Get The App

રીડિંગ લિસ્ટ 2022: આ વર્ષે આ વાંચ્યું?

Updated: Dec 18th, 2022

GS TEAM


Google News
Google News
રીડિંગ લિસ્ટ 2022: આ વર્ષે આ વાંચ્યું? 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- વર્ષ પૂરું થાય એ પહેલા વેકેશનમાં રહી ગયેલી યાદી, વાંચવા જેવા પુસ્તકોની

(૧) સાંઈ-ઈશા અંતરંગ : કવિ મકરંદ દવેની જન્મશતાબ્દીના આ વર્ષે પહેલા તો ગુજરાતી ભાષાના ટાગોર કહી શકાય એવા આ કવિની સમગ્ર કવિતાનો સંગ્રહ વાંચવો જોઈએ. પણ પછી આ પુસ્તક જરા મોટું ને મોંઘુ હોવા છતાં છોડવા જેવું નથી. સ્વતંત્ર મિજાજના છતાં સંવેદનશીલ એવા કુન્દનિકા કાપડિયા સાથે આયખાની ઓલમોસ્ટ અડધી સદી બાદ દાંપત્ય શરૂ કરનાર મકરંદભાઈ, અર્થાત્ પ્રકૃતિને ચાહનારા યુગલની બેડલી. બેઉએ લગ્ન કર્યા એ પહેલા અને મોબાઈલયુગ ન હોઈને એકમેકને રસ અને ભાવથી સભર પત્રો લખેલા. ગુજરાતીના બે ઉત્તમ લેખકહૃદયો પ્રેમમાં પડે તો કેવા પત્રો લખે? એનો આ દસ્તાવેજ છે દિલ તણો! એમાં સતત ભારેખમ અધ્યાત્મ નથી. પ્રેમ અને આનંદ છે. કુદરત અને વિશ્વસાહિત્ય છે. ક્યાંક કુન્દનિકા કાપડિયા સ્પષ્ટ એકરાર કરે છે કે ઘર સંભાળવું ગમતું હોવા છતાં રોજીંદા કામકાજના થાકથી એ ગૃહિણી નહિ બની શકે ટિપિકલ ફોર્મેટમાં. અને મકરંદભાઈ તો સંબોધન પણ કેવા મધુર કરે. એક પત્રમાં લખે : ઓ વ્હાલ! બીજામાં લખે : વીજળીની જેમ તારી યાદના આકાશમાં આંજી જતાં ઝબકારો! ઋષિઓ પ્રેમ પણ કરે એના પુરાવા જેવું પુસ્તક.

(૨) હાઉ ટુ ટોક ટુ એનીવન : કેટલાય શરમાળ કે ઉછેર / શાળાજીવનમાં સંકોચશીલ બની ગયેલા સ્ત્રી-પુરૂષનો ક્લાસિક ક્વેશ્ચન હોય છે. મિત્રો કેમ બનાવવા? વાતો કેવી રીતે કરવી? અજાણ્યા સાથે કોઈ સંવાદની શરૂઆત કઈ રીતે કરવી? બસ, એ માટે કોઈ વ્યક્તિગત માર્ગદર્શન ન મળે તો આ પુસ્તકના શરણે જાવ. અંગ્રેજીમાં છે, પણ હળવું છે. એક-બે નહિ પણ પૂરી ૯૨ ટ્રિક્સ છે, કર્ન્વસેશન્સ સ્ટાર્ટ કરવાની. પ્રેકટિકલ એન્ડ ઇન્ટરેસ્ટિંગ. સિમ્પલ એન્ડ ઇફેક્ટીવ.

