'હું નથી ઇચ્છતો કે મારા દેશનો યુવાન ચીલે ચાલે, માનવતાનો માર્ગ અપનાવવા એ નવી કેડી પાડે
- કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- યૌવન એ જીવનની શ્રેષ્ઠ ઋતુ છે. એક ખુશ્બોદાર પુષ્પ, જે જીવનદાતા પરમેશ્વરની ઋણ અદાયગીનું નિમિત્ત બનવું જોઈએ
'બે ટા, અધ્યાય, નાની ઉંમરે આટલી બધી દેવોપાસના કે આધ્યાત્મિકતા બરાબર નથી ! સંસાર માણવા જેવો છે. જેની એક-એક ઘડી સત્વરે સરી જાય, એનું નામ સંસાર. જેને આપણે આરાધ્ય ગણીએ છીએ એ દેવસૃષ્ટિએ પણ સુખોનો પરિત્યાગ નહોતો કર્યો.'
- અધ્યાયના પપ્પા ચિન્મયાનંદે કહ્યું.
'આપની વાત સાચી છે પપ્પા, પણ મારો જીવન પ્રત્યેનો અભિગમ જરા જુદો છે. માત્ર માતા-પિતાના ચરણોમાં વંદન કરી સેવાધર્મની સાવ ઉપેક્ષા કરવી એવી સીમિત ધર્મભાવના મને પચતી નથી. જીવન એકલા શ્રેયનો અવસર નથી અને એકલા પ્રેયનો પણ અવસર નથી. બંનેનો સરવાળો છે. હું શ્રેય એટલે કલ્યાણકારી પ્રવૃત્તિઓને વધુ મહત્વ આપું છું અને પ્રેયને ગૌણ. મને ભગવાને રચેલી આ સૃષ્ટિ ખૂબ જ ગમે છે. મહેકતાં ફૂલો, નાચતાં-કૂદતાં ઝરણાં, વેગે વહેતી સરિતાઓ, ઘૂઘવતો સાગર, પર્વતના હિમાચ્છાદિત શિખરો અને વરસવા ઉત્સુક વાદળીઓની ઘનઘોર ઘટાથી ઘેરાએલું આકાશ મને ગમે છે. હું મને મળતો સમય ખાઇ-પી અને નિંદ્રાધીન થવામાં ગાળવા નથી માગતો. આધ્યાત્મિક ગ્રંથો પણ હું મારા વ્યક્તિત્વને સકારાત્મક અને શ્રદ્ધાત્મક બનાવવા જ વાંચું છું.' - અધ્યાયે નમ્રતાપૂર્વક કહ્યું.
પણ 'પ્રેય' એટલે ગમતા માટે તારે તૈયારી તો કરવી પડે ને ! તારી વધારે પડતી સાદગી અને ચહેરાની ગંભીરતા કઈ યુવતી પસંદ કરશે ? આવતી સાલ તું એમ.બી.એ. થઈ જઈશ. મનગમતી નોકરી અને મનપસંદ જીવનસંગિની એ જ તારા જીવનનું ધ્યેય બનવાં જોઈએ. સેવા પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ સ્વાદિષ્ટ લાગે, પણ એનાથી પેટ ન ભરાય. આદર્શવાદ એ ઘેલછા ન બનવો જોઈએ.' અધ્યાયના પપ્પાજીએ કહ્યું.
અધ્યાયને આદર્શવાદની ઘેલછા નહોતી પણ એ માનતો હતો કે યૌવન એ જીવનની શ્રેષ્ઠ ઋતુ છે, એક ખુશ્બોદાર પુષ્પ, જે જીવનદેતા પરમેશ્વરની ઋણ અદાયગીનું નિમિત્ત બનવું જોઈએ.
