Get The App

પારાવાર વેદનાભરી વ્યાધિ છતાં કોઈ ઉપાધિ નહીં!

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
પારાવાર વેદનાભરી વ્યાધિ છતાં કોઈ ઉપાધિ નહીં! 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- તમારી પાસે કામ કરવાના દિવસના ચોવીસ કલાક છે, પરંતુ હકીકતમાં આ સાવ ભ્રામક વાત છે. આપણી પાસે ચોવીસ કલાક હોતા નથી. આપણો ઘણો સમય દિનચર્યામાં જાય છે

'માનવી સંજોગોનો ગુલામ છે' એવી ઉક્તિ સામાન્ય રીતે સર્વત્ર સાંભળવા મળે છે. વ્યક્તિનું જીવનઘડતર એની આસપાસની પરિસ્થિતિ કરતી હોય છે. જેવા સંજોગો એને પ્રાપ્ત થયા હોય એ પ્રમાણે એની જિંદગીમાં ગતિ-પ્રગતિ જોવા મળે છે અને ત્યારે સવાલ એ છે કે આ સંજોગોને તમે બદલી શકો છો ખરા ? કે પછી આપણે આપણા સ્વભાવને બદલવો પડે. 

હકીકતમાં કેટલીક પરિસ્થિતિ એવી છે કે જેને તમે બદલી શકો છો. જેમકે, કાર્યક્રમમાં હંમેશાં મોડા પહોંચવાની આદત પડી ગઈ હોય તો તે સુધારી શકાય છે. વારંવાર અકળાઈ જવાનો કે ક્રોધિત થઈ જવાનો સ્વભાવ થઈ ગયો હોય, તો તેને યોગ્ય તાલીમ આપીને અને ગુસ્સાનાં નિવારણ અંગેની જાગૃતિ કેળવીને સુધારી શકાય છે. કોઈના પ્રત્યે વેર બંધાયું હોય અને તેને કા૨ણે રાત્રે ઊંઘ આવતી ન હોય તો મનને સમજાવી શકાય કે આવી રીતે ઉજાગરા કરવાથી કંઈ વેરતૃપ્તિ નહીં થાય ! દિવસના અંતે એમ લાગે કે ઘણાં કામ કરવાનાં હતાં અને ઘણાં રહી ગયા, તો વહેલી સવારે એ કામોની પ્રાયોરિટી પ્રમાણે યાદી કરીને એ કામો એક પછી એક પૂર્ણ ક૨વામાં આવે તો રાત્રે અસંતોષ નહીં રહે. 

જીવનમાં 'ચેકલીસ્ટ' મહત્ત્વનું છે. તમારાં દિવસભરનાં સઘળાં કામની યાદી કરો અને એ તમારી પાસે રાખો, તમારા કર્મચારીનાં કામની યાદી બનાવો અને એને આપો અને એ મુજબ કામ થાય છે કે નહીં, તેની ચકાસણી કરો. કોઈ સમારંભનું આયોજન કરવાનું હોય તો તે પૂર્વે એની એકેએક ઝીણામાં ઝીણી બાબતની યાદી બનાવો અને પછી એ જુદી જુદી વ્યક્તિઓને એની સોંપણી કરો. એની એક નકલ તમારી પાસે હોય, જેથી તમે એ કામ પૂર્ણ થયું છે કે નહીં તે ચકાસી શકો. 

સામેની વ્યક્તિના પ્રતિકૂળ સ્વભાવની વાત આવે, ત્યારે પહેલાં તો પોતાના સ્વ-ભાવ વિશે વિચાર કરવો જોઈએ. પોતાના સ્વભાવમાં કોઈ એવી વિચિત્રતા તો નથી ને કે એને કારણે અન્ય વ્યક્તિને તમારા પ્રત્યે અણગમો થતો હોય અથવા તો ગુસ્સો ચડતો હોય. એ પછી એમ લાગે કે સામી વ્યક્તિનો સ્વભાવ જ આ પ્રકારનો છે, ત્યારે એને અનુકૂળ થઈને રહેવાની તૈયારી રાખવી પડે. પત્ની કર્કશા હોય તો કઠોર વચનો એની જીભેથી સદાય વહેતા હશે અને ત્યારે વ્યક્તિએ ખામોશીથી એ સાંભળવાની તૈયારી રાખવી પડે અને સાથોસાથ પરિસ્થિતિમાં પરિવર્તન માટે પ્રયાસ કરવો જોઈએ.

