Get The App

ચાલો ચલ અને ચાલ ક્રિયા વિશે જાણીએ

Updated: May 24th, 2025

GS TEAM

Google News
Google News
ચાલો ચલ અને ચાલ ક્રિયા વિશે જાણીએ 1 - image


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- જે વહાણ ચાલી શકે તે જ સાચું, બાકી અધવચ્ચે અટકી પડે તો તે પત્થર કહેવાય

'ચા લવું' શબ્દના મૂળમાં 'ચલ' ધાતુ છે. તેમાંથી બનેલો 'ચાલ' ગુજ.શબ્દ પણ કેવા કેવા અર્થો ધરાવે છે? ચાલવાની ગતિને પણ 'ચાલ' કહેવાય. ફલાણાભાઈની ચાલ ઝડપી છે. એમ કહીએ ત્યારે ગતિનો નિર્દેશ છે. 'ફલાણાભાઈની ચાલ સારી નથી' એમ કહીએ ત્યારે ચાલવાની રીત અને વર્તણૂક એવા બંને અર્થો તેમાં સમાવિષ્ટ છે. ચાલનો સામાન્ય અર્થ 'હીંડછા' થાય છે. તેના ઉપરથી 'ચાલવું' શબ્દ ક્રિયાવાચક બન્યો. ક્રિયાવાન બનનારી કે થનારી બધી ક્રિયાઓ માટે 'ચાલ' શબ્દ ખપમાં લાગે છે. 'બસ ચાલુ થઈ'. 'મશીન ચાલું થયું.' 'સિનેમા ચાલુ થઈ.' વરસાદ ચાલુ થયો, ભાષણ ચાલું થયું. 'કૂતરાએ ભસવાનું ચાલું કર્યું.' બાળકે રડવાનું ચાલું કર્યું. પાંચસો રૂપિયાની જૂની નોટ હવે ચાલતી નથી. આ સિક્કો ચાલે છે. જેવા પ્રયોગોમાં 'ચાલ' શબ્દનો અર્થ ક્રિયાવાન છે એમ સમજાય છે. વળી 'આખું વરસ બે બોરી ઘઊં ચાલશે', 'એક લિટર દૂધમાં મારે ચાલી જશે' એમાં પણ 'ચાલ' શબ્દ જ છે. 'પાકિસ્તાનની હરકતો ભારત ચલાવી નહિ લે.' એમાંય 'ચાલ' શબ્દ ઉપરથી 'ચલાવ' પ્રેરકરૂપ બન્યું છે. 

સામાન્ય રીતે 'ચાલવું' શબ્દ ચરણ સાથે સંયોજાયો હોય તેવું પ્રતીત થાય છે. 'ચરણનાં ચાલવાં જુદાં' જેવી ઉક્તિ વ્યંજનામય છે. બાળક એકાદ વર્ષનું થાય ત્યારે બે પગે ચાલતું થાય છે તે પૂર્વે ઘૂંટણિયે, પેટે ચાલે છે. બાળકને ચાલતાં શીખવવાની તાલીમ આપવા માટે 'ચાલણ ગાડી'નો ઉપયોગ થતો હોય છે. શેઢા ઉપર ચાલવાનો અને ફૂટપાથ ઉપર ચાલવાનો અનુભવ જુદો જુદો હોય છે. તળિયાની રેતમાં ચાલવું, રણમાં ચાલવું ભીની માટીમાં ચાલવું, દરિયા કિનારે ચાલવું... અડવાણે પગે ચાલવાનો અનુભવ, પગરખાંથી ચાલવાના અનુભવથી તદ્દન જુદો છે. આ પ્રકારે ચાલવાની ક્રિયામાં ચરણ ચાલે છે પણ એવી રીતે વ્યંજનામૂલક અત્યારે આપનો વખત ચાલે છે શ્વાસ (જીવન) ચાલે છે જેવા પ્રયોગો પણ થતાં હોય છે. તો 'તલવારની ધાર પર ચાલવું' કહીને સાવધાની રાખવાનો સંકેત કરીએ છીએ 'ચાલબાજી' જેવા શબ્દપ્રયોગ દ્વારા છળકપટનો અર્થ પણ સમજીએ છીએ. શતરંજની રમતમાં બધી જ કૂકડીઓ ચાલતી જ હોય છે. 'સસલાની ચાલ' અને 'કાચબાની ચાલ' બંનેની ગતિમાં જે તફાવત છે તેનો નિર્દેશ થાય છે. પ્રાણીઓ પણ ચાલતાં હોય છે. દરેકની ચાલ પણ અલગ અલગ હોય છે. 'કૌંઆ ચલે હંસ કી ચાલ' કહેવત પણ છે. પ્રાણીઓની ચાલ માણસની ચાલ ઉપરથી કળી લેનારા, ઓળખી લેનારા લોકો પણ હોય છે. બાળક માટેના રમકડાની ગાડી લીમ્પણમાં ના ચાલે પણ ટાઈલ્સમાં ઝડપથી ચાલે. 'ચાલક' શબ્દ પણ 'ચાલ'માંથી આવે છે. નવો ચીલો પાડનાર, નવી કેડી કંડારનાર ચાલક કે પ્રવર્તક હોય છે. તે રીતે નર્મદ યુગચાલક ગણાયો. સંતો ધર્મચાલકો ગણાય છે. 'ચાલ' માત્ર પગને જ કેન્દ્રમાં રાખીને ભાષક બોલતો નથી તેમાં વર્તણૂકનો અને વર્તમાનનો પણ સમાવેશ છે. 'દુશ્મન ચાલ રમે તો ચેતો' ઉનાળો પૂર્ણ થવા આવે ત્યારે એમ કહીએ 'ઉનાળો ચાલ્યો' કોઈ જતું રહે ત્યારે 'ચાલતી પકડી' જેવો પ્રયોગ પણ કરીએ છીએ. 'પાઘડીપને બાંધેલી નાની નાની ઓઢડીઓને 'ચાલી' કહીએ છીએ. નોકરી, ભાડાની આવક, ખેતીની ઉઘડતી આવક વગેરેને 'ચાલતું ધન' કહેવામાં આવે છે.' ભૂતકાળના દિવસો ચાલ્યા ગયા કહીએ છીએ. નાના બાળકો ચંદ્રમાની સામે જોઈ એ સાથે સાથે ચાલે છે - એવું કહેતાં સાંભળ્યા છે. પંખો, નળ, ઘડિયાળ, ઓફિસ, શાળા, શ્વાસ, એ.સી., લડાઈ જેવા શબ્દોની સાથે 'ચાલું' ક્રિયા આવે છે ત્યારે દરેકનો અર્થ જુદો છે.

