લડીશ આખર સુધી .
- આજકાલ- પ્રીતિ શાહ .
- બીમારી દરમિયાન સૌરભ ઓનલાઇન બ્લૉગ વાંચવા લાગ્યો. વીડિયો જોવા લાગ્યો અને એણે વિચાર્યું કે દુનિયામાં આપણે જીવન જીવવા આવીએ છીએ. જો ખુશ રહીશું, તો જીવતા રહી શકાશે.
યુ વાન વયે અભ્યાસ પૂર્ણ થવાને આરે હતો અને આંખોમાં ભાવિનાં અનેક સોનેરી સ્વપ્નાં લઈને સૌરભ રાણે ફિઝીયોથેરપીની ઇન્ટર્નશિપ કરવામાં વ્યસ્ત હતા. ડી. વાય પાટિલ મેડિકલ કૉલેજના ફિઝીયોથેરપી વિભાગમાં સવારના નવથી ચાર વાગ્યા સુધી કાર્યરત રહેતા સૌરભ રાણે સાંજે એક ક્લિનિકમાં સેવા આપતા અને ત્યારબાદ લાઇબ્રેરીમાં જઈને વાંચન કરતા. ૨૧ વર્ષની ઉંમરે સ્ફૂત અને ઉત્સાહ એવા હતા કે આખા દિવસની વ્યસ્તતા પછી પણ શરીરમાં સહેજે થાક વર્તાતો નહીં.
પોતાના સ્વાસ્થ્ય અંગે સભાન સૌરભ રાણે નિયમિત ભોજનની સાથે સાથે નિયમિત વર્કઆઉટ પણ કરતા હતા. એવામાં એક દિવસ એમને તાવ આવ્યો અને થોડી ઉધરસ પણ આવતી. થોડી દવા લઈને ફરી પાછા પોતાની વ્યસ્ત જિંદગીમાં ડૂબી ગયા, પરંતુ હવે તાવ વારંવાર દેખા દેવા લાગ્યો, ક્યારેક છાતીમાં દુ:ખાવો થતો અને આશરે બાર-પંદર કિલો વજન પણ ઉતરી ગયું. ડૉક્ટરે નિદાન કરીને કહ્યું કે એમને ટી.બી. થયો છે.
સૌરભને આશ્ચર્ય એ થયું કે એમના પરિવારમાં ટી.બી.નો કોઈ ઇતિહાસ નથી. પોતે યુવાન છે, તંદુરસ્ત છે અને ટીબી જેવો રોગ કેવી રીતે થઈ શકે ? હવે ઈલાજ શરૂ થયો અને તેઓ થોડા મહિનામાં ફરી કામ કરવા લાગ્યા, પરંતુ છ મહિના પછી ગંભીર રીતે બીમાર પડયા અને વીસ કિલો વજન ઉતરી ગયું. એમને કહેવામાં આવ્યું કે તેઓ એક્સડીઆર ટી.બી.ની બૉર્ડર લાઈન પર છે. આ એવા પ્રકારનો ટી.બી. છે, જેમાં બૅક્ટેરિયા એટલા બળવાન થઈ ગયા હોય છે કે એના પર દવા અસર કરતી નથી. સૌરભ પોતે ડૉક્ટર હોવાથી બીમારીની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો હતો.
નિદાન કરવામાં ઘણું મોડું થયું હતું અને ફેફસાં પણ ઘણા પ્રભાવિત થઈ ચૂક્યાં હતાં. એને ઝડપથી રાહત થાય એવી એક નવી દવા ડૉક્ટર આપવા માગતા હતા, પરંતુ સૌરભનું શરીર તેને સહી શકે તેમ નહોતું. તેના હૃદયના ધબકારા ઘણા અસામાન્ય થઈ ગયા હતા અને કૅલ્શિયમ લેવલ પણ ઘણું વધી ગયું હતું, પરંતુ ડૉક્ટર અને દર્દી બંનેએ નિર્ધાર કર્યો કે કોઈપણ રીતે આ લડાઈ લડવી છે.
