Get The App

સાપના જીવલેણ ઝેરનો અબજોનો વેપાર

Updated: Nov 19th, 2023

GS TEAM


Google News
Google News
સાપના જીવલેણ ઝેરનો અબજોનો વેપાર 1 - image


- ઝેરીલા વિષમાંથી દવા પણ બને અને ડ્રગ્સ પણ !

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- સાપનું ઝેર માત્ર શારીરિક જોમ મેળવવા માટે ઉપયોગી છે એવું નથી. હૃદયરોગના અકસીર ઈલાજ માટે પણ સાપનું ઝેર ઉપયોગી સાબિત થયું છે. 

પા ટનગર દિલ્હીમાં ઘણાં ઊંધા-ચત્તા ધંધા ચાલતા હોય છે. ગુનાનો એવો એક પણ પ્રકાર નહીં હોય જે ભારતની રાજધાનીમાં બનતો નહીં હોય. હમણાં, નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં સાપના ઝેરને પાર્ટીડ્રગ તરીકે વેંચવાનો ગોરખધંધો બહાર આવ્યો. ભાજપના સાંસદ મેનકા ગાંધીની સંસ્થા પીપલ ફોર એનિમલ્સ (પી.એફ.એ.)ના પ્રયાસોથી આ ભાંડો ફુટયો. ત્યારે ખબર પડી કે નોઇડા સ્થિત એક સ્થળે રેવપાર્ટી યોજાઇ હતી જેમાં સાપના ઝેરમાંથી કીક મેળવવા દેશ-વિદેશના જુવાનિયાઓ ભેગા મળ્યા હતા.

આ પાર્ટી પર ઓચિંતો છાપો મારી પોલીસે આયોજકો પાસેથી ૨૨ મીલીગ્રામ ઝેર તથા કોબ્રા સહિત કુલ નવ પ્રકારના સાપ પકડયા હતા. કહે છે કે આ સંપૂર્ણ વિવાદમાં બીગબોસ વિજેતા એલ્વીસ યાદવનું નામ બહાર આવ્યું છે.

 આમ તો નશાખોરો નશો કરવા માટે અનેક નશીલા પદાર્થોનું સેવન કરતા હોય છે. હવે તેમાં સાપના ઝેરનો ઉમેરો થયો છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં તેનું પ્રમાણ વધ્યું છે. નશો કરવા માટેનું ઝેર પૂરું પાડવા માટે અનેક ખતરનાક અને સંગઠિત ટોળકીઓ આ ક્ષેત્રે સક્રિય છે. થોડા સમય પૂર્વે થાણે શહેર પોલીસે બે વ્યક્તિઓને ત્રણ મિલિગ્રામ સાપના ઝેર સાથે પકડી હતી. આ ત્રણ મિલિગ્રામ સાપના ઝેરની બજારકિંમત એક લાખ વીસ હજાર રૂપિયા છે. થાણે જિલ્લો સાપના ઝેરના સોદાગરોનું મુખ્ય મથક બની ગયું છે. એનાં બે કારણો છે. એક તો અહીં ધનાઢ્યોની વસતિ વધી રહી છે, ઉપરાંત થાણેનાં જંગલોમાં અનેક ઝેરી સાપ ઉપલબ્ધ છે. જેને લીધે અહીં સાપના ઝેરનો વેપાર ફૂલીફાલી રહ્યો છે.  અત્યાર સુધીમાં પોલીસે અલગ અલગ કાર્યવાહીમાં લગભગ એક કિલોગ્રામ જેટલું સાપનું ઝેર દાણચોરો પાસેથી જપ્ત કર્યું છે. બજારમાં તેની કિંમત લગભગ ચાર કરોડ જેટલી થાય છે. આ જાળ દેશભરમાં જ નહીં, વિદેશોમાં પણ ફેલાયેલી છે. આ કૌભાંડ ઉપરાંત પણ પૂરા દેશમાં ખાસ કરીને દક્ષિણનાં રાજ્યોમાં સાપના ઝેરની વિશેષ દાણચોરી થાય છે. સૂત્રોનાં જણાવ્યાંનુસાર એકલા મહારાષ્ટ્રમાં જ સાપના ઝેરનો કારોબાર એકસો કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. એનાથી આખા દેશમાં ફેલાયેલા આ ઝેરીલા કારોબારનો અંદાજ લગાડી શકાય છે.

