડ્રોન વપરાશમાં હોય તો ડ્રોનની સવસ માટે, તેના પાર્ટ્સ વેચવા માટે કેટલી બધી વ્યક્તિઓ જોઈએ. દસ ડ્રોન પર એક સર્વિસ ટૅક્નશિયન જોઈએ. ડ્રોન દીદી કાર્યક્રમ અંતર્ગત હજારો મહિલાઓએ ડ્રોન ટૅકનૉલૉજીની તાલીમ મેળવી છે. ડ્રોન આંત્રપ્રેન્યોર અને એગ્રી આંત્રપ્રેન્યોર કાર્યક્રમે અનેક યુવાનોને નવી તક આપી છે. પ્રીત સન્ધુનું સ્વપ્ન પોતાની કંપનીને યુનિકોર્ન બનાવવાનું છે.
વિજય સિંહનું એડવેનથ્રિલ
'ભારતમાં ઘણાં સારાં ટ્રેકિંગનાં સ્થાનો છે. ઈન્ફ્રાક્ટ્રક્ચર અને સલામત બચાવ વ્યવસ્થા વિકસાવવામાં આવે તો વિદેશના ટ્રેકર્સને પણ આકર્ષી શકાય'
ઉ ત્તરપ્રદેશના બુલંદશહર જિલ્લાના એક ગામમાં જન્મેલા વિજય પ્રતાપ સિંહ આઠમા ધોરણ સુધી અભ્યાસ કરીને ૨૦૦૫માં દહેરાદૂન અભ્યાસ માટે ગયા. ૨૦૧૨માં ઉત્તરાખંડ યુનિવર્સિટીમાંથી આઈ.ટી.માં સ્નાતકની ડિગ્રી મેળવી. ઉત્તરાખંડમાં અભ્યાસ દરમિયાન પ્રેમ થયો. કોઈ યુવતી સાથે નહીં, પરંતુ રળિયામણા પહાડો અને ગાઢ જંગલો સાથે. થોડો સમય હૈદરાબાદ એચસીએલમાં નોકરી કરી, પરંતુ ભાષા અને ભોજનમાં મુશ્કેલી પડવાથી એ નોકરી છોડીને ચંડીગઢ યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ બિઝનેસમાં માસ્ટર કર્યું અને પૂણેમાં કોટક મહિન્દ્રા બેંકમાં નોકરી મેળવી. નોકરીમાંથી જેવો સમય મળે કે મિત્રો સાથે હાઈકિંગ અને ટ્રેકિંગ કરતા.
ટ્રેકિંગ સમયે સતત કંઈક વિચારતા રહેતા અને માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે એક દિવસ બેંકની નોકરી છોડીને દહેરાદૂનમાં 'એડવેનથ્રિલ' નામની એડવેંચર કંપની શરૂ કરી. પહાડો પ્રત્યેનો તેમનો પ્રેમ અને અનુભવને કારણે કંપની કેવી રીતે કામ કરશે તેનો સ્પષ્ટ નકશો તેમના મનમાં હતો. તેમણે તેના મિત્રની મદદથી પોતાની કંપનીની માહિતી સોશિયલ મીડિયામાં મૂકી અને વેબસાઇટ બનાવી. મેનેજમેન્ટ માટે કેટલીક વ્યક્તિઓને રાખ્યા. જોકે વિજય પ્રતાપ સિંહ કહે છે કે એંશી ટકા કામ તેઓ જાતે જ કરતા. ૨૦૧૬માં સૌપ્રથમ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના એમબીબીએસનો અભ્યાસ કરતાં બાર વિદ્યાર્થીઓને ઉત્તરાખંડના ચોપ્તા તુંગનાથ ટ્રેકિંગ કરવા લઈને ગયા. પહેલીવાર આવા ગ્રૂપને સંભાળવાનું હતું, પરંતુ તેમાંથી તેઓ ઘણું શીખ્યા. આજે પણ તે ગ્રૂપના ઘણા સભ્યો એડવેનથ્રિલ સાથે જોડાયેલા છે.
