હાંફી ગયેલા ઘોડાને સતત દોડાવતો જોકી!
- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- જીવનનું રિપોર્ટકાર્ડ બનાવવાની જરૂર છે. રોજનીશી રાખીએ ને અઠવાડિયાનો સર્વે કરીએ તો ખ્યાલ આવે કે સાવ નાખી દેવા જેવી બાબતો માટે ઘણો સમય વેડફ્યો છે
વ ર્તમાન જીવનની વિડંબના તો જુઓ! એક ઘડીની ફુરસદ નથી કે મરવાનોય સમય નથી તેવું કહેનારા અતિ વ્યસ્ત માનવીઓનો આજે ક્યાં તોટો છે? વ્યસ્તતા એ આજના માનવીને લાગેલો મહાઅભિશાપ છે. આ વ્યસ્તતાને કારણે એનું રોજેરોજનું જીવન સતત ડહોળાયેલું, અકળાયેલું અને અવ્યવસ્થિત રહે છે. સૂરજ ઊગતાની સાથે જ એને માથે ચિંતાનો બોજ સવાર થાય છે અને સૂરજ ડૂબી ગયા પછી રાત્રે પણ એ ચિંતા પલંગમાં કે સ્વપ્નમાં પીછો છોડતી નથી. આ વ્યસ્તતાને કરણે વ્યક્તિનું કુટુંબજીવન કલહગ્રસ્ત બની રહે છે. પોતાનાં જ સંતાનોની જીવનરીત કે માનસસૃષ્ટિથી એ અપરિચિત બની જાય છે. એવી વ્યસ્તતાને વચ્ચે કોઈ નવો પ્રશ્ન આવે કે અણધાર્યો કોઈ નવો મુલાકાતી આવે એટલે એ વ્યસ્તતા એના સ્વભાવમાં ઉગ્રતા લાવે છે.
આજના યુગમાં જેમ વ્યક્તિનો હોદ્દો મોટો, એમ એની વ્યસ્તતા વધારે. એમ પણ કહેવાય કે કંપનીના અધિકારીને કંપની ઘણો મોટો પગાર આપે છે, પણ કંપની એ અધિકારી પાસેથી ત્રણ ગણું કામ લઈને એનું તેલ કાઢે છે. આજના સમયની તો આ તરાહ છે અને એ તરાહમાં વ્યસ્ત માનવી એવો ગુમરાહ બની જાય છે કે એને ક્યાંય શાંતિ મળતી નથી. એની વ્યસ્તતા એવાં માનસિક દબાણો ઊભાં કરે છે કે ધીરે ધીરે એનુ ંમન અકળાયેલું રહે છે અને એનું શરીર રોગગ્રસ્ત બને છે.
વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની નવી નવી શોધોની હરણફાળ ભરાઈ રહી છે, ત્યારે એમ લાગે કે હવે માનવી પાસે એટલો બધો સમય બચવો જોઈએ કે ન પૂછો વાત! કલાકનું કામ થોડી મિનિટમાં થઈ જાય અને થોડી મિનિટનું કામ થોડીક ક્ષણોમાં થઈ જાય એવી જાદુગરી આ શોધોએ કરી છે, પરંતુ આ શોધ જ માનવીની પીઠ પર એવી તો સવાર થઈ જાય છે કે એનો અંત માનવીની વ્યસ્તતા વધારવામાં આવે છે. વૉટ્સએપ વાપરનારો તમને સતત ફરિયાદ કરશે કે આ વૉટ્સએપ મારો ઘણો સમય લે છે. ઢગલાબંધ બિનજરૂરી સંદેશાઓથી એ એવો તો ઘેરાઈ જાય છે કે એને વાંચ્યા વગર છૂટકો હોતો નથી અને જો એ વાંચ્યા વિના ડિલીટ કરે તો મહત્ત્વનો સંદેશો ચૂકી જવાનો ભય રહે છે. આજના માનવીનું આયુષ્ય લંબાય છે, પણ એની સાથોસાથ સોશિયલ મીડિયાની વ્યસ્તતા એને વધુ ને વધુ ઘેરી વળે છે. વ્યસ્તતાની વ્યસ્તા ક્યારેક એને સામાજિક કે માનસિક સમસ્યા ઉકેલવા માટે સમય, નિરાંત કે મોકળાશ આપતી નથી અને પરિણામે એ વ્યક્તિને આત્મહત્યા કરવા સુધી દોરી જાય છે.
