Get The App

ભારતનો નકશો રાતોરાત આકાર નથી પામ્યો .

Updated: Jul 23rd, 2023

GS TEAM


Google News
Google News
ભારતનો નકશો રાતોરાત આકાર નથી પામ્યો                              . 1 - image


- 15 ઓગસ્ટ, 1947નું કાઉન્ટ ડાઉન કેવું હતું ? સરદાર પટેલ આઝાદી પૂર્વેથી જ રજવાડાના વિલિનીકરણ માટે કાર્યરત બની ગયા હતા

- સરદાર ૫ટેલની કુનેહનુ પરિણામ

- આઝાદી વખતે ભારતનો નકશો

- હોરાઈઝન-ભવેન કચ્છી

- મે 1947માં નહેરૂએ જાહેરાત કરી કે જે રજવાડા ભારતની બંધારણ સભામાં નહી હોય તેને દુશ્મન રાજ્ય તરીકે જોવામાં આવશે : સરદારે કળથી કામ પૂરું પાડયું

- ભલે સરદાર ભાષા આધારિત રાજ્યના હિમાયતી નહોતા પણ તે  વ્વયહારૂ વધારે હતા. અમુક ભાષા આધારિત રાજ્યોને પણ તેમણે મંજૂરીની મહોર લગાવી હતી.

આ ઇલેન્ડના કવિ અને ચિંતક ડબલ્યુ. બી. યેટ્સે (૧૮૬૫- ૧૯૩૯) ટચૂકડું છતાં તલસ્પર્શી વાક્ય વહેતું મૂક્યું હતું, "Thing fall apart, the centre can not hold .ધ યેટ્સના કથનનો મર્મ વ્યક્તિ, કુટુંબ, સમાજ અને રાજ્યથી માંડી દેશની ગરિમાની આંતરિક અને બાહ્ય જાળવણી- સહુને સ્પર્શે છે. જો કેન્દ્ર સ્થાનેથી પકડ ઢીલી હોય તો તેની ફરતે જળવાઈ રહેલું બધું ધીમેધીમે છૂટૂં પડી જાય છે કે તૂટી પડે છે. ભારતની સ્થિતિ તો અત્યારે કેન્દ્ર સ્થાનેથી ઘણી મજબૂત છે અલબત્ત દેશના ૩૮ રાજકીય પક્ષો એનડીએ સાથે કે વિરોધ પક્ષના મોરચામાં ૨૬ રાજકીય પક્ષો છે.  

ભારત આઝાદ થયું તે પહેલાં ૫૬૫ રજવાડા અને ૧૭ પ્રાંત હતા. સરદાર પટેલની કુનેહથી રજવાડાઓનું વિલીનીકરણ થયું જેના પરિણામે આગળ જતાં ૧૯૫૬માં ભારતના ૧૪ રાજ્યો અને ૬ કેન્દ્રશાસિત પ્રદેશો હતા.

રજવાડાઓના વિલિનિકરણની વાતને યાદ કરવાનું કારણ એ કે ૭૬ વર્ષ પહેલાં એટલે કે આઝાદી દિનના અગાઉના અત્યારના મહિનામાં દેશમાં વિભાજન અને ભાવિ રાષ્ટ્રના નિર્માણ માટે ભારે ધમધમાટ ચાલતો હતો.

સરદાર પટેલે અલગ રાજ્ય અંગે એવા વિચારો વ્યક્ત કરેલા કે રાજ્ય વાસ્તવિક રીતે અનિવાર્યતા ધરાવતું હોય, તેનું સંચાલન અને વહીવટીય માળખું ગોઠવી શકાય તેમજ તેવા અધિકારીઓ અને કર્મચારીઓ સંભવ હોય, આર્થિક સ્ત્રોત અલાયદા ઉભા કરી શકે. રાજ્યનો પોતાનો આગવો ઇતિહાસ અને સંસ્કૃતિ હોય નવનિર્મિત રાજ્ય કેન્દ્રની આવક અને સહાય પર જ નિર્ભર રહે કે તેનું દોહન કરતું રહે તેવું ન હોવું જોઈએ. તો રજવાડાના સંદર્ભમાં સરદાર પટેલ માનતા કે રજવાડા ક્યારેય ભારત દેશને કે તેની પ્રજાને પોતાનો નૈતિક હિસ્સો કે પછી તેઓ દેશનું એક અંગ છે તેવું માનતા જ નહીં. 

સરદાર પટેલને પી.વી. મેનન જેવા રાઇટ હેન્ડ હતા. ઇતિહાસવિદ્ પત્રકાર ટી.વી.આર. શિનોયે સરદારે તે વખતે રાજ્યોના ગુ્રપના આધારે વર્ગીકરણ કર્યું હતું તેનો નિર્દેશ કર્યો હતો.