(૩) અર્લી ઈન્ડિયન્સ : આપણે હાલતા ને ચાલતા પાંચ હજાર વર્ષોના સનાતન ઈતિહાસની વાતો કર્યા કરીએ છીએ. પણ એ બાબતે ઇમોશનલ સિવાય એકચ્યુઅલ સાયન્ટિફિક થોટ્સ ધરાવતા નથી. યુવલ નોઆહ હરારીની હરોળમાં બેસે એવું રસાળ રિસર્ચ સાથેનું આ પુસ્તક ભારતના જ ટોની જોસેફે લખ્યું છે. હિન્દીમાં પણ 'આરંભિક ભારતીય' તરીકે આવી ગયું છે. પુસ્તકના અંતે બિલ્યિોગ્રાફી વાંચો તો ખ્યાલ આવે કે અસલી અભ્યાસ કેવો હોય ને કોને કહેવાય. વિજ્ઞાન જ નહિ, ભાષાવિજ્ઞાન, દંતકથા, ક્યા બધે જ એનું ક્ષેત્ર વિસ્તરેલું છે. હિન્દુસ્તાની નાગરિકોએ મગજના દરવાજા ખોલવા ને પોતાનો જ સાચો વિશ્વસ્તરીય વારસો સમજવા ફરજીયાત વાંચવા જેવું પુસ્તક.

(૪) એ વાત મને મંજૂર નથી : શૂન્ય પાલનપુરી અને ચુનિલાલ મડિયાની માફક નાઝિર દેખૈયાની પણ આ જન્મશતાબ્દીનું વર્ષ છે. અને આ ભાવનગરી શાયરના તમામ ભાવસભર  સર્જનને એક જ ગ્રંથમાં આ વર્ષે પ્રગટ કરાયો છે. 'પથિક! તું ચેતજે પથના સહારા પણ દગો દેશે, ધરીને રૂપ મંઝિલનું ઉતારી પણ દગો દેશે! મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસ હું લાવું... અમારા અનુભવ છે, તમારા પણ દગો દેશે!' જેવી પંક્તિઓ 'દિવસ વીતાવ્યો છે કેવો એ રીત શું જાણે' ટાઇમની ખુમારીથી. 'મેં રૂપને કરૂપ પર થતાં નિસાર જોયા, નજરોનજર મેં કંટક પર તુષાર જોયા'ની લાચારી સુધીની રેન્જ છે. ગગનવાસીને પણ ધરા પર આવી તો જો-નો પડકાર ફેંકતો મિજાજ પણ છે.

(૫) ગ્રીનલાઇટ્સ : મેથ્યુ મેકોનહે હોલીવૂડ ફિલ્મ્સના શોખીનો માટે અજાણ્યું નામ નથી. આ ઓસ્કારવિનર એવા સોહામણા એકટરે દરેક પ્રકારની ફિલ્મો કરી છે, અને લખી છે આ આત્મકથા. ચાલુ ચીલાને બદલે હટ કે લેઆઉટના પ્રોડકશન માટે પણ એકવાર જોવા જેવી છે. અને પછી એ વાંચવા જેવી છે. કોઇ પડદા પર ચાલતી ફિલ્મની જેમ લખાયેલી છે. અગત્યની વાત એ છે કે અમેરિકન ટ્રેડિશન મુજબ કોઈ લેખક સાથેના 'સહયોગ'માં લખાયેલી નથી. મેથ્યુએ જ આખી લખી છે! સુંદર અભિનેતાઓ પાસે ય અક્કલ ને સાહિત્યિક સમજ હોય એ શાહરૂખખાને તો સાબિત કર્યું જ છે ને! લવલેટર ટુ લાઈફ તરીકે લખાયેલી બૂક માત્ર સ્મરણો નથી. એમાંથી મળતા બોધપાઠો અહીં મૂકાયા છે. આરંભે જ મેથ્યુ લખે છે એમ આ એપ્રોચ બૂક છે. 'આપણા બધાનો પગ ચાલતા ચાલતા છી પર અકસ્માત પડે જ છે. હવે એ બને એટલું ઓછું કેમ થાય એટલું જ ધ્યાન રાખવાનું છે!' વાહ! બીજું લગડી મમળાવો : 'શું કરવું છે એ મહત્વનું છે જ, પણ એથી ય અગત્યનું એ ક્યારે કરવું એ છે!' જીવન જીવતા શીખવાડે એવું કલાત્મક પુસ્તક.

