સ્વાધ્યાયથી અંતરદ્વાર ખૂલ્યાં ને આત્મદીપક ઝળહળી ઊઠયો!
- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- વાધ્યાય વિશે સ્વયં ભગવાન મહાવીરે કહ્યું છે કે ઉચ્ચ સાધકે પોતાની દિનચર્યાનો અડધો ભાગ સ્વાધ્યાયમાં વીતાવવો જોઈએ
અ ઘ્યાત્મજિજ્ઞાાસુને માટે સ્વાધ્યાયનો મહિમા એનેરો છે અને અઘ્યાત્મની વિકાસયાત્રા માટે સતત અને નિયમિત સ્વાધ્યાય જરૂરી છે. સામાન્ય વાચકથી માંડીને ગહન ચિંતન કરનારા અને અઘ્યાત્મની સાધના કરનારા સૌ કોઈ પોતપોતાની ભૂમિકા પ્રમાણે સ્વાધ્યાય કરતા હોય છે.
સ્વાધ્યાય વિશે સ્વયં ભગવાન મહાવીરે કહ્યું છે કે ઉચ્ચ સાધકે પોતાની દિનચર્યાનો અડધો ભાગ સ્વાધ્યાયમાં વીતાવવો જોઈએ.
દૈનિક સ્વાધ્યાયના કેટલાક વિશિષ્ટ લાભની વાત જ અનેરી છે. શાસ્ત્ર કે ગ્રંથમાં ઉલ્લેખિત વિષયમાં નવા નવા અર્થની સ્ફુરણા દૈનિક સ્વાધ્યાય કરવાથી જાગે છે. નવો અર્થ નવો અનુભવ આપે. આ રીતે દૈનિક સ્વાધ્યાયથી નવીન વિચારસૃષ્ટિનો ઉઘાડ થાય છે. વળી દૈનિક સ્વાધ્યાયકર્તા શાસ્ત્રમાં પ્રતિપાદિત મહાપુરુષોના અનુભવની સાથે સ્વજીવનના અનુભવનો તાલ મેળવવા કે તાળો મેળવવા પ્રયાસ કરે છે. આવી ગહન મથામણ અને પ્રછન્નપણે ચાલતી આંતર-પ્રક્યિાથી અપૂર્વ આનંદનો અવસર જાગે છે; અંગત સ્વાનુભવ પર જ્ઞાાની પુરુષોના પ્રત્યક્ષ અનુભવની મુદ્રા અંકિત થતાં એના જીવનની દિશા સ્પષ્ટ થાય છે; એનાં અંતરદ્વાર ખૂલી જાય છે; એનું આંતર-વ્યક્તિત્વ આઘ્યાત્મિક અનુભવના આનંદથી ખીલી ઊઠે છે. આ સ્થિતિના આનંદને બૃહદ્ ભાષ્યકારની વાણીએ કેવી પ્રસન્નતાથી વર્ણવ્યો છે -
' जह जह सुयमोगाहइ
अइसयरसपसरसं जुयमपुव्वं ।
तह तह फ्ल्हायइ मुणी
नव-नव-संबेग सध्धाओ ।।
''સ્વાધ્યાયકર્તા સાધક જેમ જેમ શાસ્ત્રોનું અવગાહન કરે છે અને એનું વધુ ને વધુ ઊંડું આચમન કરે છે તેમ તેમ એને અતિશય રસથી યુક્ત એવું અપૂર્વ અર્થ-જ્ઞાાન પ્રાપ્ત થાય છે. વળી નવા-નવા સંવેગ (શુદ્ધ ભાવોનો પ્રવાહ)થી એ શ્રદ્ધાશીલ મુનિનો આત્મા પ્રસન્ન થાય છે.''
આ વિષયમાં બૌદ્ધ સાહિત્યમાંથી મળતું એક કથાનક અત્યંત પ્રેરક છે.
કમ્બોજ સમ્રાટ તિમિની ભવ્ય રાજસભામાં એક દિવસ એક બૌદ્ધ ભિક્ષુ આવ્યો અને એણે કહ્યું, ''મહારાજ, હું ત્રિપિટકાચાર્ય છું. પંદર વર્ષ સુધી સમગ્ર બૌદ્ધ જગતમાં તીર્થાટન કરીને સદ્ધર્મનાં ગૂઢ તત્ત્વોનું મેં રહસ્યોદ્ઘાટન કર્યું છે. હવે મારી ઇચ્છા આપના રાજ્યના મુખ્ય ધર્માચાર્ય બનવાની છે અને તેથી જ અહીં આવ્યો છું. મારી એવી ઇચ્છા છે કે કમ્બોજનું શાસન ભગવાન બુદ્ધના આદેશ અનુસાર ચાલે.''