ઘોડદોડમાં ઘોડો હાંફી જાય, છતાં જોકી એને સતત ચાબૂક મારીને દોડાવ્યે જાય, એ જ રીતે વ્યસ્ત માણસનું મન અને શરીર થાકી ગયું હોય. તોપણ એ માનવી પોતાના મન અને તનને દોડાવ્યે જ જાય છે.
એક સમયે આપણે ઘરના આંગણામાં ખાટલા પર બેસીને પરિાવાર સાથે ટોળટપ્પાં લગાવતા હતા કે પછી ગામના ચોરે બેસીને થોડી હળવાશભરી વાતો થતી હતી. નગરજીવનમાં પણ નિરાંતનો અનુભવ થતો હતો, પરંતુ આજે વ્યસ્તતા એટલી બધી છે કે સમયની કોઈ મોકળાશ માનવી પાસે નથી. રાક્ષસના રક્તબીજ જેવી એની પરિસ્થિતિ છે. રક્તબીજના લોહીનું એક ટીપું જમીન પર પડે એટલે બીજો રક્તબીજ તૈયાર થઈ જતો. આમ એક પછી એક અનેક કામોનો બોજ માનવી પર એટલો બધો આવતો હોય છે કે એ વ્યસ્તાની ભુલભુલામણીમાંથી બહાર નીકળી શકતો નથી.
કેટલાક સમયને નિષ્ઠુર, નિર્દયી સરમુખત્યાર તરીકે ઓળખાવે છે, જે વ્યક્તિને સહેજે પલાંઠી વાળીને બેસવા દેતો નથી. કેટલીક વ્યક્તિઓ એવી ફરિયાદ કરતી હોય છે કે તેઓ એટલાં બધાં કામમાં ગૂંથાયેલી હોય છે કે રાત-દિવસ મહેનત કરવા છતાં એમના કામને પહોંચી વળતી નથી. જો તમે કામના બોજ હેઠળ દબાઈ ગયા હો, તો તમારે એ પ્રત્યેક કામનો વિચાર કરવો જોઈએ અને તે દરેક કામમાંથી શું પ્રાપ્ત થાય છે તેનું ચિંતન કરવું જોઈએ જો આવું ચિંતન કરવામાં આવે તો ખ્યાલ આવશે કે વ્યક્તિની મોટા ભાગની પ્રવૃત્તિઓ વ્યર્થ હોય છે. એ બિનજરૂરી પ્રવૃત્તિઓનો પ્રારંભ કરીને એક પછી એક બિનઆવશ્યક પ્રવૃત્તિને નિમંત્રણ આપતી જાય છે અને એ રીતે અનાવશ્યક પ્રવૃત્તિઓની પરંપરા એના જીવનને ઘેરી લે છે.
વ્યસ્તતામાંથી મુક્ત થવા માટેની પહેલી વાત એ છે કે તમારે તમારા પોતાના માટે સમય કાઢવો જોઈએ. કુટુંબ, સમાજ, વ્યવસાય કે અન્ય બાહ્ય પ્રવૃત્તિઓમાં સતત ડૂબેલી રહેતી વ્યક્તિ પોતાને માટે સમય કાઢી શકતી નથી. આવી વ્યક્તિએ પોતાની અર્થ પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવું જોઈએ. પોતાને માટે એકાંત શોધવું જોઈએ. જગતથી જાતને વિખૂટી પાડવી જોઈએ. તમે જ કહો કે તમે છેલ્લે આ બોલકણી દુનિયાની વચ્ચે રહીને ક્યારે મૌનનું પાલન કર્યું? ક્યારે પ્રકૃતિની ગોદમાં બેસીને જીવનની આશાયેશ મેળવી? ક્યારેય પોતાની આત્મશક્તિનો વિચાર કર્યો ખરો? જવાબ મળશે કે આવો સમય છે જ કોની પાસે? સાઈકલ ઢસડીને લઈ જનારને પૂછો તો કહેશે કે આમ ઢસડવી જ પડે ને, કારણ કે સાઈકલ પર બેસવાનો સમય જ ક્યાં છે મારી પાસે? ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું હોય તો કહેશે કે પેટ્રોલ ભરાવવાનો કોને સમય છે? આવા અવ્યવસ્થિત જીવન જીવનારને વ્યસ્તતા વધુ ને વધુ વળગતી રહે છે.
