Get The App

દેશની તકદીર બદલી નાખતા વિમાની અકસ્માતોની ઘટમાળ

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
દેશની તકદીર બદલી નાખતા વિમાની અકસ્માતોની ઘટમાળ 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- પ્લેન કે હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં પ્રવાસ ખેડનારા સેંકડો પેસેન્જર તો મૃત્યુ પામે જ છે, પરંતુ આ યાદીમાં કોઈ મોટા નેતા, ઉદ્યોગપતિ કે અન્ય સેલીબ્રિટી હોય ત્યારે વધુ ચર્ચા થાય છે 

ગુરુવાર ૧૨ જુને અમદાવાદ ખાતે એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઈટને જે ગોઝારો અકસ્માત નડયો એ ભારતીય એવિયેશન સર્કલમાં અત્યાર લગીની સૌથી ગોઝારી દુર્ઘટના ગણાશે. આ ફ્લાઈટમાં યાત્રા કરનારા પ્રવાસીઓમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હતા. આ રીતે ભાજપે ગુજરાતમાં એક મહત્ત્વના, આગેવાન નેતાને ગુમાવ્યા છે.

અચાનક પ્લેન કે હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં પ્રવાસ ખેડનારા સેંકડો પેસેન્જર તો મૃત્યુ પામે જ છે. પરંતુ મરનારની યાદીમાં કોઈ મોટા નેતા, ઉદ્યોગપતિ કે અન્ય સેલીબ્રિટી મરે ત્યારે તેમના સમાચાર વધુ ધ્યાન ખેંચે છે.

દાયકા પૂર્વે પ્રદેશના મુખ્ય મંત્રી વાય. એસ.  આર. રાજેશખર રેડ્ડીનું હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ થતાં રાજ્યના રાજકારણમાં ઓચિંતુ પરિવર્તન આવ્યું હતું. રેડ્ડીનું મૃત્યુ આંધ્રના રાજકીય ઇતિહાસનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો. અલબત્ત, દરેક વિમાની અકસ્માતને કારણે કોઈ દેશ કે એના લોકોનો ઇતિહાસ બદલાઈ જાય એવું જરૂરી નથી. પરંતુ ભારતને સંબંધ છે ત્યાં સુધી એક વાત ચોક્કસ છે કે આવા આકાશી અકસ્માતો કાવતરાની થિયરીઓ વહેતી મૂકે છે અને ઘણાં એવા પ્રશ્નો ઊભા કરે છે જેના જવાબ આપણને કદી જડતા નથી.

નેતાજી સુભાષ ચંદ્ર બોસનું ૧૮મી ઓગસ્ટ ૧૯૪૫ના રોજ વિમાની અકસ્માતમાં થયેલું મૃત્યુ ભારતીયોના મનમાં આજ સુધીનો સૌથી મોટો અને કાયમી પ્રશ્ન છોડી ગયું છે. એ વિમાની અકસ્માત ન થયો હોત તો શું થાત એવું ભારતીયો આજે પણ વિચારે છે. 'સેલ્લી' હેવી બોંબર વિમાન તાઈવાનમાં ફોરમોસાના રનવે પર પટકાયું હતું. વિમાનના સગડ મળ્યા ત્યારે નેતાજીનો મૃતદેહ ઓળખી ન શકાય એટલી હદે બળેલો મળી આવ્યો હતો. ઘટનાના સાક્ષીઓએ બોસને મૃત્યુ પામતા જોયા હતા. એમના અસ્થિફુલો ટોકિયોના એક મંદિરમાં રખાયા છે. નવાઈની વાત એ છે કે ઘણાં ભારતીયો હજુ એવું માનવા જ તૈયાર નથી કે નેતાજી એ વિમાની અકસ્માતમાં માર્યા ગયા હતા. પછી તો બોસને લોકોએ જુદી જુદી જગ્યાએ જોયાના અહેવાલો આવ્યા: સોવિયેત સંઘની જેલમાં, ચિત્રકૂટના આશ્રમમાં અને રાય બરેલીની સાઈ નદીના કિનારે બાંધેલી એક ઝૂપડીમાં. આવી વાતો એવી માન્યતામાંથી ઉદ્દભવે છે કે નેતાજી પોતાની ઇન્ડિયન નેશનલ આર્મીને લઈને દિલ્હી સુધી કૂચ કરી ગયા હોત તો આપણો ઇતિહાસ જુદો જ હોત.

એવું જ ૨૩મી જુન, ૧૯૮૦ના વિમાની અકસ્માતનું છે, જેમાં સંજય ગાંધીએ જીવ ખોયો હતો. સંજયનું પીટ્સ એસ-૨એ એરોબેટિક બાયપ્લેન દિલ્હીના સફદરજંગ એરપોર્ટ પર ડબલ ગુલાંટ ખાતા ભો પર પટકાયું ત્યારે નેહરુ-ગાંધી પરિવાર અને ભારતનો ઇતિહાસ બદલાઈ ગયો. ભારત અને કોંગ્રેસ પાર્ટી- બન્ને માટે એ એક નિર્ણાયક વણાંક હતો. સંજય ગાંધીનું અપમૃત્યુ ન થયું હોત તો તેઓ એક દિવસ કદાચ ભારતના વડા પ્રધાન બનત. તો રાજીવ ગાંધી પાઈલટ જ રહેત, સોનિયા કોંગ્રેસ પ્રમુખ ન બનત, મનમોહન સિંહને પ્રધાનમંત્રીની ખુરશી ન મળત અને રાહુલ કદી યુવરાજ ન બનત.