(૬) અખેનાતન : પ્રેરણાત્મક ને વર્તમાન ગુજરાતીમાં દુર્લભ બાળસાહસ કથાઓના લેખક તરીકે જાણીતા તબીબ ડો. આઈ.કે. વીજળીવાળાએ કનૈયાલાલ મુનશીની સ્ટાઇલમાં ઇતિહાસના જ્યુસમાં કલ્પનાની સ્યુગર ભેળવી ઈજીપ્તના આ અદ્ભુત રાજા-રાણી અખેનાતન અને નેફરટિટીની કથા બે ભાગમાં નવલકથાની જેમ લખી છે. બિંબૂ મદનિયાંની જોડે જ ડોક્ટર અહીં જાતે પ્રવાસ કરીને એકઠી કરેલી સામગ્રીથી લોકોની પ્રાચીન માન્યતા બદલાવીને એકેશ્વરવાદ તરફ લઈ જવાનો પહેલો ઉદ્ધોષ પૃથ્વી પર કરનાર સૂર્યપૂજક રાજાના માધ્યમે ઈજીપ્તની નહિ, પણ માનવસ્વભાવની રોમાંચક કથા માંડે છે.

(૭) મૂનરેકર : બોન્ડ ફિલ્મોનો જાદૂ એવો છવાયો કે ઇયાન ફ્લેમિંગે મૂળ પુસ્તકો લખેલા એ વાત ભૂલાઈ ગઈ. ડેનિયલ ક્રેગ સીરિઝના ચાર્મલેસ બોન્ડને લીધે હવે તો હાલ પૂરતો ફ્રેન્ચાઈઝીનો સંકેલો થઇ ગયો છે. પણ મૂનરેકર ફિલ્મ હિટ હોવા છતાં જેમ્સ બોન્ડને સસ્પેન્સ-થ્રિલરના ચાહકોએ આ પુસ્તક વાંચવું જોઈએ. 'ઓન હર મેજેસ્ટિઝ સિક્રેટ સર્વિસ' અને 'કસિનો રોયલ'ને ફિલ્મોમાં બૂકના બેસ્ટ એડેપ્ટેશન માનવામાં આવે છે. ફ્રોમ રશિયા વિથ લવ અને સ્પાય હૂ લવ્ડ મીને બેસ્ટ ફિલ્મ માનવામાં આવે છે. પણ ફિલ્મના પડદે ગાયબ ૦૦૭ને ફરી જીવતો થતો જોવો હોય તો મૂનરેકર વાંચવી. અને હા, ફિલ્મ કરતા નોવેલ ઘણી અલગ છે એટલે તો ખાસ વાંચવી!

(૮) મૈં સે મા તકઃ અંકિતા જૈને સ્વાનુભવ પરથી લખેલી આ હિન્દી કિતાબ ટિપિકલ રાફડો ફાટયો છે આસપાસ એવી કોઈ મહાન બાળક પેદા કરવાની 'ગર્ભસંસ્કાર' બૂક નથી. પણ ઇમોશનલ ફીલિંગ અને સાયન્ટીફિક ફેકટ્સને બેલેન્સ કરીને પ્રેગનન્સીની યાત્રા સ્ત્રી કેવી રીતે કરી શકે, એ જાણે શિશુની ટચૂકડી આંગળી પકડીને લાડ કરતી હોય એમ લેખિકા સમજાવે છે. ગર્ભાવસ્થા બાબતે જનરલ નોલેજ પણ વધારતી 'ભારતીય' બૂક!