મહારાષ્ટ્રનાં જંગલોમાં ઝેરીલા સાપ, નાગને શોધી તેમને પકડીને અને એમાંથી ઝેર કાઢીને મુંબઈ સુધી લાવવાની તસ્કરીમાં સેંકડો લોકો સામેલ છે. મહારાષ્ટ્રમાં વિશેષ કરીને પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી, સતારા, કોલ્હાપુર, સોલાપુર, પુણે અને અહમદનગર ઝેરની દાણચોરીના આ કારોબારને વહેલી તકે રોકવામાં નહીં આવે તો વાઘની જેમ ઝેરીલા નાગોનું અસ્તિત્વ પણ જોખમમાં આવી જશે. ભારતમાં નાગની અંદાજે પંદરસો પ્રજાતિઓ મળી આવે છે. એકલા મહારાષ્ટ્રમાં જ લગભગ સાઠ પ્રકારના નાગ મળી આવે છે. એમાંથી માંડ અડધો ડઝન નાગ ઝેરી હોય છે. એમાંથી પણ કોબ્રા, મણિયાર, ઘોણસ અને ફુરસા જાતિના નાગ જ અત્યંત ઝેરી હોય છે. સામાન્ય રીતે કોબ્રામાંથી ૧૨૦થી ૧૨૫ મિલિગ્રામ, ઘોણસમાંથી ૭૦થી ૮૦ મિલિગ્રામ, મણિયારમાંથી ૮થી ૧૦ મિલિગ્રામ અને ફુરસામાંથી ૨૫થી ૩૦ મિલિગ્રામ ઝેર એકીસમયે નીકળે છે.

પાર્ટી ડ્રગ્સ તરીકે ઉપયોગમાં લેવા સાપના ઝેરને મંદ બનાવી એક પ્રક્રિયાથી તેનું પાવડરમાં રૂપાંતર થાય છે. જે પાવડર કે ટીકડી કલબોમાં-પાર્ટીઓમાં ડ્રીંક્સ સાથે ભેળવીને અપાય છે. રેવ પાર્ટીના સર્કલમાં કિંગ કોબ્રાનું ઝેર કે-૭૬ના કોડનામથી ઓળખાય છે. આવા અડધો લીટર કે-૭૬ ઝેરની કિંમત એક કરોડ રૂપિયા થાય છે.

નશો કરવાવાળાઓમાં સાપના ઝેરની ખૂબ માગ હોય છે. સૂત્રોનાં જણાવ્યાંનુસાર ઝેરને સોયની અણી અડાડીને અત્યંત નાનું ટીપું સળગતી સિગારેટ પર મૂકીને ધુમાડાનો કશ લેવામાં આવે છે. એક નશાખોરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એનો નશો ચરસ, હેરોઈન, મારીજુઆના, અફીણ વગેરે નશીલા પદાર્થોથી પણ અનેકગણો વધારે હોય છે. નાગના ઝેરનો કશ લગાડયા બાદ એનો નશો લગભગ આઠથી દસ કલાક સુધી રહેતો હોય છે. નશો કરવા ઉપરાંત કોઇની હત્યા કરવા માટે પણ ઝેરનો દુરુપયોગ થતો હોય છે.

સાપનું ઝેર કાઢવામાં અને તેને એકત્ર કરવા માટે નિયમાનુસાર વનવિભાગની લેખિત અનુમતિ જરૂરી છે. ફક્ત બે-ચાર સંસ્થાઓ જ આ પરવાનગી ધરાવે છે. નાગમાંથી ઝેર કાઢવાની વૈજ્ઞાાનિક પદ્ધતિ હોય છે. શૂન્યની નીચેના તાપમાને આ ઝેરને સુરક્ષિત રાખવું પડે છે. ગેરકાયદે સાપનું ઝેર કાઢનાર ટોળકીઓ આ પ્રક્રિયાઓની બહુ પરવા કરતી નથી. તેઓ નાગને નિર્દયતાથી પકડીને એ જ નિર્દયતાથી નાગને અધમૂઓ કરી તેનું પૂરું ઝેર કાઢી તેને છોડી દે છે. ક્યારેક તો તેઓ નાગને મારી, મોઢું ચીરીને તેમાં રહેલી ઝેરની પૂરી થેલી જ કાઢી લે છે.