સહેજે હતાશ થવું નથી. ઝૂકવું તો નથી જ. સારવાર મોંઘી હતી. સૌરભે છ મહિના સુધી રોજ ઈંજેક્શન લેવાનું હતું અને બે વર્ષ સુધી રોજ વીસ ગોળી લેવાની હતી. આ દવાની આડઅસર ઘણી હતી. સ્વભાવમાં ચીડિયાપણું, ડિપ્રેશન, તકિયામાં મોઢું નાખીને બૂમો પાડવી વગેરે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી તો લાગતું કે બસ હવે આગળ નહીં વધાય, પરંતુ માતા-પિતા, કુટુંબીજનો, મિત્રો અને ડૉક્ટરોના સાથને લીધે સારવાર પૂરી થઈ.
બીમારી દરમિયાન સૌરભ ધીમે ધીમે ઓનલાઇન બ્લૉગ વાંચવા લાગ્યો. વીડિયો જોવા લાગ્યો અને એણે વિચાર્યું કે દુનિયામાં આપણે જીવન જીવવા આવીએ છીએ. જો ખુશ રહીશું, આનંદમાં રહીશું તો જીવતા પણ રહી શકાશે અને તે ક્ષણે સૌરભે નક્કી કર્યું કે તે ક્યારેય કોઈ પણ સંજોગોમાં જીવવાની આશા છોડશે નહીં. સારવાર દરમિયાન જ એણે જાન્યુઆરી ૨૦૧૬માં મુંબઈમાં યોજાનારી મેરેથોનમાં ભાગ લેવાનું નક્કી કર્યું.
એની સામે સૌથી મોટો સવાલ એ હતો કે તે આ મેરેથોન પૂરી કરી શકશે ખરો ? એને એવી પણ આશા નહોતી કે લોકો એની મદદ કરશે, પરંતુ ઘણા લોકોએ એને મદદ કરી અને ૫૭ મિનિટમાં દસ કિમી.ની મેરેથોન કોઈ પણ મેડિકલ સહાય વિના પૂરી કરી. પહેલી વખત એને લાગ્યું કે એ દર્દી નથી, પરંતુ સામાન્ય વ્યક્તિ છે. આ સફળતાએ સૌરભમાં એક ઉત્સાહી ઍથ્લેટને જન્મ આપ્યો. બે મહિના પછી તેઓ કાંગડામાં વીસ હજાર ફૂટની ઊંચાઈએ હતા અને ૧૪૦ કિમી.ની બાઈક રાઈડ પણ કરી.
ડૉ. સૌરભ રાણે કહે છે કે વિશ્વમાં સૌથી વધારે ટી.બી.ના દર્દીઓ ભારતમાં છે. ટી.બી. હવે જીવલેણ રોગ પણ નથી, પરંતુ આજે લાખોની સંખ્યામાં ટી.બી.ના દર્દીઓ મૃત્યુ પામે છે. આજે લાખો લોકો આ રોગને કારણે ડિપ્રેશન, ગરીબી કે દેવામાં ડૂબી જાય છે અને ટી.બી.ના દુશ્મન સામે હારી જાય છે. એણે વિચાર્યું કે જે વ્યક્તિ ટી.બી.ને મહાત આપીને સાજો થયો છે તે જ સારો મેન્ટર બની શકે. એના જેવા કેટલાક લોકોએ ભેગા થઈને 'સર્વાઇવર્સ અગેંસ્ટ ટી.બી.' નામના સંગઠનની સ્થાપના કરી. તેઓ ટી.બી.ના દર્દીઓને જાગૃત કરે છે.
૨૭ વર્ષના સૌરભ રાણે સ્ટોપ ટીબી પાર્ટનરશિપ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને વૈશ્વિક સ્તર પર આ અંગે કામ કરી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા જેવાં કે ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર કાઉન્સેલિંગ કરીને દર્દીઓમાં અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. દરેક વ્યક્તિએ ટી.બીના દર્દી વિશે જૂના ખ્યાલો કાઢીને દર્દીને સશક્ત બનાવવાનું કામ કરવાનું છે. એને ટી.બી.ના દર્દી તરીકે નહીં એક માનવી તરીકે જોવાના છે. એના આ કામ માટે અબુધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાહદ અને બીલ ગૅટ્સની ઉપસ્થિતિમાં એનું સન્માન કરવામાં આવ્યું.