(૯) ડાયલોગથી દેવભાષા : આવી ડિફરન્ટ કોન્સેપ્ટ બૂક્સ બહુ ઓછી લખાય છે ગુજરાતીમાં! જસ્ટ થિંક, એક પાને કોઈ ફિલ્મનો ધારદાર, ગમી જાય એવો સંવાદ હોય અને એની સામેના પાને એ જ અર્થનું ચિંતન કરતો પ્રાચીન સંસ્કૃત શ્લોક પણ હોય! સો ઇન્ટરેસ્ટિંગ. અને યુવાન સંસ્કૃતપ્રેમી જય ઓઝાએ જહેમત તો આ સંકલનમાં લીધી છે જ. પણ ભાષા ય રમતિયાળ રાખી છે. આખું પુસ્તક વાંચ્યા પછી વિચારોનું ભાથું ય મળશે અને પુરાતન વારસાને સતત આધુનિક મનોરંજના દુશ્મન તરીકે જ જોવાને બદલે બેઉનો સુંદર સંગમ રચી શકાય એ દ્રષ્ટિ પણ કેળવાશે.

(૧૦) ચેતનાનો સાક્ષાત્કાર : કોરોનાકાળમાં જે કરૂણકથાઓ સર્જાઈ, એમાં એક વીજળી પડી શિક્ષક તરીકે સત્વશીલ જીવન ગુજારતા બાપ જનક શાહ પર. એક ફિલ્મ બને એવી લવસ્ટોરીનો સંસાર અધૂરો મૂકીને યુવાન વેબડિઝાઇનર પુત્ર દર્શન શાહે અકાળે અણધારી વિદાય લીધી. ભાંગી પડેલા કુટુંબ ને તૂટી પડેલા બાપે જાતને સધિયારો આપવા મૂંઝવણ અને મુસીબતોનો સામનો કરી, બીજાને મદદ કરવા બેઠા થયેલા ખમીરવંતા ચરિત્રોનું પુસ્તક લખ્યું, જે સ્વર્ગસ્થ પુત્રને અર્પણ કર્યું. કેવી કેવી આકરી આફતો સામે ઝઝૂમીને માણસ ટક્યો ને વિકસ્યો છે, એનો પ્રેરણાનો કુબેરભંડાર છે આ ફર્સ્ડ હેન્ડ રિસર્ચ સાથે રસપ્રદ રીતે લખાયેલા પુસ્તકમાં. જેનાં દેશપરદેશના વાસ્તવિક ચરિત્રોની સંઘર્ષથી સફળતાનું મોટિવેશન છે.

(૧૧) ભારત વિભાજન વિરોધી મુસલમાન : શમ્સુલ ઇસ્લામે આ પુસ્તક મૂળ તો અંગ્રેજીમાં 'મુસ્લિમ્સ અગેઈન્સ્ટ પાર્ટિશન ઓફ ઇન્ડિયા' નામે લખેલું. આ એનો હિન્દી અનુવાદ છે. પ્રચલિત (ગેર) માન્યતા એવી છે કે મુસ્લિમ લીગે ભારતનું વિભાજન માંગ્યું ને બધા મુસલમાનો એના સમર્થનમાં હતા, એને નવા દેશમાં જતા રહેવાની જરૂર હતી. પણ હકીકત એ છે કે ઘણા મુસ્લિમોએ ભાગલાનો ખુલ્લો વિરોધ કરેલો. પણ એ ઇતિહાસ બહુ સામે આવતો નથી. એવા વતનપરસ્ત દેશભક્ત મુસ્લિમોની સત્યકથાઓ સાથે એ કેમ નિષ્ફળ ગયા વિભાજન રોકવામાં, અને જીન્નાહની ટુ નેશન થિયરી કેમ સફળ રહી એનું નિરૂપણ પણ અહીં છે.