નાગ જેટલો વધુ ઝેરીલો એટલી એની કિંમત વધારે. ઝેરની બજારમાં આજે સૌથી વધુ કિંમત મણિયાર અને ફુરસા નાગના ઝેરની છે. તેમના એક મિલિગ્રામ ઝેરની ન્યૂનતમ કિંમત એક લાખ રૂપિયાથી વધુ છે. જ્યારે કોબ્રા અને ઘોણસ પ્રજાતિના સાપના એક મિલિગ્રામ ઝેરની કિંમત ચાળીસથી સાઠ હજાર રૂપિયા છે. આ કિંમતમાં પણ જો કે ડિમાન્ડ અને સપ્લાય અનુસાર વધ-ઘટ થતી રહે છે. ઝેરને શૂન્યાંક નીચેના તાપમાને ન રાખવાથી તેની ગુણવત્તા પણ ખરાબ થઈ જાય છે અને તે ઔષધીય ઉપયોગ માટે લાયક રહેતું નથી. જો કે દાણચોરો તો આ ઝેર નશાબાજોને પહોંચાડે છે, દવા કંપનીઓને નહીં. તસ્કરો આ ઝેરમાં કોઈ વાર ભેળસેળ પણ કરતા હોય છે. ભેળસેળયુક્ત ઝેર અપેક્ષાકૃત સસ્તું હોય છે અને શુદ્ધ ઝેર (કોન્સ્નટ્રેટ) ઊંચા દામે વેચાય છે.

માનવી એક એવું અદ્યમ પ્રાણી છે જે સાપના ઝેરની સારી-નરસી બંને ક્વોલીટીને બરાબર વટાવી ખાય છે. સાપના ઝેરનો નશો કરવા માટે ઉપયોગ થાય છે તેમ સ્નેકવેનમ (સાપનું વિષ) જીવનરક્ષક દવાઓ બનાવવા પણ કામે લાગે છે. ચાલો આપણે જરા વિસ્તારથી વાત કરીયે.

જ્યારે કોઇ સર્પનો ઉલ્લેખ કરે છે ત્યારે યુગોથી ચાલી આવતી છાપને કારણે સાપ ઘૃણાસ્પદ અને અધમ પ્રાણી હોવાનો વિચાર આપણા મન પર છવાઇ જાય છે. તે કપટી, દગાખોર અને વેરીલા હોવાનું મનાય છે.

હર્પેટોલોજી વિજ્ઞાાન (પ્રાણીશાસ્ત્રની શાખા જેમાં પેટે ચાલતાં પ્રાણીઓ અને ઉભયચર પ્રાણીઓનો અભ્યાસ કરાય છે) ક્ષેત્રે છેલ્લા દાયકાઓમાં થયેલ સંશોધને પેટે ચાલતાં પ્રાણીઓની ભૌગૌલિક વહેંચણી, તેમના જીવન અને રીતભાત વિશે વિગતો પ્રગટ કરી છે, ખાસ કરીને અપવાદ વિના બધા જ સર્પ ઝેરી હોય છે તે માન્યતા ખોટી પાડી છે. માનવજાતને પરિચિત એવી સર્પની ૨૫૦૦ જાતોમાંથી માત્ર ૪૧૨ જાતો (એટલે કે પાંચમા ભાગથી ઓછી ) ઝેરી છે. 

શરીરમાં જોમ અને તાકાત મેળવવા માટે તમને કોઈ સવારમાં સાપ ખાવાનું કહે તો કેવું લાગે?

તમે કદાચ નહિ માનો પણ ટોનિક પ્રેમી સિઉલ  વાસી (દ.કોરિયા)ના  લોકો દરરોજ રેસ્ટોરાંમાં જઈને અંદાજે ૩૦ લાખ સાપ ખાઈ જાય છે. ત્યાં કેટલાંયે રેસ્ટોરાં એવાં છે જેમાં કેવળ સાપનો સૂપ જ મળી શકે છે.

આ સૂપ ત્યાંની સ્થાનિક ભાષામાં વૉન ટોન અને બેઈમ ટાંગ' તરીકે ઓળખાય છે. આ આંકડા અડસટ્ટે નથી અપાયા પણ સરકારી સહાય મેળવનાર કોરિયાની રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ઓફ હ્યુમન  સેટલમેન્ટ દ્વારા આપવામાં આવ્યા છે એટલે તેની સચ્ચાઈ વિશે શંકા રાખવાની કંઈ જરૂર નથી.

