Get The App

હું શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંનેમાં માનું છું .

Updated: Jul 20th, 2024

GS TEAM


Google News
Google News
હું શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંનેમાં માનું છું                            . 1 - image


- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- તમે ધારેલું કામ ન થાય અને ઈશ્વર બદલવા નીકળો તો અંધશ્રદ્ધા અને તમે બધું જ ઈશ્વરના શરણે છોડી દો અને તેનું ધારેલું થાય તો શ્રદ્ધા કહેવાય

'ક્રિ શિવ ઝડપથી તૈયાર થઈ જજે, આજે ગુરુપૂર્ણિમા છે તો આપણે મુક્તેશ્વર બાપુને ત્યાં જવાનું છે. તારા જે પણ આયોજનો હોય તે કેન્સલ કરજે અથવા તો સાંજે રાખજે. આજે પપ્પાએ ત્યાં ફંક્શન રાખ્યું છે. આપણે લન્ચ પણ ત્યાં જ કરવાનું છે.' - પૂજાએ પોતાના દીકરીને બુમ મારતા કહ્યું. પૂજા હજી તો બૂમ મારીને રસોડાની બહાર જ આવી ત્યાં જ તેના સાસુ-સસરા બહાર આવીને ડાઈનિંગ ટેબલ ઉપર ગોઠવાયા.

'પપ્પાજી પાંચ મિનિટ તમારી અને મમ્મીની ચા બની જ રહી છે. ગેસ લાઈનમાં થોડો ઈશ્યુ હતો એટલે આજે મોડું થયું છે. ચા બને ત્યાં સુધી નાસ્તો શરૂ કરો. મોળી વેફર અને ફરાળી ચેવડો મુક્યા છે. મમ્મી તમારા માટે સફરજન અને કેળા પણ છે.' - પૂજાએ વિવેકથી કહ્યું.

'કશો વાંધો નહીં બેટા આવું તો થાય... સંસાર હોય ત્યાં આઘુપાછું, વહેલું-મોડું, ઉપર-નીચે થયા કરે. તું અમને જીવની જેમ સાચવે છે તેનો આનંદ સવાયો છે બાકી અમારા દીકરા સંજીવને તો અમારી પડી જ નથી. સવારથી દેખાતો ય નથી.' - પપ્પાજી બોલ્યા.

'દાદુ, તમારો દીકરો તો ગયો છે મુક્તેશ્વરબાપુના આશ્રમ. આજે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ આપણા તરફથી છે. આપણે પણ ત્યાં જ જવાનું છે. તમારો દીકરો જ તો આ ધાર્મિક ધતિંગો કરે છે. તમને બે-ચાર વર્ષે નવા બાવાઓ મળે છે અને તમે ગુરુ કરી લો છો. પેલો બે-ચાર કરોડ તફડાવી લે પછી તમારી ઉંઘ ઉડે છે અને આંખ ઉઘડે છે. હવે મુક્તેશ્વર ધામમાં જઈએ એટલે ખબર પડશે કે આપણને આ બાવા થકી કેટલામાં મુક્તિ મળશે.' - ક્રિશિવે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટની સીડી ઉતરતા કહ્યું.

'ક્રિશિવ, માઈન્ડ યોર લેન્ગવેજ. તને ઈશ્વરમાં આસ્થા ન હોય તો બીજાની આસ્થાની મજાક ઉડાવવાનો તને કોઈ અધિકાર નથી. યુ કાન્ટ હર્ટ દાદાજી લાઈક ધીસ. સે સોરી.' - પૂજાનું સ્વરૂપ એકાએક બદલાયું.

'બેટા, તું ગુસ્સે ના થઈશ. આ ઉંમર જ આવી છે. કોઈપણ બાબત હોય જ્યાં સુધી જાત અનુભવ ન થાય ત્યાં સુધી કોઈપણ બાબતે વિશ્વાસ નથી આવતો. ક્રિશિવ તારી વાત સાચી છે, મેં ઘણા ગુરુ બદલ્યા છે અને ઘણા ભગવાન પણ બદલ્યા છે. આ વખતે મને મુક્તેશ્વર બાપુમાં જે સત દેખાયું છે તે અદ્વિતિય છે. આઈ થિંક યુ હેવ ટુ ટ્રાય યોરસેલ્ફ.' - પપ્પાજીએ કહ્યું અને ક્રિશિવના ચહેરા ઉપર કટાક્ષભર્યું સ્મિત ઉપસી આવ્યું. તે પણ દાદાજીની બાજુમાં ગોઠવાયો.

'યસ દાદુ... આઈ લવ ટુ એન્ડ આઈ વિલ. તમે જરાય ચિંતા ન કરો, તમારા બાપુ પૈસાની ગરમીથી અને લાલચથી કેટલા મુક્ત છે તેનું ટેસ્ટિંગ તો હું કરવાનો જ છું.' - ક્રિશિવે એટલું કહ્યું અને સામે પડેલી ફ્રુટ બાસ્કેટમાંથી કેળું ઉપાડયું.

