જીવનનો આભાર માનવાની, અહોભાવ પ્રગટ કરવાની અનંત રીતો
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- આપણે ન દેખાતી ક્ષિતિજ કે ઝાંખુ દેખાતું દૂરનું જોવામાં જીવન વેડફીએ છીએ. પણ આપણી સામે આવેલી ઘડીને ઝીલતા કે વ્હાલી કરતા નથી.
આ પણું જીવન આપણને સેકેન્ડના ૧૬, ૩૨ કે ૬૪ દ્રશ્યો નથી દેખાડતું પણ અસંખ્ય અને અકલ્પ્ય દ્રશ્યો દેખાડે છે. અને હા, દરેક દ્રશ્યની ક્ષમતા આપણને સમગ્રતયા બદલી નાખવાની શક્યતા ધરાવે છે. ૨૬૦૦ વરસો પછી પણ જે ચાર દ્રશ્યો તથાગત બુદ્ધે તેના પૂર્વાશ્રમમાં જોયેલા તે આજે પણ આપણને યાદ છે. હા, રૂપાંતરણની એક માત્ર અનિવાર્યતા છે; માનવીય સંવેદનશીલતા.
સેમ્યુઅલ બટલર કહેતા, 'જીવનની કલા અપર્યાપ્ત દ્રષ્ટાંતો અને અધૂરા અનુભવોમાંથી પણ પૂર્ણ ફલશ્રુતિ કાઢી લેવામાં છે.' આખરે, જીવન ૫+૫=૧૦ જેવો સરળ સરવાળો નથી. આપણે જ્યારે જીવનને : સ્મૃતી કે ઇચ્છા, સ્વપ્ન કે પ્રતિક્ષા, આશા કે અપેક્ષાનો સરવાળો માત્ર ગણીએ છીએ ત્યારે ભૂલ કરીએ છીએ. તેને પરિણામે આપણે ન દેખાતી ક્ષિતિજ કે ઝાંખુ દેખાતું દૂરનું જોવામાં જીવન વેડફીએ છીએ. પણ આપણી સામે આવેલી ઘડીને ઝીલતા કે વ્હાલી કરતા નથી. જીવવાનું ડહાપણ કે બ્લુપ્રિન્ટ ગ્રંથોમાંથી નથી અવતરતું પણ સ્વયંના પળે પળ જીવવાના અનુભવમાંથી આવે છે. અહીં ગ્રંથો નિરર્થક છે તે કહેવાનો આશય નથી. ...ક્યારેક અન્યની જીવન પળ કે દ્રશ્ય, અન્યની ભૂલ કે પીડા પણ આપણને રૂપાંતરિત કરી દે છે, જો તેને નિરખીએ તો !
નિયતિએ મારી સાથે અન્યાય કર્યો છે તેવી ફરિયાદ કરનાર અનેક હોય છે. પણ તે એક વખત : હોસ્પિટલમાં જઈને જોઈ લે કે દુનિયામાં પીડા કેટલી છે અને તેની પોતાની તંદુરસ્તી કેવી છે, કેદખાનામાં જઈને જોઈ લે કે ગુનાઈત ચિત્ત્તને કેટલી સજા છે અને તેને મળેલું સ્વાતંત્ર્ય કેટલું સુખદ છે. અરે સ્મશાન કે કબ્રસ્તાનમાં જઈને જોઈ લે કે જીવન કેટલું નાશવંત છે અને તેને આ પળે મળેલું જીવન કેટલું આનંદમય છે. જીવનનો આભાર માનવાની, અહોભાવ પ્રગટ કરવાની કે સ્વીકાર કરવાની અનંત રીતો છે. આવો, આપણે બે-ત્રણ રીત જોઈએ
- પગ વિનાનો માણસ જોઇએ તો જુનાં ચપ્પલ ગમવા લાગશે,
- ઉકરડાંમાંથી ખાવાનું શોધતો ગરીબ જોઈએ તો રોટલી-દાળ ભાવવા લાગશે,
- પાગલખાનામાં પાગલ જોઈએ તો આપણું નિરક્ષરતા પણ સુખી જીવન આશીર્વાદ રૂપ લાગશે..
જુઓ તો ખરા, જીવન દોસ્ત છે. પળે-પળ પરમનો આંગડીઓ છે. જીવનની ખબર લાવે છે -લઇ જાય છે. નિદા ફાજલી કહે છેઃ
જીવનભર ભટકા કિયે, ખુલી ન મનકી ગાંઠ
ઉસકા રાસ્તા છોડકર, દેખી ઉસકી વાટ.