એણે કહ્યું: પપ્પાજી, આપ એમ માનો છો કે હું સાયંકાળે કેવળ મંદિરમાં દેવદર્શન માટે વિતાવું છું ? એવું નથી, હું સાંજનો સમય પાર્ટ ટાઇમ નોકરી કરી આવક ઉભી કરવામાં વિતાવું છું... મારી એ આવક ગરીબો અને નિરાધાર વિધવાબહેનોના ભરણપોષણ માટે અર્પિત કરું છું. મારી જ કૉલેજનો એક ગરીબ વિદ્યાર્થી છે. એના પપ્પાનું હાર્ટએટેકમાં અવસાન થયું... એનો કોલેજનો અભ્યાસ અટકી પડે તેમ હતો. મેં તેને ફી વગેેરેની મદદ કરી એટલું જ નહીં, એ અભ્યાસમાં વધુ તેજસ્વી બને એ માટે અઠવાડિયામાં ત્રણ દિવસ એને નિઃશુલ્ક ટયૂશન આપું છું.
એ સ્વાવલંબી બને એટલે મારી ફરજ પૂરી. મમ્મી મને મારા જન્મદિવસે મિત્રો સાથે પાર્ટી ગોઠવવા પંદર હજાર મોંઘા બૂટ, ગોગલ્સ અને ફેશનેબલ વસ્ત્રો ખરીદવાની સૂચના સાથે આપે છે. એ પૈસાનો હું સ્વીકાર કરું છું પણ વાપરતો નથી. બચાવીને બેંક-ખાતામાં ફિક્સ ડિપોઝિટ તરીકે જમા કરાવું છું. છેલ્લાં પંદર વર્ષમાં એ રકમ વ્યાજ અને મારી અન્ય કમાણી સાથે પાંચ લાખ જેટલી થઈ છે.' અધ્યાયે સ્પષ્ટતા કરી.
'તારા પાંચ લાખ અને એમાં ઉમેરીએ મારા પંદર લાખ. તારાં ધામધૂમથી લગ્ન કરીએ અને તે પણ કોઇ વગદાર અને અમીર પરિવારની દીકરી સાથે. જેથી નોકરીનો પ્રશ્ન પણ હલ થઈ જાય. ઋષિ-મુનિઓ પણ સેવા સમર્પિત હતા અને આધ્યાત્મિકતાને વરેલા હતા, પણ તેમણે સંસારની ઉપેક્ષા નહોતી કરી. તારે પણ એમના જીવનમાંથી બોધપાઠ લેવો જોઈએ.' - ચિન્મયાનંદે કહ્યું.
'પપ્પા, લગ્ન માટે જે ઘડી મને અનુકૂળ લાગશે, તે ઘડીએ તે અંગેનો નિર્ણય કરીશ. આપ લગ્ન માટે જે રકમ ખર્ચવા માગો છો, તેટલી રકમ મને 'લોન' તરીકે આપો. હું મારી બચત તેમાં ઉમેરી બેંક પાસેથી પણ લોન લઇશ અને નાના પાયા પર એક ફેકટરી શરૂ કરીશ. એના દ્વારા ગરીબ અને જરૂરિયાત ધરાવતા યુવાનો અને લાચાર સ્ત્રીઓને કામ આપીશ. ફેકટરી મારે માટે 'કમાણી'નું સાધન નહીં હોય, પણ પારિવારિક ભાવનાથી ચાલતી વ્યવસ્થા હશે.
એમાં કામ કરતા દરેક કર્મચારીએ બચત કરવી પડશે. એ બચતમાં હું મારો ભાગ ઉમેરી તેમનું ભાવિ સલામત બને તેવી ગોઠવણ કરીશ. ફેકટરી ચોવીસ કલાક કામ કરશે અને યુવાનોને સ્વાવલંબી બનવા માટે હું પાર્ટટાઇમ નોકરી આપીશ. પપ્પા, હું દેશસેવાને દેવસેવા માનું છું અને કમાણીને સુખ વહેંચવાનું સાધન. મારે એકલા એ સુખી થવું નથી. એકલપેટા થઈ સુખ ભોગવવું એ સામાજિક અપરાધ છે. પપ્પા, મને મારી રીતે જીવવાના આશીર્વાદ આપો. આપની આજ્ઞાાનું મારે ઉલ્લંઘન નથી કરવું. આપની સમ્મતિ સત્કાર્યો કરવાની મારી શક્તિ બને એવી શુભાશિષ જ મને પ્રસન્નતા અર્પશે.' - અધ્યાયે કહ્યું.
