For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સારવારના મેનેજમેન્ટમાં નિદાનનું મહત્ત્વ

Updated: Mar 18th, 2023

Article Content Image

- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- દર્દીનું ટેકનિકલ પરીક્ષણ તો જરૂરી છે જ, પરંતુ ડૉક્ટર શારીરિક તપાસ કરે એ પણ એટલું જ અગત્યનું છે, તેનાથી સચોટ નિદાન શક્ય બને છે

નિદાન માટે ખર્ચાળ ટેસ્ટ 

દર્દીને ધ્યાનથી સાંભળવાના અભાવે કે તેની શારીરીક તપાસમા શેરલોક હોમ્સ જેવી તીક્ષ્ણ નિરીક્ષણ શક્તિને અભાવે કેટલીકવાર ડોક્ટરો દર્દીના રોગનું સાચુ નિદાન (ડાયગ્નોસીસ) કરી શક્તા નથી. ડોક્ટર અને દર્દી વચ્ચે હિમાલયની ટોપ જેટલી કોમ્યુનીકેશન ગેપ હોય છે. ટુ એર ઇઝ હ્યુમન નામની અંગ્રેજી કહેવત એટલે કે મનુષ્યમાત્ર ભૂલને પાત્ર.

મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ડોક્ટરો સહિત તમામને લાગુ પડે છે. ડીટેકટીવ શેરલોક હોમ્સ તેમના પ્રિય મિત્ર ડો. વોટસનને કહેતા કે 'માય ડીયર ડો. વોટસન, આઈ નોટીસ વોટ આઈ ઓબ્ઝર્વ'. આધુનિક યુગમાં મોટાભાગના દર્દીઓને વિશ્વાસ હોય છે કે તેમના રોગનું સાચું નિદાન અનેક પ્રકારના બ્લડ ટેસ્ટસ, યુરીન ટેસ્ટસ, એમ આર આઈ, એક્સ-રે, ઇસીજી, સીટી સ્કેન, ટ્રેડમીલ ટેસ્ટ, સોનોગ્રાફી, એન્ડોસ્કોપી, એન્જીયોગ્રાફી વગેરે દ્વારા શક્ય બનશે. જો ટેસ્ટના પરિણામો 'પોઝિટીવ' આવે તો દર્દીને નિરાશા તો થાય છે પરંતુ દર્દી અને ડોક્ટર બંનેને હાશ થાય છે કે રોગનું ચોક્કસ નિદાન થયું છે જે પછી તે માટેની ખાસ સારવાર દર્દીના રોગને દૂર કરશે.

દર્દીને ધ્યાનથી સાંભળો

ડોક્ટરો પણ રોગનું નિદાન કરવા માટે જટીલ નામવાળા ડઝનબંધ અને દર્દી માટે પુષ્કળ ખર્ચાળ ટેસ્ટસ પર આધાર રાખતા થઈ ગયા છે. દર્દીને ખાસ બોલવા દેતા નથી. જો ઘણીવાર ડોક્ટરો દર્દીને ધ્યાનથી સાંભળે દર્દીને એક બે મીનીટ પછી બોલતા અટકાવી ના દે તો ડોક્ટરો દર્દીના શરીર પરિક્ષણ પછી ઘણીવાર રોગનું સાચુ નિદાન કરી શકે છે પરંતુ ઘણા ડોક્ટરો દર્દીના શરીરનું ઊંડુ પરિક્ષણ ટાળે છે. ડોક્ટરો દર્દીને લંબાણથી સાંભળવાને બદલે જાણે દર્દીનો ઇન્ટરવ્યુ લે છે. ડોક્ટર અને દર્દી બંનેને રોગના સાચા નિદાનની નક્કર સાબીતી જોઈએ છે અને તેથી દર્દી અનેક પ્રકારના મોંઘા ટેસ્ટસ માટેના ખર્ચના ખાડામાં ઊતરી જાય છે. એ વાત પણ સાચી છે કે રોગના સાચા નિદાન માટે મેડિકલ ટેકનોલોજીએ જે હરણફાળ ભરી છે તે આપણને આશ્ચર્યમાં ડૂબાડી દે છે. તેમાંની ઘણી શોધો બીજા વિશ્વયુદ્ધ પછી થઈ છે. હવે રોગના નિદાન માટે જીનોમ સીકવન્સીંગની પધ્ધતિનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. હૃદય અને ફેફસાના રોગોની તપાસ માટે આજથી લગભગ ૨૦૦ વર્ષ પહેલા (ઇ.સ. ૧૮૧૬માં) ફ્રાંસમાં પેરીસની હોસ્પિટલમાં કામ કરતા ડો. લેનેકે સ્ટેથોસ્કોપની શોધ કરી. સ્ટેથોસ્કોપની મદદથી દર્દીને હૃદયની સમસ્યા છે કે પછી ફેફસાની સમસ્યા છે તેની ડોક્ટરને જાણ થવા માડી. બહુ જ ઓછા ડોક્ટરોને ખબર હશે કે સ્ટેથોસ્કોપમાં જે સ્ટેથો શબ્દ છે તેનો અર્થ ગ્રીક ભાષામાં ભરીજા (છાતી) થાય છે. અને સ્કોપનો અર્થ જોવું કે નિરીક્ષણ કરવું થાય છે. જેમ કે ટેલીસ્કોપ, માઇક્રોસ્કોપ, કેલીડોસ્કોપ અને એન્ડોસ્કોપ.

