Get The App

વલ્લભભાઈના જીવનની ઐતિહાસિક ઘટનાના એક માત્ર સાક્ષી : મિત્ર કાશીભાઈ

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
વલ્લભભાઈના જીવનની ઐતિહાસિક ઘટનાના એક માત્ર સાક્ષી : મિત્ર કાશીભાઈ 1 - image


- સરદાર @150-હસિત મહેતા

- કાશીભાઈ શામળભાઈ દેસાઈ

- બંને યુવાનો વકીલાતની પરીક્ષામાં પાસ તો થયા, વકીલાતના ધંધામાં સફળ પણ થયા, છતાં તે બંનેના જીવનમાં વકીલાતનો વ્યવસાય ઝાઝો ટક્યો નહીં

બાકરોલમાં બગલે થયેલું ગૂમડું વલ્લભભાઈએ જાતે જ ફોડી નાંખ્યું. આ ઘટના આમ તો કોઈ ફિલમ કે નાટકની દીલધડક કથા જેવી છે. પરંતુ તેમના જીવનના આ નાટયાત્મક દિવસો સહજ નહોતા, તેમ સહેલાં પણ નહોતાં.

વાત એમ બની હતી કે તેમણે નડિયાદમાં ડિસ્ટ્રીક્ટ પ્લીડરની પરીક્ષા માટે તૈયારીઓ શરૂ કરી હતી, તે દરમ્યાન વલ્લભભાઈના શાળામિત્ર કાશીભાઈ શામળભાઈ દેસાઈના પિતાજીનું અવસાન થયું. વલ્લભભાઈ આ કાશીભાઈને ઘેર જ રહેતાં હતા. એ મિત્ર-પિતાના મૃત્યુ પછી પણ એ બંનેનું, કાશીભાઈ અને વલ્લભભાઈનું ધ્યાન રાખવા માટે મિત્ર-પિતા-મિત્ર ડુંગરભાઈ મૂળજીભાઈ પટેલ સક્રીય હતા. કાશીભાઈના પિતા શામળભાઈ અને ડુંગરભાઈ વચ્ચેનો ગાઢ સંબંધ આ બંને બાળકોની સારસંભાળની જવાબદારી ઉપાડી શકે તેટલો મજબૂત હતો, અને ડુંગરભાઈ પદે તથા પૈસેટકે ઘણાં સુખી પણ હતા.

પરંતુ, એ બંને મિત્રોને (કાશીભાઈ અને વલ્લભભાઈને) અચાનક એવો વિચાર આવ્યો કે નડિયાદની બાપુજી દેસાઈ ખડકીના એક દેસાઈ પરિવારની બાકરોલમાં જે મોટી હવેલી છે, ત્યાં જઈને વકીલાત માટેની પરીક્ષાની આખરી તૈયારી કરીએ. એ હવેલીના માલીક હતા ચીમનભાઈ દાદુભાઈ દેસાઈ. તેઓ મૂળે તો નડિયાદની બાપુજી દેસાઈની ખડકીના જ વતની. એટલે વલ્લભભાઈના મિત્ર કાશીભાઈ સાથે તેમને કૌટુંબિક સંબંધ. વળી ચીમનભાઈના દાદી, દિવાળીબા મિત્ર કાશીભાઈના દૂરના ભાભી થતાં હતા. આ સંબંધને નાતે કાશીભાઈ વાંચવાની આખરી તૈયારીઓ માટે બાકરોલની દેસાઈ હવેલીએ ઉપડયાં, સાથે વલ્લભભાઈને પણ જોતર્યાં.