સાપનું ઝેર માત્ર શારીરિક જોમ મેળવવા માટે ઉપયોગી છે એવું નથી. હૃદયરોગના અકસીર ઈલાજ માટે પણ સાપનું ઝેર ઉપયોગી સાબિત થયું છે. આ બાબતમાં દુનિયાના કેટલાક  દેશોમાં પ્રયોગો થઈ રહ્યા છે. આવો પ્રયોગ દિલ્હીની હાર્ડિંગ મેડિકલ કોલેજમાં પણ ચાલે છે. આ કોલેજમાં ઉંદરોને સાપનું ઝેર આપીને કરાયેલા પ્રયોગોથી પ્રાપ્ત થયેલા પરિણામો પરથી  એવું લાગે છે કે હૃદયરોગ માટેની અકસીર દવા હવે હાથવેંતમાં છે.

આ કોલેજના સંશોધકોના એક જૂથે આંતરરાષ્ટ્રીય હાર્ટ કોંગ્રેસમાં તાજેતરમાં એવાં એવાં તારણો રજૂ કર્યાં હતાં કે, ઉંદરોના હૃદયની કામગીરીને કૃત્રિમ રીતે અટકાવી દઈ તેમને સર્પના ઝેરનાં ઈન્જેક્શનો આપતાં ઉંદરનું હૃદય ફરી ચાલું થયું હતું. સંશોધક જૂથ વતી   સંશોધન પત્ર રજૂ કરનાર મદદનીશ પ્રોફેસર ઓફ મેડીસીન ડૉ.એમ.પી.શ્રીવાસ્તવે એવું જણાવ્યું હતું કે સસલાં, દેડકાં તથા ભૂંડની હૃદયની તકલીફો ડીઝીટાલીસ નામના દ્રવ્યથી જેટલી અસરકારક રીતે દૂર કરી શકાય છે. એટલી જ અસરકારક રીતે ઊંદરની હૃદયની તકલીફો સાપનું ઝેર પણ દૂર કરી શકે છે.

ઝેરના પ્રકિણ્વ (એન્ઝાઇમ) એવા પદાર્થો છે જે સાપની પાચનક્રિયાને વેગ આપે છે. વૈજ્ઞાાનિક સાહિત્યમાં લાંબા સમય સુધી પ્રશ્ર ચર્ચાયો હતો કે પ્રકિણ્વ ઝેરની બૂરી અસર માટે 'જવાબદાર' નથી ? એ પૂરવાર થયું છે કે, કેટલાક પ્રકિણ્વો ઝેર પેદા કરી શકે છે અને મૃત્યુનું સીધું કારણ બની શકે. મોટા ભાગના પ્રકિણ્વો જો કે ઝેરી નથી. પરંતુ જો ઝેરમાં બીજાં સ્વતંત્ર ઝેરી તત્વો હોય તો ? ૧૯૬૦-૭૦ના દાયકાની અધવચમાં વૈજ્ઞાાનિકોને આ પદાર્થો-શુદ્ધ ન્યુટ્રોટોક્સિનો- મળી આવ્યા જે જ્ઞાાનતંતુઓ પર માઠી અસર કરવા માટે જવાબદાર છે.

આધુનિક વિજ્ઞાાને સાપના ઝેરની જીવનદાયી ઉપયોગિતા સાબિત કરી આપી છે. ઝેરી સાપનું જાલિમ વિષ કેવળ હૃદયરોગ પર જ નહિ પણ બીજા કેટલાક રોગો, પર પણ ગુણકારી નીવડયું છે.

સાપ સાચા અર્થમાં નિર્દોેષ પ્રાણી છે. આ દેશમાં સાપને દેવ તરીકે પૂજનારો પણ એક વર્ગ છે, નાગ-પાંચમે સાપને કુલેર ધરે છે. ભીંત પર એના રેખા ચિત્રો દોરીને, એની પૂજા કરીને આરતી ઉતારનારો વર્ગ આજે ય ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે. પણ જમાનાએ બહુ મોટી કરવટ લઈ લીધી છે! આજે સાપ અને સાપનું ઝેર માણસ માટે એક વ્યવસાય બની      ગયો છે.