એટલામાં પડોશમાં રહેતા સુમતિલાલ ભારે ખટપટીઆ. એમની 'મતિ'માં 'સુ' શબ્દ ભૂલથી ઉમેરાયો હતો. બીજાના ઘરમાં કલહ કરાવવામાં તેઓ પોતાના જીવનની સફળતા માનતા હતા.
અધ્યાય અને તેના પિતા ચિન્મયાનંદની વાત ચાલતી હતી, એમાં સુમતિલાલ વગર આમંત્રણે ટપકી પડયા. સુમતિલાલ માટે 'અતિથિ' શબ્દ બંધ બેસતો હતો. એમને આવવાની તિથિ એટલે કે દિવસ, તારીખ, વાર, સમય કશું જ નક્કી નહીં. સુમતિલાલ ભારે વાતોડીઆ અને અફવાબાજ. લોકો તેમને 'શાન્તિનાશક આતંકવાદી' માનતા. બે વ્યક્તિ વચ્ચેનું વેર એ એમને માટે લહેરનો વિષય હતું...
એમણે આવતાંની સાથે ધડાકો કર્યો, 'ચિન્મયાનંદજી, મારે ન કહેવું જોઈએ, પણ તમને ચેતવ્યા સિવાય પણ ચાલે એમ નથી !'
ચિન્મયાનંદ સાવધાન થઈ ગયા. એમણે સુમતિલાલને પૂછયું: 'એવી તે શી વાત છે કે તમારે મને ચેતવવો પડે. હું અને મારી પત્ની સાધના સીધે રસ્તે ચાલનારાં માણસો છીએ. અને અમારો ખોટનો દીકરો અધ્યાય તો એક આદર્શ યુવક છે. એનાં તો જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં.'
સુમતિલાલ ખડખડાટ હસી પડયા. એમણે ત્યાં બેઠેલા અધ્યાયને કહ્યું: 'બેટા, મારે અને તારા પપ્પાએ એક ખાનગી વાત કરવી છે. અમને એકાન્ત આપીશ ?'
અધ્યાય 'કુથલી સમ્રાટ' સુમતિલાલને સારી પેઠે ઓળખતો હતો. નારદ મુનિ તો કોઇક ઉદાત્ત ધ્યેય માટે એકની નિંદા બીજા સમક્ષ કરતા હતા. પણ સુમતિલાલ નારદના કલિયુગી અવતાર સમાન હતા. તેઓ 'શાન્તિ એપાર્ટમેન્ટ'ના ચૅરમેન બન્યા, ત્યારે એમણે પહેલો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, એપાર્ટમેન્ટનું નામ બદલવાનો. એમણે એપાર્ટમેન્ટના સભ્યોને કહ્યું હતું કે કોઇના ઘરમાં સદાય 'શાન્તિ'નું વાતાવરણ હોતું જ નથી. એટલે 'શાન્તિ એપાર્ટમેન્ટ' ને બદલે 'આધુનિક એપાર્ટમેન્ટ' રાખો. આ નામ વાસ્તવિક છે.'
પરંતુ એપાર્ટમેન્ટના સભ્યો 'શાન્તિ' નામની તરફેણમાં હતા. એટલે ચૅરમેને સુમતિલાલનો પ્રસ્તાવ સહુએ ફગાવી દીધો. દુષ્ટ બુધ્ધિ સુમતિલાલે તે જ ઘડીએ મનોમન નક્કી કર્યું હતું કે હું જોઇ લઇશ કે શાન્તિ એપાર્ટમેન્ટના સભ્યો પોતાના ઘરમાં શાન્તિ કેવી રીતે જાળવે છે ! અને ત્યારથી સુમતિલાલનું 'અશાન્તિ પ્રસાર અભિયાન' શરૂ થયું હતું.