(૧૨) ગુજરાતનું રાજકારણ : મારી નજરે : એક સમયે ગુજરાતના ઘણા લોકપ્રતિનિધિઓ વાચનલેખનના શોખીન વિદ્વાનો હતા. જેમકે, દિવ્યકાંત નાણાવટી, બચુભાઈ રાજા, મનોહરસિંહ જાડેજા, સનત મહેતા, ચીમનભાઈ શુકલ, રતુભાઈ અદાણી, પ્રસન્નવદન મહેતા, રાજેન્દ્રસિંહ રાણા વગેરે. એમાંનું એક નામ કાઠિયાવાડી અરવિંદ પટેલ. આ પૂર્વ સાંસદે તટસ્થભાવે ૧૯૫૬થી ૧૯૮૦ના સમયે ગુજરાતના રાજકારણમાં શું બન્યું એ લખ્યું છે, જેના સંપાદનમાં પૂરક માહિતી પણ છે. આપણા જ રાજકીય ઈતિહાસના આઝાદી બાદના તટસ્થ આલેખનો ઓછા થાય છે. આવું ૧૯૮૦થી ૨૦૦૦ અને પછી ૨૦૦૦થી ૨૦૨૨ સુધીનું ય કોઈ સજ્જ વિશ્લેષકે લખવું જોઈએ. ત્યાં સુધી નવી પેઢી ગુજરાતની શરૂઆતના અઢી દસકાની બેઝિક માહિતી આમાં જરૂર વાંચી શકે. ઘણું જાણવા મળશે કીપેડ વોરિયર બનવાને બદલે.

(૧૩) આંધળો યુગ : ધર્મવીર ભારતી (સૂરજ કા સાંતવા ઘોડા)ના આ પ્રસિદ્ધ નાટક 'અંધા યુગ'નો અનુવાદ મુશ્કેલ છે. પણ અધ્યાપક અનિરૂદ્ધસિંહ ગોહિલે પદ્યરચના છતાં એ કરી બતાવવાનું ભગીરથકાર્ય સુપેરે કર્યું છે. મહાભારતના ઉત્તરાર્ધને આધાર બનાવી આપણી આસપાસનું દર્શન કરાવતા દિવ્યચક્ષુ આપતું એક ચોટદાર ક્રાંતિકારી નાટક. ભજવાય નહિ, તો વાંચી લેવું.

(૧૪) રામકથા : આપણા જ વારસા પર આપણે અભિમાન તો એવું કરીએ કે ઓરેન્જ કલરના કપડાં પહેરી દીપિકા શાહરૂખ સાથે નાચે, એમાંય ભગવાનનું અપમાન જોવાવાળા ભોટવા થઈ જઈએ! પણ અભ્યાસ કરવાની ત્રેવડ ઓશો રજનીશ જેવી કેળવવામાં કીડી ચટકા ભરે જાણે! ગુજરાતીમાં તો સ્વ. નગીનદાસ સંઘવીએ 'રામાયણની અંતરરાત્રા' લખી. એમ.એસ. યુનિ.માં વિદ્વાનો દ્વારા પરિશુદ્ધ વાલ્મીકિ રામાયણ પ્રગટ કરાયું. અને હવે વસંત પરીખે સમશ્લોકી અનુવાદ પણ આપ્યો. પણ રામકથા પર નેશનલ લેવલે પ્રચંડ પુરૂષાર્થ અને અઘરા અભ્યાસ બાદ સૌથી વધુ ઓથેન્ટિક સ્કોલરવર્ક એક પાદરી ફાધર કામિલ બુલ્કેએ કર્યું છે! રામનામ ભજનારા ને ન ભજનારા દરેકે ચાવી ચાવીને વાંચવા જેવું પુસ્તક છે આ!