સમ્રાટ તિમિડ્ ભિક્ષુની ઇચ્છા સાંભળીને સહેજ હસ્યા અને બોલ્યા, ''આપની ભાવના ઉત્તમ છે અને મંગલકારી છે; પરંતુ આપને મારી એટલી વિનંતી છે કે આપ ધર્મગ્રંથોનો ફરી એકવાર સ્વાધ્યાય કરો.''
આ સાંભળી બૌદ્ધ ભિક્ષુને મનોમન ખૂબ ગુસ્સે થયો; પરંતુ સમ્રાટની વિનંતીનો વિરોધ કરી શક્યો નહીં. વળી મનમાં એમ પણ વિચાર્યું કે ભલે ફરીવાર બધા ધર્મગ્રંથો વાંચી જાઉં. આટલી નાનકડી વાતથી સમ્રાટ સંતુષ્ટ થતા હોય અને ધર્માચાર્ય જેવું પ્રતિષ્ઠિત પદ આપતા હોય તો શા માટે આવો સુંદર મોકો હાથથી જવા દેવો ?
બૌદ્ધ ભિક્ષુ ધર્મગ્રંથોના સ્વાધ્યાયમાં લીન બની ગયો. સર્વ ગ્રંથોનો અભ્યાસ કરીને એ બીજા વર્ષે સમ્રાટની સામે ફરી ઉપસ્થિત થયો, ત્યારે સમ્રાટે ફરી કહ્યું, ''આપ ફરી એકવાર એકાંતમાં ધર્મગ્રંથોનો સ્વાધ્યાય કરો તો તે શ્રેયસ્કર બનશે.''
ભિક્ષુનું મન ક્રોધથી ખળભળી ઊઠયું. સમ્રાટે કરેલું અપમાન એ સહન કરી શક્યો નહીં. આખો દિવસ આમ તેમ ભટકીને સાંજે નિર્જન એવા નદીકિનારે પહોંચ્યો. ભિક્ષુએ સાંઘ્યપ્રાર્થના કરી. પ્રાર્થના પૂરી થતાં નિશ્ચય કર્યો કે હવે તો એ ખૂબ તન્મયતાથી સ્વાધ્યાય ક૨શે. બીજા દિવસથી જ એ સ્વાધ્યાયમાં ડૂબી ગયો. આ વખતે સ્વાધ્યાય કરતાં તેને અપૂર્વ આનંદ થયો. શબ્દો એના એ જ હતા, પણ નવા નવા અર્થ એની ચેતનામાં ચમકવા લાગ્યા. સ્વાધ્યાય એનો નિત્યક્રમ બની ગયો. આનંદ એની નિત્ય અનુભૂતિ થઈ ગઈ. ક્યારેક તો એ સ્વાધ્યાયમાં એટલો બધો ડૂબી જતો કે ભોજન ક૨વાનું પણ ભૂલી જતો.
એક વર્ષ પૂરું થયું. ભિક્ષુ રાજસભામાં આવ્યા નહીં. સમ્રાટ ખુદ એની શોધમાં નીકળ્યા. નદીકિનારે ભિક્ષુ મળ્યા. સમ્રાટ તિમીએ પ્રણામ કર્યા, પણ બૌદ્ધ ભિક્ષુ તો તનમનનું ભાન ગુમાવીને આનંદાતિરેકમાં ડૂબેલા હતા. ધર્માચાર્ય થવાની તેમની મહત્ત્વાકાંક્ષા ભસ્મસાત્ થઈ ચૂકી હતી. પાંડિત્યના અહંકારને સ્થાને અંતરમાં આત્મજ્ઞાાનનો આનંદ લહેરાઈ રહ્યો હતો. સમ્રાટ તિમીએ એમને બે હાથ જોડીને વિનંતી કરી, ''આપ પધારો અને ધર્માચાર્યનું આસન સુશોભિત કરો.''
બૌદ્ધ ભિક્ષુએ હળવા હાસ્ય સાથે કહ્યું, ''ભગવાનનો આદેશ અત્યંત સ્પષ્ટ છે. જ્ઞાાન આચરણની વસ્તુ છે કેવળ ઉપદેશની નહીં. હવે કોઈ પદ કે પ્રતિષ્ઠાની મારે જરૂર નથી. જે પદની કામનાથી તમારી પાસે આવ્યો હતો તે ધર્માચાર્યપદની પણ જરૂર નથી. મને સ્વાધ્યાયથી અદ્ભુત સૂત્ર મળી ગયું છે. સૂત્ર છે ' अप्पदीपोभव (આત્માનો દીપક બન) બસ, આ સૂત્ર મળી ગયું અને મને નવી દિશા જડી ગઈ.''