વાત તામિલનાડુના એક કસ્બાની છે. આ કસ્બામાં સાપોની ભરમાર છે. આ કસ્બાના લોકોે સૈકાઓથી સાપથી ડરતા આવ્યા છે. હવે આ કસ્બાના સાપોને માણસનો ડર લાગવા   માંડયો છે.

સાપ પકડવો, મારવો એ ગુનો છે. ચોરીછૂપીથી સાપ મારતા કે પકડતા પકડાય  તો તેને બે વરસની કેદ અને બે હજાર રૂપિયાનો દંડ  કરવામાં આવે છે.  પરંતુ ઈસ્લા જાતિ આવા કોઈ કાયદાની પરવા કરતી નથી. આજે સાપના ઝેર ને એની ચામડીઓને ભોગે લોકો બહુ સારું કમાતા થઈ ગયા છે!

તાજેતરમાં એક્સરસાઇઝ એન્ફોર્સમેન્ટ અને કોટ્ટાયમના એન્ટી નાર્કોટિસ સ્પેશિયલ સ્કવોડે વિભાગને મળેલી બાતમીને આધારે ૫૯ વર્ષીય ઓમાનાકુટ્ટુમ નાયરની ધરપકડ કરી હતી.  ધરપકડ બાદ ઓમાનાકુટ્ટુમ પાસેથી બે લિટર જેટલું સાપનું ઝેર મળી આવ્યું હતું. એક અંદાજ પ્રમાણે આંતરરાષ્ટ્રીય ડ્રગ માર્કેટમાં સાપના બે લિટર જેટલા ઝેરની કિંમત પંદર કરોડ રૂપિયા જેટલી થાય છે. એન્ટિ નાર્કોટિક સ્પેશિયલ સ્કવોડના અધિકારીના કહેવા પ્રમાણે હાલમાં દવાઓની બનાવટમાં સાપના ઝેરનો ઉપયોગ વધ્યો હોવાને કારણે એની દાણચોરીમાં પણ સારો એવો વધારો થયો છે.

એક સાપમાંથી એકવારમાં પાંચ મિલીલીટર જેટલો જ જથ્થો મેળવી શકાય છે.  એકવાર ઝેરનો જથ્થો મેળવ્યા બાદ બીજી વાર જથ્થો મેળવવા એક અઠવાડિયું રાહ જોવી પડે છે.''

તામિલનાડુની સરકારે ૧૯૭૬માં સાપોને મારવાને પકડવા પર પ્રતિબંધ મૂક્યો ત્યારે આ લોકો થોડાં વિમાસણમાં પડી ગયા. પરંતુ એનો માર્ગ શોેધતા એને વાર ન લાગી. જે લોકો સાપ પકડવાનો જ ધંધો કરતાં હતાં. તેઓએ  પોતાની સંસ્થા સ્થાપી દીધી. એનું નામ રાખ્યું 'ઈસ્લા સ્નેક કેચર્સ કોે.ઓપરેટીવ સોેસાયટી'

સર્પ પકડનારી આ સંસ્થા આદિવાસીઓને સાપને જરા પણ તકલીફ ન પડે એ રીતે પકડવાનું શિક્ષણ આપે છે! ૧૯૭૮માં બાવન ઈસ્લા પરિવારને સાપ પકડવા માટેનું લાઈસન્સ આપવામાં આવ્યું હતું. જે હજુ સુધી ચાલુ છે! ભારતમાંના લાઈસન્સોમાં આ પણ એક વિરલ લાઈસન્સ કહેવાય ને!

આ લોકો સર્વ પ્રકારના સાપો પકડે છે. એને સાપ પકડવાની વૈજ્ઞાાનિક રીત રસમો શીખવાડાઈ છે. એ સાપો પકડીને સોસાયટીની પ્રયોગશાળામાં લાવે છે. નાગ અને કેટ્સ સાપ પકડનારાઓેને એક સાપના ૧૫ રૂપિયા અને રશેલ્સ વાઈપર પકડનારાઓને એક સાપના ૨૦ રૂપિયા   મળે છે.

