Get The App

112 ચક્રોને ગતિમાન કરતી આદિ યોગી શિવ પ્રતિમા...!

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
112 ચક્રોને ગતિમાન કરતી આદિ યોગી શિવ પ્રતિમા...! 1 - image

- શોધ-સંશોધન - વસંત મિસ્ત્રી

- 500 ટન વજન ધરાવતી આ મૂર્તિની ઊંચાઈ 112 ફિટ એટલા માટે રાખવામાં આવી છે કે શરીરમાં 112 ચક્રો છે

તામિલનાડુના કોઈમ્બતુરથી ૩૦ કિ.મી.ના અંતરે આવેલી વેલિઆનાગિરિ પર્વતમાળામાં વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા આવેલી છે. ઇશા ફાઉન્ડેશન કે જે યોગસંસ્થાન છે તેની દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી આ પ્રતિમા ૧૧૨ ફિટ ઊંચી, ૧૪૭ ફિટ લાંબી અને ૮૨ ફિટ પહોળી છે.

ધાતુની પ્લેટો દ્વારા બનેલી આ આકર્ષક શિવ પ્રતિમાને ગ્રિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળેલ છે. આદિયોગીનો અર્થ 'પ્રથમ યોગ કરનાર' એવો થાય છે. પ્રભુ શિવ યોગ કરનાર પ્રથમ વ્યક્તિ હતા એટલે તેમને આદિયોગી તરીકે ઓળખવામાં આવે છે.

૫૦૦ ટન વજન ધરાવતી આ મૂર્તિની ઊંચાઈ ૧૧૨ ફિટ એટલા માટે રાખવામાં આવી છે કે શરીરમાં ૧૧૨ ચક્રો છે જે ધ્યાન પ્રાપ્તિમાં સક્રીય થાય છે.ઇશા ફાઉન્ડેશનના ઇજનેરોએ પોતે જ ડિઝાઈન કરેલી આ મૂર્તિ શિવનો ચહેરો ધરાવે છે. નજીકથી તમે જુઓ તો અનેક નાની નાની પ્લેટો મોલ્ડ કરીને આ રચના તૈયાર થઈ છે.

ભારતના ચારે ખૂણામાં આવી મૂર્તિ સ્થાપવાનો વિચાર આ સંસ્થાના વડાને આવ્યો હતો. બીજી પ્રતિમા બેંગ્લોરથી ૬૦ કિ.મી. દૂર ચિક્કાબાલાપુરમાં આવેલી છે જેની રચના ૧૫-૦૧-૨૦૨૩ના દિવસે કરવામાં આવી હતી.

તામિલનાડુની પ્રથમ મૂર્તિની ડિઝાઈન કરતાં અઢી વર્ષ થયા હતા. મૂર્તિમાં વાળની અદ્ભુત રચના સાથે શિવના માથે ચંદ્ર, કાનમાં કુંડળ, ગળામાં માળા અને કપાળ પર તિલક આકર્ષક લાગે છે. આ મૂર્તિનું ઉદ્ધાટન ૨૪.૦૨.૧૧ ના દિવસે થયું હતું.અહીં દરેક ધર્મના લોકો આવે છે કારણ કે આ બીન-સાંપ્રદાયિક સ્થળ છે. અહીં નિયમિત યોગ અને વ્યાખ્યાન થાય છે. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રવચન, રમતગમત અને સંધ્યાભોજન અહીંના આકર્ષણો છે.

અહીં અંદર પૂજા હૉલ છે. તમે ધ્યાનમાં બેસી શકો છો. વિશ્વના સૌથી મોટા આ સ્થાપત્યમાં ક્યાંયે સિમેન્ટ-કોંક્રિટનો ઉપયોગ થયો નથી. આ સ્ટેચ્યુના ડિઝાઈનર અને સંસ્થાના વડા શ્રી સદ્ગુરૂ જગ્ગી વાસુદેવની અદ્ભુત વાણીનો આસ્વાદ તમે માણ્યો હશે.

આદિયોગીની આ મૂર્તિ ધ્યાનનું પ્રતીક છે. મહાશિવરાત્રીએ આ સ્થળે શિવદર્શન, પ્રવચન અને સંગીત માટે હજારો ભાવિકો ઉમટે છે. આ સ્થળે રોજ ૭.૧૫ થી ૮.૪૫ સાંજે લેસર શૉ હોય છે જે અદ્ભુત હોય છેે.

બેંગ્લોરથી તમે આદિયોગીની ભવ્ય પ્રતિમાના દર્શને જાવ ત્યારે ચિક્કાબાલાપુર પાસે સ્ટ્રોબેરી પિકિંગ ફાર્મ જરૂરથી જજો. તમે ત્યાંની મીઠી સ્ટ્રોબેરી જાતે તોડીને પેટ ભરીને ખાઈ શકો છો. અહીં વિદેશી પુષ્પો પણ જોવા મળશે.