ધીમે ધીમે અનુભવે એમને લાગ્યું કે એમણે માઉન્ટેનીયરીંગનો કોર્સ કરવો જોઈએ.આથી તેમણે નહેરુ ઇન્સ્ટિટયૂટ આફ માઉન્ટેનીયરીંગમાં કોર્સ કર્યો અને પછી તાલીમ પામેલા ટ્રેક લીડર્સનું નેટવર્ક ઊભું કર્યું અને તેમાં પૂર્વ આર્મીમેન મેન્ટરને સામેલ કર્યા. બેઝિક અને એડવાન્સ કોર્સ કરનારની દસેક વ્યક્તિની ટીમ બની, જેમાં બચાવની તાલીમ શીખેલા અને ફર્સ્ટ-એડના જાણકાર પણ હતા. ૨૦૨૪માં વિજય સિંહે ભારતીય પ્રજ્ઞાચક્ષુ ફૂટબોલ ખેલાડીઓને દહેરાદૂનમાં ટ્રેકિંગ કરાવ્યું. તેમાં તેમના કોચ, તેમનો પરિવાર અને ભારતીય વાયુસેનાના પૂર્વ સભ્યો પણ સામેલ હતા. વિજયપ્રતાપ સિંહ કહે છે કે ટ્રેકિંગ કંપની ચલાવવી સહેલી નથી. તેને એકલી તેની માલિકીની અથવા તો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે રજિસ્ટર્ડ કરાવવી પડે છે. તેમણે તેમની કંપનીને ઉત્તરાખંડ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ અને ઇન્ડિયન માઉન્ટેનીયરીંગ ફાઉન્ડેશન અંતર્ગત રજિસ્ટર્ડ કરાવી છે. પાંચ હજાર મીટરથી ઊંચે ટ્રેકિંગ કરવા જવું હોય તો ફાઉન્ડેશનમાં સભ્ય બનવું જરૂરી છે. તેના માટે માલિકે માઉન્ટેનીયરીંગનો કોર્સ કરવો પડે છે અને તેની સાથે કામ કરતી ચારથી પાંચ વ્યક્તિએ પણ કોર્સ કરવો પડે છે અને તેનું સટફિકેટ મેળવવું પડે છે.
એડવેનથ્રિલ દ્વારા તેઓ કૉલેજના વિદ્યાર્થીઓ, નોકરી કરતી વ્યક્તિઓ કે ટ્રેકિંગ કરવા ઇચ્છતી કોઈ પણ વ્યક્તિ માટે આઉટડૉર એડવેંચર પ્રોગ્રામનું આયોજન કરે છે. ટ્રેકિંગ કરનાર વ્યક્તિને અગાઉથી એટલે કે લગભગ વીસેક દિવસ પહેલાંથી ફિટનેસ માટે તૈયારી કરવાની સલાહ આપે છે.
એડવેનથ્રિલ ત્રણ લેવલના ટ્રેકિંગ પ્રોગ્રામનું આયોજન કરે છે. પ્રથમ વાર આવનાર વ્યક્તિ માટે સાડા ત્રણ હજાર મીટર સુધી કે જેઓ રોજના ચારથી પાંચ કલાક ચાલી શકતા હોય. આવા પાંચેક ટ્રેકિંગ પ્રોગ્રામ કર્યા હોય તેમને સાડા ત્રણ હજાર મીટરથી ઊંચે લઈ જવામાં આવે છે અને પાંચ હજાર મીટરથી જેમણે વધારે તો જેમણે માઉન્ટેનીયરીંગનો કોર્સ કર્યો હોય તેમને જ મંજૂરી આપવામાં આવે છે. ટ્રેકિંગમાં પંદર વ્યક્તિઓનું ગ્રૂપ હોય તો તેમની સાથે ટ્રેક લીડર જેણે માઈન્ટેનીયરીંગનો એડવાન્સ કોર્સ કર્યો હોય, બીજો આસિસ્ટન્ટ ટ્રેક લીડર જેણે બેઝિક કોર્સ કર્યો હોય અને ત્રીજી વ્યક્તિ બચાવમાં નિષ્ણાત હોય તેમને સાથે મોકલે છે. આ ઉપરાંત રસોઈયો, બે મદદનીશ, સામાન ઉપાડનાર વગેરે મળીને કુલ બાર વ્યક્તિને તેમની સાથે મોકલવામાં આવે છે. વિજયસિંહ માટે ટ્રેકિંગ એ એક મિશન છે. તે સૌપ્રથમ ટ્રેકર્સની સલામતીની ચિંતા કરે છે. તે કહે છે કે પર્વતો તો અહીં લાંબો સમય રહેવાના જ છે અને તમે વારંવાર તેની મુલાકાત લઈ શકશો, પરંતુ માનવીની જિંદગીનું તેવું નથી. છેલ્લા આઠ વર્ષમાં લડાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને નેપાળમાં ટ્રેકિંગનું આયોજન કર્યું છે અને દસ કરોડની કમાણી થઈ છે. વિજય સિંહની પ્રાથમિકતા ગુણવત્તા અને સલામતી છે, તેથી વર્ષમાં તેઓ દસથી વીસ ટ્રેકિંગ કાર્યક્રમનું જ આયોજન કરે છે. તેમનું માનવું છે કે ભારતમાં ઘણાં સારાં ટ્રેકિંગનાં સ્થાનો છે. ઈન્ફ્રાક્ટ્રક્ચર અને સલામત બચાવ વ્યવસ્થા વિકસાવવામાં આવે તો વિદેશના ટ્રેકર્સને પણ આકર્ષી શકાય.