મહામારી સામે મહાત્મા ગાંધી!
- પારિજાતનો પરિસંવાદ- ડૉ. કુમારપાળ દેસાઈ
- મહામારી જ્યાં ફેલાઇ ગઇ છે, તેને કઇ રીતે રોકી શકાય એની વાત કરે છે. જો પ્લેગ ફેલાઇ ગયો હોય, તો શું કરવું? ઘરની દીવાલો અને ઘરનાં ખૂણેખાંચરે કેવી સ્વચ્છતા રાખવી
આ જે આખું વિશ્વ અને સવિશેષ ભારત કોરોના મહામારીથી ઘેરાઇ ગયું છે, ત્યારે સ્વાભાવિક રીતે જ આવી મહામારીના પૂર્વ અનુભવો તરફ સહુની નજર જાય. મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કાળી મરકી ફાટી નીકળી, એ સમયે એમણે કરેલી કામગીરીની વાત 'સત્યના પ્રયોગો' (પૃ. ૨૬૬-૨૭૩)માં આલેખી છે. પરંતુ એ સાથે ઈ.સ. ૧૯૧૭માં આવી મહામારી સમયે કેવી સાવધાની રાખવી જોઇએ એ વિશે એક લેખ લખ્યો હતો. આને આજે એકસોથી વધુ વર્ષ વીત્યા હોવા છતાં મહાત્મા ગાંધીજીએ મહામારી સામેની સાવધાની માટે આપેલી સલાહ અને એના ઉપચાર પ્રસ્તુત લાગે છે.
૧૯૧૭ની ૬ ડિસેમ્બરે નડિયાદથી લખેલા લેખમાં તેઓ પહેલી વાત એ કહે છે કે માનવીનું લોહી જો શુદ્ધ હોય, તો એનામાં પ્રત્યેક રોગના કિટાણુઓને નષ્ટ કરવાની શક્તિ હોય છે અને તેથી ગમે તેટલી ભયંકર મહામારી વચ્ચે પણ આપણે રક્તશુદ્ધિને કારણે સ્વસ્થ અને સુરક્ષિત રહી શકીએ છીેએ. એ પછી તેઓ રક્તશુદ્ધિના ઉપાયો બતાવતા કહે છે કે વ્યક્તિએ હંમેશાં ઓછું અને નિયમિત ભોજન કરવું જોઇએ. અત્યંત ચરબીયુક્ત, ગળ્યા અથવા ચટપટા ખોરાકથી દૂર રહેવું જોઇએ અને સૂતા પહેલાં ઓછામાં ઓછાં ત્રણ કલાક તો માણસે કશું ખાવું જોઇએ નહીં. તેઓ કહે છે કે હવા પણ આપણો ખોરાક હોવાથી બારી-બારણાં ખુલ્લાં રાખીને સૂવું જોઇએ. આ અંગે વધુ સલાહ આપતા તેઓ કહે છે કે ચાદર ઓઢીને સૂવું જોઇએ નહીં. શ્વાસ મોંથી નહીં, પણ નાકથી લેવો. નાકથી શ્વાસ લેવાથી શરદી લાગવાની સહેજે સંભાવના રહેતી નથી. પાણી સાફ હોવું જોઇએ અને હંમેશાં ઉકાળેલું અને મોટા કપડાંથી ગાળેલું પાણી પીવું જોઇએ. વસ્ત્રો ખૂબ સાવધાનીથી ધોવા જોઇએ તેમજ ઘડો અને લોટા વગેરે રોજેરોજ અંદરથી બરાબર સાફ કરવા જોઇએ. બે કલાક ચાલવાથી જેટલો શ્રમ થાય છે, એટલો શ્રમ ધરાવતી કસરત પ્રત્યેક વ્યક્તિએ કરવી જોઇએ.