ગુ્રપ 'એ'માં જે સૌથી પ્રગતિશીલ રાજ્યો હતા તેમાં (આલ્ફાબેટ પ્રમાણે) આસામ, બિહાર, બોમ્બે, મધ્યપ્રદેશ, મદ્રાસ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થતો હતો.

ગુ્રપ 'બી'માં એવા રજવાડા હતા કે જેઓ ગુ્રપ 'એ'ની નજીક ઉભા રહી શકે તેવા ઉચ્ચ ધોરણ ધરાવતા હતા. તેમાંના ઘણાનું વિલિનીકરણ થઈ ગયું હતું અને કેટલાકનું બાકી હતું. જેમાં હૈદ્રાબાદ, મધ્ય ભારત, મૈસુર, પતિયાલા અને ઇસ્ટ પંજાબ સ્ટેટ યુનિયન (PEPSU) , રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ત્રાવનકોર- કોચિનને આવરી લેવામાં આવ્યા હતા.

ગુ્રપ 'સી'માં અજમેર, ભોપાલ, બિલાસપુર, કુર્ગ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, કચ્છ, મણિપુર, ત્રિપુરા અને વિંધ્યાચલ પ્રદેશ હતા.

ગુ્રપ 'ડી'માં આંદામાન અને નિકોબાર હતું. સિક્કીમ, પોંડિચેરી અને ગોવા આઝાદી વખતે કેન્દ્રનો હિસ્સો નહોતા મનાતા. આગળ જતા તેઓ વિદેશી વસાહતોથી મુક્ત થવા ગુ્રપ 'સી' કે ગુ્રપ 'ડી'માં ઉમેરાયા.

કન્યાકુમારી તે વખતે 'કેપ કોમોરિન' તરીકે ઓળખાતું અને 'ત્રાણવકોરુ કોચિન'નો હિસ્સો હતું.

પશ્ચિમ પાકિસ્તાન અને PEPSU ના વિસ્તારને પંજાબ અલગ અસ્તિત્વ ધરાવતું હતું. તેનું પાટનગર સિમલા હતું. હાલ મહારાષ્ટ્રમાં સમાવેશ થયેલ નાગપુર તે વખતે મધ્યપ્રદેશનું પાટનગર હતું.

શિલોંગ આસામનું એક શહેર હતું. હવે શિલોંગ મેઘાલયમાં સમાવિષ્ટ છે.

ભલે સરદાર ભાષા આધારિત રાજ્યના હિમાયતી નહોતા પણ તે જક્કી ઓછા અને વ્વયહારૂ વધારે હતા. ભારતની અખંડતા જળવાઈ રહે તે માટે અમુક ભાષા આધારિત રાજ્યોને તેમણે મંજૂરીની મહોર લગાવી હતી. જેમાં આસામ, બૉમ્બે, મધ્યપ્રદેશ અને મદ્રાસને તેવો દરજ્જો આપ્યો હતો.

આઝાદી પછીની પ્રથમ લોકસભાની ચૂંટણી વખતે ઉત્તર પ્રદેશની સૌથી વધુ ૬૯ બેઠકો અને મદ્રાસ એટલું મોટું રાજ્ય હતું કે તેમાં ૬૨ બેઠકો હતી.

સરદાર પટેલે મધ્ય ભારતને સાથે રાખીને જ કદ ઘટાડતા ટુકડા પાડીને મધ્ય પ્રદેશના અસ્તિત્વને આકાર આપ્યો હતો તો તેમની કુનેહ જુઓ સારાષ્ટ્ર અને કચ્છને બૉમ્બેથી અલગ રાખ્યું અને અજમેરને તે વખતે રાજસ્થાન કરતાં અલગ દરજ્જો આપ્યો હતો.

ઇતિહાસ પર નજર નાખીએ તો એવું સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ ૧૯૨૦માં ભારતમાં ભાષા આધારિત રાજ્યોમાં માનતી હતી પણ તે વખતે સરદાર પટેલની પક્ષ પર વહીવટી ક્ષેત્રમાં એવી પકડ હતી કે તેમણે ભાષાવાદી રાજ્યોના નકશાને એ હદે પ્રોત્સાહન ન આપ્યું અને કોઈ તેનો વિરોધ પણ નહોતા કરતા. કાશ્મીરના વિલિનીકરણમાં નહેરૂ રહ્યા અને ભારત કઈ હદે તે કષ્ટ ભોગવે છે તે આપણે જોઈ રહ્યા છીએ. મે ૧૯૪૭માં નહેરૂએ જાહેરાત કરી હતી કે જે રજવાડા ભારતની બંધારણ સભામાં નહીં હોય તેને દુશ્મન રાજ્ય તરીકે જોવામાં આવશે. આ જવાબદારી સરદારને સોંપાઇ હતી. સરદાર પટેલે સમજાવટથી નહીં તો સૈન્ય કે બળથી રજવાડાઓની સાન ઠેકાણે લાવવાની વ્યૂહ રચના અપનાવી હતી.

