Get The App

આપણે ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે મૂલ્ય ચૂકવવા તૈયાર હોઈએ છીએ ખરા ?

- કેમ છે, દોસ્ત- ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- 'ભાઈ-ભત્રીજાવાદે જ આ દેશને પારાવાર નુકસાન પહોંચાડયું છે. પરિવારો ગુનેગારોને છાવરવાનું કેન્દ્ર બની ગયા છે. આપણે દેશ માટે જીવીએ છીએ ખરા ?'

Updated: Jul 18th, 2020

GS TEAM

Google News
Google News
આપણે ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે મૂલ્ય ચૂકવવા તૈયાર હોઈએ છીએ ખરા ? 1 - image


ત્યા ગરાજના કુટુંબને લોકો 'અર્પણ' કુટુંબ તરીકે ઓળખે. ત્યાગરાજના પિતા હેમરાજે પરિવારના સભ્યોને સદાય એક જ બોધ આપ્યો હતો. 'ત્યાગીને ભોગવી જાણો.' પોતાને કાજે જીવે તે રાક્ષસ બીજાને કાજે જીવે તે માણસ. કોઈક ગરીબના ઘરની લગ્નની કંકોતરી મળે એટલે દાદા હેમરાજ તેને ઘેર અવશ્ય પહોંચી જાય. વરરાજા માટે જોધપુરી સુટનું કાપડ અને કન્યા માટે અદ્યતન ફેશનનાં એક જોડ કપડાં. ગમે તેટલો આગ્રહ કરવામાં આવે છતાં તેઓ લગ્નોત્સવવાળા ઘેર ભોજન કરતા નહીં. તેઓ કહેતા : ''મારે બદલે કોઈ ખરેખર ભૂખ્યા માણસની આંતરડી ઠારજો. અને બૂફે ડિનર રાખશો નહીં. માપસરનું રંધાવજો અને પીરસણીઆને પણ પીરસવાની તાલીમ આપજો. માણસે અન્નને પણ બચાવવું જોઈએ અને મનને પણ. આજે નથી રહ્યું શુદ્ધ અન્ન નથી રહ્યું શુદ્ધ મન કે નથી રહ્યું શુદ્ધ ધન. પડતીની શરૂઆત મનની ભ્રષ્ટતાથી થાય છે.''

પુત્ર ત્યાગરાજને પણ તેઓ સમજાવતા : ''કોઈ મુશ્કેલીમાં હોય તો એને મદદ કરજો પણ વ્યાજે પૈસા ન ધીરતા. વ્યાજ લેવું એટલે માતા લક્ષ્મીની લાજ સાથે ચેડાં અને બીજી વાત. પ્રેતભોજન એટલે કે બારમા-તેરમાની સરવણી માટે પણ કોઈને પૈસા ન આપીશ. લોકો જ્ઞાાતિજનો અને સ્વજનોમાં વટ પાડવા મરણોત્તર ક્રિયામાં આંધળો ખર્ચો કરે છે. એને પ્રોત્સાહન ન જ અપાય.''

દાદા હેમરાજની કથની અને કરણીમાં સમાનતા. તેઓ પરોપકારી હતા પણ પરોપકારેય સમજી-વિચારીને કરતા. કોઈ ગરીબ નિર્દોષ માણસ પોલિસના સકંજામાં સપડાયો હોય તો તેના જામીન સ્વેચ્છાએ થઈ તેને મુક્ત કરાવતા, પણ જો પોતાનો કોઈ સગો ચોરી, બળાત્કાર કે ખૂન કેસમાં સંડોવાયો હોય તો તેના તેઓ ક્યારેય જામીન થતા નહીં.