એક વિમાની અકસ્માત એવા દેશમાં ઘણું  બધુ પરિવર્તન લાવી શકે છે જેનંુ રાજકારણ જુના રાજકીય પરિવારો અને પ્રાદેશિક સુબાઓ દ્વારા ચલાવાતું હોય. આ લોકોનું રાજકારણ પર પીપળાના કોઈ પુરાતની વૃક્ષ જેવંુ પ્રભુત્વ હોય છે. પીપળો કદી પોતાની છત્રછાયામાં કોઈ છોડને ઉછરવા નથી દેતો. એટલે જ કોઈ આગેવાન રાજકારણીનું વિમાની અકસ્માતમાં મોત થાય ત્યારે કાવતરાંની ડઝનબંધ થિયરીઓ વહેતી થઈ જાય છે. ત્રીજી ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ કોંગ્રેસી નેતા માધવરાવ સિંધિયાનું સેસના સી-૯૦ પ્લેન વાવાઝોડામાં સપડાયા બાદ યુપીના મૈનપુરીમાં ટુકડે ટુકડા થઈને પડયું હતું. ફરી એકવાર સિંધીયાના કવેળાના મૃત્યુએ ઇતિહાસ બદલ્યો. એણે ભારત પાસે એવી વ્યક્તિ છીનવી લીધી જે એક દિવસ વડા પ્રધાન બનત.

૯ ડિસેમ્બર ૨૦૨૧માં થયેલી એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતીય લશ્કરને કદી પુરી ન શકાય એવી ખોટ પડી હતી. એ દિવસે ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત તેમની પત્ની અને બીજા ૧૧ જણ સાથે તામિલનાડુના સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યા હતા ત્યારે કુન્નુર પાસે હેલિકોપ્ટર તૂટી પડયું હતું.

આ સિવાય રાજકીય ક્ષેત્રે ઊચિત યોગદાન આપનારી કેટલીક હસ્તીઓનો પણ અહીં ઉલ્લેખ કરવો પડે. જેમકે એમ.સી. બાલયોગી. તેઓ તેલુગુ દેશમ પાર્ટીના નેતા અને લોકસભાના સ્પીકર હતા. ૨૦૦૨ની સાલમાં આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી વિસ્તારમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું.

આજ રીતે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુનું ૩૦ એપ્રિલ ૨૦૧૧માં સેલા પાસ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં મોત નીપજ્યું હતું. આવી જ એક બહુ જાણીતી હસ્તી એસ. મોહન કુમારમંગલમનું એક વિમાન અકસ્માતમાં મોત નિપજ્યું હતું. પોલાદમંત્રીનો હવાલો સંભાળતા કુમાર મંગલમના પ્લેનને ૧૯૭૩માં દિલ્હી પાસે અકસ્માત થયો હતો.

૩૧ માર્ચ ૨૦૦૫માં હરિયાણાનાં પ્રધાન ઓ.પી. જિંદાલ અને પૂર્વ મંત્રી સુરેન્દ્રસિંહ પણ યુ.પી.ના સરહાનપુર વિસ્તારમાં હેલિકોપ્ટરને નડેલા અકસ્માતમાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.આજ રીતે પંજાબના ગવર્નર સુરેન્દરનાથ અને તેમના પરિવારજનો સહિત નવ જણ સરકારી માલિકીના સુપર- કીંગ એરક્રાફટને નડેલા અકસ્માતમાં માર્યા ગયા હતા. ૯ જુલાઈ ૧૯૯૪માં તેમનું પ્લેન  હિમાચલ પ્રદેશના ઊંચા પર્વતોની વચ્ચે તૂટી પડયું હતું.

ભારતના જ નહિ, દુનિયા આખીના ઇતિહાસમાં વિમાની અકસ્માતો નિર્ણાયક વણાંક બની ગયા છે. દાખલા તરીકે, અમેરિકામાં જોહન એફ. કેનેડી (જુનિયર)નું ૧૬મી જુલાઈ, ૧૯૯૯ના રોજ વિમાની અકસ્માતમાં મોત થયું. કેનેડી પરિવારના બીજા નબીરાઓની જેમ તેઓ પણ ભરયુવીનામાં મૃત્યુ પામ્યા. અકસ્માતે દુનિયાને વિચારતી કરી દીધી કે ૩૮ વરસના કેનેડી જીવતા હોત તો શું તેઓ અમેરિકાના પ્રમુખ બનતા ખરા? કોઈને એનો જવાબ કદી નહિ મળે.

