Get The App

વાસ્તુ પ્રશ્નોત્તરી .

Updated: Apr 17th, 2021

GS TEAM


Google News
Google News
વાસ્તુ પ્રશ્નોત્તરી                  . 1 - image


- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

સવાલ: સામાન્ય માણસને કેવી રીતે જાણ થાય કે તેનું ઘર વાસ્તુ અનુરૂપ છે કે નથી ?

જવાબ: કોઈ નવા ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં અથવા જુના ઘરનું નવીનીકરણ કરતાં પહેલાં, જો જીવન સુખેથી ચાલતું હોય, ઘરમાં શાંતિ જળવાયેલી હોય, વેપાર-ધંધા બરાબર ચાલતાં હોય પરંતુ આવા પરિવર્તનથી જીવન દુ:ખી લાગે, ઘરમાં અશાંતિ રહેવા લાગે, વેપારમાં ખોટ જવા લાગે, સ્વાસ્થય બરાબર ના રહે તો સમજવું કે આ નવું ઘર કે ઘરમાં ફેરફાર વાસ્તુ વિપરીત છે.

સવાલ: શું માત્ર પૂર્વમુખી અથવા ઉત્તરમુખી જમીન જ વાસ્તુ અનુરૂપ હોય છે ?

જવાબ: ના ! ચારે દિશા પ્રકૃતિનું વરદાન છે. કોઈપણ દિશાની તરફ મુખ્ય પ્રવેશદ્વાર રાખી શકાય છે પરંતુ તે વાસ્તુ અનુરૂપ હોવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ સૂર્યના વહેલી સવારના લાભદાયી કિરણોનો વધુને વધુ લાભ લેવા માટે ઉત્તર અને પૂર્વ દિશામાં વધારે ખુલ્લી જગ્યા છોડવી જોઈએ. બપોર પછી સૂર્યની નકારાત્મક કિરણોના સંપર્કમાં ઓછું અવાય તે માટે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ઓછી જગ્યા છોડવી જોઈએ. આ કારણથી જ દક્ષિણ અને પશ્ચિમમુખી મકાનની સામેના ભાગમાં બગીચો અને વાહન મુકવાની જગ્યા બહુ જ ઓછી રહે છે. આથી પૂર્વ અને ઉત્તર મુખી જમીનને વધારે સારી માનવામાં આવે છે.

સવાલ: વાસ્તુનો પ્રભાવ સ્ત્રીઓ અને પુરૂષો પર અલગ-અલગ પડે છે ?

જવાબ: હા ! વાસ્તુમાં પૂર્વ ઈશાન, ઉત્તર ઈશાન, પશ્ચિમ વાયવ્ય અને પશ્ચિમ નૈઋત્યનું ક્ષેત્ર પુરૂષોનું પ્રતિનિધિત્વ કરે છે. અગ્નિ દક્ષિણ, દક્ષિણ નૈઋત્ય અને ઉત્તર વાયવ્યનું ક્ષેત્ર સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ કરે છે. વાસ્તુની બાકી વધેલી દિશાઓ સ્ત્રી અને પુરૂષોને એક સમાન રૂપથી પ્રભાવિત કરે છે.

સવાલ: ભારતીય વાસ્તુશાસ્ત્ર અને ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈમાં શું સામ્યતા છે ?

જવાબ: જેવી રીતે આર્યુવેદ, હોમિયોપેથી, એલોપેથી, યૂનાની વગેરે બધી જ સારવારની પદ્ધતિઓનો મુખ્ય ઉદ્દેશ તો મનુષ્યના સ્વાસ્થયને સારો કરવાનો છે, તેવી જ રીતે વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ બંને શાસ્ત્ર કોઈપણ મકાનના આકાર, કદ, દિશા તથા આસપાસના વાતાવરણમાં પર્યાવરણની સાથે સહયોગ બનાવી રાખવાની ભારત અને ચીનની પ્રાચીન કલા છે.

સવાલ: આપણા દેશમાં મકાનોની સમસ્યા છે. મોટેભાગે લોકો એવા મકાનમાં રહે છે જેમાં પરિવારના દરેક સભ્ય માટે પોતાનો અલગ રૂમ હોતો નથી પણ એક કે બે રૂમમાં જ પરિવારના તમામ સભ્યો રહે છે, સૂવે છે, પોતાના કાર્યો કરતા રહે છે. આવી પરિસ્થિતિમાં કેવું સમાધાન થાય ?

જવાબ: નાના મકાન અથવા એક રૂમના મકાનને પૂર્ણ વાસ્તુરૂપ માનીને તેની સજાવટ વાસ્તુ નિયમો અનુસાર કરવાથી લાભ રહે છે. જેમ કે અગ્નિ ખૂણામાં ગેસ, ઈશાન ખૂણામાં પાણી, નૈઋત્ય ખૂણામાં તિજોરી કે કબાટ રાખી શકાય.

સવાલ: જો પરિવારનો કોઈ યુવાન ઘરની બહાર રહીને બીજા શહેરમાં ભણવા જતા હોય, તો તેના ઘરના વાસ્તુદોષોનો પ્રભાવ તેની કેરિયર પર પડશે ?