દાદા હેમરાજ ગર્ભશ્રીમંત હતા. તેમની પાસે હજારો એકર જમીન હતી. પણ જમીનમાંથી થએલું ઉત્પાદન તેઓ વહેંચીને વાપરતા. શેરડીનો વાઢ આખા ગામ માટે ખુલ્લો. બાળકો હોંશે-હોંશે શેરડી ખાતા અને વૃદ્ધો મન મૂકીને શેરડીનો રસ પીતા. અન્નના કોથળા ભરાય એ પહેલાં ગામના ગરીબ કારીગરવર્ગ, સાધુ-સંતો, વિધવાઓ અને બ્રાહ્મણોને સન્માનપૂર્વક અન્નદાન કરતા. સહુ દાદા હેમરાજ પર દુવાનો વરસાદ વરસાવતા.

એમના પુત્ર ત્યાગરાજના લગ્નનો પ્રશ્ન ઉદ્ભવ્યો ત્યારે હેમરાજનાં પત્ની શ્રાવણીએ પોતાના ઘરના મોભાને લાયક અમીર પરિવારની કન્યા સાથે પુત્ર ત્યાગરાજનાં લગ્ન કરવાની જીદ પકડી હતી. પણ દાદા હેમરાજે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું : ''મારે એક ગરીબ ઘરની કન્યાને ઠારવી છે. અમીર પરિવારની દીકરીએ તો મન મૂકીને સુખ માણ્યું જ હોય છે. એ લાડકોડમાં ઉછરેલી હોય છે એટલે એની કોઈ ઈચ્છા અધૂરી હોતી નથી ! મેં મંદિરના પૂજારી જદુરાયની પુત્રી શ્રુતિકા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. એ ઠાકોરજીને જમાડયા પછી જમે છે. મંદિરમાં લોકો દેવીઓ માટે સાડીઓ ભેટ ધરે છે પણ શ્રુતિકા ફાટેલી સાડી સાંધીને પહેરે છે પણ દેવી-દેવતાને ચઢાવેલી વસ્તુને હાથ શુદ્ધાં લગાવતી નથી. જદુરાય પણ અન્નકૂટ ગરીબોને વહેંચી દે છે પણ પોતાના ઘર માટે સાદી રસોઈ બનાવડાવે છે. શ્રાવણી, આપણા ઘરના સંસ્કારોની રખેવાળ પૂજારી જદુરાયની પુત્રી શ્રુતિકા જ બની શકશે. આપણે બધું બગડી ગયાની ફરિયાદ કરીએ છીએ, પણ એ બગાડમાં આપણો પણ હાથ હોય છે, એનો વિચાર કરીએ છીએ ખરા ?''

પુત્ર ત્યાગરાજને પિતા હેમરાજના મૂલ્ય નિષ્ઠ જીવન માટે ભારોભાર માન હતું. એણે પિતાની આજ્ઞાા માથે ચઢાવી શ્રુતિકા સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવી.

દાદા હેમરાજ લગ્ન પાછળ જદુરાયને એક પણ પૈસાનો ખર્ચ કરાવવા ઈચ્છતા નહોતા. એમણે કહ્યું : ''અમે ઘરનાં સાત માણસો જાન લઈને આવીશું... તમારે પુત્રી શ્રુતિકાને કોઈ દાગીનો કે વસ્ત્રો આપવાનાં નથી. મંદિરમાં જ આરતીને સમયે ગોરજ મુહૂર્તમાં લગ્ન-વિધિ સમ્પન્ન થશે. લગ્ન પછી તરત જ કન્યા વિદાય યોજાશે નહીં. બે-ત્રણ મહિના આપની દીકરી પિયરમાં જ રહેશે. એ અમારે ઘેર આવતી-જતી થશે. કુટુંબ સાથે ભળતી થશે પછી એની ઈચ્છા મુજબ આણું કરીશું.'' જદુરાયને થયું, પૂર્વ જન્મનાં મારાં પુણ્ય હશે એટલે જ દાદા હેમરાજના વેવાઈ થવાનું મારા નશીબે લખાયું. આપણે બધા ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિની વાતો કરીએ છીએ, પણ એના રક્ષણ માટે મૂલ્ય ચૂકવવા તૈયાર છીએ ખરા ? લોકોને અંગ્રેજી કેલેન્ડરની તારીખો બરાબર યાદ હોય છે પણ પંચાંગ મુજબ ક્યો મહિનો ચાલે છે અને કઈ તિથિ છે એનો ભાગ્યે જ ખ્યાલ હોય છે. દાદા હેમરાજને કોઈ જૂનવાણી કહે તો હું કહીશ દેશમાં એવા લાખ્ખો હેમરાજો જન્મે, જેથી મા ભારતીનો આત્મા તૃપ્ત થાય.

