Get The App

પ્રકાશ પ્રદૂષણ : જે પોષતું તે મારતું

Updated: Oct 23rd, 2022

GS TEAM

Google News
Google News
પ્રકાશ પ્રદૂષણ : જે પોષતું તે મારતું 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- કૃત્રિમ અજવાળું હવે આપણાં જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. આ ઉર્જાના અતિરેકથી છેલ્લાં થોડાં દશકામાં પ્રકાશ પ્રદૂષણની સમસ્યા સર્જાઈ છે

મા ણસ અંધકારયુગમાં જીવતો હતો ત્યારે એને પ્રકાશના સરળ-સુલભ સ્રોતની તાલાવેલી હતી. ઉર્જા મેળવવા સદીઓ સુધી અથાક પ્રયાસો થયા. જંગલમાં વૃક્ષોના ઘર્ષણથી દાવાનળ સર્જાયો હશે અને એમાંથી માનવીએ આગ મેળવી હશે. ધીમે ધીમે વૃક્ષોના ઘર્ષણનું નિરીક્ષણ કરીને કે અનાયાસે પથ્થરોના ઘર્ષણમાંથી આગ પેદા થઈ તે પછી આદિમાનવ એને કાબૂ કરતા શીખ્યો હશે. આગથી એનું બિબાંઢાળ જીવન બદલાયું હશે. કાચો ખોરાક ખાતો માનવી પકાવીને આરોગતા શીખ્યો. ગુફામાં અંધકાર દૂર કરવાની જરૂરિયાતમાંથી દીવો પ્રગટયો હશે. વારંવાર હવાની લહેરખી આવીને દીવો ઠારી દેતી હશે એટલે માણસે દીવાને રક્ષણ આપવા ફાનસની શોધ કરી. 

સદીઓ બદલાતી ગઈ. આદિમાનવની નવી નવી જનરેશન આવતી ગઈ. અજવાસ મેળવવાની પદ્ધતિઓ પણ બદલાતી ગઈ. દીવડાંમાં અપાર વૈવિધ્ય આવ્યું. ફાનસની અનેક ભાત પડી. મશાલ-કોડિયાં સહિતનું કંઈ કેટલુંય આવતું ગયું અને પછી એક દિવસ હવા જેવા પરિબળોથી ઓલવાઈ ન જાય એવા ઈલેક્ટ્રિક બલ્બની શોધ થઈ ગઈ. એ પળી માનવજાતે ઉત્ક્રાંતિનું વધુ એક ડગલું માંડયું હતું. આગ પ્રગટાવતા લાખો વર્ષ લાગ્યા હતા. દીવડો બનાવતા હજારો વર્ષ લાગ્યા હતા. ફાનસનું સર્જન કરતાં અનેક સદીઓ વીતી ગઈ હતી, પણ બલ્બની શોધ પછી એકાદ સદીમાં માણસે ઉર્જાના નવા આયાસો સર કરી લીધાં.

આદિમાનવ અંધકારને સહેજ દૂર હડસેલવા મથતો હતો. અંધકારના સામ્રાજ્યને દૂર કરવા ઝઝૂમતા આદિમાનવના વંશજોએ જાણે અંધકાર સામે કચકચાવીને બદલો વાળ્યો છે. આજના માનવીએ અંધકારના સામ્રાજ્યને ઝઝૂમતું કરી દીધું છે. જ્યાં જુઓ ત્યાં રોશની... નજર પડે ત્યાં ઝળાંહળાં... સવારે પાંપણ ખૂલે ત્યારથી લઈને રાતે આંખ બંધ થાય સુધી ચારેબાજુ પ્રકાશનું સામ્રાજ્ય. મોબાઈલની લાઈટથી શરૂ કરીને કમ્પ્યુટર્સ, ટીવી સહિત બધે જ ઉર્જાનું આધિપત્ય છે અને તેના કારણે હવે દુનિયા સામે નવો પડકાર સર્જાયો છે. જેને પ્રકાશ પ્રદૂષણ કહેવામાં આવે છે.