અધ્યાય 'નમસ્તે અંકલ' કહી પોતાના સ્વાધ્યાય ખંડમાં ચાલ્યો ગયો હતો.
એના ગયા બાદ સુમતિલાલે કુથલીનો ટેટો ફોડવાનું શરૂ કર્યું હતું. એમણે ચિન્મયાનંદને કહ્યું: ''જોયું, દગલબાજ દોઢા નમે ! બહારથી કેવો ડાહ્યો-ડમરો દેખાય છે પણ માંહ્યલા ગુણ મહાદેવજી જાણે ! આપણા એપાર્ટમેન્ટમાં અધ્યાય વિશે કાનનાં કીડા ખરી પડે એવી નિંદાત્મક વાતો થાય છે.''
ચિન્મયાનંદે અધ્યાત્મનો બચાવ કરતાં કહ્યું: ''લોકો પ્રતિભાશાળી વ્યક્તિની નિંદા કરવા ટેવાએલાં હોય છે. કયા યુગમાં દેવ જેવા માણસોને પણ લોકોએ દોષમુક્ત ગણ્યા હતા ? અધ્યાય તો મારાં કેટલાંય પુણ્ય પ્રતાપે મારા દીકરા તરીકે જન્મ્યો છે. હીરો છે મારો પુત્ર.''
સુમતિલાલે એમની વાતનો વિરોધ કરતાં કહ્યું: ''આપણા દેશનાં મા-બાપો સંતાન પ્રત્યેની અંધભક્તિનો નમૂનો છે. પોતાના 'ઝીરો' જેવા પુત્રને 'હીરો'માં ખપાવવો એને મા-બાપો વાત્સલ્ય ધર્મ માને છે... ધૃતરાષ્ટ્રને પણ દુર્યોધનમાં કોઇ દોષ ક્યાં દેખાતો હતો. ? તમારે મારી વાત ન જ સાંભળવી હોય તો હું મારું મોંઢું સીવી લઉં અને અહીંથી વિદાય થાઉં.''
સુમતિલાલની વાતમાં અધ્યાયની મમ્મીને જાણકારી માટે રસ પડયો. એમણે કહ્યું: ''અમે તમને મૌન ધારણ કરવાનું નથી કહેતા. લોકો અમારા પનોતા પુત્ર અધ્યાય વિશે જે કાંઇ વગોવણી કરતા હોય તે તમે અમને અચૂક જણાવો. એમાં જે કાંઇ તથ્ય હશે તે સમજીને અધ્યાયને સુધરવાનું સૂચન કરીશું. એટલામાં ચિન્મયાનંદનાં પત્ની સાધનાબહેન પણ આવી પહોંચ્યા. સુમતિલાલને કુથલીયંત્રને વેગ આપવાનો પરવાનો મળી ગયો. એમણે કહ્યું: ''માફ કરજો ચિન્મયાનંદભાઇ, પણ સાધનાબેન નિષ્પક્ષ દ્રષ્ટિકોણ ધરાવે છે. રોગ મટાડવા દર્દીના રોગની જાણકારી તો મેળવવી પડે ને! કડવું ઓસડ તો મા જ પીવડાવે.''
''હવે જલ્દી વાત પૂરી કરો. મારા અધ્યાયને કોલેજ જવાનો સમય થયો છે. હજી મારે એને માટે નાસ્તો તૈયાર કરવાનો છે.'' સાધનાબેને કહ્યું.