ત્યાગરાજ અને શ્રુતિકાનાં લગ્ન દાદા હેમરાજની ઈચ્છા મુજબ અત્યંત સાદગીથી દેવી-દેવતાઓની મૂર્તિઓ સમક્ષ યોજાઈ ગયાં.

દાદા હેમરાજે બીજે દિવસે ગામની શાળાનાં બાળકોને જમાડયાં અને દરેકને યુનિફોર્મનું કાપડ ભેટ આપ્યું. અનાથાલયો, દિવ્યાંગ નિવાસીગૃહો વગેરેને દાન આપી સહુને ભોજન કરાવ્યું.

એમણે પોતાની જમીનમાંથી થોડોક ભાગ નોખો કરી ગરીબ કિસાનો અને મજૂરો માટે નાનકડાં પણ સુવિધાયુક્ત મકાનો બનાવ્યાં. દર દીવાળીએ બોનસ રૂપે મોટી રકમ આપવાનું શરૂ કર્યું અને તેમનાં બાળકોને ભણાવવાનું તમામ ખર્ચ પણ ઉપાડી લીધું...

પ્રસન્ન થએલા ખેડૂતો-મજૂરો દાદા હેમરાજનો ૬૦મો જન્મદિવસ ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું પણ એમણે જન્મદિવસ ઉજવવાની અને એ નિમિત્તે ભેટ સોગાદ લાવવાની ચોખ્ખી મનાઈ ફરમાવી. એમણે કહ્યું : ''વ્યક્તિ પૂજા માણસના અહંકારને પોષે છે. આપણા દેશનાં લોકો સ્વાર્થ ખાતર ખોટા માણસોને પૂજીને ધન્યતા અનુભવે છે. સ્વાર્થ ખાતર શેતાનને પણ સાધુ ગણવો એ નૈતિક અને આધ્યાત્મિક પતનની નિશાની છે. મહેરબાની કરી મારી પાસેથી મારા તપને છિનવી લેવાની કોશિશ ન કરશો.''

સમય વહેતો રહ્યો. ત્યાગરાજની પત્ની શ્રુતિકા જોડીઆ પુત્રોની માતા બની. બન્ને પુત્રો 'રંગરૂડા રૂપે પૂરા, દીસંતા કોડીલા કોડામણા.'

એમનો નામકરણવિધિ પણ માત્ર ઘરનાં સભ્યોની હાજરીમાં જ યોજાયો. બન્ને જોડીઆ પુત્રોના જન્મકાળમાં સાત મિનિટનું અંતર હતું. તેથી પહેલા જન્મેલાને મોટો અને સાત મિનિટ બાદ જન્મેલાને નાનો ગણવાનું નક્કી થયું... નામ નિર્ધારિત કરવા માટે પણ ત્યાગરાજ અને શ્રુતિકાએ પિતા હેમરાજને જ વિનંતી કરી.

દાદા હેમરાજે પહેલાં જન્મેલા પુત્રનું નામ સ્વાધીન અને પછી જન્મેલા પુત્રનું નામ સુદેશ જાહેર કર્યું. ઘરનાં સહુએ એ નામોને વધાવી લીધા. બન્ને શિશુઓને પોતાના ખોળામાં બેસાડી દાદા હેમરાજે આશીર્વાદ આપ્યા.