દુનિયામાં ૧૦ હજાર જેટલા શહેરો છે. એ બધા જ રાતેય ઝળાંહળાં થાય છે. સૂર્યનારાયણની ગેરહાજરીમાં ક્યાંય અંધારું ન રહેવું જોઈએ એવા માણસના નિર્ધારથી ચારેબાજુ બત્તીઓ જલતી રહે છે. અડધી સદી કે એક સદી પહેલાં સામાન્ય રીતે શહેરના મુખ્ય ભાગમાં, મહત્ત્વની સરકારી ઈમારતોમાં, હોસ્પિટલોમાં, ધર્મસ્થાનોમાં આખી રાત લાઈટ બળતી હતી. હવે નાનકડાં ઘરના ઝાંપેથી લઈને સોસાયટીમાં, શહેરો-ગામડાંઓના જાહેર માર્ગો રોશનીથી ઝગમગતા રહે છે. કારખાનાથી ઓફિસો સુધી બધું રાત્રે પણ દિવસની જેમ ધમધમતું રહે છે. મધરાતે ઘરની બારી ખુલ્લી હોય તો સ્ટ્રિટલાઈટનું અજવાળું અંદર આંટા મારી જાય છે. એકાદ ખૂણામાં એક બલ્બ તો લગભગ દરેક ઘરમાં બળતો રહે છે. આ બધાના કારણે કૃત્રિમ અજવાળું આપણાં જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. આવા અજવાસના અતિરેકથી છેલ્લાં થોડાં દશકામાં લાઈટ પોલ્યુશનની સમસ્યા સર્જાઈ છે.

આપણી પ્રદૂષણની વ્યાખ્યા જળ-હવા-જમીન પ્રદૂષણ પૂરતી મોટાભાગે સીમિત છે. લાઈટ પ્રદૂષણની ચર્ચા ભાગ્યે જ થાય છે. ઉર્જાના અતિરેકથી સર્જાયેલી આ સમસ્યા અત્યારે ભલે ખતરનાક ગણાતી નથી, પરંતુ ભવિષ્યમાં તેના ગંભીર પરિણામો આવી શકે એવી ચેતવણી વિજ્ઞાનિકો આપતા રહે છે. સાયન્સ એડવાન્સમાં ગ્લોબલ લાઈટ પોલ્યુશનનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. એ પ્રમાણે દુનિયાની ૮૦ ટકા વસતિ આ નવા પ્રકારના પ્રદૂષણની અસરતળે રહે છે. આ એવું પ્રદૂષણ છે જેની આપણને જાણ પણ થતી નથી કે આ પ્રદૂષણ છે!

બ્રિટનની નેચરલ એન્વાર્યમેન્ટ રિસર્ચ કાઉન્સિલે એક અહેવાલમાં ઉર્જાના અતિરેકથી સજીવસૃષ્ટિ પર પડતી આડઅસરનો ચિતાર આપ્યો હતો. સતત રોશનીનો ઝળહળાટ રહેતો હોવાથી સજીવોની ઈકોસિસ્ટમ ખોરવાઈ જાય છે. તેમના શરીરમાં કુદરતે મૂકેલી દિવસ-રાતની સિસ્ટમને ગંભીર અસર પહોંચે છે. કેટલાક સજીવો અતિશય રોશનીના કારણે રાતને દિવસ ગણી લેતા હોવાથી મુશ્કેલી સર્જાય છે. કેટલાક સજીવોની દૃષ્ટિમાં ઝાંખી થઈ હોવાનું પણ નોંધાયું હતું. શહેરોમાં રોશની વચ્ચે રહેતા કૂતરા-બિલાડાં અને ગ્રામ્ય વિસ્તારમાં થોડી ઓછી લાઈટમાં રહેતા કૂતરા-બિલાડાં પર વિજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા હતા, જેમાં ચોંકાવનારા તારણો નીકળ્યા હતા કે એક સરખી વયના આ સજીવોની જોવાની ક્ષમતા અલગ અલગ હતી. શહેરોમાં મોટા થયેલા સજીવો અંધારામાં જે દૃશ્ય જોઈ શકતા ન હતા એ દૃશ્ય અંતરિયાળ વિસ્તારમાં રહેતા કૂતરા-બિલાડા જોઈ શકતા હતા.

એ જ રીતે કીટકો અને તેને શિકાર બનાવતા પક્ષીઓ અભ્યાસ થયો હતો. જીવ-જંતુઓ અને તેને શિકાર બનાવતા પક્ષીઓની આંખો વીસેક પ્રકારની રોશનીથી ચકાસવામાં આવી. એમાં જણાયું કે ખાસ પ્રકારની રોશનીથી કીટકોને વધારે દેખાય છે. જ્યારે અમુક લાઈટથી તેને જોવામાં મુશ્કેલી થતી હતી. એ જ રીતે એવા પક્ષીઓ જે સામાન્ય રીતે રાતે જોઈ શકતા હોય છે, તેમને અમુક લાઈટમાં દેખાતું ન હતું. ઘણાં પક્ષીઓ તો લાઈટના એટલા 'વ્યસની' થઈ ગયા હતા કે રાતે અંધારામાં કુદરતે શક્તિ આપી હોવા છતાં જોવાની કોશિશ કરતા ન હતા!