(૧૫) એન્સાઇકલોપિડિયા ઓફ સ્પાઈસીઝ એન્ડ હર્બ્સ : ભારતના ઈતિહાસમાં એક અમર અદ્રશ્ય પાત્ર છે આપણા મસાલા. મૂળ ભારતની ને લંડન રહેતી એવી કામણગારી મોડેલ પદ્માલક્ષ્મી એની કાયાના ઘાટીલા વળાંકો અને સલમાન રશદીની ગર્લફ્રેન્ડ તરીકે જાણીતી. પણ પદ્માલક્ષ્મી પોતે પણ સારું લખે છે, વાંચે છે (અમસ્તી રશદીની પ્રેમિકા થઈ હોય?) અને જિંદગી મસાલેદાર જીવે છે, એટલો રસ એને વર્લ્ડ ક્વિઝિનમાં છે. રંગબેરંગી તસવીરો સાથે, રસોઈમાં વપરાતા દરેક મસાલા કે વનસ્પતિનો જગત આખામાં પથરાયેલો ઈતિહાસ, વૈજ્ઞાનિક નામો સાથે અહીં સુંદર રીતે પીરસાયો છે. બસ, એની કિંમત સીસકારા બોલાવી દે એવી છે!

(૧૬) નવા વિચારો : પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીના આ વિચારો આમ તો નવા નથી. છેક ૧૯૮૯માં પ્રગટ થયા બાદ સુધારાવધારા સાથે બેસ્ટસેલર થતા રહ્યા છે. પણ હજુ નવા લાગે એવા જરૂર છે. કારણ કે, ક્રાંતિની વાતો અપનાવવાને બદલે આપણે સતત મેરા ધરમ મહાનના કેફમાં રચ્યાપચ્યા રહ્યા. સમાજજીવનના સચોટ નિરીક્ષક સ્વામીજીએ ઘણી બાબતોમાં ખુલીને રોકડું લખ્યું છે.

(૧૭) નાકોહસ : ઉમદા સ્કોલર અને જેમને સાંભળવાથી જ્ઞાનવૃદ્ધિ જ થાય એવા રચાળ વિદ્યાધર પુરૂષોત્તમ અગ્રવાલની આ નવલકથા આપણી આસપાસના વેંતીયાઓના પણ પડછાયા ઢળતી સાંજે મોટા દેખાય એવા સમયની કટાક્ષકથા છે. બૌનેસર, ચૌડાસિંહ જેવા પાત્રો અને દીવાલો બંધ ન થઈ શકે એવા ટીવીમાં પલટાઈ ગઈ જેવા કલ્પનોથી લથબથ 'રાગ દરબારી' ટાઇપ કથામાં વળી કવિતા ય સુંદર! બીજા પ્રકરણનું શીર્ષક સેમ્પલ તરીકેઃ તેરી આંખ કે કોને મેં ઠિઠક ગઈ ઈસ એક બૂંદ મેં નમક સારી પૃથ્વી કા.

(૧૮) આપણી વાત : મૂળ આ ચાર ભાગ છે. 'આપણી વાત' પછી 'વાત મારી અને તમારી', 'વાત તારી મારી આપણી' અને 'વાત આપણા સહુની'. લેખિકા વર્ષા પાઠકના ફેમિનિસ્ટ કરતા રિયાલિસ્ટ વધુ એવા સામાજિક નિરીક્ષણો અહીં ગ્રંથસ્થ છે. અમુક વાતો સરળ ભાષામાં સ્પષ્ટ કહેવાઈ હોય ને ખૂંચે, પણ સ્થિર થઈ ગયેલા સમાજને ગતિશીલ બનાવવા માટે અનિવાર્ય કહેવાય એ તો.