લગભગ ૨૦૦ વર્ષ પહેલા સ્ટેથોસ્કોપની ફ્રાંસમાં શોધ થઈ તે દરમિયાન દર્દીના શારીરિક પરીક્ષણ માટે પાલ્પેશન અને પર્કઝનની બે નવી પદ્ધતિઓ ખોળાઈ અને ફ્રાંસમાં તેનો ફરજિયાત અમલ શરૂ થયો. પાલ્પેશના એટલે શરીરની ચામડી પર આંગળીઓ કે અંગૂઠો કે હથેળી વડે યોગ્ય દબાણ આપીને દર્દીના શરીરના કોઈ આંતરિક અંગને કે ટીસ્યુ (માંસપેશી)ને તપાસવું અને પર્કઝન એટલે દર્દીના શરીર પર ડોક્ટર પોતાની આંગળીઓને ટપટપાવીને ટકોરા મારી શરીરનું આંતરિક અંગ પોતાના સ્થાનથી હટી ગયું છે કે નહીં, અંગનું કદ વધ્યું છે કે ઘટયું છે ત્યાં સોજો છે કે નહી અથવા શરીરના આંતરિક અંગમાં કેટલું બીનજરૂરી પ્રવાહી (લીકવીડ) દાખલ થયું છે તેની જાણકારી મેળવે છે. આપણી ગૃહીણીઓ પણ માટલું લેતા પહેલા તેના પર ટકોરા મારે છે. પાલ્પેશન અને પર્કઝન શરીરની છાતી કે પેટ પૂરતુ મર્યાદિત રાખે છે. શરીરના કોઈ ભાગમાં પાણી કે અન્ય કોઇ પ્રવાહીનો બીનજરૂરી વધારો કે સોજો દર્દીના રોગની સ્થિતિ અને રોગની ગતિ જાણવામાં ડોક્ટરોને સહાયરૂપ બને છે. કેટલીકવાર પાલ્પેશન દરમિયાન ડોક્ટર દર્દીને શરીરના ભાગને ઊંડેથી તપાસવા (એટલે કે કીીન કરવા) દર્દીના અંગ પર ઘણું દબાણ પણ કરે છે અને દર્દી ચીસ પાડી ઊઠે છે. પાલ્પેશનમાં કુશળ ડોક્ટરને દર્દીના કોઈ અંગ કે અંગોના દબાણ દ્વારા શરીરની અંદરના અંગની ટેન્ડરનેસ (નાજુકતા), સોજો, ફ્રેકચર, હર્નીયા સ્લીપ ડીસ્ક, સાંધાઓનું ઢીલા થઈ જવું કે તૂટી જવું વગેરેનો ખયાલ મેળવે છે. હૃદયના પાલ્પેશન દ્વારા નિષ્ણાત ડોક્ટર હાર્ટ મર્મર નામના રોગનું પણ પ્રાથમિક નિદાન કરી શકે છે. છાતી પર સ્ટેથોસ્કોપ મુકીને હૃદયની કામગીરી વિષે ડોક્ટર વધુ ચોક્કસ માહિતી મેળવી શકે છે. અલબત્ત હૃદયની કામગીરી માટે આધુનિક ડોક્ટર માત્ર સ્ટેથોસ્કોપ દ્વારા પરીક્ષણ કરવાને બદલે સીધો ઇસીજી (જેને પરદેશમા ઇકેજી કહે છે) ટેસ્ટ કરાવાનુ તાકીદે સૂચન કરે છે. હવેના ડોક્ટરો દર્દીના ઊંડાઈપૂર્વકની શારિરીક તપાસ (ફીઝીકલ એકઝામીનેશન) ને બને તેટલુ ટાળવાનું પસંદ કરે છે પરંતુ તેઓ દર્દીના શરીરનું તાપમાન જાણવા થર્મોમીટર અને તેનું લોહીનું દબાણ માપવા બ્લડપ્રેશર માપવાના સાધનનો અવશ્ય ઉપયોગ કરે છે. કારણ કે આ સાધનો ડોક્ટરની કે નર્સની ભાગ્યે જ ચાર કે પાંચ મીનીટ લે છે.

