ક્રિકેટથી જોડો કાશ્મીરને! .
- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- સુરેશ રૈના પૂર્વે આઈ.પી.એલ. ખેલનારો પ્રથમ ખેલાડી એ જમ્મુમાં ૧૯૭૯ની ૧૨મી ઓક્ટોબરે જન્મેલો ઓલરાઉન્ડર અને સાથોસાથ ક્વચિત્ વિકેટકિપીંગ કરનારો મિથુન મન્હાસ છે.
કા શ્મીરને ક્રિકેટની રમતથી સમગ્ર દેશ સાથે એક તારે જોડી શકાય એવો વર્ષો જૂનો વિચાર સંજય-તુલા દ્વારા કાશ્મીરનાં શિક્ષકોને મળવાથી વધુ દ્રઢ થયો. ક્રિકેટની રમત જુદાં જુદાં રાજ્યોનાં ધર્મ અને જાતિના લોકોને એક તાંતણે બાંધી શકે છે. એનું એક ઉદાહરણ તો એ જોવા મળ્યું કે મન્સૂર અલી ખાન પટૌડી અને અશોક માંકડ એક જ બોટલમાંથી મેદાન પર પાણી પીતા નજરે પડતા હતા.
મહાન સી. કે. નાયડુ ઝડપી ગોલંદાજ મહમદ નિસારને શાયરી સંભળાવીને વિરોધી ખેલાડીની વિકેટ ઝડપવાની પ્રેરણા આપતા હતા. આવા તો અનેક ઉદાહરણો છે, પરંતુ પ્રશ્ન એ છે કે શા માટે જમ્મુ-કાશ્મીર ક્રિકેટને ભારતીય ક્રિકેટ સાથે આપણે જોડી શક્યા નથી ?
છેક ૧૯૫૯-૬૦થી જમ્મુ-કાશ્મીરની ટીમ રણજી ટ્રોફીમાં રમી રહી છે. એ સાચું કે એ ટીમને છેક ૧૮૮૨-૮૩ની સીઝનમાં પહેલી કામયાબી મળી કે જ્યારે તેણે સર્વિસીઝની ટીમને ચાર વિકેટે હાર આપી, પરંતુ છેલ્લાં વર્ષોમાં જમ્મુ-કાશ્મી૨ની રણજી ટ્રોફીની ટીમ ઉત્તરોત્તર સારો દેખાવ કરી રહી છે. ૨૦૧૨-૧૩માં એ દસ વર્ષનાં અંતરાલ બાદ એની ટીમ રણજી ટ્રોફીના નોકઆઉટ સ્થાને પહોંચી હતી. એ પૂર્વે ૨૦૦૧માં એ આ સ્થાન સુધી પહોંચી હતી અને ૨૦૧૫-૧૬માં તો કાશ્મીરના કામયાબ ખેલાડી અને સુકાની પરવેઝ રસૂલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર અત્યંત મજબૂત એવી મુંબઈની ટીમને જબરી શિકસ્ત આપી હતી.
એ પછી પણ જમ્મુ કાશ્મીરની ટીમ પ્રમાણમાં સારો દેખાવ કરી રહી છે, પરંતુ એના ખેલાડીઓને પોતાનો હીર કસવા માટે સૌથી મોટી સમસ્યારૂપ બાબત એ જમ્મુ-કાશ્મીરનું હવામાન છે. કાશ્મીરનાં કડકડતા શિયાળાને કારણે વર્ષનાં છ મહિના ક્રિકેટ ખેલવું મુશ્કેલ હોય છે. તો બીજી બાજુ સગાવાદ, સંચાલનમાં ચાલતું રાજકારણ અને જમ્મુ પ્રદેશ સાથેનું સતત ઘર્ષણ - આ બાબતોએ એના ક્રિકેટને પાંગરવા દીધું નહીં. કોચિંગની સગવડ અને મેદાનોની વ્યવસ્થા જોઈએ તેટલી નહીં હોવાથી ક્લબ ક્રિકેટમાં શાનદાર રમત બતાવતા જમ્મુ-કાશ્મીરનાં ક્રિકેટરો આગળ વધી શક્યા નહીં.