અબ્રાહમ લિંકનની પત્ની આવી ઝગડાળુ હતી અને તેથી ઘણી વાર અબ્રાહમ લિંકનને અપમાનજનક પરિસ્થિતિમાં મુકાઈ જવું પડતું હતું, તેમ છતાં એમણે જીવનભર એ સઘળું સહન કર્યું. 

એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે તમારી પાસે કામ કરવાના દિવસના ચોવીસ કલાક છે, પરંતુ હકીકતમાં આ સાવ ભ્રામક વાત છે. આપણી પાસે કામ કરવા માટે ચોવીસ કલાક હોતા નથી. એનું કારણ છે કે આપણો ઘણો સમય સવારની દિનચર્યામાં જાય, બે ટંક ભોજન અને સવારના નાસ્તામાં જાય, વ્યવસાય માટે આવાગમનમાં જાય અને રાતની સાત કલાકની ઊંઘમાં જાય. આ રીતે હકીકતમાં આપણી પાસે કામ કરવાના અમુક નિશ્ચિત કલાકો જ હોય છે અને તેથી દિવસ દરમિયાન તમે અનેક કામો કરવાનો વિચાર કર્યો હોય, તો પણ હકીકતમાં તમે માત્ર પાંચ જ કલાક કામ કરતા હો છો. તેથી હકીકતમાં તમારે એ પ્રમાણે તમારા કામનું આયોજન કરવું જોઈએ. જો આમ કરવામાં ન આવે, તો નિષ્ફળતા મળવાની પાકી તૈયારી રાખવી. 

જીવનમાં કપરાં સંજોગો ઊભા થતાં આપણે એકાએક રઘવાયા બની જઈએ છીએ. શું કરવું તે સમજાતું નથી, ભાઈ-મિત્ર કે પ્રેમીએ કંઈ દગો કર્યો હોય કે પછી કોઈ વિશ્વાસઘાત કરીને આપણાં નાણાં ડુબાડી દીધાં હોય, ત્યારે વ્યક્તિ ધૂંઆપૂંઆ થઈ જાય છે. આવે સમયે વ્યક્તિએ આઘાત ઝીલવાની ક્ષમતા કેળવવી પડે છે. 

ભગવાન બુદ્ધ વિહાર કરતા હતા, ત્યારે રસ્તામાં એક સુંદર ઝરણું વહેતું જોયું અને પોતાના શિષ્ય ભિખ્ખુ આનંદને જળ લાવવા કહ્યું. બન્યું એવું કે ઝરણાંનાં માર્ગ પરથી કેટલાંક ૨થ પસાર થવાને કારણે એનું જળ કાદવ-કીચડવાળું હતું. આથી ભિખ્ખુ આનંદ પાછા આવ્યા અને કહ્યું કે, 'એ ઝરણાંનું પાણી તો ઘણું મેલું છે આપ રજા આપો તો થોડે દૂર આવેલી નદીમાંથી પાણી લઈ આવું.' 

ગૌતમ બુદ્ધે કહ્યું કે, 'ના, એટલે બધે લાંબે અંતરે નદી સુધી જવાની જરૂર નથી. થોડી વાર પછી પુન: જઈને ઝરણાંનું પાણી લઈ આવ.' 

બુદ્ધના આદેશ પ્રમાણે તેઓ બીજી વાર ગયા, પણ ઝરણાંનું પાણી અશુદ્ધ હતું. ફરી આવીને ભગવાન બુદ્ધને વાત કરી. એમણે ફરી ઝરણાં પાસે જવાનું કહ્યું અને ભિખ્ખુ આનંદ ત્રીજી વાર એ ઝરણા પાસે પહોંચ્યા. એમણે જોયું તો પહેલાં પાણીમાં જે કીચડ-કાદવ હતા, તે તળિયે બેસી ગયા હતા. મલિન પાણી વહી ગયું હતું. પાત્રમાં નિર્મળ જળ લઈને ભિખ્ખુ આનંદ પાછા આવ્યા. તે બુદ્ધના ચરણોમાં પડયાં અને બોલ્યા, 'ઓહ, આજે આપે મને કેવો મહાન ઉપદેશ સમજાવ્યો. આનાથી મને ખ્યાલ આવ્યો કે જીવનમાં કશું જ સ્થાયી નથી માત્ર ધૈર્ય જોઈએ.'