નિદાન માટે આધુનિક ટેકનોલોજીએ અનેક સાધનો ઊભા કર્યા છે જે ઘણા ઉપયોગી સાબીત થયા છે. તેનો ઇનકાર થઈ શકે નહીં. મોટેભાગે ડોક્ટરોનું નિદાન સીધુ સટ હોય છે. કોઈ વૃધ્ધ દર્દીનો તાવ ચાલુ રહેતો હોય અને તેને ખાંસી તથા કફ સતત ચાલુ રહે તો ડોક્ટર સહેલાઈથી નિદાન કરી શકે છે કે આ ૃવૃધ્ધ દર્દીને ન્યુમોનીયા થયો છે. પચાસ કે તેથી વધુ વર્ષની ઉપરના દર્દીને છાતીમા દુખાવો થાય અને તે દુખાવો તેના ડાબા હાથ સુધી પહોંચે અને પછી તેના જડબા સુધી પહોંચે તો અને તેનો ઇસીજી અને તેના લોહીનું પરીક્ષણ પણ થાય તો ડોક્ટર દ્રઢતાપૂર્વક નિદાન કરી શકે છે કે દર્દીને હૃદયરોગનો હુમલો (હાર્ટ એટેક) આવ્યો છે.

દર્દીના ઊંડા શારીરિક પરીક્ષણ પછી પણ તેના રોગ વિષે ખબર પડતી નથી તેમજ દર્દી પરના આધુનિક ટેકનોલોજીથી થયેલા પરિક્ષણો પણ ડોક્ટરને ગેરમાર્ગે દોરે તેવા હોય છે. દર્દીના દર્દનું નિદાન એકદમ અનિશ્ચિત હોય છે તેવે વખતે ડોક્ટરે ડીટેકટીવ શેરલોક હોમ્સની ભૂમિકા ભજવવી પડે છે. તેવે વખતે રોગનું નિદાન વિજ્ઞાન નહીં પણ કળા બની જાય છે અને ડોક્ટરે નક્કી કરવું છે કે આ અટપટા રોગના નિદાન માટે કયા પરિક્ષણો જરૂરી છે. દર્દીને ધ્યાનથી અને ધીરજપૂર્વક સાંભળવાની ડોક્ટરની ફરજ છે અને તેમને કહી શકાય છે કે લીસન ટુ મી ફર્સ્ટ. યાદ રહે કે ડોક્ટર અને દર્દીનો સંબધ પ્રોફેશનલ રિલેશન્સશીપનો છે.

Gujarat