જોકે ૨૦૧૧માં એના એસોશિયેશને એના ખેલાડીઓને તાલીમ મળે તે માટે વ્યવસાયી કોચ રાખવાનું શરૂ કર્યું અને એ સમયે રાજ્યનાં એસોશિયેશનનાં પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ બિશન બેદીને ત્રણ વર્ષ માટે કોચ નીમ્યા. મેદાન પર અને મેદાનની બહાર પણ વિવાદ સાથે બિશન બેદીનો જન્મજાત નાતો. ભારતીય ક્રિકેટમાં પ્રથમ કક્ષાનાં ક્રિકેટમાં સૌથી વધુ ૧૫૬૦ વિકેટ ઝડપનાર બેદી એના રંગીન 'પટકા'થી જેટલો જાણીતો હતો એટલો જ એના ક્રિકેટ વિશેનાં વિચારો અને વિવાદોથી જાણીતો હતો. એના વિવાદોનો ઇતિહાસ તો ઘણો લાંબો છે, પણ દુર્ભાગ્યે એ વિવાદની ઝાળ જમ્મુ-કાશ્મીર ક્રિકેટને પણ લાગી ગઈ. બેદીનો શિસ્તનો અતિ આગ્રહ, કોચિંગની સાવ જુદી જ પદ્ધતિ અને સિલેક્શન અંગેની ચર્ચાઓ એટલી બધી વધી ગઈ કે થોડા સમયમાં જ બેદીના સંબંધો ક્રિકેટના સંચાલકો સાથે ઘણાં ખાટા થઈ ગયા. માત્ર એટલું કે બેદીએ જમ્મુ કાશ્મી૨ને કેટલાક સારા ખેલાડીઓની ભેટ આપી. એમાંનો એક છે બેદીની પ્રેરણા અને માર્ગદર્શનથી તૈયાર થયેલો ઓફ સ્પીનર પરવેઝ રસૂલ.
આ પરવેઝ રસૂલ દક્ષિણ કાશ્મીરમાં આવેલા અનંતનાગ જિલ્લાનાં બીજબહેરાં ગામનો નિવાસી છે અને એ જમ્મુ કાશ્મીરની ટીમનો સુકાની પણ બન્યો હતો. ૨૦૧૪માં આઈ.પી.એલ.ની હરાજીમાં એને પંચાણું લાખ આપીને સનરાઈઝ હૈદરાબાદે પસંદ કર્યો હતો. એને એક ટી-ટ્વેન્ટી અને એક વન-ડે મેચ ભારત તરફથી ખેલવા મળી. પરવેઝના પિતા ગુલામ રસૂલ અને એમનો ભાઈ આસીફ રસૂલ જમ્મુમાં ક્રિકેટ ખેલ્યા હતા અને પરવેઝને પ્રથમ કક્ષાનું ક્રિકેટ ખેલી ચૂકેલા અબ્દુલ કયૂમ પાસેથી કોચિંગ મળ્યું હતું. ૨૦૧૩-૧૪ની રણજી ટ્રોફી સીઝનમાં એને શ્રેષ્ઠ ઓલરાઉન્ડર અપાતો લાલા અમરનાથ એવોર્ડ મળ્યો હતો. એ પછી પણ રણજી ટ્રોફીમાં એનો દેખાવ પ્રભાવક રહ્યો. રણજી ટ્રોફીની મેચમાં ૧૧૫ વિકેટ ઝડપી અને ૨૩૬૬ રન કર્યાં.
પરવેઝ ચાર વર્ષનો હતો ત્યારે તેના ગામ બીજબહેરાંમાં હઝરતબાલ મસ્જિદ અંગેના વિવાદે વંટોળ જગાવ્યો હતો. આ સમયની અંધાધૂંધીને પરવેઝ ભૂલ્યો નહોતો અને ભારતીય ટીમ સામે એનું સિલેક્શન થયું, ત્યારે પણ એના મન પર એનો બોજ હતો જ. જોકે એની સાથોસાથ એનો હેતુ પણ રહ્યો કે કાશ્મીરની એ ઘટનાઓનાં જખમ ભારતીય ટીમ સાથે ખેલીને એ મિટાવી શકશે.
આ બીજબહેરા ગામની નજીકમાં આવેલા સંગમ ગામનાં રસ્તાઓ પર મોટા પ્રમાણમાં ક્રિકેટના બેટ માટેનાં લાકડાઓનો ઢગ જોવા મળે. બેટનાં મેન્યુફેક્ચરીંગથી લગભગ વાર્ષિક સાઈઠ કરોડનું ટર્નઓવર આ ગામમાં થાય છે અને સંગમ ગામનાં આ બેટની બરોબરી એક માત્ર ઇંગ્લેન્ડમાં તૈયાર થયેલું કોઈ જેન્યુઇન બેટ જ કરી શકે છે. આ બીજબહેરા ગામમાં ટી-ટ્વેન્ટી ક્રિકેટની ઓછામાં ઓછી પંદર ટીમો જોવા મળે. પરવેઝ રસૂલની વાત કરીએ, ત્યારે અબ્દુલ રઉફને પણ યાદ કરીએ. એ ઝડપી ગોલંદાજી કરતો ઓલરાઉન્ડર હતો અને સાઈઠનાં દાયકામાં કાશ્મીરનો એ હીરો હતો. ભારત તરફથી કોઈ કાશ્મીરીને સર્વપ્રથમ ખેલવાનું માન તો ઝિમ્બાબ્વેનાં પ્રવાસમાં પરવેઝના રૂમ-મેટ તરીકે રહેલા સુરેશ રૈનાને ફાળે જાય છે.