''અધ્યાયના નાસ્તા અને ભોજનની ચિંતા ન કરશો. એ તો બહાર નાસ્તો અને ભોજન કરવા ટેવાએલો છે ! સાંજે મિત્રો સાથે પાર્ટી કરવી, જુગાર રમવો અને આડા માર્ગે ચઢી જવું - એ બધાં આપનાં લાડકા પુત્રનાં કુલક્ષણો છે. તમને એના દૂષણની ગંધ ન આવે માટે માતૃ-પિતૃ ભક્તિનો ઢોંગ કરે છે. મંદિરના ઓટલે બેઠો-બેઠો પણ અધ્યાય ભક્તિ અને ભગવાનને બદલે આવતી-જતી સ્ત્રીઓ તરફ કુદ્રષ્ટિ રાખે છે. મને તો બીક છે કે એક દિવસ અધ્યાયના ગેરવર્તનનું પોલ બહાર પડશે તો 'શાન્તિ એપાર્ટમેન્ટ'નું નામ બદનામ થશે. હવે તમારે સાવધાન થવાની જરૂર છે. જેટલું મોડું કરશો તેટલાં માઠાં પરિણામો નિકટ આવશે. આ તો હું તમારો હિતચિંતક છું માટે તમને ન ગમે તેવી વાત મોંઢામોંઢ કહેવા આવ્યો છું.. મારો પડોશીધર્મ તમને ચેતવવાની મને ફરજ પાડે છે ! મને મીઠું - મીઠું બોલતાં નથી ફાવતું. રોગ મટાડવો હોય તો કડવું ઔષધ.. જ ખપ લાગે એ વાત સો ટકા સાચી છે.. લો, આવજો, રામ-રામ.'' - કહી સુમતિલાલે વિદાય લીધી.
સુમતિલાલની કાન ભંભેરણીથી ચિંતિત થએલા ચિન્મયાનંદે અધ્યાયને તાત્કાલિક કશો ઠપકો આપવાને બદલે એની પર 'વૉચ' ગોઠવી. એમણે નીમેલો જાસૂસ સતત અધ્યાયનો પીછો કરતો હતો. રજેરજની માહિતી એ ટપકાવી રાખતો અને દર અઠવાડિયે એની નોંધ શેઠ ચિન્મયાનંદને આપતો. સાધનાદેવી પણ અધ્યાયના વર્તન વિશે શંકાશીલ બન્યાં હતાં. પરંતુ તેઓ પુત્રને દુભવવાને બદલે 'તેલ જુઓ, તેલની ધાર જુઓ'ની નીતિમાં માનતાં હતાં.
એક અઠવાડિયા બાદ જાસૂસે શેઠ ચિન્મયાનંદને રિપોર્ટ આપ્યો કે સુમતિલાલ અધ્યાયભાઇ વિશે કરેલાં વિધાનો અને કુથલી બિનપાયેદાર છે. સાંજનો બધો જ સમય અધ્યાયભાઇ પાર્ટટાઇમ નોકરી અને ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવામાં ખર્ચે છે !
જાસૂસનો રિપોર્ટ જાણી ચિન્મયદાનંદના ગુસ્સાનો પાર ન રહ્યો. તેઓ ઝઘડો કરી સુમતિલાલની ફજેતી કરવા ઈચ્છતા હતા. પણ સાધનાદેવીએ તેમને રોક્યા. અને સમજાવ્યું કે દુષ્ટ સામે વેર કરવાથી સારા માણસોની પણ બદનામી થાય છે. આપણા દીકરા વિશેનો આપણો વિશ્વાસ સાચો ઠર્યો. એનો આનંદ લેવામાં જ શાણપણ છે.
એ વાતને એકાદ મહિનો પસાર થયો હશે, ત્યાં સાંજના સમયે અધ્યાય પાર્ટટાઇમ નોકરીએથી પાછો ફરી રહ્યો હતો. એવામાં લોકોનું ટોળું નજરે પડયું.. પોતાની કંપનીના જનરલ મેનેજરની કારને એક્સીડેન્ટ થયો હતો. ટ્રકે કારને ટક્કર મારી, એમાં કાર ઊંધી પડી અને ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ અવસાન થયું.. મેનેજરને સામાન્ય ઈજાઓ થઇ હતી, એટલે એમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
ડ્રાઇવરની ઉમ્મર હજી માંડ પચ્ચીસ વર્ષની હતી. એક નાનકડી ખોલીમાં તે પત્ની સાથે રહેતો હતો.