આ બૌદ્ધકથાનો નિષ્કર્ષ શું ? બૌદ્ધભિક્ષુએ વારંવાર સ્વાધ્યાય કર્યો. એને નવા નવા અર્થ સૂઝયા; નવી દ્રષ્ટિ અને નવું ચિંતન સાંપડયું; એવું દર્શન મળ્યું કે જેનાથી એનાં અંતરદ્વાર ખૂલી ગયાં. સતત સ્વાધ્યાય એને માટે આત્મદીપક સમાન બન્યો, જેના પ્રકાશથી એણે પોતાના અંતરનું નિરીક્ષણ-પરિક્ષણ કર્યું.
સ્વાધ્યાયનો અર્થ માત્ર પુસ્તક, ગ્રંથ કે શાસ્ત્ર વાંચવા કે સાંભળવા પૂરતો સીમિત નથી. સ્વાધ્યાયનો અર્થ છે કે પોતાના જીવનના ગ્રંથ, પુસ્તક કે શાસ્ત્રને વાંચવું. 'स्वस्यस्बस्मिन् अध्ययनं स्वाध्यायः અર્થાત્ પોતાના જીવનશાસ્ત્રનું પોતાની અંદર અઘ્યયન કરવું એનું નામ સ્વાધ્યાય છે. આ ગ્રંથો કે શાસ્ત્રોમાં વ્યક્તિના પોતાના અંત:કરણના શાસ્ત્રનું જ પ્રતિબિંબ હોય છે. ગ્રંથો કે શાસ્ત્રોના અઘ્યયનને લોકભાષામાં સ્વાધ્યાય કહેવામાં આવે છે; પરંતુ આ તો એનો ગૌણ અર્થ છે. સ્વાધ્યાયનો મુખ્ય અર્થ તો વ્યક્તિ આત્મ-અઘ્યયન કરે તેમ છે. સાધકનું પ્રથમ કર્તવ્ય એ છે કે પોતાની જાતને જાણવી, સમજવી અને વાંચવી. હું કોણ છું ? મારું મૂળ સ્વરૂપ શું છે ? હું ક્યાંથી આવ્યો છું ? મારે ક્યાં જવું છે અને અહીં શું કરવાનું છે ? હું શું કરી રહ્યો છું ? મારામાં કષાયાદિ વૃત્તિઓ વધી રહી છે કે ક્ષીણ થઈ રહી છે ? રાગદ્વેષની વૃદ્ધિ થાય છે કે હ્રાસ ? શું આ બધા મારા આત્માના ગુણ છે કે માત્ર શરીર સાથે જોડાયેલા દુર્ગુણ છે ? આ પ્રશ્નોના ઉત્તર સાધક પોતાના અંતરના ઊંડાણમાં પ્રવેશીને મેળવવા પ્રયાસ કરે એ જ વાસ્તવમાં સ્વાધ્યાય છે. આથી જ તત્ત્વ વેત્તાઓ કહે છે Know Thyself' એટલે કે પોતાની જાતને જાણો.
આ ભીતરની યાત્રા એ અઘ્યાત્મ માર્ગે ચાલનારને સૌથી મોટી કસોટી બની રહે છે. પહેલાં તો એ શરીર અને મનની માયામાંથી બહાર નીકળીને પોતાના ભીતરમાં દ્રષ્ટિપાત કરે છે. ભીતરમાં પ્રવેશવું એ પણ મોટા પડકારસમુ હોય છે, કારણ કે વ્યક્તિ જીવનભર શરીરની આસપાસ વિંટળાયેલો રહ્યો હોય છે અને મનથી સતત દોડતો રહ્યો હોય છે. આથી એને પોતાના ભીતરની જાણકારી હોતી નથી.
એ જાણકારી પ્રાપ્ત કરવાનો એ પુરુષાર્થ કરે, ત્યારે પહેલે પગલે તો એ ખૂબ ભયભીત બની જશે. એનું કારણ એ છે કે એના રાગ અને દ્વેષ ઉછળી આવશે, એના મનમાં રહેલા દુષ્ટભાવો થનગની ઊઠશે. એની અંદર રહેલા ક્રોધ કે નિંદાનાં શેતાનને જોઈને પહેલા તો એ ડઘાઈ જશે, પછી એ ધીરે ધીરે પોતાના ભીતરનાં એ દુર્ભાવોને પારખીને એનું નિવારણ કરવા પ્રયત્ન કરશે.
આને માટે એક નોખા પ્રકારનાં આઘ્યાત્મિક પુરુષાર્થની એને જરૂ૨ પડશે. ક્યારેક એ દુવૃત્તિઓ એને પરાજિત કરવા માટે પણ પ્રયત્ન કરશે, ક્યારેક વર્ષોથી ભીતરમાં રહેલી ગાંઠો ઉકેલવી અઘરી લાગશે, પણ ભીત૨માં જનારો અઘ્યાત્મવી૨ એ મુશ્કેલીઓથી પરાસ્ત નહીં થાય અને સતત પોતાના વિકારો અને દૂષણો સામે ઝઝૂમતો રહેશે અને એમ કરીને પોતાના ભીતરનું આંગણું સ્વચ્છ કરશે.