(૧૯) ઈરફાન : ડાયલોગ્સ વિથ ધ વિન્ડ : ઈરફાન સાથે કિસ્સા જેવી બે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ઓફબીટ ફિલ્મમેકર અનૂપ સિંહનું આ પુસ્તક ઈરફાન સાથેની વાતો અને સંવાદોથી સમૃદ્ધ છે, અને આપણને ય તરબતર કરે એવું છે. એટલી જ અદ્ભુત એમાં અભિનયની કળા વિશે ભાગ્યે જ કશું ખુલીને બોલતા અમિતાભ બચ્ચનની કાવ્યાત્મક અંગ્રેજીમાં લખેલી પ્રસ્તાવના છે. ઈરફાનની આભા એક કલાકાર ઉપરાંત એક અલગારી સૂફી ઓલિયા જેવી હતી. માટીનો માણસ જલદી માટી થઈ ગયો. મુકી ગયો આવી યાદો.

(૨૦) સામ્યવાદનું સત્ય : વામપંથી વિચાર વિદ્વાનોને આકર્ષે, પણ અંતે એક વિષાણુ પુરવાર થાય છે. પહેલી નજરે સમાનતાની વાત કરતો ડાબેરી એકસોની નજરે માત્ર એ કહે એ જ નૈતિક કહી બાકીના સાથે હિંસક અંતિમવાદી થતો જજ-મેન્ટલ જોવા મળશે. વિદ્વાન સતીશચંદ્ર મિત્તલે આ પુસ્તકમાં નકસલી માઇન્ડસેટનું પૃથ્થકરણ કર્યું છે. જસ્ટ થિંક, ગાંધીજી, જવાહરલાલ નહેરૂ, સુભાષબાબુ, ડૉ. આંબેડકર, જયપ્રકાશ નારાયણ, ડૉ. રામમનોહર લોહિયા, ગરૂ ગોલવેલકર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સામ્યવાદ બાબતે વિચારો છે. આ એવા મહાનુભવો છે, જેમનામાં સીધી રીતે સમાનતા ન લાગે. પણ સામ્યવાદના વિરોધ બાબતે બધા જ એકમત છે. કારણ કે, બધાને ભારત દેશ પ્રત્યે પ્યાર હતો, અને બનાવટી લિબરલ 'લેફટીસ્ટો' કેટલા અંદરથી કટ્ટર હોય એનો અનુભવ પણ!

(૨૧) ઈન પ્રેઇઝ ઓફ વેસ્ટિંગ ટાઇમ : એલન લાઇટમેનની આ ટેડ ટોક બહુ મશહૂર થયેલી. પછી આ નાનકડું પુસ્તક એમાંથી પેદા થયું. મશીનની જેમ જીવતા ઘણા લોકોને કોરોનો પણ સુધારી નથી શક્યો. એમને સતત કશુંક પ્રોડકટિવ થાય તો જ જીવ્યા હોવાનો ભ્રમ છે. મનની મોકળાશથી કે વિરામમાં વિરાટ એ જોઈ નથી શકતા. લાયબ્રેરી વાંચવા કરતા વરસાદી મોસમમાં કૂદીને સંવનન કરતા દેડકાં સામે જોવામાં ય લિજ્જત છે, એવી વાતો અહીં લેખકે આળસ ને નવરાશમાં સરી ન પડાય એવા અર્થઘટન સાથે કરી છે!

(૨૨) અથશ્રી : ભારતીય સંસ્કૃતિ બાબતે થોડું બેઝિક ફંડામેન્ટલ ચિંતન કરવું હોય તો જીજ્ઞોશ અધ્યારૂનું આ પુસ્તક ઉપયોગી છે. ખાસ કરીને રામાયણ-મહાભારત બાબતે ઉપરચોંટિયા અજ્ઞાનથી જે અમુક સવાલો થાય એના અહીં ઉત્તરો છે. પ્રેમથી શરૂ કરીને મિત્રતા સુધીની વાતો છે. પોતાના તર્કને અનુરૂપ સંદર્ભો છે, અને એ ગાળીચાળીને વાંચો તો વિગતો છે જ.