કહેવાય છે કે ચીમનભાઈ દાદુભાઈ દેસાઈને બાકરોલની હવેલી મોસાળ પક્ષના વારસામાં મળી હતી. રાજા-રજવાડાંઓના મોભીઓની હોય તેવી આ મોભાદાર દેસાઈની હવેલીનું બાંધકામ મૂળે તો વિઠ્ઠલભાઈ હરખજીભાઈ પટેલે, છેક ઈ.સ.૧૭૬૨માં કરેલું, જેને પાછળથી ઈ.સ. ૧૯૫૫માં ચીમનભાઈ દાદુભાઈ દેસાઈએ સમારકામ કરાવીને આધુનિક સુખ-સગવડોવાળી કરાવી. આ ચીમનભાઈ કોંગ્રેસ પક્ષ અને અન્ય રાજકારણ ક્ષેત્રે ઘણાં સક્રીય રહ્યાં હતા અને તેમણે ઘણા મોભાદાર હોદ્દાઓ પણ શોભાવ્યાં હતા. ચીમનભાઈના દાદી, પેલાં દિવાળી બા, કાશીભાઈના ભાભી હતા, એટલે મોટી હવેલીમાં, નોકર-ચાકરોની જાહોજલાલી વચ્ચે, બાકરોલ જેવા સાવ શાંત અને નાનકડા ગામની નિરાંતને કારણે આ બંને યુવાનો દેસાઈની હવેલીમાં, ઈ.સ. ૧૮૯૯ના બેએક મહિના ડિસ્ટ્રીક્ટ પ્લીડર પરીક્ષા માટેની આખરી તૈયારી કરવા પહોંચી ગયા.

જેમ નડિયાદમાં મેટ્રિકના અભ્યાસ વખતે વલ્લભભાઈ બેએક મહિના વડોદરાની અંગ્રેેજી શાળામાં ભણવા ગયા હતા, તેમ નડિયાદમાં વકીલાતનો અભ્યાસ કરતી વખતે તેઓ બેએક મહિના બાકરોલની દેસાઈની હવેલીએ ગયા હતા. નડિયાદથી અઢાર કિલોમીટરે, વલ્લભવિદ્યાનગરની સીમમાં અને યાત્રાધામ વડતાલની દક્ષિણે આવેલું બાકરોલ ગામ પટેલોની વસ્તીનું પ્રભુત્વ ધરાવતું સમૃદ્ધ ગામ હતું. જ્યાં વલ્લભભાઈએ દિવાળીબાના આશરે રહેવાનો, ચોટલી બાંધીને વાંચવાનો, ડિસ્ટ્રીક્ટ પ્લીડરની પરીક્ષા પહેલાં પ્રયત્ને પાસ કરી દેવાનો સંકલ્પ કર્યો હતો. તેમની સાથે મિત્ર કાશીભાઈ શામળભાઈ પણ વકીલાતનો અભ્યાસ કરવા ચોટલી બાંધીને લાગી ગયા હતા. 

જો કે વિધિની એ વક્રતા ખરી કે સખત મહેનત અને કપરાં ચઢાણ વચ્ચે આ બંને યુવાનો વકીલાતની પરીક્ષામાં પાસ તો થયાં, વકીલાતના ધંધામાં સફળ પણ થયાં, છતાં તે બંનેના જીવનમાં વકીલાતનો વ્યવસાય ઝાઝો ટક્યો નહીં. વલ્લભભાઈ જેમ ગાંધીજીના સંપર્કે કરીને દેશોદ્ધારમાં જોડાયા, તેમ કાશીભાઈ વકીલાત પડતી મુકીને પોતાના ગુરુ ગંગેશ્વરાનંદજી (હરદ્વાર)ના પ્રભાવે કરીને યોગના આધ્યાત્મ માર્ગે અઠંગ પ્રવાસી બન્યા. આ, બાકરોલની દેસાઈ હવેલી જ, લોખંડી પુરુષ કહેવાયેલાં વલ્લભભાઈના જીવનના બગલનું ગૂમડું (કાખબિલાડી/બગલબામણી) જાતે જ ફોડી નાંખવાના જગપ્રસિદ્ધ પ્રસંગનું ઘટનાસ્થળ, અને તેમના શાળા-મિત્ર કાશીભાઈ શામળભાઈ દેસાઈ એ ઐતિહાસિક ઘટનાના એકમેવ સાક્ષી હતા. 

Tags :