કાશ્મીરી પંડિત કુટુંબમાં જન્મેલા સુરેશ રૈનાના પિતા શ્રીનગરમાં આવેલા રૈનાબારી મહોલ્લામાં ૨હેતા હતા અને ૧૯૯૦માં સુરેશ રૈનાના પિતા ત્રિલોકચંદ રૈનાને કાશ્મીર છોડવું પડયું. એ પછી રૈનાએ ઉત્તરપ્રદેશની ટીમ તરફથી ખેલવાનું સ્વીકાર્યું અને એક પછી એક સિદ્ધિઓ મેળવી. સુકાની ધોનીની ગેરહાજરીમાં એણે ચેન્નાઈ સુપર કિંગ્ઝ ટીમનું અને ભારતીય ટીમનું સુકાનીપદ પણ સંભાળ્યું છે. ગુજરાત લાયન્સની ટીમનો એ સુકાની હતો અને આઈ.પી.એલ.માં એણે સારી કામગીરી બજાવી હતી. ડાબોડી બેટ્સમેન અને જમોડી ઓફસ્પીનર તરીકે ૧૮ ટેસ્ટ, ૨૨૬ વન-ડે, ૭૮ ટી-ટ્વેન્ટી અને ૧૦૯ ફર્સ્ટક્લાસ મેચો એ ખેલ્યો છે અને આ કાશ્મીરી પંડિત પરિવારનો પુત્ર ૨૦૨૨ની છઠ્ઠી સપ્ટેમ્બરે આઈ.પી.એલ., પ્રથમ કક્ષાનાં ક્રિકેટ અને તમામ પ્રકારની ક્રિકેટ સ્પર્ધાઓમાંથી નિવૃત્તિ લેતા પૂર્વે સારી એવી નામના હાંસલ કરી શક્યો હતો.
આઈ.પી.એલ.ની વાત કરીએ છીએ, ત્યારે સુરેશ રૈના પૂર્વે આઈ.પી.એલ. ખેલનારો પ્રથમ ખેલાડી એ જમ્મુમાં ૧૯૭૯ની ૧૨મી ઓક્ટોબરે જન્મેલો ઓલરાઉન્ડર અને સાથોસાથ ક્વચિત્ વિકેટકિપીંગ કરનારો મિથુન મન્હાસ છે. દિલ્હી ડેરડેવિલ્સ ટીમ તરફથી ખેલનારો મન્વાસ દિલ્હીની ટીમનો સુકાની હતો, પણ એ પછી માસે કોચિંગની કામગીરી સ્વીકારી અને ૨૦૨૨માં આઈ.પી.એલ.માં ગુજરાત ટાઈટન્સની ટીમનાં મદદનીશ કોચ તરીકે પણ કામ કર્યું હતું.
તો કાશ્મીરી પંડિત પરિવારમાં જન્મેલા અને 'કપ્તાન'નાં ઉપનામથી જાણીતા એવા વિવેક રાઝદાન ૧૯૮૯ના પાકિસ્તાનનાં પ્રવાસે ભારતીય ટીમ તરફથી ખેલ્યા હતા અને સિયાલકોટમાં ૨મતા એણે ૭૯ ૨નમાં પાંચ વિકેટ ઝડપી હતી અને ભારતને પ્રથમ દાવમાં ૭૪ રનની સરસાઈ અપાવી હતી, પરંતુ એ પછી એમને ન્યૂઝીલેન્ડ સામેનાં પ્રવાસમાં ખેલવા મળ્યું નહીં અને થોડીક રમત બાદ એમણે ક્રિકેટ ખેલવાને બદલે ટેલિવિઝન ૫૨ કોમેન્ટ્રી આપવાનું સ્વીકાર્યું.