બન્નેનો અભ્યાસ એક જ સ્કૂલમાં આરંભાયો. પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ એક જ સ્કૂલમાં પૂર્ણ થયું... દાદા હેમરાજે એ સ્કૂલને રૂપીઆ પચાસ લાખનું દાન આપ્યું હતું. સ્કૂલે એમના નામનું બોર્ડ લગાવી ભવ્ય સમારંભ યોજવાનું નક્કી કર્યું. પણ દાદા હેમરાજે શાળા સાથે પોતાનું નામ જોડાવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો. એમણે કહ્યું : 'દાન એ માન વટાવવાનો બેરર ચેક નથી. માણસ ધરતીમાંથી કમાય છે એટલે ધરતીનું ઋણ અદા કરવા નામની ખેવના રાખ્યા સિવાય દાન આપવું જોઇએ. એટલે શાળાનું નામ 'સર્વહિતાર્થ શાળા' રાખો અને અભ્યાસ માટે ગરીબોનાં બાળકોને અગ્રિમતા આપો.'

સ્વાધીને આર્ટસ ફેકલ્ટીમાં સ્નાતકની પદવી મેળવ્યા બાદ એલએલ.બીનો અભ્યાસ કરી સનદ મેળવી અને સુદેશે ઇજનેરી શાખાનો અભ્યાસ પૂરો કરી બી.ઈ સિવિલની પદવી પ્રાપ્ત કરી.

દાદા હેમરાજે એ બન્નેને પ્રેમથી પોતાની પાસે બેસાડીને કહ્યું : 'તમે વ્યવસાય કરો કે નોકરી, પણ આત્મકેન્દ્રી ન બનશો. પૈસાનો લોભ તમારી ઇમાનદારીને ભરખી ન જાય એનો ખ્યાલ રાખજો. સ્વાધીન, તું એડ્વોકેટ છે. તારી પાસે સાચા-ખોટા અનેક કેસોના અસીલ આવશે. તું પૈસા ખાતર ન્યાયની પવિત્રતાને ડાઘ ન પડવા દઈશ. હું કેટલા દહાડા જીવવાનો છું. વડીલોપાર્જિત મિલ્કતના તમે જ વારસદાર બનશો. એટલે મેં ત્રણસો એકર જમીન તારે નામ કરી દીધી છે. એટલે પૈસાની ચિંતા તને નહીં સ્પર્શે. અને સુદેશ, તું ઇજનેર છે. માર્ગ અને મકાનોના નિર્માણની જવાબદારી તારી શિરે આવશે. તેં આઈ.એ.એસ. કરી સરકારી અધિકારી બનવાનું નક્કી કર્યું એને હું મારી સમ્મતિ આપું છું. પણ સત્તા માણસને બહકાવે છે. સત્તાનો એક નશો હોય છે.

એ નશામાં માણસ વિવેક ભૂલી જાય છે. તું મીડિયામાં સમાચાર વાંચે છે કે સડકો નબળા નિર્માણને કારણે ધોવાઈ ગઈ, ભુવા પડયા અને પુલો તથા મકાનો ધરાશાયી થયાં. તારી દેખરેખ હેઠળ થયેલાં કામોમાં આવા લોકહિતનાં કામોને નુકસાન થયું હોય તો બહાનાંબાજીનો આશ્રય લેવાને બદલે અંગત જવાબદારી સ્વીકારી રાજીનામું ધરી દેજે. ધન ખાતર દેશહિત ગૌણ ન ગણતો.'

બન્ને ભાઈઓએ દાદાજીની વાત સાંભળી અને એમના આશીર્વાદ લીધા.