અધ્યાય એ ડ્રાઇવરની ખોલીએ પહોંચી ગયો. પોસ્ટમોર્ટમથી અગ્નિસંસ્કાર સુધીની જવાબદારીમાં મૃત ડ્રાઇવરની પત્ની સંગતિને પૂરો સહકાર આપ્યો. શ્રાધ્ધક્રિયા અને ભરણપોષણ માટે તાત્કાલિક રૂપીઆ પચ્ચીસ હજાર રોકડા આપ્યા.
અને બીજે દિવસે પોતાની ફેકટરી શરૂ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી. છ મહિનામાં ફેકટરીનું નાનકડું મકાન બંધાઇ ગયું અને તેના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
ફેકટરીનું ઉદ્ઘાટન મૃત ડ્રાઇવરની પત્ની સંગતિના હાથે રાખવામાં આવ્યું... એ પહેલાં કામદારો નક્કી કરવાની વિધિ પણ આયોજનપૂર્વક પતાવવામાં આવી. અધ્યાયે અભ્યાસ કરતા ગરીબ યુવાનો અને ગરીબ વિધવાઓને નોકરીમાં અગ્રિમતા આપી. અધ્યાત્મના આ અભિનવ પ્રયોગને સહુએ ઉમળકાભેર વધાવી લીધો.
અધ્યાયે ફેકટરીના ઉદ્ઘાટનની ભૂમિકા સમજાવતાં કહ્યું: ''મારી ફેકટરીનો માલિક હું એકલો નથી. અહીં કામ કરનાર સર્વ કારીગરો અને કર્મચારીઓ છે. સંગતિબેન પર કુદરતનો કોપ ઉતર્યો છે. પણ આપણે પ્રારબ્ધ વિધાન આગળ લાચાર છીએ. હું મારી ફેકટરીના પાર્ટનર તરીકે સંગતિદેવીને જાહેર કરું છું. કારણ કે તેઓ વિધવા...''
અધ્યાયને આગળ બોલતાં સંગતિએ કહ્યું: ''મારા મૃત પતિએ એક દેવદૂત જેવા યુવકના હૃદયમાં વસીને મારી સારસંભાળ રાખવાની જવાબદારી સોંપી હોય એવું મને લાગે છે. એટલે વિધવા શબ્દ મારા લલાટમાંથી ભૂંસી નાખીને હું સધવા થવા ઈચ્છું છું.. શેઠ ચિન્મયાનંદજીના મહાન પુત્ર અધ્યાયની પત્ની બનીને. જો તેઓ મને અપનાવવા તૈયાર હોય તો !''
એટલામાં એક કર્મચારી અધ્યાયને હાર પહેરાવવા આવ્યો.
અધ્યાયે તેના હાથમાંથી હાર લઇ સંગતિને પહેરાવતાં કહ્યું: ''મેં મારા પિતા ચિન્મયાનંદજીને કહ્યું હતું કે યોગ્ય ઘડીએ હું સાંસારિક જીવનમાં પ્રવેશનો નિર્ણય લઇશ. એ પવિત્ર ઘડી આજે આવી પહોંચી છે. સંગતિને હું મારી ધર્મપત્ની તરીકે સ્વીકાર કરું છું. હું નથી ઈચ્છતો કે મારા દેશનો યુવાન ચીલે ચાલે. માનવતાનો માર્ગ અપનાવવા એ નવી કેડી પાડે. સંગતિનો સંગ સત્કાર્યો કરવાનું મને બળપ્રદાન કરશે.''
અને હર્ષનાદ સાથે લોકોએ સંગતિ અને અધ્યાયના નિર્ણયને વધાવી લીધો હતો. અધ્યાયના જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો હતો.