આ પછી ગાંધીજી ઘર અને એની આસપાસના વાતાવરણને કઇ રીતે સ્વચ્છ રાખવું, તેની ઝીણામાં ઝીણી સલાહ આપે છે. વળી પ્લેગ ઉંદરથી થતો હોવાથી ઘરમાં ઉંદરોના દર અંગે એવી ટકોર પણ કરે છે કે આપણી આળસને કારણે ઉંદરો ઘરમાં દર બનાવીને રહેતા હોય છે. એક એવો પણ ઉપાય બતાવે છે કે ઘરમાં બિલાડી પાળી હોય, તો ઉંદર આવતા નથી. એ પછી આ મહામારીના મુખ્ય કારણરૂપ આપણી અત્યંત અસ્વચ્છ શૌચક્રિયાને ગણાવે છે.
એ કહે છે કે રસ્તામાં ગમે ત્યાં મૂત્રવિસર્જન કરવું, થૂંકવું, છાણ અને બીજો કચરો ફેંકવાથી હવા દૂષિત થાય છે. એના ઉદાહરણરૂપે કહે છે કે કોઇક ટીબી ધરાવતો વ્યક્તિ રસ્તામાં થૂંકે, તો બીજા લોકોને પણ એનો ચેપ લાગે છે અને સ્વચ્છતા અંગે ભાર મૂકતાં તેઓ કહે છે,
'આપણા રસ્તાઓ, આપણી ગલીઓ અને આપણું આંગણું એટલું સ્વચ્છ હોવું જોઇએ કે ત્યાં બેસતાં કે સૂતાં સહેજે હિચકિચાટ થવો જોઇએ નહીં.'
આમ મહામારીથી બચવા માટેના છ રસ્તા બતાવ્યા પછી મહાત્મા ગાંધીજી એના ઉપચારની વાત કરે છે અને મહામારી જ્યાં ફેલાઇ ગઇ છે, તેને કઇ રીતે રોકી શકાય એની વાત કરે છે. જો પ્લેગ ફેલાઇ ગયો હોય, તો શું કરવું? ઘરની દીવાલો અને ઘરનાં ખૂણેખાંચરે કેવી સ્વચ્છતા રાખવી. વળી ઘર સાફ કર્યા પછી પણ એને છોડવું પડે, તો ખુલ્લાં મેદાનમાં તંબુ તાણીને કે ઝૂંપડી બનાવીને રહેવાનું સૂચન કરે છે. ગામની અન્ય વ્યક્તિઓને સ્પર્શ ન કરવો અને વસ્તુઓ વગેરે ખરીદતી વખતે દુકાનદાર સાથે સાવધાનીપૂર્વક વ્યવહાર કરવો. આજે પણ કોરોના સંક્રમણથી બચવા આ જ વાત થાય
છે ને!
આજે ઘરને સેનેટાઇઝ કરવાની વાત ચાલે છે, તો એકસો વર્ષ પૂર્વે આ સમયે ગાંધીજીની સલાહ પ્રમાણે વ્યક્તિએ પોતાના આખા ઘરને સ્વચ્છ કરવું જોઇએ. ઘરનો બધો સામાન બહાર કાઢીને ઉંદરોની શોધ કરવી જોઇએ. એમાં કોઇ ઉંદર મરેલો દેખાય તો ઘરની બહાર રહેવું જોઇએ. ઘરમાં ચૂનો લગાવવો જોઇએ અને હવાની પૂરતી આવનજાવન ન હોય તો ઘરમાં જરૂરી ફેરફાર કરવો જોઇએ તેમજ ઘરની આસપાસ સફાઇ જળવાઇ રહે તેવા ઉપાયો કરવા જોઇએ. જો પડોશીઓનાં ઘર સાફ ન હોય તો એવી તજવીજ કરવી જોઇએ કે જેથી એમનાં ઘર પણ સાફ રહેવા લાગે.