આમ કપરા સંજોગો સામે લડવા માટે ધૈર્ય એ મહત્ત્વની બાબત બને છે. અને ઘણી વાર વ્યક્તિ ધૈર્ય રાખે તો એ સફળ થતો હોય છે. 

એક એવું પણ બનતું હોય છે કે કોઈ આઘાતજનક પરિસ્થિતિ આવતા વ્યક્તિ ઈશ્વરને સીધેસીધું 'વોરન્ટ' મોકલે છે કે, 'જો તું ખરેખર હોય તો મને મદદે આવ. આમાંથી મને બચાવી લે અને પછી જ્યાં જ્યાં ઈશ્વર મળે ત્યાં ત્યાં એ પોતાની માગણીની દરખાસ્ત રજૂ કરતો હોય છે.' 

એમાં સફળ ન થાય તો જગતમાં એ ઢંઢેરો પીટતો હોય છે કે આ વિશ્વમાં ઈશ્વર જેવું કશું છે જ નહીં. આમ જ્યાં સુધી પરિસ્થિતિ સાનુકૂળ હતી, ત્યાં સુધી ઈશ્વરને માનતા હતા અને જેવી પરિસ્થિતિ પ્રતિકૂળ થઈ એટલે ઈશ્વરની વાતનો છેદ ઉડાડી દઈએ છીએ. હકીકતમાં જીવનમાં આવતાં દુ:ખો, મુશ્કેલીઓ, આફતો કે પડકારની તપાસ કરો તો ખ્યાલ આવશે કે ૯૦ ટકા મુશ્કેલીઓના સર્જક તમે પોતે જ છો. તમારા ગુસ્સાએ કોઈ વેર જગાડયું છે, તમારી વાસનાએ કોઈ વિપરીત સ્થિતિ સર્જી છે, તમારી લાલચે જ તમને કોઈ કૌભાંડમાં સંડોવ્યા છે. 

પશ્ચિમી જગતનાં મહાન સંગીત નિયોજક(કંપોઝ૨) મોઝાર્ટ નાની વયથી જ સંગીતરચનાઓ કરતા હતા. આઠ વર્ષની વયે એણે યુરોપની યાત્રા કરી, ચૌદ વર્ષની વયે મોઝાર્ટને સાબ્ઝબર્ગના દરબારના ગાયકવૃંદમાં નોકરી મળી. સંગીતકાર મોઝાર્ટ પાસે સુંદર રીતે પિયાનો વગાડતો બાર વર્ષનો બાળક આવ્યો. એણે કહ્યું, ''હું કેટલીક સંગીતરચનાઓ કરવા માગું છું, તો કઈ રીતે એનો પ્રારંભ કરું ?''

મોઝાર્ટે કહ્યું, ''આ માટે ઉતાવળ ન કર. અભ્યાસ ચાલુ રાખ. સંગીતસર્જન કરવા માટે તારે થોડી રાહ જોવી પડશે.''

છોકરાએ કહ્યું, ''મારી ઉંમર બાર વર્ષની છે. આપે કામ શરૂ કર્યું ત્યારે આપની ઉંમર પાંચ વર્ષની હતી, તો હું કેમ અત્યારે સંગીતરચના ન કરી શકું ?''

વિશ્વખ્યાત વુલ્ફગેંગ મોઝાર્ટે કહ્યું, ''તારી વાત સાચી છે કે મેં પાંચમા વર્ષે સંગીતનિયોજનનો પ્રારંભ કર્યો હતો, પરંતુ મેં આ અંગે કોઈની સલાહ લીધી નહોતી. જ્યારે અંદરથી પ્રેરણા થઈ અને એના વગર રહી શક્યો નહીં, ત્યારે સંગીતરચના કરી હતી. એવી પ્રેરણાની રાહ જો.''

બીજા કેટલાક શારીરિક દુ:ખ છે જેને માટે વ્યક્તિએ નિર્ભય બનીને કામ કરવું જોઈએ. આજે વ્યક્તિ કોઈને કોઈ રોગથી સતત ડરતી હોય છે. એટલું જ નહીં, પણ પોતાના પરિચયમાં આવનારને પહેલી વાત જ એ કરતી હોય છે કે છેલ્લાં ૨૦ વરસથી એ ડાયાબિટિસથી પીડાય છે, એને કેન્સર થયું છે કે પછી એને 

પથરીનો દુખાવો રહે છે. 