કાશ્મી૨નાં ખેલાડીઓને યાદ કરીએ તો રણજી ટ્રોફીમાં જમ્મુ અને કાશ્મી૨ વતી સૌથી વધુ મેચો ખેલનાર આન દેવ સિંઘને યાદ કરવો પડે, જેણે દુલીપ ટ્રોફીમાં નોર્થ ઝોન ત૨ફથી પોતાના પ્રથમ પ્રવેશે ૧૪૨ ૨ન કર્યા હતા. કાશ્મીરનો આબીદ નબી એવો ઝડપી ગોલંદાજ હતો કે ઘણા એમ માનતા કે એના જેવો બીજો ઝડપી ગોલંદાજ ભારતમાં નથી. સિખ સલામ એ જમ્મુ કાશ્મીર તરફથી આઈ.પી.એલ.ની હરાજીમાં આવેલો ત્રીજો ખેલાડી બન્યો. જ્યારે અબ્દુલ શામદ એ આઈ.પી.એલ. ખેલનારો જમ્મુ કાશ્મી૨નો ત્રીજો ખેલાડી બન્યો. જ્યારે આજે કાશ્મીરનો ઉમરાન મલીક એ વિશ્વના સૌથી ઝડપી ગોલંદાજોમાં સ્થાન ધરાવનારો ખેલાડી છે.
બિશન બેદી પછી સુનિલ જોશી અને તાજેતરમાં ટીમનાં મેન્ટર તરીકે ક્રિકેટ બોર્ડે ઈરફાન પઠાણની નિમણુક કરી છે. આશા રાખીએ કે જમ્મુ કાશ્મી૨નાં વધુને વધુ ક્રિકેટરો ભારતીય ક્રિકેટના તખ્તા પર ખેલતા જોવા મળે અને એ રીતે સમગ્ર દેશ સાથે એમની ભાવનાનાં તાર એક સૂત્રે જોડાતા રહે !
ક્ષણનો સાક્ષાત્કાર
મોબાઈલ પર ક્લિક કરીએ અને પછીની સેકન્ડે જ આપણને તસવીર મળી જાય, એવી રીતે જિંદગીમાં સહેજ કામ કરીએ અને તત્કાળ સફળતા હાંસલ થાય, એવું સ્વપ્ન સેવનારા મળે છે. હકીકતમાં સફળતાને માટે લક્ષ્યનિર્ધારણ તો જરૂરી છે જ, કિંતુ એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પહેલાં નાનાં-નાનાં લક્ષ્યો પાર કરવા પડે છે. જેમ એવરેસ્ટ વિજય માટે જનાર આરોહક વચ્ચે આવતાં એક-એક શિખર પાર કરતો જાય છે. એ રીતે નાનાં નાનાં લક્ષ્ય પાર કરીને અંતિમ લક્ષ્ય તરફ ગતિ કરવાની છે.
હકીકતમાં આત્મઓળખથી એણે માર્ગ નિર્ધારિત કરવો જોઈએ અને ત્યારબાદ એક પછી એક સોપાન સિદ્ધ કરીને આગળ વધવું જોઈએ. સર્જક જેમ રાતોરાત કોઈ કૃતિનું સર્જન કરતો નથી કે ગાયક વર્ષોની મહેનત પછી ગાયકી પર પ્રભુત્વ મેળવે છે. વર્ષોની મહેનત પછી કલાકાર કોઈ યાદગાર કૃતિનું સર્જન કરતો હોય છે. સામે માત્ર કોરો કાગળ હોય, ત્યારે એની પાસે માત્ર કલ્પના હોય છે. પછી ધીરે ધીરે એક પછી એક રેખાઓ આલેખતો જાય, એમાં રંગ પૂરતો જાય અને પોતાના ચિત્તમાં રમમાણ એવા સ્વપ્નને સાકાર કરતો જાય. આથી લક્ષ્ય વિરાટ રાખવું, પરંતુ એ લક્ષ્ય સુધી પહોંચવાના માર્ગમાં થોડા વિસામાઓ રચવા જોઈએ. નાનાં નાનાં લક્ષ્ય પાર કરીને અંતિમ લક્ષ્ય સુધી સહજતાથી પહોંચી જવાય છે. ઘણી વ્યક્તિઓ કલાકાર, સર્જક, અભિનેતા કે સફળ ઉદ્યોગપતિ થવાનાં સ્વપ્ના સેવતાં હોય છે, પરંતુ એ કલ્પનાની દુનિયાને વાસ્તવમાં ઉતારવા માટે ઘણો લાંબો સમય, પ્રયત્ન અને પુરુષાર્થ જોઈએ છીએ. વ્યક્તિ જેમ જેમ નાનાં નાનાં લક્ષ્ય રાખીને પુરુષાર્થ કરતો જાય, તેમ તેમ એ પોતાના અંતિમ લક્ષ્ય તરફ પ્રગતિ કરતો હોય છે. હિમાલયનાં ઊંચા શિખરના આરોહકને જોશો એટલે આ વાત આપોઆપ સમજાઈ જશે.