થોડીવારમાં ચા-નાસ્તો આવ્યા અને બધા જ ચા-નાસ્તો કરીને આશ્રમ જવા માટે તૈયાર થવા ગયા. કલાકમાં તો સાઉથ બોપલમાં આવેલા સેલેસ્ટિયા ગ્રીન્સના બેઝમેન્ટ પાકગમાંથી બે લક્ઝુરિયસ ગાડીઓ નીકળી અને રીવરફ્રન્ટ તરફ પૂરપાટ જવા લાગી. લગભગ પોણો કલાકમાં તો બંને ગાડીઓ રિવરફ્રન્ટના રસ્તે આવી ગઈ અને રિવફ્રન્ટ પાસે જ આવેલા વિશાળ બંગલાના પાર્કિંગમાં બંને ગાડીઓએ પ્રવેશ કર્યો. પૂજા, ક્રિશિવ અને બા-દાદા ગાડીઓમાંથી ઉતર્યા અને બંગલાની અંદર પ્રવેશ્યા. બંગલાની અંદરથી સામેની તરફ ક્રિશિવે નજર કરી તો રિવરફ્રન્ટના મેદાનમાં મંડપ બંધાયેલો હતો અને તેમાં જમણવારની તૈયારીઓ ચાલતી હતી. તેણે ફરી સ્મિત કર્યું અને અંદર જતો રહ્યો.

વિશાળ અને ભવ્ય બંગલાનું ઈન્ટિરિયર જોઈને ક્રિશિવ તો આભો જ બની ગયો. તે મનોમન વિચારતો હતો કે આ બાવાએ કેટ-કેટલાને લૂંટયા હશે અને છેતર્યા હશે. તે આવા વિચારો સાથે જ પોતાના પરિવાર સાથે પૂજામાં જોડાયો. લગભગ કલાક જેવું પૂજા, ભજન-કિર્તન ચાલ્યા અને બધા મુક્તેશ્વર બાપુને પગે લાગીને બંગલાની બહાર જવા લાગ્યા. આખરે બધું જ બે કલાકમાં આટોપાઈ ગયું. ક્રિશિવનો પરિવાર અને ગુરુજી સામેની તરફ જમણવાર ચાલતો હતો તે તરફ જવા માટે નીકળ્યા. ક્રિશિવે ત્યારે પહેલી વખત મુક્તેશ્વર બાપુને ધ્યાનથી જોયા. તેને બાપુમાં રસ પડયો પણ ત્યારે ઘરના લોકો સાથે હતા એટલે કંઈ બોલ્યો નહીં. થોડીવારમાં તેઓ મંડપમાં પહોંચ્યા અને બાપુ પોતાની ગાદીમાં ગોઠવાયા. ક્રિશિવ તેમના પગ પાસે બેઠો જ્યારે તેના માતા-પિતા લોકોના ભોજન-પ્રસાદની વ્યવસ્થા જોવા ગયા. બા અને દાદા પણ કેટલાક મહેમાન પરિવારો સાથે પ્રસાદ લેવા બેઠા.

'બાપુ, મારા મનમાં કેટલાક સવાલ છે તમે પરમિશન આપો તો હું પુછું' - ક્રિશિવે કહ્યું.

'બોલ ક્રિશિવ. યુ કેન આસ્ક મી એની ક્વેશ્વન. મને ખબર છે કે તારા મનમાં વિચારોનું તાંડવ ચાલે છે.' - બાપુ બોલ્યા.

'તમારો આ આશ્રમ કોણે બનાવ્યો. આવા લક્ઝિરિયસ બંગલોને આશ્રમ કેવી રીતે કહેવાય.' - ક્રિશિવનો પહેલો સવાલ વેધક હતો.

'ડયૂડ, ધીસ ઈઝ હોમ. લોકો તેને પ્રેમથી આશ્રમ કહે છે. આઈ લીવ ધેર એન્ડ પ્રે ધેર. લોકોના પ્રેમ અને શ્રદ્ધાએ ઘરને આશ્રમ બનાવ્યો છે અને આ ૪૦ વર્ષના યુવાનને બાપુ.' - બાપુએ કહ્યું અને ક્રિશિવ સાવ ડઘાઈ ગયો. ક્રિશિવ શાંતિથી બાપુ સાથે વાતો કરતો હતો તે જોઈને તેના પરિવારના સભ્યોને રાહત થઈ હતી.

'તો ગુરુજી, આટલું લક્ઝુરિયસ ઘર છે તો તમારી લાઈફસ્ટાઈલ પણ લેવિશ હશે અને તમે જે અંગ્રેજીમાં સરસ બોલો છો તો તમારું એજ્યુકેશન પણ સરસ હશે તો પછી આ બધું છોડીને સ્પિરિચ્યુઆલિટીના બિઝનેસમાં કેવી રીતે આવ્યા.' - ક્રિશિવ હજી પણ લડી લેવાના મુડમાં હતો.