સ્વાધીને વકીલાત શરૂ કરી. દાદાજીના સિધ્ધાંતોને એણે મહત્ત્વ આપ્યું. એ ગરીબો, વિધવાઓ, નિરાધાર લોકો વગેરેના કેસો મફત લડતો. કેસ હારી જાય તો પણ ઉપલી કોર્ટમાં કેસ લડવા માટે દાદા હેમરાજ ગરીબ અસીલોને આર્થિક મદદ કરતા. કોઇ ગરીબની મિલ્કતનું જપ્તી વૉરન્ટ હોય તો દાદા હેમરાજ તેની આર્થિક જવાબદારી સ્વીકારી દેવું ચૂકતે કરી આપતા.

સિલેકશન કમિટિના ઇન્ટરવ્યૂ પછી સુદેશે એક ખાનગી કંપનીમાં ઇજનેર તરીકે કામ શરૂ કર્યું હતું ત્યારબાદ સરકારી અધિકારી તરીકે નિયુક્તિ થતાં એણે માર્ગ અને બાંધકામ ખાતાનો ચાર્જ સંભાળ્યો હતો.

સુદેશે જેવો ચાર્જ સંભાળ્યો, ખુશામતીઆઓ હાર-તોરા અને ભેટ સોગાદો લઇને તેની ચૅમ્બરના ચક્કર લગાવતા થઇ ગયા હતા. પણ દાદા હેમરાજના શબ્દો યાદ રાખી તેણે એવા સ્વાર્થી લોકોને મળવાનું બંધ કરી દીધું હતું.

એના ઉપરી અધિકારીઓ લાંચીઆ હતા. ટેન્ડરો મંજૂર કરવામાં અને કોન્ટ્રાક્ટ આપવામાં તેઓ પક્ષપાત કરતા હતા. મોટી રકમનું 'નૈવેદ્ય' ધરનાર ફાવી જતો અને યોગ્ય માણસની ઉપેક્ષા થતી.

દિવાળીમાં પણ સ્વદેશને રિઝવવા મોટો મોટા બિલ્ડરો ને કોન્ટ્રાકટરો મોંઘી ભેટો લઇને મળવા આવતા. દાદા હેમરાજ બંગલાના કમ્પાઉન્ડમાં ખુરશી નાખી બેસતા. કમ્પાઉન્ડની બહાર બેઠેલા ગરીબો દાદાજીની કૃપા દ્રષ્ટિથી રાહ જોતા. દાદાજી આવનારને કહેતા : 'આ મિઠાઈ ગરીબોને વહેંચી દો. અને લાવેલી વસ્તુઓ અહીં બેઠેલા અનાથાશ્રમનાં મેનેજરને આપી દો. તમારા સુદેશ સાહેબ પર તો ભગવાનની દયા છે. પૈસે-ટકે અમે દુ:ખી નથી અને કદાચ પૈસાનો અભાવ હોત તો પણ હરામની કમાણી અમે સ્વીકારતા ન હોત. એટલે આપ પધારો અને આપની 'બે નંબરી' લક્ષ્મીનો પડછાયો મારા આંગણા પર પડવા ન દેશો. 

ઉપરી અધિકારીઓ જાતજાતના આક્ષેપો મૂકી સુદેશને મેમો આપતા. પણ સુદેશ ગભરાતો નહોતો. એટલે તેને ફસાવવા રીઢા ઑફિસરોએ તેને પાર્ટીઓ આપવાનું શરૂ કર્યું. ઘરના સાદગીભર્યા વાતાવરણથી થોડા અસંતુષ્ટ બનેલા સુદેશને આવી પાર્ટીઓમાં રસ પડવા માંડયો.'