આપણાં પાડોશમાં પાકિસ્તાનના સરમુખત્યાર ઝિયા ઉલ-હકનું ૬૪ વરસની વયે ૧૭મી ઓગસ્ટ, ૧૯૮૮ના રોજ મૃત્યુ થયું. ઝિયાની ઇસ્લામીકરણની નીતિએ પાકિસ્તાનને હંમેશ માટે બદલી નાખ્યું અને ભારત સાથેની એમની પ્રોકસી વોરને કારણે બન્ને દેશો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ વધુ ઘેરુ બન્યું.

મોઝામ્બિકના પ્રમુખ સમોરા મચેલ (૫૩) ૧૯મી ઓક્ટોબર, ૧૯૮૬ના રોજ વિમાની અકસ્માતનો ભોગ બન્યા. એમણે પોતાના દેશમાં પોર્ટુગીઝ શાસન સામેની લડતની આગેવાની લીધી હતી. અને યુરોપના સામ્રાજ્યવાદ સામેની આફ્રિકાની લાંબી લડતના તેઓ પ્રતિક બની ગયા હતા. એ જ રીતે ફિલિપીન્સના પ્રમુખ રામન મેગ્સાયસાય (૫૦) ૧૭મી માર્ચ, ૧૯૫૭ના રોજ પ્લેન દુર્ઘટનામાં અવસાન પામ્યા. (દર વરસે એમના નામનો પ્રતિષ્ઠિત એવોર્ડ અપાય છે). પોતાની પ્રામાણિકતા માટે જાણીતા મેગ્સાય સાયે પોતાના અશાંત દેશમાં શાંતિની સ્થાપના કરી.

નવાઈની વાત એ છે કે અમેરિકાના ૯/૧૧ના હવાઈ હુમલાનું કાવતરુ ઘડનાર ઓસામા બિન લાદેને ૧૯૬૭માં પોતાના પિતા મોહમ્મદ (૭૩)ને એક વિમાની અકસ્માતમાં ગુમાવ્યા હતા. એમના એક ભાઈ સાલેમ (૪૨) પણ ૧૯૮૮માં ટેકસાસની એક વિમાની દુર્ઘટનામાં માર્યા ગયા હતા.

અહીં કેટલાંક એવા મહાનુભાવોનો પણ ઉલ્લેખ કરવો જોઈએ જેમને પ્લેન કે હેલિકોપ્ટર અકસ્માત નડયો છતાં તેઓ આબાદ બચી ગયા. વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ નવેમ્બર ૧૯૭૭માં આસામ ખાતે તેમનું સ્પેશિયલ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છતાં હેમખેમ પ્લેનના કાટમાળમાંથી જાતે બહાર કુદી પડયા હતા. આ સિવાય કોંગ્રેસ નેતા અહમદ પટેલ અને કેન્દ્રિય પ્રધાન પૃથ્વીરાજ ચૌહાણ, કુમારી શૈલજા ૨૦૦૪માં ગુજરાતમાં નડેલા અકસ્માતમાંથી આબાદ ઉગરી ગયા હતા. પંજાબના તત્કાલીન મુખ્યપ્રધાન અમરીંદર સિંહ અને પ્રધાન પ્રતાપસિંહ બાજવા ૧૦ વર્ષ પૂર્વે હેલિકોપ્ટર ક્રેશમાંથી બચી ગયા હતા. ભાજપના પ્રમુખ હતા ત્યારે રાજનાથ સિંહ અને ઉપપ્રમુખ મુખ્તાર અબ્બાસ નકવીનો પણ વિમાન અકસ્માતમાંથી ચમત્કારીક  બચાવ થયો હતો. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોટનું હેલિકોપ્ટર તો (૨૦૦૧માં) ઝાડ પર તૂટી પડયું હતું. પણ તેઓને જરાય ઈજા થઈ નહોતી.  આ બાબતમાં મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો દાખલો પણ ટાંકવા જેવો છે. તેઓ અત્યાર લગી ત્રણ- ત્રણ વાર હેલિકોપ્ટર અકસ્માત નડયો છતાં તેમનો વાળ વાંકો થયો નથી.

આકસ્મિક મૃત્યુ હંમેશા કરુણ હોય છે. એમાંય આકાશમાંનું આકસ્મિક મૃત્યુ વિચિત્ર રીતે અવાસ્તવિક બની જાય છે. કારણ કે ધરતીથી ઉપર આકાશમાં શું બન્યું હતું એ વિશે બહુ ઓછું જાણી શકાય છે. ૧૯૬૬માં એર ઇન્ડિયાનું એક બોઈંગ સ્વિત્ઝરલેન્ડની મોન્ટ બ્લોક પર્વતમાળામાં તૂટી પડતા ભારતના ટોચના વિજ્ઞાાની હોમી જે. ભાભા મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત એક રહસ્ય બની રહ્યો છે અને ઘણાં એવો આક્ષેપ કરે છે કે હોમી ભાભાના મૃત્યુમાં અમેરિકાની સીઆઈએનો હાથ હતો.

ટુંકમાં, વિમાની અકસ્માતો કાયમ શંકાઓ અને પ્રશ્નોને લટકતા મૂકી જાય છે.

Tags :