'બ્રો.. આ લોસ્ટ માય ફાધર એટ ધ એજ ઓફ ટ્વેલ્વ એન્ડ આઈ એમ સિંગલ મધર ચાઈલ્ડ. આઈ વોઝ હાર્ટ સર્જન ઈન ન્યૂયોર્ક. અહીંયા જે બંગલો છે તેનાથી દસ ગણો મોટો બંગલો અને આ રિવરફ્રન્ટ જેવી મોટી જગ્યા મારી અમેરિકામાં છે. આઈ હેવ લેગસી ઓફ ૧૦૦ મિલિયન ડોલર. મારે કોઈ બિઝનેસ કરવાની જરૂર જ નહોતી. આઈ લોસ્ટ માય મધર ટેન યર્સ બેક અને બસ ત્યારે થયું કે હવે સંસારમાં નથી રહેવું અને ધર્મના માર્ગે નીકળી ગયો.' - મુક્તેશ્વર બાપુએ કહ્યું.

'ધેટ્સ રિયલી ઓસમ. હું તમારી જગ્યાએ હોઉં તો આવું ન કરું. સારું મારા છેલ્લા સવાલનો જવાબ આપો કે તમે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં કેટલું માનો છો. મારે કેટલું માનવું જોઈએ.' - ક્રિશિવે પુછયું.

'ક્રિશિવ હું જ્યારે બાર વર્ષનો હતો ત્યારે મારા પપ્પાનો એક્સિડેન્ટ થયો હતો. તેઓ આઈસીયુમાં હતા. સિરિયસ હતા. તે વખતે મારી મમ્મીએ ઘરમાં માતાજીના ફોટો આગળ અખંડ દીવો પ્રગટાવીને માનતા રાખી હતી. મેં તેનું અનુકરણ કરતા માનતા રાખી કે મારા પપ્પા સાજા થઈ જશે તો હું કોફી પીવાનું છોડી દઈશ. હું આઠ વર્ષનો હતો ત્યારેથી કોફિ પીતો હતો. કમનસીબે મારા પિતાનું અવસાન થયું અને મને સખત 

આઘાત લાગ્યો. મેં માતાજીમાં માનવાનું બંધ કરી દીધું. હું ત્યારબાદ ક્યારેય માતાજીના મંદિર ન ગયો અને ક્યારેય નવરાત્રીમાં પણ ન ગયો. મેં મારા ભગવાન બદલી કાઢયા. તે મારી અંધશ્રદ્ધા હતી.'

'હું ડોક્ટર બન્યો પછી મારો ચિક્કાર ધંધો ચાલતો હતો. મારી મોટી હોસ્પિટલ હતી. પપ્પાનો તો બિઝનેસ મમ્મી ચલાવતી જ હતી. પૈસાનો તો જાણે ધોધ વહેતો હતો. આ દરમિયાન અમે અમદાવાદ આવ્યા. આ જે બંગલો છે તેમાં અમે રહેતા હતા. મારી મમ્મી બિમાર પડી. અમે ટેસ્ટિંગ કરાવ્યું તો બધા રિપોર્ટ નોર્મલ આવતા હતા પણ તેનું શરીર લેવાતું જતું હતું. કંઈજ સમજ પડતી નહોતી. મેં ત્યારે ફરીથી આ ભગવાન પાસે જઈને બાધા રાખી. મારી મમ્મી સાજી થઈ જશે તો હું લાડુ ખાવાનું છોડી દઈશ. કુદરતનું કરવું કે મારી મમ્મી સાજી થઈ ગઈ. આજે દસ વર્ષથી મેં લાડુ ખાધા નથી. મારી મમ્મી અત્યારે તારા દાદી સાથે જ બેઠા છે. તે દિવસથી મારી ઈશ્વરમાં શ્રદ્ધા બેવડાઈ ગઈ. મમ્મી સાજા થયા તેના એક જ મહિનામાં મારી નાની બહેનનું અવસાન થયું. તેને હાર્ટ એટેક આવ્યો હતો. તે હોસ્પિટલ આવી ત્યારે હું એક સર્જરીમાં બિઝી હતો અને તેને બીજા ડોક્ટર ટ્રિટ કરતા હતા પણ તેનો જીવ બચાવી ન શક્યા. મને મારું ભણતર, જીવતર અને આ કામ બધું જ નકામા લાગ્યા અને મેં છોડી દીધું.'

'ક્રિશિવ, હું શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંનેમાં માનું છું. તમે ધારેલું કામ ન થાય અને ઈશ્વર બદલવા નીકળો તો અંધશ્રદ્ધા અને તમે બધું જ ઈશ્વરના શરણે છોડી દો અને તેનું ધારેલું થાય તો શ્રદ્ધા કહેવાય. કુદરત સાથે ક્યારેય બાર્ટર કરાય નહીં. જીવન જેણે આપ્યું છે તેની સાથે સોદા કરવામાં ક્યારેય કોઈને ફાયદો થયો નથી, પછી તે ઈશ્વર હોય કે પછી આપણા માતા-પિતા.' - મુક્તેશ્વર બાપુએ પોતાની વાત પુરી કરી.

ક્રિશિવ ઊભો થયો, બાપની સામે જઈને તેમને દંડવત પ્રણામ કર્યા અને પછી નજીક જઈને બોલ્યો, કેન આઈ હેવ એ સેલ્ફિ વિથ યુ બાપુ... અને બંને હસી પડયા.

Tags :