તેનું મન ચલિત થવા માંડયું. પાર્ટીઓમાં નૃત્ય, શરાબ અને જુગારના 'ખેલ' પણ શરૂ થયા. જુગારમાં પાવરધા 'શકુનિયો'ને પણ હાજર રાખવામાં આવ્યા. સુદેશ તો નવોનિશાળિયો હતો. પૈસા ઉછીના લઇને પણ એણે જુગાર રમવામાં પાછી પાની કરી નહીં. શકુનિયોની ચાલમાં એ ફસાતો ગયો. હવે જુગાર અને શરાબ તેને માટે લત બની ગઈ હતી. પણ ઘરમાં એણે દંભી વર્તન દ્વારા દાદાજીનું મન જીતી લીધું હતું. દાદા હેમરાજને સુદેશ પર વિશ્વાસ હતો. પોતાની અસલિયત છૂપાવવા માટે એણે વિશ્વાસનો ગેરલાભ લીધો.

સુદેશ દેવાદાર થયો. ઘરમાં દાદાજીનો વહીવટ હતો. એટલે તેમની પાસે પૈસા માગવાનો રસ્તો સદંતર બંધ હતો.

સુદેશને ફસાવનાર પેલી ટોળકીએ સુદેશની લાચારી અને માનસિક નબળાઈનો લાભ લેવાનું શરૂ કર્યું. તેમણે લાંચ-રૂશ્વતનાં કાવતરાંમાં સુદેશને હાથો બનાવ્યો. દેવાદાર સુદેશે દાદાજીના સિધ્ધાંતોને નેવે મૂક્યા અને જુગારનું દેવું ચૂકવવા ખાતર લાંચ લેવાનો છોછ છોડી દીધો.

સુદેશના વર્તનમાં આવેલું આકસ્મિક પરિવર્તન દાદાજીના ધ્યાનમાં આવ્યું. પહેલાં ઑફિસથી નીકળી સુદેશ સીધો જ ઘેર આવતો. ઘેર આવ્યા પછી કોઇના ખાનગી ફોન એટેન્ડ કરતો નહીં. એને બદલે હવે ફોનની રિંગ સતત રણકતી જ રહેતી. મોડી રાત્રે એ ઘેર આવતો. અને જમ્યા વગર જ પોતાના શયનખંડમાં ચાલ્યો જતો.

શ્રાવણી દેવીએ હેમરાજને કહ્યું : 'આપણો લાલો ઉદાસ અને દુ:ખી જણાય છે. ઘરમાં પગાર પણ આપતો નથી. કોઇની સાથે વાત પણ કરતો નથી. વડીલ તરીકે આપણી ફરજ છે કે એની ચિંતામાં આપણે ભાગીદાર થવું જોઇએ.'

શ્રાવણીદેવીની વાત સાંભળી દાદાહેમરાજ સાવધાન થયા. એમણે બીજે દિવસે સુદેશને પોતાની પાસે બેસાડીને કહ્યું : 'દીકરા, આજકાલ ઓફિસેથી આવવામાં તને ખાસ્સું મોડું થાય છે. તારો ચહેરો પણ ઉદાસ-ઉદાસ દેખાય છે. ઉપરી અધિકારીઓની કશી પજવણી તો નથી ને !'

સુદેશે જવાબ તૈયાર જ રાખ્યો હતો. અણે કહ્યું : 'દાદાજી, હું નવો-સવો એટલે મારે વધારે કામ કરવું પડે છે. મને કામ બાકી રાખવાની આદત નથી. કામનો થાક દૂર કરવા મિત્રો સાથે ક્યારેક પાર્ટીમાં જોડાઉં છું. બાકી ચિંતા કરવાનું કોઈ કારણ નથી.'

દાદાજીએ જોયું કે સુદેશ આંખમાં આંખ મિલાવીને વાત કરવાને બદલે નીચી નજરે વાત કરી રહ્યો છે. એ કશું છૂપાવી રહ્યો છે. દાદાજીએ તેની ઉપર વૉચ રાખવાનું વિચાર્યું.