આજનો માણસ જેટલો રોગથી મરતો નથી, એટલો રોગ પ્રત્યેના એના વલણથી મરે છે. એનું વલણ એવું છે કે એ રોગને અટકાવવાને બદલે કે એનો સામનો કરવાને બદલે એમાં સતત વૃદ્ધિ કરતો રહે છે. એની પાસે 'ફિકરની ફાકી ક૨વાની' તાકાત હોતી નથી. રમણ મહર્ષિ, પૂજ્યશ્રી મોટા કે મા આનંદમયીના જીવનમાંથી આપણે એ જોઈ શકીએ છીએ કે એમને અત્યંત વેદનામય વ્યાધિઓ હોવા છતાં એ વ્યાધિની કશી ઉપાધિ કરી નહોતી; વળી એનાથી એમની પ્રસન્નતામાં સહેજે ફેર પડયો નહોતો. સંઘર્ષમય સંજોગોને પાર કરવા માટે ધૈર્યભરી હિંમતની જરૂર છે.

ક્ષણનો સાક્ષાત્કાર 

ફ્રાંસના સરકારી અધિકારી પોલની પાસે યોજના મંજૂ૨ ક૨વાનો આખરી નિર્ણય લેવાની સત્તા હતી. એક કોન્ટ્રાક્ટરને એ ખ્યાલ આવ્યો એટલે એણે વિચાર્યું કે લાખો ફ્રેન્કની કમાણી કરી આપે એવી આ યોજના કોઈ પણ સંજોગોમાં હાથ કરી લેવી. એ એક સૂટકેસમાં નોટોનાં બંડલ ભરીને કોન્ટ્રાક્ટર પોલને ઘેર ગયો. આ સમયે પોલ ઘરમાં બેસીને કંઈક લખી રહ્યા હતા. કોન્ટ્રાક્ટરે જોયું તો પોલનું ઘર એક સામાન્ય માનવીના ઘર જેવું હતું. એ જાણતો પણ હતો કે આ સરકારી અધિકારીનો હોદ્દો ઊંચો છે પણ એનો પગાર ઘણો ઓછો છે. 

આ સમયે મકાનમાલિક આવી ચડે છે અને પોલ પાસે ભાડાની ઉઘરાણી કરે છે. કોન્ટ્રાક્ટરને થયું કે પોતે ખરેખર યોગ્ય સમયે જ આવ્યો છે. એણે મકાનમાલિકને કહ્યું, ''સાહેબના ભાડાની ફિકર ન કરો. હું તમને ચૂકવી દઈશ.''

પોલે કહ્યું, ''ભાઈ, એવી તકલીફ લેવાની જરૂર નથી. હું એક સામયિક માટે એક લેખ લખું છું. એનો પુરસ્કાર મળશે એટલે તરત ભાડું ચૂકવી દઈશ.''

કોન્ટ્રેક્ટરે પૂછયું, ''સાહેબ, રેલવેલાઇન નાખવા અંગેની મારી દરખાસ્ત આપને મળી ચૂકી હશે. એ અંગે આપ શું વિચારો છો ? મારા પર કૃપા કરો તો ઘણું સારું.''

કોન્ટ્રાક્ટરે સૂટકેશ ખોલી અને કહ્યું, ''સાહેબ, બસ તમે સંમતિ આપો એટલી જ વાર છે. આપને માટે પચાસ હજાર ફ્રેન્ક લાવ્યો છું. આખી જિંદગીમાં પણ આટલી કમાણી નહીં થાય.''

કોન્ટ્રાક્ટરની ધૃષ્ટતા જોઈને પોલ અકળાઈ ગયા અને કોપાયમાન થઈને બોલ્યા, ''ચાલ્યા જાવ અહીંથી, નહીં તો પોલીસના હવાલે કરી દઈશ.''

પોલનો અવાજ સાંભળીને એમનાં પત્ની રસોઈગૃહમાંથી બહાર દોડી આવ્યાં. કોન્ટ્રાક્ટરે એમને જોઈને કહ્યું, ''બહેન, આપના પતિદેવને સમજાવો. મારી આ ભેટનો સ્વીકાર કરે.''

શ્રીમતી પોલે કહ્યું, ''આ ભેટ નથી, લાલચ છે. અમારું સીધુંસાદું જીવન જોઈને તમને થયું હશે કે તમે અમને ભોળવી જશો, પણ અમને અમારી સાદાઈ માટે ગૌરવ છે અને જુઓ, અણહકનું તો કદી ન લેવાય. માટે સૂટકેશ બંધ કરીને અહીંથી વિદાય થઈ જાવ.''

Tags :