ઉપાસનાનું અજવાળું
- ઉપાસના તે ટૅક્સ્ટમાંથી બ્રૅઇલમાં રૂપાંતરિત કરતું સૉફ્ટવેર શીખી. મેગેઝીન મોકલવાની વ્યવસ્થા ગોઠવી. 'વ્હાઇટ પેપર'ના પ્રથમ અંકની માત્ર વીસ નકલ જ તૈયાર કરી.
ઉ પાસના મકાતીના જીવનમાં આમ તો કોઈ અભાવ કે દુ:ખ નહોતા. પોતાના મનપસંદ ક્ષેત્રમાં અર્થાત્ પત્રકારત્વ વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવીને ઉચ્ચ અભ્યાસાર્થે તે કેનેડા ગઈ. કેનેડાની યુનિવસટી ઑફ ઓટાવામાં કોર્પોરેટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો અને મુંબઈ પાછી ફરી. મુંબઈની પબ્લિક રિલેશન્સ ફર્મમાં ઊંચા પગારે નોકરી કરતી ઉપાસનાને જીવનમાં સતત એવું લાગતું કે જીવનમાં જોઈએ એવો આનંદ કે સંતોષ નથી.
વળી ઉપાસના મકાતીને એક સારી ટેવ એ હતી કે રાત્રે સૂતા પહેલાં પોતાની જાત સાથે વાત કરતી અને આત્મનિરીક્ષણ કરતી કે આજે શું સારું થયું, શું ખોટું થયું, આજના કામથી જીવન વધુ અર્થસભર બન્યું કે નહીં અને એક રાત્રે એને વિચાર આવ્યો કે સામાન્ય વ્યક્તિને કંઈ વાંચવું હોય તો કેટલા બધાં સમાચારપત્રો અને સામયિકો છે, પરંતુ પ્રજ્ઞાાચક્ષુઓ શું વાંચતા હશે ? તેમના માટે બ્રૅઇલ લિપિમાં કોઈ સામયિક નીકળતું હશે ? ઉપાસના તેના સંશોધન માટે નૅશનલ એસોસિયેશન ફૉર ધ બ્લાઇન્ડ નામની સંસ્થામાં ગઈ, ત્યારે એને જાણવા મળ્યું કે અત્યાર સુધી આવું કોઈએ વિચાર્યું નથી અને સંસ્થા પોતે દર ત્રણ મહિને કેટલાક ન્યૂઝલેટર પોતાના વાચકો માટે પ્રકાશિત કરે છે. ધીમે ધીમે ઉપાસનાના મનમાં પ્રજ્ઞાાચક્ષુઓ માટે સામયિક પ્રકાશિત કરવાનો વિચાર દ્રઢ બન્યો. ત્રણ મહિનામાં એણે નોકરી છોડી દીધી અને મે ૨૦૧૩માં ૬૪ પાનાંનું બ્રૅઇલલિપિમાં અંગ્રેજી લાઈફ સ્ટાઈલ મેગેઝીન 'વ્હાઇટ પેપર' પ્રકાશિત કર્યું.
આ સામયિક મુંબઈની નૅશનલ એસોસિયેશન ફૉર ધ બ્લાઈન્ડ સંસ્થામાં છપાયું. જેમાં રાજકારણ, ફિલ્મ, સંગીત, ટૅક્નૉલૉજી, કલા, પ્રવાસ, વાનગી બનાવવાની રીત અને સામાન્ય વ્યક્તિની પ્રેરણાદાયક વાતનો સમાવેશ થતો હતો. ક્યારેક સાહિત્યિક ટૂંકી વાર્તા પણ આપવામાં આવતી.
એમાં વાચકોનો વિભાગ પણ રાખવામાં આવ્યો. જેમાં વાચકો સ્વરચિત કવિતા, લેખ, પોતાના અભિપ્રાયો અને કોઈ વિચાર જે અન્ય પ્રજ્ઞાાચક્ષુઓ સાથે વહેંચવા માગતા હોય તેવી બાબતોને સ્થાન આપવામાં આવતું. આમાં બરખા દત્ત અને સુધા મૂતના લખાણો આવતાં.