ડોક્ટરો ચાલવાના ફાયદા અંગે પણ જણાવતા હોય છે. અભ્યાસક્રમ ચાલે છે. સમાસનું પ્રકરણ ચાલે છે. હમણાં તો કવિતા ચાલે છે. આપણને કોઈ સામે મળે ત્યારે કે ફોન ઉપર વાત કરતા હોઈએ ત્યારે 'ભૈ, શું ચાલે છે?' એવું પૂછતા હોઈએ છીએ, ત્યારે સામેનો માણસ શું સમજતો હશે? એ વાતો પૂરી થઈ ના હોય ત્યાં પાછા પૂછીએ કે 'બીજું શું ચાલે છે?' આ 'બીજું શું ચાલે છે?' એવું બધાં જ સૂચક રીતે બધાંને પૂછે છે - રોજબરોજનું કામ તો તમે કરો જ છો પણ આત્માની ઉન્નતિ માટે બીજું અંદર શું ચાલે છે? એ અંગેની જાણકારી મેળવવા કદાચ એવો પ્રશ્ન આપણે બધા કરતા તો નહિ હોઈએ ને? સિત્તેરમું વર્ષ ચાલે છે કહીએ ત્યારે ઉંમર, ભણતો છોકરો કહે મારે આઠમું ચાલે છે ત્યારે ધોરણનો અર્થ થાય છે.

'ચાલ' શબ્દને કેન્દ્રમાં રાખી આપણે ત્યાં કહેવતો પણ છે. 'ચાલતા બળદને આર ના ઘોંચો' જે શિસ્તબદ્ધ, નિયમપૂર્વક, નિષ્ઠાથી કામ કરતો હોય તેને પજવણી ના કરવી જોઈએ. 'ચાલતી ગાડીમાં બેસવું' કેટલાક માણસો આવી કહેવત દ્વારા પોતાને કોઈ સિદ્ધાંત નહિ, પણ જે પ્રમાણે પ્રવાહ હોય તેમાં વહી જવાનું જ વધારે પસંદ કરતા હોય છે. 'ચાલતી રોજી ઉપર લાત ન મરાય' જેવી કહેવતમાં રોજી-નોકરીને કારણ વગર છોડાય નહિ. 'ચાલતાં ચાંપા અને બોલતાં આંબા' ચાલતાં પણ દુ:ખે અને બોલતાં મોંઢુ દુ:ખે તેવો અર્થ થાય છે. 'ચાલે તો વ્હાણ, પડે તો પ્હાણ' જે વહાણ ચાલી શકે તે જ સાચું બાકી અધવચ્ચે અટકી પડે તો તે પત્થર કહેવાય. નિરંજન ભગતે મનને ચલાવી કહ્યું - 'ચલ મન મુંબઈ નગરી! જોવા. પુચ્છ વિનાની મગરી.'

Tags :