હવે તો તેલંગાણા ભારતનું ૨૮મું રાજ્ય બન્યું છે પણ આંધ્રપ્રદેશ બનતા અગાઉ  હૈદરાબાદ ૧૭૨૪થી ૧૯૪૮ સુધી ભારતનું સૌથી મોટું અને સમૃદ્ધ રજવાડું હતું. વારાફરતી સાત નિઝામ દ્વારા તેનું શાસન થયું હતું. હૈદરાબાદને તેની પોતાની ટેલિકોમ્યુનિકેશન, રેલવે નેટવર્ક, પોસ્ટલ, ચલણી નાણું અને રેડિયો બ્રોડકાસ્ટિંગ સર્વિસહતી. સ્વાભાવિક છે કે આઝાદી પછી આવું રજવાડું તેમની સ્વાયત્તતા માંગે. ૨૨ ફેબુ્રઆરી ૧૯૩૭ના 'ટાઇમ' મેગેઝીનના મુખપૃષ્ઠ પર નિઝામને સ્થાન મળ્યું હતું. સરદાર પટેલે નાછૂટકે ભારતીય સેનાના બળની ધમકી આપીને તેને ભારતમાં વિલીન કરવામાં સફળતા મેળવી હતી. જુનાગઢને પણ સરદાર પટેલે આ જ રીતે ભારતનો હિસ્સો બનાવવામાં સફળતા મળી હતી. 

આંધ્ર પ્રદેશની ૧૯૫૬માં સ્થાપના થઈ ત્યારથી જ તે તેલંગણાની માંગ પ્રબળ બની હતી. તેલંગાણાનું ૧૦ જિલ્લા, ૧૭ લોકસભાની અને ૧૧૯ વિધાનસભાની બેઠકો સાથે નિર્માણ થયું હતું. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. નરસિંહરાવ તેલંગાણા હેઠળના ગામના રહીશહતા. પ્રસિદ્ધ ઓસમાનિયા યુનિવર્સિટી પણ આ રાજ્ય હેઠળ રહેશે.

જોઈએ ભારતનો ભાવિ નકશો, દિશા કઅને કેવી રહે છે. જસ્ટ ફોર યોર નોલેજ... રશિયા ફેડરેશન અંતર્ગત ૮૩ રાજ્યો છે તેઓ રાજ્યને 'ફેડરલ સબ્જેક્ટસ' કહે છે. ચીનને ૨૨ પ્રોવિન્સિસ છે. યુનાઇટેડ સ્ટેટસ ઑફ અમેરિકામાં ૫૦ રાજ્યો અને કેપિટલ વોશિંગ્ટન- ડિસ્ટ્રીક્ટ કોલંબિયા (D.C.) નો સમાવેશ થાય છે. બ્રાઝિલમાં ૨૭ ફેડરલ યુનિટ્સ અને રાજધાની બ્રાસિલા અલાયદી સ્વાયત્તતા ધરાવે છે.

ઑસ્ટ્રેલિયામાં છ રાજ્યો અને ત્રણ યુનિયન ટેરેટરી છે અને ભારતમાં ૨૯ રાજ્યો, ૭ યુનિયન ટેરેટરીઝ છે. જો બધા અલગતાવાદીઓની માંગણી પૂરી થાય તો ભારતના ૫૦ રાજ્યો બની શકે તેમ છે.

આખરી સવાલ : માત્ર લોકપ્રિય રહેવા કે ચૂંટણીનો ફાયદો જોવા જ રાજ્યો બનાવવા ભયજનક પુરવાર થઈ શકે તેમ છે. શું આપણી પાસે આટલા બધા રાજ્યોનો સુપેર વહીવટ કરી શકે તેવા સુયોગ્ય નેતાઓ, અમલદાર, સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ, કાયદાના રખેવાળો છે ? પ્રજા સ્વકેન્દ્રી બની જાય અને પ્રાંતવાદ તેમજ ભાષાવાદના નામે ચડસાચડસી કરે, બાખડી પડે તો ? આમાં ભારત દેશ વિખેરાઈને તૂટી પડે તો ?

Tags :