 મુંબઈની કેન્સર સંશોધન સંસ્થાના એક પ્રોફેસરે  જણાવ્યા મુજબ કેન્સરના કેટલાક પ્રકારો પર નાગના ઝેરમાંથી અલગ કરાયેલ પદાર્થ અસરકારક છે. 'પી-૬' નામનો આ પદાર્થ યોશીદા સેક્રામો પ્રકારના કેન્સરને સુધારે છે. 'પી-૬' એ એક પ્રકારનું પ્રોટિન છે. નાગના કાચા ઝેરમાંથી પી-૬ મળે છે.  આ પ્રોફેસરના જણાવ્યા મુજબ તેમણે અત્યાર સુધીમાં ૬૦ થી વધુ કેન્સરવાળા ઊંદરોનો રોગ 'પી-૬' થી મટાડયો છે. ઊંદરના વજનના દર કિ.ગ્રા. દીઠ ૧.૭૨ મિ.લી.ગ્રામ ડોઝ અસરકારક છે. આ ડોક્ટરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કોઈ માનવ પર તેનો તબીબી પ્રયોગ  કરાયો નથી. પરંતુ ટેસ્ટ ટયુબમાં માનવ  કેન્સર કોષો સામે પી-૬ કેન્સર વિરોધી અસરકારક દેખાયું છે. નાગના ઝેરમાંથી અલગ કરાયેલું પી-૬ પ્રોટીન બિનઝેરી છે. ટયુમરના કોષો સહિત ઘણા પ્રકારના રોગો પર નાગનું પ્રોટીન અસરકારક કામ કરે છે.

વર્તમાન નિકાસ નીતિની જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ સર્પોને મારી નાંખ્યા વિના સર્પોમાંથી ઝેર કાઢી લેવાની સવલતો ધરાવતી પ્રયોગશાળાઓ અને સંસ્થાઓને સાપના ઝેરની નિકાસની છૂટ આપવામાં આવી છે.

 ઉત્તર પશ્ચિમ મલેશિયામાં મળી આવતાં સર્પ વિષમાંથી આજકાલ એક એવી દવા બનાવવામાં આવી છે. જેનાથી નસમાં થતો લોહીનો અવરોધ દૂર કરવામાં આશ્ચર્યજનક સફળતા મળી છે.

તબીબી વૈજ્ઞાાનિકોનું માનવું છે કે 'આરવિન' નામની આ ઔષધિથી શિરાવરોધ ઉર્ફે થ્રોમ્બોસિસનો સફળતાથી ઈલાજ થઈ શકે છે. ઉપરાંત સર્પનું વિષ કેન્સર જેવા અસાધ્યક અને ભયાનક રોગોના ઈલાજમાં પણ ઉપયોગી સાબિત થયું છે. ખાસ કરીને 'કોબ્રા' (નાગ) ના ઝેરમાંથી બનાવવામાં આવેલી દવા કેન્સરના નિવારણ માટે રામબાણ સાબિત થઈ છે. 'એન્ધ્રોઈટિસ' ના ઈલાજ માટે પણ સાપનું ઝેર ઉપયોગી છે.

સાપનું ઝેર એટલું બધું ઉપયોેગી સાબિત થયું છે કે તેનું મૂલ્ય સોનાં કરતાં પણ વધારે મોેંઘુ છે. ભારતમાં નાગનું ઝેર સૌથી વધુ પ્રમાણમાં મળી શકે છે. ખાસ કરીને જુલાઈ-ઓગસ્ટમાં નાગ ૩૦૦૦ મિ.ગ્રામ જેટલું ઝેર ધરાવતા હોય છે. 'ક્રેઈટ' સાપનું ઝેર લગભગ ૧૫૦૦૦ રૂપિયા પ્રતિ ગ્રામ હોય છે. વિદેશોમાં આ ઝેર આના કરતા પણ મોંઘુ હોય છે. આથી વિદેશોમાં સાપના ઝેરની સૌથી વધુ માંગ છે.

મુંબઈમાં હાફકિન ઈન્સ્ટિટયૂટમાં એક સર્પગૃહ છે. જેમાં સર્પવિષનું દોહન કરવામાં આવે છે અને તેમાંથી વિદેશી હુંડિયામણ મેળવાય છે.  

સર્પના વિષનો ઔષધિ તરીકે ઉપયોગ થઈ શકે તે વાત ભારત યુગોથી જાણતું હતું. મહાન ચિકિત્સક ચરક અને વાગભટ્ટે  પોતાના સમયમાં કેટલાયે રોગો પર સર્પ વિષનો ઉપયોગ કર્યો હતો. હોંગકોંગ અને ચીનમાં પણ લોકો સાપના ઝેરનો દવા તરીકે ઉપયોગ કરે છે. એટલું જ નહિ પણજીવતા કે મરેલા સાપનું માંસ પણ તેઓ ખાય છે. અમેરિકામાં તોે ખાવા માટે 'ગાર્ડર' સાપનો વિશેષ ઉપયોગ થાય છે. અને તે બંધ ડબ્બામાં મળે છે.