આજે જેમ કોરોના મહામારીથી સંક્રમિત દર્દી ઘણો ગભરાયેલો જોવા મળે છે, તેમ એ સમયે પ્લેગના રોગથી પણ ચોતરફ ભય ફેલાયેલો હતો. ગાંધીજી કહે છે કે પ્લેગના રોગીની સેવાસૂશ્રુષા કરનાર વ્યક્તિ સિવાય બીજાએ એને મળવા જવું જોઇએ નહીં, એને એક એવા રૂમમાં રાખવો કે જ્યાં પુષ્કળ હવા અને અજવાળું હોય. જો સાર્વજનિક હૉસ્પિટલ હોય તો એને ત્યાં લઇ જવો જોઇએ. ભોજન એકદમ બંધ કરી દેવું જોઇએ. પ્લેગનાં ચિહ્નો દેખાય કે તરત જ ખોરાક બંધ કરી દેવો અને ત્રણ કલાક પછી એને એનિમા આપવો. દર્દીને ઠંડા પાણીના ટબમાં બેથી વધુ મિનિટ અને જો એને પસંદ પડે તો પાંચ મિનિટ સુધી બેસાડવો. એના પગ અને છાતી વગેરે પાણીની બહાર રહે અને ઘૂંટણથી જાંઘ સુધીનો ભાગ પાણીમાં રહે તે જોવું જોઇએ. એને તરસ લાગે તો ઉકાળેલું, ગાળેલું, ઠંડુ પાણી એની જરૂરિયાત મુજબ આપવું. એ સિવાય અન્ય કોઇ પ્રવાહી આપવું નહીં.
મહાત્મા ગાંધીજીની ઝીણવટ તો જુઓ! તેઓ કહે છે કે જો માથું બહુ ગરમ થઇ જાય, તો એના પર માટીનું પોતું અથવા તો ઠંડા પાણીનું પોતું રાખવું જોઇએ. આટલો ઇલાજ કરવાથી મોટે ભાગે દર્દી મોતના ભયથી મુક્ત થઇ જાય છે. એ દર્દીને બીજા દિવસે ભૂખ લાગે તો લીંબુ અથવા નારંગીનો રસ ગરમ કે ઠંડા પાણી સાથે આપવો. તાવ ઊતરતાં જ દૂધ આપવાનું શરૂ કરવું. શરીરમાં ગાંઠ હોય તો ત્યાં ગરમ પાણીનું પોતું રાખવું. દર ત્રીસ મિનિટે એને બદલવું. વળી આ રોગમાં હૃદય ઘણું નબળું થઇ જાય છે, માટે દર્દીને પૂરો આરામ આપવો.
દર્દ અને દર્દીની વાત કર્યા પછી એની સારસંભાળ લેનારાઓને ગાંધીજી સૂચના આપે છે. તેઓ કહે છે કે, દર્દીની સુશ્રૂષા કરનાર વ્યક્તિએ બીજી વ્યક્તિઓથી અલગ રહેવું જોઇએ અને જેમાં બીજી વ્યક્તિઓના સંપર્કમાં આવવું પડે તેમ હોય, તો આવાં કામ છોડી દેવાં જોઇએ. આવી વ્યક્તિએ પણ પોતાના શરીરની રક્ષા માટે બહુ ઓછી માત્રામાં ખોરાક લેવો જોઇએ અને શરીરનું બરાબર ધ્યાન રાખવું જોઇએ. ચિંતા તો સહેજે કરવી નહીં. કદાચ આવી સુશ્રૂષા કરનારને કબજિયાત થઇ જાય, તો એનિમા લઇને આતરડાંની શુદ્ધિ કરવી અને માત્ર ફળાહાર કરવો.
આવા રોગીનાં કપડાં કેવી રીતે ક્યાં ધોવા, એના ઉપાય પણ ગાંધીજી બતાવે છે. તેઓ કહે છે કે રોગીનાં કપડાં નદીમાં અથવા તો જ્યાં બીજાં લોકોના કપડાં ધોવાય છે ત્યાં ધોવા નહીં. રોગીનાં કપડાં સાબુવાળા ગરમ પાણીમાં ડૂબાડીને પછી ધોવા. જો અત્યંત ગંદા થઇ ગયા હોય, તો એને સળગાવી દેવા. દર્દીની રજાઈ કે ગોદડાંનો ઉપયોગ બીજી વ્યક્તિએ કરવો જોઇએ નહીં. જો એ ચોખ્ખાં હોય તો આઠ દિવસ સુધી રોજ એને તડકામાં સૂકવવા અને સાથોસાથ ગાંધીજી એમ પણ કહે છે કે એ એવી રીતે સૂકવવા કે જેથી એ રજાઇ કે ગોદડાં બંને બાજુથી તાપમાં તપી શકે. પરંતુ જો એને સળગાવી દેવાનું પોસાતું હોય તો એને સળગાવી દેવાં.