આ સંશોધન પરથી વિજ્ઞાનિકોએ એવી ચેતવણી આપી હતી કે ઉર્જાનો અતિરેક માણસની આંખોમાંય આડઅસર સર્જી શકે છે. તારણમાં કહેવાયું હતું કે માણસની આંખોમાં દિવસ-રાત પ્રકાશ પડતો રહે છે. ઊંઘ દરમિયાન સાત-આઠ કલાકને બાદ કરતાં આંખો આસપાસ ઉર્જાનું સામ્રાજ્ય જોવા મળે છે. વળી, કમ્પ્યુટર્સ, લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, સ્માર્ટવોચ વગેરેનો પ્રકાશ આંખ સાથે ટકરાતો રહે છે એ અલગ. તેનાથી આંખો વર્ષ દર વર્ષ નબળી પડે છે. એક અહેવાલમાં રસપ્રદ સરખામણી થઈ હતી. ૧૯મી સદીમાં સરેરાશ માણસની આંખોએ ૫૮-૬૦ વર્ષ આસપાસ ઝાંખપ આવતી હતી. તેના બદલે ૨૦મી સદીના સેકન્ડ હાફમાં આ સરેરાશ ૫૨ વર્ષ થઈ ગઈ હતી. ૨૧મી સદીમાં તો ૪૫-૫૦ વર્ષે જ ઝાંખું દેખાવા લાગે છે.

પ્રકાશ પ્રદૂષણની આડઅસરો અત્યારે પ્રત્યક્ષ માપી શકાતી નથી. હજુ એ અંગેના સંશોધનો બહુ ઓછા થાય છે. છતાં મહત્વના તારણો પ્રમાણે ઉર્જાના અતિરેકથી અનિદ્રાની સમસ્યા વધી શકે છે. અન્ય સજીવોની જેમ માણસના શરીરમાં પણ કુદરતે અંધારા-અજવાળાની બાયોલોજિકલ સાઈકલ બનાવી છે. અજવાસના કારણે સરેરાશ ઊંઘમાં ઘટાડો થયો છે. ૧૯૪૦માં લોકોની સરેરાશ ઊંઘ આઠ કલાક હતી, ૭૦-૮૦ વર્ષમાં સરેરાશ ૨૦ ટકા ઊંઘ ઘટી ગઈ છે. ૨૧મી સદીમાં સરેરાશ ઊંઘ ૬.૭ કલાક થઈ ગઈ છે. એક્સપર્ટ્સ એને ખતરાનું સિગ્નલ ગણાવે છે. માનસિક સ્ટ્રેસ પાછળ ઘણાં કારણો છે, એમાં એક કારણ પ્રકાશ પ્રદૂષણ પણ ખરું. સતત કૃત્રિમ લાઈટમાં શરીર રહેતું હોવાથી માનસિક સ્ટ્રેસ વધે તેવા હોર્મોન્સનું પ્રમાણ શરીરમાં વધે છે. આ હોર્મોન્સ માનસિક સ્થિરતા અને ધીરજ સામે પડકાર સર્જે છે. વધારે પ્રકાશથી યાદશક્તિને હાનિ થાય છે.

કેન્સર રિસર્ચ ઈન્ટરનેશનલ એજન્સીના દાવા પ્રમાણે મહિલાઓની આસપાસ રાતે પણ સતત અજવાસ રહેતો હોવાથી સ્તન કેન્સરનું જોખમ વધે છે. બધી જ મહિલાઓને એવું જોખમ નથી, પરંતુ નાઈટ શિફ્ટ કરતી મહિલાઓના સ્ટડી પરથી જણાયું હતું કે સતત રોશનીથી તેમના શરીરમાં કોલોરેક્ટર કેન્સરની શક્યતા વધે છે. નાઈટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ રાતે પણ ઉર્જાના સંપર્કમાં રહે છે અને દિવસે પણ. પરિણામે લાંબાંગાળે શરીરમાં ઘણાં પરિવર્તનો આવે છે.