(૨૩) શબ્દના સગા : ગુજરાતી ભાષામાં ગુજરાતીના સર્જકોના પુસ્તકો મળે, કે આત્મકથા મળે. પણ સરળ રસાળ ભાષામાં એમના વિશે સંપૂર્ણ ચિતાર આપતા પુસ્તકો ભાગ્યે જ મળે! શતાયુ નજીક ગુજરી જનાર મોહમ્મદ માંકડથી ગની દહીવાલા, શેખાદમ આબુવાળાથી તારક મહેતા, રૂસ્વા મઝબૂમીથી જીવરાજ જોશી, શ્યામ સાધુથી દિલીપ રાણપુરા જેવા ૩૮ શબ્દસેવીઓના શબ્દચિત્રો રજનીકુમાર પંડયાએ દોર્યા છે.

(૨૪) ધ ગર્લ ટુ એટ બુક્સઃ નિલાંજના રોય બહુશ્રુત વિદૂષી. યુવા વયે ઉત્તમ આંતરરાષ્ટ્રીય સ્તરનું પત્રકારત્વ કરે. વાચન શોખીન આપણે ત્યાં ઘણા હોય, પણ દર્શકે જેમ 'મારી વાચનકથા' કે 'વાગીશ્વરીના કર્ણફૂલો' લખી કે ઓશોએ 'બૂક્સ આઈ હેવ લવ્ડ' લખી એ સ્તરે પોતાના વાચનની વાત વહેંચતા ઓછા હોય! (આ વાર્ષિક યાદીને ૨૧ વર્ષ થયા, એ ય એકમેવ અનન્ય જ છે!) નિલાંજનાએ બચપણમાં કેવી રીતે પુસ્તકો સાથે પ્રેમ થયો, ત્યાંથી શરૂ કરીને કેવા કેવા લોકો મળ્યા જે કિતાબી કામણમાં ગુલતાન હોય અને એના જીવનના ઘડતરમાં ડગલે ને પગલે બૂક્સ કેવી રીતે આવી એની સુંદર વાતો લખી છે. મસ્ટ મસ્ટ રીડ.

(૨૫) વાઇકિંગ : આજે વેબ સિરીઝના જમાનામાં કોઈ માની શકે કે એક સમયે કાલા નામના વાઇકિંગ હીરોને લઈને આપણા આજે વયોવૃદ્ધ બાળસાહિત્યકાર હરીશ નાયકે સાહસકથાઓ લખી હતી? કમનસીબે આ પુસ્તકો આજે સદંતર અપ્રાપ્ય છે. પણ આજકાલ કે વાયરા વાયા, એમાં એની યાદ આવી જતા ટીપ આપી કે કોઈ લાયબ્રેરી (એ મુલાકાત પણ લુપ્ત થઈ રહી છે!)માં શોધીને વાંચજો!

(૨૬) રાષ્ટ્રવાદ : સ્વ. ભરત દવે મરમી કળારસિક અને વિશ્વભરના વિચારોના તપસ્વી. એમના કોરોનામાં અવસાન બાદ એમના પુસ્તકો પ્રગટ થયા. આ પુસ્તકમાં હિટલરથી સાવરકર, ગાંધીથી સરદાર, સ્વામી વિવેકાનંદથી મહર્ષિ અરવિંદ, ભગતસિંહથી માઓ સુધીનાના નેશનાલિઝમના કોન્સેપ્ટ બાબતે વિચારો પ્રસ્તુત થયા છે. તલસ્પર્શી છણાવટ સાથે અને રાજકાળ સમજ્યા વિના હૈસો હૈસો ચાલે છે એવા રાષ્ટ્રવાદથી ચડિયાતો રાષ્ટ્રપ્રેમ કેમ છે, એ આધાર સહિત સમજાવાયું છે!

ફાસ્ટ ફોરવર્ડ

''સત્ય હંમેશા કદરૂપું હોય છે. એટલે આપણે કળાના આશરે જઈએ છીએ, જેથી સત્ય આપણને છિન્નભિન્ન ન કરી દે!'' (ફ્રેડરિક નિત્શ)

Tags :