પૂર્વ દક્ષિણ આફ્રિકામાં થયેલી મહામારી સમયે ગાંધીજીએ પ્લેગનાં દર્દીઓને દવા આપી હતી. હિંમત આપી હતી, એમને પાણી પીવડાવવાની અને એમનાં મૂળમૂત્ર આદિની સફાઇ કરી હતી. એ સમયે પણ ગાંધીજીએ માટીનો પ્રયોગ શરૂ કર્યા હતા અને અખબારોમાં મ્યુનિસિપાલિટીની બેદરકારી અને મહામારીના સમયની એની જવાબદારીની ચર્ચા કરી હતી.
ગોરાઓને મળતી સારવાર અને હિંદુસ્તાનીઓ પ્રત્યેનો દુર્વ્યવહાર એમને ખૂંચતો હતો. દક્ષિણ આફ્રિકાનો આ અનુભવ એમને ૧૯૧૭માં ભારતમાં ઉપયોગમાં આવ્યો અને ત્યારે ગાંધીજીએ એ સૂત્ર અપનાવ્યું - 'લોકોને મહામારીથી બચાવવા માટેનાં સાધનો અને જ્ઞાાન આપીને સરકારે પાછા હઠી જવું. લોકો પોતાની બુદ્ધિ અને કુશળતાનો ઉપયોગ કરીને દરેક સંકટનો વધુ સારી રીતે મુકાબલો કરી શકે છે, જો તેઓ નોકરશાહી, સ્વાર્થી રાજનીતિ અને ભ્રષ્ટ વ્યવસ્થામાંથી નીકળી જાય તો.'
ગાંધીજીનું આ અનુભવસૂત્ર સાંપ્રત સમયે પણ વિચારપ્રેરક છે.
મનઝરૂખો
અત્યંત મૂંઝવણ અનુભવતી એક વૃદ્ધા પુસ્તક-વિક્રેતાને ત્યાં ગઇ. એને એક પુસ્તક જોઇતું હતું, પણ એ પુસ્તકના શીર્ષકની કે એના સર્જકની કોઇ માહિતી નહોતી.
આવી સ્થિતિમાં પુસ્તક-વિક્રેતાએ એ વૃદ્ધા સમક્ષ દિલગીરી પ્રગટ કરતાં કહ્યું, ''આપને પુસ્તકના શીર્ષકની ખબર નથી અને એના લેખકની ખબર નથી, તો પછી કઇ રીતે હું તમને પુસ્તક આપવામાં મદદગાર બની શકું ?''
વૃદ્ધાએ પોતાના ખિસ્સામાંથી એક કાગળની ચબરખી કાઢી. એણે કહ્યું કે આ ચબરખીમાં જે હૃદયસ્પર્શી વાક્ય લખ્યું છે, તે એ પુસ્તકમાંથી લીધેલું છે. તમે આ વાક્ય વાંચો અને કદાચ તમને કયું પુસ્તક છે તેનો ખ્યાલ આવે.
વૃદ્ધાએ ચબરખી પુસ્તક-વિક્રેતાને આપી અને એણે એમાં એક વાક્યું વાંચ્યું, ''દુઃખ એ બીજું કંઇ નથી, તમારી સાચી સમજણને એક અંધારાનું પડ વીંટળાઇ રહ્યું છે.''
પુસ્તક-વિક્રેતાએ આ વાક્ય વાંચ્યું અને બોલી ઊઠયો, ''અરે, આ વાક્ય બીજા કોઇનું ન હોય, એનો લેખક તો મારો પ્રિય સર્જક ખલિલ જિબ્રાન છે અને આ રહ્યું એ વાક્ય ધરાવતું પુસ્તક.''
આમ કહીને પુસ્તક-વિક્રેતાએ જિબ્રાનની કૃતિ એ વૃદ્ધાને ઉત્સાહભેર આપી, ત્યારે એના કરચલીવાળા ચહેરા પર આનંદની રેખાઓ ઊપસી આવી.
