Get The App

હાસ્ય અને વ્યંગ .

Updated: Mar 23rd, 2024

GS TEAM


Google News
Google News
હાસ્ય અને વ્યંગ                                                . 1 - image


- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

- 'ભૂખ્યા કૂતરાને તમે રોટી ખવડાવો તો એ તમને નહિ કરડે. મનુષ્ય અને કૂતરામાં આ જ મહત્ત્વનો ફરક છે.'

હિં દી વ્યંગલેખક હરિશંકર પરસાઈનું જન્મશતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે વ્યંગ-સાહિત્ય વિશેના એમના વિચારો જોઈએ. પરસાઈ કહે છે કે હિંદી વિવેચકોને વ્યંગની સમીક્ષા કરવાનું ફાવ્યું નથી. 'મજ્જો આવી ગયો' કે 'ધમ્માલ કરાવી' થી વિશેષ એમને કશું કહેવાનું હોતું નથી. હાસ્ય અને વ્યંગ વચ્ચેનો ભેદ પણ એમને સમજાતો નથી.

માણસ હસે છે શું કામ? કેટલાંક કહે છે કે માણસ હસે ત્યારે એના મનમાં મેલ હોતો નથી. વળી માણસ સુખચેનમાં હોય ત્યારે જ હસી શકે છે. સુખચેન વગર હસતા માણસનું હાસ્ય ખિન્ન હોય છે, જેમ કે અંતિમ વર્ષોમાં પંડિત નહેરુનું હાસ્ય. પ્રત્યેક સમાજે અમુક સમાન ધોરણો સ્વીકાર્યાં હોય છે, તેમાં ગડબડ થાય તો હાસ્ય પ્રકટી શકે. નાક આશરે કેટલું મોટું હોય તેની ધારણા બંધાયેલી હોય છે. કોઈનું નાક ખૂબ મોટું હોય તો લોકો કહેવાનાં- નાક કે બટાટાવડું? અને હસી પડવાનાં. સાઇકલ પર એક માણસ બેસે, બહુ બહુ તો બે. પરંતુ ત્રણ સવાર હોય અને ગબડી પડે, તો દર્શકો હસીને કહેવાનાં, 'ઠીક થયું પડયા, સાલા!'

લોકો તો કોઈ પણ વાત પર હસે. દિવાળીમાં કૂતરાની પૂંછડી સાથે તડતડિયાંની લૂમ બાંધીને પેટાવી દે. કૂતરો મરવાના ભયથી ભાગે અને લોકો હસે. જ્યારે વ્યંગ માટે હાસ્ય જરૂરી નથી. માર્ક ટ્વેને લખ્યું, 'ભૂખ્યા કૂતરાને તમે રોટી ખવડાવો તો એ તમને નહિ કરડે. મનુષ્ય અને કૂતરામાં આ જ મહત્ત્વનો ફરક છે.' આ વાંચીને આપણે હસતાં નથી, ઘા ખાઈ જઈએ છીએ. પરસાઈની લઘુકથા છેઃ સંસદમાં સદસ્યે પ્રશ્ન કર્યો, 'અમુક સ્થળે પોલીસ ગોળીબારમાં ૧૧ લોકો ઠાર થયા. ગૃહપ્રધાન ખુલાસો દે!' ગૃહપ્રધાન ઠંડા પેટે બોલ્યા, 'કારતૂસોનું કારખાનું જનતાના પૈસે ચાલે છે. જનતાના પૈસે બનતો માલ જનતાને જ કામ આવવો જોઈએ.' અહીં (વાચકને ખળભળાવી મૂકે તેવું) હાસ્ય પ્રકટે છે, જે વ્યંગનું લક્ષણ છે.

