- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- કોઈ આંટીઘૂટી વિનાની, મુખપરંપરાગત સચવાયેલી કહેવતોમાં પરંપરાએ ડહાપણ સાચવ્યું છે. એ શાણપણ પ્રજાની મૂડી છે, એને લોકોક્તિ પણ કહેવામાં આવે છે
ક હેવત લોકવાઙમયનું સંક્ષિપ્ત રૂપ છે. તે પદ્ય અને ગદ્ય બંને સ્વરૂપોમાં જોવા મળે છે. તળપદી ભાષામાં તળપદા સંસ્કાર એમાં પ્રતિબિંબિત થાય છે. તે પેઢી દર પેઢી મુખપરંપરાથી પ્રજાના ડહાપણમાંથી ઊતરી આવે છે, એનોય સર્જક હોય ખરો પણ એમાં સર્જકની સર્જકતાની કે વ્યક્તિતાનાં, વ્યક્તિમત્તાનાં લક્ષણો ભૂંસાઈ ગયાં હોઈ એ સમાજની માલિકીની ગણાય છે. નૈસર્ગિકતાની એમાંથી સુવાસ આવે છે. સહેજે યાદ રહી જાય તેવા સમજાય એવા શબ્દોની રચાયેલી હોય છે. એનો પ્રમુખ ગુણ લાઘવ છે. જે-તે સમાજના પ્રાણના ધબકારવાળી, નિર્દભ, સરળ અને ભાવપૂર્ણ હોય છે. એ નિરલંકૃત હોય છે - સાદી બોધાત્મક હોય છે. તેનો એક જ પાઠ હોય છે. કોઈ આંટીઘૂટી વિનાની, મુખપરંપરાગત સચવાયેલી કહેવતોમાં પરંપરાએ ડહાપણ સાચવ્યું છે. એ શાણપણ પ્રજાની મૂડી છે, એને લોકોક્તિ પણ કહેવામાં આવે છે. એ લખાઈ તે પહેલાં માત્ર બોલાતી જ હતી. કહેવતના જન્મનો સમય નક્કી નથી. કહેવતને જન્મ આપનારનું નામ પણ કોઈ જાણતું નથી. એ અમરવેલની જેમ કંઠોપકંઠ જીવે છે. તેમાં લોકજીવનનું વાસ્તવિક પ્રતિબિંબ જોવા મળે છે. કહેવતો ગદ્યમાં જ હોય એવું નથી, ક્યારેક તો સુભાષિતરૂપે પદ્યમાં પણ હોઈ શકે. તીક્ષ્ણતા, વેધકતા, લાઘવ, ચમત્કૃતિ, અસરકારકતા અને લોકપ્રિયતા એના ગુણવિશેષો ગણાવી શકાય. લોકજીવનનું વાસ્તવિક પ્રતિબિંબ તેમાં પડેલું જોઈ શકાતું હોય છે. ગુજરાતી કહેવતોમાં વરસાદને ક્યાં અને કેવું સ્થાન મળ્યું છે તે આપણે જોઈએ.
૧. વરસાદને અને વહુને જશ નહિ - બંનેને સમાજ અપયશ વધારે આપે. વરસાદ વધુ પડે ત્હોય ના ગમે - ઓછો પડે ત્હોય ના ગમે. વહુ સારું કરે ત્હોય ન ગમે અને ખોટું કરે ત્હોય ના ગમે.
૨. વરસાદ વરસે ત્યારે વાડમાં વરસે ને ના વરસે ત્યારે ખેતરમાં છાંટોય નહિ. વાડમાં વરસાદની જરૂર નથી ત્યાં વરસે એનો શો અર્થ ?
૩. વરસાજી વરસ રે હાથિયા કણબણને બારણે સાથિયા હસ્તિ નક્ષત્રમાં વરસાદ પડે તો શુકનિયાળ ગણાય. કણબી તેને વધાવે છે.
૪. 'વરસાદના ભીંજાયેલા સારા, પણ સૂકવેલા માઠા' સૂકી ઋતુ કરતાં ભીંજાઈ જવાય એવી લીલી વૃષ્ટિનો સમય સારો.
૫. વરસાદ વરસ્યો વ્યાસ કહે, વરસ્યા પછી જોષી કહે ને આરપાર પાણી વહે ત્યારે ડોશી કહે - વરસાદ વિશે કોણ શું કહે છે તે આ કહેવતમાં પ્રતિબિંબિત થાય છે.
૬. વરસાદજી વરસો રે મારા ભાઈના ખેત !
ને અચ્છેરા પાશેરાથી ભર્યાં મારાં પેટ !
ઓ વર્ષાદેવ ! અમે માંડ માંડ ધાન ભાળ્યું છે. હવે એવું વરસો કે અમારી કાયમી ભૂખ ભાંગે.
૭. વરસાદના લપસ્યા ને રાજાના દંડયા એની શરમ નહિ - વરસાદમાં લપસી પડાય અને રાજદંડથી હેરાન થવાય એમાં શરમ ના હોય.
૮. વરસાદનું પાણી પગધોવાણમાં જાય - વરસાદનું પાણી એટલું બધું પડે કે પગ પલળતા જ રહે.
૯. વરસાદ વરસે તો વાડમાંય વરસે.
વરસાદ બધી જગ્યાએ પડે.
૧૦. વીજળી થઈ ઈશાની રૂપિયાની કોથળી વિસરાણી દીકરાએ સંકેતથી બાપને જણાવી દીધું કે ઈશાન તરફથી વીજળીઓ થાય છે એટલે વરસાદ થશે એટલે સોદો રદ કરી દઈએ અને કહી દઈએ કે પૈસા ઘરે ભૂલી ગયા છીએ પછીથી મોકલશું.
૧૧. ભસતાં કૂતરાં કરડે નહિ ને ગાજ્યા મેહ વરસે નહિ, વાદળ ગાજે તો વરસાદ ના પડે, કૂતરાં ભસે એ ના કરડે.
૧૨. મેહ અને મહેમાન કેટલા દિવસ ?
વરસાદ અને અતિથિ બહુ દહાડા ના રોકાય.
૧૩. મેઘજીભાઈ વરસ્યા પણ વાડમાં વરસ્યા. બિનજરૂરી મહેનત કરી.
૧૪. મેઘલો વરસે ને સરોવર ભરે, ને કદી નહિ માંગુ દાન ને એકવાર જો માગું દાન તો કદી નહિ જીવે જેહાન વરસાદ પડે અને સરોવર છલકાય તો ખુશ થવાનું પણ દાન નહિ માગવાનું, દાન માગવાથી જગત ના જીવે
૧૫. મેહ રહે પણ માંડવો રહે નહિ - વરસાદ અટકે પણ લગ્ન મુહૂર્ત પ્રમાણે કરવાં જ પડે.
આમ અનેક કહેવતો વર્ષા ઉપર મળે છે.