ઉપાસના કહે છે કે કોઈ નવું સાહસ કે સ્ટાર્ટ-અપમાં મુશ્કેલીઓ ન આવે તેવું બનતું નથી. સૌથી પહેલો પ્રશ્ન તો તેના આર્થિક પાસાંનો આવ્યો, કારણ કે 'વ્હાઈટ પેપર' એ કોઈના દાનથી ચલાવવાની તેની ઇચ્છા નહોતી, તેથી સૌથી પહેલું કામ એના માટે જાહેરખબરો મેળવવાનું હતું. તેના માટે એણે બસો જેટલા ઈ-મેઈલ કર્યા, પરંતુ એમાંથી એક જ જવાબ આવ્યો. તે હતો રેમન્ડના માર્કેટિંગ હેડનો.
પહેલા અંકમાં તેમની જાહેરખબર મળી. ત્યારબાદ ધીમે ધીમે અન્ય કોર્પોરેટ જૂથો જોડાયા. ઉપાસના પોતે ટૅક્સ્ટમાંથી બ્રૅઇલમાં રૂપાંતરિત કરતું સૉફ્ટવેર શીખી. એ ઉપરાંત મેગેઝીન તૈયાર થયા પછી મોકલવાની વ્યવસ્થા ગોઠવી. 'વ્હાઇટ પેપર'ના પ્રથમ અંકની તો માત્ર વીસ નકલ જ તૈયાર કરી હતી. ત્યારબાદ ધીમે ધીમે તેનો વ્યાપ વધવા લાગ્યો. કેટલાક લોકો તો ઉપાસનાને ફોન કરીને કહેતા કે સવારે મેગેઝીન મળ્યું ને સાંજ સુધીમાં તો આખુંય વાંચી નાખ્યું. કારણ કે એ વાંચવા માટે કોઈના પર આધારિત રહેવાનું નહોતું.
ઉપાસના મકાતી કહે છે કે આવા ફોન એને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડતા, કારણ કે રોજ સવારે આપણે અખબાર કે મેગેઝીનથી આપણો દિવસ શરૂ કરીએ છીએ, વાંચીએ છીએ અને બાજુ પર મૂકી દઈએ છીએ. આપણને એની બહુ કિંમત નથી હોતી. જ્યારે આવા કેટલાય લોકો છે કે જેઓ એની આતુરતાથી રાહ જુએ છે.
ઉપાસનાએ આ મેગેઝીન માટે કોકા-કોલા, ઍરસેલ જેવી કંપનીઓ પાસેથી જાહેરખબરો મેળવી. કોકા-કોલાએ તો જાહેરખબરના સ્વરૂપે સાઉન્ડ ક્લીપ મોકલી, જેણે મ્યુઝીકલ કાર્ડ જેવું કામ કર્યું અને તેના ખૂબ સારા પ્રતિભાવ મળ્યા. પોતાના મેગેઝીન માટે રતન તાતાને કાગળ લખ્યો અને જાહેરખબર મેળવી. જેમ જેમ પ્રતિભાવો મળતા ગયા તેમ તેમ મેગેઝીનમાં પરિવર્તન કરવામાં આવ્યું.
ધીમે ધીમે દર મહિને ત્રણસો પ્રત છપાવા લાગી. ઉપાસનાની ઇચ્છા અન્ય ભાષામાં પણ આવું મેગેઝીન પ્રકાશિત કરવાની છે. સોશિયલ મીડિયા દ્વારા એમને સારો પ્રતિભાવ મળ્યો. એંશી વર્ષની વાચકે ઉપાસનાને કહ્યું કે 'વ્હાઇટ પેપર' બંધ ન કરશો, કારણ કે જે જગતને અમે જોઈ નથી શક્યા તે જગતને અમે આ મેગેઝીન દ્વારા થોડું તો જોઈ શકીએ છીએ. 'વ્હાઈટ પેપર' દ્વારા ઉપાસના પ્રજ્ઞાાચક્ષુઓને મુખ્યધારા સાથે જોડવા માગે છે. તેથી જ ઉપાસના કહે છે કે આ મેગેઝીન પ્રકાશનની પ્રવૃત્તિ જે આનંદ અને સંતોષ સાથેની ઊંઘ આપે છે તે કદાચ નોકરીની સલામતી અને તેનો મોટી રકમનો ચેક ન આપી શક્યા હોત.