વ્યસ્તતા નિવારણ માટેનું આયોજન કઈ રીતે થઈ શકે એનો વિચાર કર્યો ખરો? અબ્રાહમ લિંકન કે મહાત્મા ગાંધીજીએ ક્યાં ઓછાં કાર્યો કર્યાં છે, પણ વ્યસ્તતાએ ક્યારેય એમને વિક્ષુબ્ધ કર્યા નથી. દરેક વ્યક્તિના જીવનમાં કેટલોક કચરો જામી ગયો હોય છે. એ કચરો છે કશાય મહત્ત્વ વગરની વાતોમાં, ટોળટપ્પાંમાં કે ગપ્પાબાજીમાં રસ લેવો. કોઈ રચનાત્મક પ્રવૃત્તિને બદલે નકારાત્મક વિચારોમાં ડૂબેલા રહેવું. કોઈ કાર્ય કે કાર્યક્રમ પાછળ ગમે તેટલો સમય જતો હોય, તો તેને વિશે બેફિકર રહેવું. મોબાઈલની પાછળ કલાકોના કલાકો ગાળવા. આ બધી બાબતો અંતે વ્યસ્તતા વધારનારી છે.
તો આ વ્યસ્તતાને દૂર કઈ રીતે કરી શકાય? આપણા રોજિંદા જીવનનું એક નિશ્ચિત સમયપત્રક બનાવવું જોઈએ. એ સમયપત્રક પ્રમાણે જીવનકાર્યનું આયોજન કરવું જોઈએ. જેઓ સવારે ઊઠીને શું કરવું એનો વિચાર કરે છે, તે આખા દિવસમાં કશું કરી શકતા નથી.
આલ્બર્ટ આઈન્સ્ટાઈનને મળવા માટે એક યુવાને સમય માંગ્યો. એણે કહ્યું કે, 'મારે કોઈ પણ દિવસે પ્રાત:કાળે અડધો કલાક આપની સાથે વાતચીત કરવી છે, તો આપનો સમય આપશો.'
આલ્બર્ટ આઈન્સ્ટાઈને સમય આપ્યો. પણ સાથે કહ્યું કે, 'હું રોજ સાંજે બ્રિજના છેડે ફરવા આવું છું. ત્યાં તમે બરાબર સાંજના પાંચ વાગે મળજો. આપણે સાથે ચાલીશું અને નિરાંતે વાત કરીશું.'
યુવાન આતુરતાપૂર્વક સાંજના પાંચ વાગે બ્રિજના છેડે હાજર ગઈ ગયો અને સામે બરાબર પાંચના ટકોરે આઈનસ્ટાઈન દેખાયા. એમણે ચાલતાં ચાલતાં અડધો કલાક સુધી એની સાથે વાત કરી. યુવકે એમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું, પણ સાથે એક પ્રશ્ન પણ કર્યો કે, 'સવારે આપે મને અડધો કલાક આપવાની ના પાડી, પણ સાંજે તો આપે જ અડધો કલાક આપ્યો. આપનો સમય તો એટલો જ ગયો, તો પછી મને સવારે કેમ ના પાડી?'
આઈન્સ્ટાઈને હસતાં હસતાં કહ્યું, 'દોસ્ત! હું દિવસની કામગીરીનું સમયપત્રક રાખું છું અને અગાઉના દિવસે રાત્રે હું મારા પછીના દિવસના કામનું આયોજન કરું છું. કયું કામ ક્યારે કરવું, તેને માટે જુદો જુદો સમય નક્કી કરું છું. જો સવારે મેં તને સમય આપ્યો હોત તો મારું નિયત સમયપત્રક ખોરવાઈ જાત અને પરિણામે મારા દિવસભરનાં જુદાં જુદાં કામો પર અસર થાત - એમાં વિલંબ થાત. આથી જ મેં તને સાંજનો મારો આ ફરવાનો સમય આપ્યો.'