પૂજાની સામગ્રીની માફક એણે સાચવીને ગ્રંથ પોતાના હાથમાં લીધો અને હર્ષથી નાચવા લાગી. સંતોષનો ઊંડો શ્વાસ લેતાં બોલી,
''કોઇ માને ખોવાયેલો દીકરો મળે એટલો આનંદ આ ગ્રંથ મળતાં મારા હૈયામાં થયો. ભાઇ, હું આ પુસ્તક અને એના લેખકનું નામ ભૂલી ગઇ હતી, પરંતુ એણે લખેલું વાક્ય રાતદિવસ મારા ચિત્તમાં ઘૂમ્યા કરતું હતું. મને થતું કે આ પુસ્તક વાંચ્યા વિના મને જીવનમાં શાંતિ નહીં મળે. સુખે મોત નહીં સાંપડે. તમે આ પુસ્તક આપીને મારા મનમાં શાંતિ આણી છે અને ઘણો મોટો ઉપકાર કર્યો છે.''
ક્ષણનો સાક્ષાત્કાર
કોરોના મહામારીના સમયે ચોતરફ ભયનો ભરડો લાગી ગયો છે. રૂમમાં વ્યક્તિ એકલી બેઠી હોય, તો પણ ભય લાગે, કોરોના થાય તો શું થાય તેના વિચારોમાં ડૂબેલો હોય, એમાં વળી અખબાર વાંચે કે ટેલિવિઝન પર સમાચારો જુએ, તો ભયમાં અતિ વૃદ્ધિ થાય છે, દેશનાં સમાચાર જાણ્યા પછી સંતોષ ન થાય તેમ ભય વૃદ્ધિ માટે એ વિદેશી ચેનલો જૂએ અને પછી કોરોના મહામારીના તુલનાત્મક આંકડાઓ તપાસે. એને કારણે થયેલાં મૃત્યુની સંખ્યાને બદલે વધી ગયેલા પોઝિટિવ કેસની લમણે હાથ મકીને વધુ ચિંતા કરે. કોઇને ઘરની બહાર જતાં બીક લાગે છે, તો કોઇને કમ્પાઉન્ડમાં કોરોના ફરતો લાગે છે. કોઇ વ્યક્તિ મળે ત્યારે પહેલી ચિંતા એ થાય કે એ કોરોનાગ્રસ્ત હશે, તો મારું આવી બન્યું !
કોરોના મહામારીના આંકડાઓ અને ઝીંકાતા સમાચારોને કારણે માનવી સલામત રહેવાનું શીખતો નથી, પણ ભયગ્રસ્ત થવાનું વધુ શીખે છે. હકીકતમાં કોરોના સંક્રમણનો ભોગ બનનારા અને પછી હેમખેમ પાછાં આવેલાં લોકોની વાતો તમે સાંભળી છે ખરી ? એ પોતાની કોરોના-કથની કહેશે પણ એનો અંત એ હશે કે આ બધું થયું, પણ ડૉક્ટરોએ જે સંભાળ લીધી એનાથી હું બીજો જન્મ પામ્યો. કોઇ કહેશે કે આવે વખતે મારા સ્વજનોએ જે રીતે સતત મારી દરકાર લીધી, આવો સ્નેહ આ પૂર્વે જિંદગીમાં ક્યારેય પામ્યો નથી. તો વળી કોઇ જોશભેર જણાવશે કે પૉઝિટિવ વિચાર રાખીને સારવાર લીધી અને એને કારણે બરાબર પાર ઊતરી ગયો.
કોઇ વળી જાનના જોખમે કામ કરતી નર્સોની સેવાભાવનાની પ્રશંસા કરશે. આમ કોરોનાની કથનીનો અત્યંત કડવો ડોઝ પીધા પછી પણ છેલ્લે તો તમને ચ્યવનપ્રાશ જેવી મધુર વાતો જ સાંભળવા મળશે. કોઇને જીવન જીવવાની નવી દિશા મળી તો કોઇને પોતાના જીવનમાં કયાં કાર્યોની પ્રાથમિકતા છે, એની સમજ સાંપડી, આ સઘળું જોઇને આપણે વધુ ને વધુ પોઝિટિવ વાતાવરણ સર્જીએ તો!