પુરૂષોને પ્રકાશ પ્રદૂષણના કારણે હૃદયરોગનું જોખમ રહે છે. બ્રિટનમાં થયેલા સ્ટડીમાં જણાયું હતું કે ૨૪ કલાકમાં નિયમિત આઠ કલાક પણ જે પુરૂષો અજવાસથી દૂર રહેતા ન હતા, તેમને હૃદયરોગની અને બ્લડ પ્રેશરની શક્યતા વધારે હતી. જોકે, આવું દોઢ-બે દશકા સુધી સતત થાય તો જોખમ વધે છે.

ઉર્જાના પ્રદૂષણ મુદ્દે માનવજાત હજુ એટલી ગંભીર થઈ નથી. અત્યારે તો પૃથ્વી પર વ્યાપત અંધકારને દૂર ને દૂર ધકેલવા માણસ નવા નવા પ્રકારની ઉર્જાના વિકલ્પો તલાશે છે, પરંતુ સંશોધકો માને છે કે અડધી સદી પછી જળ-જમીન-હવાના પ્રદૂષણની જેમ લાઈટ પ્રદૂષણ પણ ગંભીર સમસ્યા બની જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય.

 આકાશદર્શન ઝાંખું થયું

સદીઓથી માણસ આકાશદર્શન કરે છે. ક્યો તારે કઈ દિશાએ ક્યારે ઉગે, ક્યારે આથમે - તેની વિગતો માણસે નોંધી છે. જ્યારે બીજા ઉપકરણો ન હતા ત્યારે આકાશદર્શન એ પ્રાચીનકાળના માણસ માટે મનોરંજનની મહત્ત્વની પ્રવૃત્તિ હશે. એનાથી તેની કલ્પનાશક્તિ ખીલી હશે. ખરતો તારો જોઈને કેટલીય ધારણાઓ બાંધી હશે. માન્યતાઓ બની હશે. શુભ-અશુભ વિચાર્યું હશે. ૨૦મી સદીમાં આકાશદર્શનની પ્રવૃત્તિ ઘટી ગઈ. મનોરંજનના અનેક માધ્યમો શોધાયા, વિકસ્યા. ઓદ્યૌગિક ક્રાંતિ થઈ, માણસ નવી નવી બાબતો શીખવામાં વ્યસ્ત થયો. સમૃદ્ધ થયેલા માણસ પાસે પછી આકાશદર્શનનો રોજિંદો સમય જ ન રહ્યો. આકાશદર્શન વિસરાતું ચાલ્યું. આકાશને સ્પષ્ટ જોવું હોય તો હવે રણમાં કે દરિયામાં જવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે.

સમય ઉપરાંત બદલાયેલી જીવનશૈલી વગેરે પરિબળો તો આકાશદર્શન માટે અવરોધક બન્યા જ, એ સિવાય આપણને ખબર પણ ન પડી એમ લાઈટ પ્રદૂષણ મોટો અવરોધ બની ગયો. આકાશના ઉર્જાવાન તારડિયાઓને જોવા માટે માણસે પોતાની આસપાસ ઉર્જા ઘટાડવી પડે, પણ હવે એ શક્ય રહ્યું નથી. આકાશદર્શનની ટ્રેન છૂટી ગઈ છે.

અમેરિકાનું ડાર્ક-સ્કાઈ ઈન્ટરનેશનલ એસોસિએશન ઉર્જા પ્રદૂષણ ઘટાડવા કામ કરે છે. એના અહેવાલ પ્રમાણે દુનિયામાં આકાશનો ૨૩ ટકા વિસ્તાર ઉર્જાના પ્રદૂષણ હેઠળ આવી ગયો હોવાથી એ સ્થળોએથી આકાશદર્શન શક્ય નથી. આ ૨૩ ટકા વિસ્તારમાં જમીનમાંથી નીકળતા પ્રકાશનું એક સ્તર રચાઈ ગયું છે. આકાશમાં ટમટમતા તારડિયાં જોવાની ઈચ્છા હોય તો પણ નજર પેલી પ્રકાશની સરહદમાંથી બહાર નીકળી શકતી નથી. દૂર આકાશના ઊંડાણમાંથી તારાનો બહુ ઓછો પ્રકાશ આપણાં સુધી પહોંચે છે ને આપણી આંખો આપણે જ રચેલા ઝાળામાં અટવાઈ જતી હોવાથી આકાશદર્શનમાં ઝાંખપ આવે છે.

Tags :