એક સંશોધન સંસ્થાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. દક્ષિણ કોરિયાના પાટનગર સિઉલ (સોલ)માં  આશરે  ૬૦ હજાર  સાપ ભક્ષકો વસે છે.  પાટનગરના સાપ-રેસ્ટોરાંના માલિકો એક વાડકો સાપના સૂપ માટે ૨૦ અમેરિકન ડોલર વસૂલ કરે છે. તેમનો દાવો એવો છે કે જે માણસ દસ દિવસ સુધી દરરોજ એક વાડકો સાપનો સૂપ પીએ તેની જવાની અને જોમમાં  વધારો થાય છે. અલબત્ત, આ દાવાને હજુ સુધી કોઈ તબીબી સમર્થન મળ્યું નથી. પરંતુ સાપનો સૂપ પીનારાઓની શ્રધ્ધા દ્રઢ થતી જાય છે અને એટલે જ આવો સૂપ પીનારાઓની સંખ્યા વધતી જાય છે.

 ઝેરમાંથી બનતા સ્ફટિકોમાંથી વિપ્રોસાલ, વિપ્રોક્સીન જેવી આશ્ચર્યજનક દવાઓ તેમ જ સંધિવાના મલમો અને હૃદય તથા રક્તવાહિનીઓના રોગોની દવાઓ બને છે.

સાપનો જીવનકાળ ૧૦ થી ૩૬ વર્ષનો ગણાય છે. એકવાર ખોરાક લીધા પછી સાપ મહિનાઓ સુધી ખોરાક વિના ચલાવી શકે છે. ભારતમાં થતા સાપમાંથી ક્રેઈટ, રસેલ વાઈપર, કરવતી જેવા ભીંગડાવાળો વાઈપર અને કોબ્રા એમ ચાર જાતના સાપ 'ઘણા ઝેરી' ગણાય છે. આ સર્પોના ઝેરમાંથી તૈયાર કરવામાં આવેલા 'સીરમ'માંથી જેને સાપ કરડયો હોય તે વ્યક્તિને પ્રાણ બચાવવા માટે એક ખાસ પ્રકારની રસી બનાવવામાં આવે છે.

સાપ ઠંડા લોહીવાળું સરકતું પ્રાણી છે સાપ ગરમ પ્રદેશમાં સહેલાઈથી જીવી શકે છે, પણ ઠંડા પ્રદેશમાં સહેલાઈથી જીવી શકતા નથી.વર્ષાઋતુમાં સાપ ઘણા પ્રવૃત્ત થાય છે, તેથી તે ચોમાસામાં ઘણીવાર જોવા મળે છે.

સાપને ગંધની તીવ્ર શક્તિ છે, વળી એના શરીર સાથે જમીનના ધુ્રજારાના સ્પર્શથી એ સ્પંદનો ઓળખે છે. સાપની નજર હલનચલન કરતી વસ્તુઓને જોવા વધારે શક્તિમાન છે.

ઉંદર અને દેડકાં જેવાં જીવો એનો ખોરાક છે. 'ક્રેઈટ'  અને 'કોબ્રા' (નાગ)નો ખોરાક બીજા સાપ હોય છે. એના શરીરની રચના અને ચામડીની સ્થિતિ સ્થાપકતાને લીધે સાપ પોતાની શરીરની પહોળાઈ કરતાં મોટા શિકારને ગળી જાય છે.

ભારતમાં દર વર્ષે એક કરોડ જેટલા સાપને મારી નાંખીને તેમની ચામડી પરદેશ મોકલાય છે. તેમાંથી વેપારીઓ ૧૦ કરોડ રૂપિયાની કમાણી કરે છે, જ્યારે સાપનો શિકાર કરનારાઓ તો ભૂખ્યા જ મરે છે. અમેરિકા જેવા દેશોમાં બિનઝેરી  સાપને લોકો પાળે છે. સાપની કાંચળીમાંથી ઉત્તમ પ્રકારનો સૂરમો બનાવવામાં આવે છે જે આંખો માટે લાભદાયી નીવડે છે.

Tags :