જવાબ: ના ! બીજા શહેરમાં જે રૂમમાં અથવા સ્થાનમાં રહીને તે યુવાન ભણતો હશે, ત્યાંના વાસ્તુનો પ્રભાવ તેની કેરિયર પર પડશે.

સવાલ: શું વાસ્તુશાસ્ત્ર માત્ર હિંદુ ધર્મ માનવાવાળા માટે છે ?

જવાબ: ના ! વાસ્તુશાસ્ત્ર પૃથ્વી પર રહેતાં દરેક પ્રાણીઓના લાભ માટે ભારતીય ઋષિ મુનિઓ દ્વારા બનાવાયું છે. પછી ભલે તે કોઈપણ ધર્મ, જાતિ, સંપ્રદાયના હોય. આ શાસ્ત્ર બધા પર એક સમાન રૂપથી લાગૂ પડે છે.

વાસ્તુશાસ્ત્ર ધર્મ કે વિજ્ઞાાન

વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો સંપૂર્ણ વૈજ્ઞાાનિક આધાર પર રચાએલ છે. આ વાતની પુષ્ટિ આપણે કેટલાક સિદ્ધાંતોના વિશ્લેષણથી કરી શકીએ છીએ. જેમ કે -

* પાણી અને ઈશાન ખૂણો : ઈશાન ખૂણામાં રાખેલા જળસ્ત્રોત પર વહેલી સવારના સૂર્ય કિરણો પડવાથી પાણીમાં રહેલા બેકટેરિયા અને હાનિકારક કિટાણુંઓ નાશ પામે છે. વિજ્ઞાાને પણ સ્વીકાર્યું છે કે સૂર્યના કિરણોમાં આ શક્તિ રહેલી છે.

* પૂર્વ દિશામાં આંગણું : વહેલી સવારના સૂર્યના જીવનદાયી કિરણોનો વધુમાં વધુ લાભ મેળવવા માટે પૂર્વ દિશામાં આંગણું કે વરંડો રાખવો જેથી વહેલી સવારની સૂર્યની હળવા પ્રકાશમાં સ્નાન કરી શકાય કે જે શરીર માટે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે.

* પૂર્વ દિશામાં ઝાડ: મોટી મોટી ડાળી અને પહોળા પાંદડા વાળા વૃક્ષો, પૂર્વ અને ઇશાન ખૂણામાં ઉગાડવા ના જોઈએ. આ વૃક્ષો વહેલી સવારના સૂર્યના સકારાત્મક કિરણોને ઘરમાં આવતાં રોકે છે.

* અગ્નિ ખૂણામાં રસોઈઘર: અગ્નિ ખૂણામાં આવેલા રસોઈઘર પૂર્વ દિશામાંથી આવતા સૂર્ય કિરણો, રસોઈમાં ઉત્પન્ન થતાં હાનિકારક બેકટેરિયા અને કીટાણુંઓનો નાશ કરે છે.

* પશ્ચિમ દિશાની દિવાલો ઊંચી અને જાડી હોવી : વહેલી સવારના સૂર્યના કિરણો લાભદાયી હોય છે, પરંતુ બપોરે જ્યારે સૂર્ય પશ્ચિમ દિશામાં આગ વરસાવતો હોય તેવા સમયે સૂર્યનો તાપ હાનિકારક હોય છે. આ હાનિકારક કિરણોને આપણા સુધી આવતા રોકવા વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં ઊંચી અને પહોળી દિવાલ બનાવવાની સલાહ આપવામાં આવે છે.

* ઉંઘવા સમયે માથુ દક્ષિણમાં : મનુષ્યનું માથુ ઉત્તર ધુ્રવ અને પગ દક્ષિણ ધુ્રવની માફક કાર્ય કરે છે. જો માથુ ઉત્તર તરફ કરવામાં આવે તો, ઉત્તર ધુ્રવથી બંનેમાં વિકર્ષણ ઉત્પન્ન થશે. પરિણામે મનુષ્યના શરીરમાં રક્ત પ્રવાહ અને ઊંઘ બંનેમાં ખલેલ પડે છે જેથી તણાવ ઉદ્ભવે છે. આ કારણથી વાસ્તુશાસ્ત્ર અનુસાર સારા સ્વાસ્થ્ય માટે સૂવાના સમયે માથુ દક્ષિણમાં અને પગ ઉત્તર દિશામાં હોવા જોઈએ.

આવા અનેક પ્રકારના વૈજ્ઞાાનિક તર્ક વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોને ખરા કરે છે, આથી વાસ્તુદોષોનું નિવારણ પણ વૈજ્ઞાાનિક રીતે જ કરવું જોઈએ. 

વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ તમારા જીવનમાં સુખ-શાંતિ લાવવામાં મદદ કરે છે. તેની સહાયથી ઘર, ઓફિસ, વ્યવસાય સ્થળ વગેરેનું વાસ્તુદોષ દૂર કરવાથી ચમત્કારિક, સુખદ પરિવર્તન જોવા મળે છે. આ જ કારણથી પૂર્વનું આ સદીઓ જૂનું વિજ્ઞાાન આજે પશ્ચિમમાં પણ દિન-પ્રતિદિન બહુ જ લોકપ્રિય થતું જાય છે.

Tags :