સાચો વ્યંગકાર માત્ર ઉપરછલ્લી વિસંગતિઓ (શારીરિક ખોડ, વાતચીતના લહેકા વિ.)થી હાસ્ય ઉત્પન્ન ન કરે, પરંતુ વ્યક્તિ અને સમાજના ભીતરમાં રહેલી વિસંગતિઓ ઉઘાડી પાડે, જીવનની સમીક્ષા કરે. સારો વ્યંગકાર માણસને અપમાનિત ન કરે, પણ મિથ્યાચાર અને અન્યાય સામે લડવા પ્રેરે. અમુક વિવેચકોનો આક્ષેપ છે કે વ્યંગકાર કેવળ દોષદર્શન કરે છે. પરસાઈનો જવાબ છે, 'ડોક્ટર દર્દીના રોગ ન બતાવે તો બીજું કરે શું? તે મીઠું મીઠું જ બોલે, તો દર્દી મરી જાય.' સારા વ્યંગમાં કરુણાની અંતર્ધારા હોય એમ જણાવી પરસાઈ ચેખોવની 'કારકૂનનું મૃત્યુ' વાર્તાનો દાખલો આપે છેઃ નાટકનો ખેલ જોવા એક કારકૂનની આગળ તેનો બોસ બેઠેલો. કારકૂનને છીંક આવતાં છાંટા બોસની ટાલ પર પડયા. મધ્યાંતરમાં કારકૂને બોસની લળી લળીને માફી માગી. વાસ્તવમાં બોસ પર કોઈ છાંટો ઊડયો જ નહોતો. તેને સમજાયું નહિ કે શેની માફી મગાઈ રહી છે, તેણે કારકૂનને અવગણ્યો. કારકૂનને ફડક પેઠી કે માફી મળી નથી. તેણે નાટક પૂરું થયા પછી ફરી માફી માગવા માંડી. ફરી તેને ધુત્કારાયો. વળતે દિવસે ઓફિસમાં પણ કારકૂન ક્ષમા માગવા લાગ્યો. આમ ચાલતું રહ્યું. કંટાળીને બોસે ચપરાસી વડે તેને બહાર કઢાવ્યો. કારકૂને ધાર્યું કે નોકરી ગઈ. હવે બાળબચ્ચાંને કેમ ઉછેરવાં, એની ધાસ્તીમાં હૃદય બંધ પડી ગયું. ટાલ પર છીંકના છાંટા ઊડવાની હળવી શી વાતથી શરૂ કરીને ચેખોવ કેવો કરુણગર્ભ વ્યંગ કરે છે! બોસે માફી શેને માટે મગાઈ રહી છે એટલું પૂછયું હોત, તો કારકૂનનો જીવ ન જાત. સત્તાનો ઘમંડ કેવો અમાનવીય વ્યવહાર કરાવે છે!

પરસાઈએ ન ટાંકેલાં વ્યંગનાં અન્ય ઉદાહરણો જોઈએ. સર્વેન્ટિસની 'ડોન કિહોટે' સ્પેનિશ ભાષાની મહાનવલ છે. ભાલો લઈ, અશ્વે ચડી, સાહસની શોધમાં નીકળી પડેલા 'નાઇટ'ની વાર્તા વડે, મધ્યકાળમાં લખાતી રોમાન્ટિક નવલકથાઓ ઉપર સર્વાન્ટિસે કટાક્ષ કર્યો છે. આ કૃતિની અસરમાં રમણભાઈ નીલકંઠે અમર વ્યંગનવલ 'ભદ્રંભદ્ર' રચીને રૂઢિવાદી સમાજ પર હસી લીધું છે. જોનાથાન સ્વિફ્ટે 'ગુલિવર્સ ટ્રાવેલ્સ'માં તત્કાલીન સમાજ પર વિવિધ વ્યંગ કસ્યા હતા. જેમ કે ઇંડાને કઈ બાજુથી ફોડવું તેનો વિવાદ. પહોળી બાજુથી ફોડતાં રાજકુમારની આંગળીએ ઇજા થઈ. રાજાજ્ઞા થઈ કે સૌએ ઇંડાં સાંકડી બાજુથી જ ફોડવાં. આની વિરુદ્ધ પ્રજાએ બળવો કર્યો, જે દાબવા જતાં એક રાજાએ રાજ ખોયું અને બીજાએ જાન ખોયો. ઇંડું ફોડવા જેવી તુચ્છ બાબતમાં આવી હિંસા થાય તે હાસ્યપ્રેરક છે. પરંતુ લેખકનો સંકેત કંઈ બીજો છે. ઇંગ્લેંડમાં પ્રોટેસ્ટન્ટ અને કેથલિક સંપ્રદાયો વચ્ચે ચાલેલા વિગ્રહમાં એક રાજાનાં રાજપાટ ગયેલાં અને બીજાનાં પ્રાણ. સાંપ્રદાયિક તુતુ-મૈંમૈંનું મહત્ત્વ ઇંડા ફોડવાથી વધુ નથી એવો વ્યંગ લેખકે કર્યો છે. 'હકલબેરી ફિનનાં સાહસો'ની કિશોરકથા વડે માર્ક ટ્વેને અમેરિકાના જાતિવાદ પર કટાક્ષ કર્યો છે. જ્યોર્જ ઓરવેલની 'એનિમલ ફાર્મ' એક પ્રાણીકથા છે. મિસ્ટર જોન્સના અત્યાચારોથી ત્રાસેલાં પ્રાણીઓ ક્રાંતિ કરીને તેને નસાડી મૂકે છે. 'સર્વ પ્રાણીઓ સમાન'ના સૂત્ર સાથે સ્થપાયેલી સહિયારી વ્યવસ્થા ક્રમશઃ ભાંગતી જાય છે. અંતે ડુક્કરો અન્ય પ્રાણીઓને પોતાના સેવક બનાવી દે છે. ૧૯૧૭ની રશિયન સામ્યવાદી ક્રાંતિ અને તેના સરમુખત્યારશાહીમાં થતા પરિવર્તન પર લેખકે કારમો વ્યંગ કર્યો છે, જે વાંચીને આપણે હસી શકતા નથી પણ ઉદાસ થઈ જઈએ છીએ.

Tags :