આ રીતે આપણા જીવનનું રિપોર્ટકાર્ડ બનાવવાની જરૂર છે. રોજનીશી રાખીએ ને અઠવાડિયાનો સર્વે કરીએ તો ખ્યાલ આવે કે સાવ નાખી દેવા જેવી બાબતો માટે ઘણો સમય વેડફ્યો છે. એટલે વ્યક્તિને તરત પહેલો વિચાર એ કરવો જોઈએ કે મારા જીવનની પ્રાથમિકતા શી છે? એ માટેનો માપદંડ શું છે? આ કાર્ય કે વિચાર યોગ્ય છે કે ત્યાજ્ય છે? એ નક્કી કરવા માટેનું મારું મૂલ્યાંકન શું છે? આ તમારું પોતાનું મૂલ્યાંકન મેળવવા માટે તમારે કોઈ માર્ગદર્શક ગુરુ કે મહાન ધર્મગ્રંથ પાસે જવાની જરૂર નથી. તમારી સ્વયંની મૂલ્યાંકન પદ્વતિ એ જ એનો સાચો રસ્તો છે.
મનઝરૂખો
૨૦૦૮માં એકાએક મંદીનો સપાટો આવતાં કામયાબ વેપારી માઈકલ વોડ્રેલના જીવનમાં આર્થિક તબાહી મચી ગઈ. વિશાળ ઘર, આલીશાન ઓફિસ, મોંઘીદાટ મોટર અને ધનવૈભવ સાથે મોજથી જીવતા માઈકલ વોડ્રેલની એવી તો અવદશા થઈ કે ઘર વેચવું પડયું, ઓફિસ છોડવી પડી અને સાવ બેકાર થઈ ગયા. એમણે બોસ્ટનની વેન્ટવર્થ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાંથી એરોનોટિકલ ટેક્નોલોજી ડિગ્રી લીધી હતી, પણ પછી એ દિશામાં આગળ વધવાને બદલે એમણે વ્યવસાય શરૂ કરી દીધો. એમાં બેહાલી આવી એટલે ફરી પેલી ડિગ્રી યાદ આવી. એના સહારે નોકરી મેળવવાના પ્રયત્નો કર્યા, પણ કોઈ સારી નોકરી મળી નહીં.
હવે કરવું શું ? છેલ્લા ઉપાય તરીકે એમણે જે કોઈ નોકરી મળે તે સ્વીકારી લેવાનું નક્કી કર્યું અને સફાઈ કામદાર તરીકેનું કામ સ્વીકાર્યું. વોર્સેસ્ટર પોલિટેક્નિક ઈન્સ્ટિટયૂટના રાતના સફાઈ કર્મચારી તરીકે નોકરીની રકમમાંથી માઈકલ વોડ્રેલ માંડ માંડ ઘર ચલાવતા હતા, પણ સહેજે હિંમત હાર્યા નહીં. વિચાર કર્યો કે નોકરી રાતની છે, દિવસના સમયે અભ્યાસ કરું, આગળ પ્રગતિ કરું અને એણે એ જ ઈન્સ્ટિટયૂટમાં એન્જિનીયરિંગના વધુ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો. રાત્રે ઈન્સ્ટિટયૂટમાં સફાઈ કામ અને દિવસે અભ્યાસ.
પચાસ વર્ષના આ વિદ્યાર્થીને જોઈને સાથી વિદ્યાર્થીઓને આશ્ચર્ય થતું, પણ માઈકલ વોડ્રેલનું ધ્યાન અભ્યાસમાં હતુ ંઅને ૨૦૧૬માં ઊંચા ગ્રેડ સાથે એ એન્જિનિયરિંગમાં ઉત્તીર્ણ થયો. માઈકલ વોડ્રેલની મુશ્કેલીઓ સામેની મક્કમતા પર મીડિયા વારી ગઈ. ટેલિવિઝન ચૅનલોમાં એની મુલાકાત આવવા લાગી અને અમેરિકાની 'પ્રેટ એન્ડ વ્હિટની' નામની એરોસ્પેસ કંપનીએ માઈકલને ઊંચા પગારે નોકરીએ રાખી લીધો.
પોતાના જીવનમાં અનેક લીલી-સૂકી જોનારા માઈકલે એટલું જ કહ્યું, 'મારી જાત પર ભરોસો રાખીને મેં સફળતા હાંસલ કરી છે. તમે જીવનમાં બધું જ ગુમાવી બેઠા હો, તેમ છતાં આત્મવિશ્વાસ કદી ગુમાવશો નહીં. હું રોજ રાત્રે એવો વિચાર કરતો કે આજનો દિવસ તો પસાર થયો, પણ આવતીકાલનો દિવસ આનાથી વધુ ઊજળો બનાવવા કોશિશ કરવી છે.'