એક દિવસ સુદેશ રાત્રે અગિયાર વાગ્યે ઘેર આવ્યો. સીધો જ પોતાના શયનખંડમાં ગયો. એટલામાં ફોનની રિંગ આવી. દાદાજી છૂપાઈને તેની વાત સાંભળી રહ્યા હતા. સુદેશ કોઈ પાર્ટી સાથે વાત કરી રહ્યો હતો. તેના શબ્દો દાદાજીને કાને પડયા. તે કહી રહ્યો હતો : 'તમારું દસ કરોડ રૂપીઆનું બીલ પેન્ડિંગ છે. એ મંજૂર કરવાથી મને શો ફાયદો ? બીલ મંજૂર કરાવવું હોય તો પચાસ લાખ રૂપીયા લઇ કાલે એક વાગ્યે મારી ઓફિસની કેન્ટીનમાં આવજે. એ વખતે કેન્ટીન લગભગ ખાલી હશે. ઍશ કલરની બૅગમાં રકમ મૂકજો. એટલે કેન્ટીનમાંથી નીકળતી વખતે એ બેગ મારી કારમાં મૂકીશ. ભૂલ ન થાય, બપોરે ૧ વાગ્યે !'

દાદાજી સુદેશની વાત સાંભળી ચોંકી ઉઠયા. એમના હૃદયને ભારે આઘાત લાગ્યો. એમને લાગ્યું કે પોતાનો સઘળો ઉપદેશ એળે ગયો છે !

એમણે ચૂપચાપ ઘરની બહાર નીકળી એન્ટી-કરપ્શન ખાતાના અધિકારીને ફોન કરી કાલે બપોરે ૧ વાગ્યે કેન્ટીનમાં રેડ પાડવાની વિગતો આપી.

એમના મનમાં કર્તવ્ય અને નૈતિકતાનું ભયાનક દંગલ ચાલી રહ્યું હતું. આખી રાત તેઓ ઊંઘી શક્યા નહીં.

બીજે દિવસે બપોરે સાડા બાર વાગ્યે બાંધકામ ખાતાની કેન્ટીન પાસે છૂપાઈને ઉભા રહ્યા. પોણા વાગ્યે એન્ટીકરપ્શન બ્રાન્ચના ઓફિસરો આવી પહોંચ્યા. એમણે દૂરથી પોતાના પૌત્ર સુદેશને ઇશારાથી ઓળખી બતાવ્યો.

ઓફિસરે પૂછ્યું : બાય ધ વે, આ માણસને તમે ક્યાંથી ઓળખો છો ?

'એ મારો સગો પૌત્ર છે.' દાદાજીની આંખ ભીની થઈ ગઈ !

ઓફિસરે કહ્યું : 'હજી વિચાર કરી જુઓ. કોઇ પોતાના સગા પૌત્રને જેલના સળીઆ ગણાવવા મોકલે તેવું ભાગ્યે જ બને છે.'

'ભઇલા, મેં વિચાર કરી લીધો છે. ભાઈ ભત્રીજાવાદે જ આ દેશને પારાવાર નુકશાન પહોંચાડયું છે. પરિવારો ગુનેગારોને છાવરવાનું કેન્દ્ર બની ગયાં છે. દેશ સહુનો છે પણ આપણે દેશ માટે જીવીએ છીએ ખરા ? તમે નિરાંતે તમારી કાર્યવાહી કરો.'

અને બરાબર એક વાગ્યે પૈસા ભરેલી બૅગ કોન્ટ્રાક્ટર પાસે લેતાં સુદેશ એન્ટી કરપ્શનના ઓફિસરોના હાથે પકડાઈ ગયો.

દાદા હેમરાજ તરત જ એ સ્થળે પહોંચી ગયા.સુદેશે કહ્યું : 'દાદાજી, મને બચાવો. મારી ભૂલ થઇ ગઈ.'

દાદા હેમરાજે કહ્યું : 'મારો પૌત્ર આવો બેઇમાન અને દેશનો દુશ્મન ન હોય. મારાને તારા સંબંધો આજથી પૂરા થયા. હવે કાયદો કાયદાનું કામ કરશે.'

Tags :