- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
ઘ ર અનિવાર્યતા એ જગ્યા નથી કે જ્યાં તમને આવકાર મળતો હોય પણ એ સ્થાન છે જ્યાં તમને બીજા કોઈ સ્થળો યાદ ન આવે.
પિકો અય્યર
આ પિકો અય્યર ભારતીય માતા પિતાનું એવું સંતાન છે જે ભારતમાં ક્યારેય રહ્યો નથી. વિશ્વ પ્રવાસી છે, લેખક છે, તેના પંદરથી વધારે પુસ્તકો છે, જેના બાવીસથી વધારે ભાષામાં અનુવાદો થયા છે. તેમને કોઈએ પૂછયું , 'આ વેકેશનમાં ક્યાં જવું?' ત્યારે તે કહે છે 'ગો ટુ નો-વ્હેર!' ખેર.... કોઈ વ્યક્તિ એરપોર્ટ કે રેલવેની બારીએ કહે, ગીવ મી વન ટિકિટ ટુ નો-વ્હેર! તેનું શું થાય વિચારો.
રખડું ને ખબર હોય છે કે ચાલવું, અટકવું, બેસવું, પાછા ફરવું કે પહોંચી જવું આ બધા તેના વિકલ્પો હોય છે. જીવનભરની રખડપટ્ટી પછી પણ આખરે આપણે અત્યારે જ્યાં છીએ ત્યાં પાછા ફરવાનું હોય છે અને આપણી જાતને જ મળવાનું હોય છે. ક્યાંક પહોચવું એ સાહસ છે. કબીરદાસજી તેને 'ઈસ ઘટ અંતર બાગ-બગીચે' કહે છે. એમીલી ડિકીન્સન તો સૂત્ર આપે છેત સ્થિરતા-જ્વાળામુખી- જીવન. કમનસીબે, દિશા વિનાની ગતિ આપણા યુગની તાસીર છે. હળવા થવા માટે રખડપટ્ટી છે. પણ તે નિરંતર ખલેલ કે વિક્ષેપ પણ છે. ચિત્ત હોય કે સરોવર, સમગ્ર છબી ઝીલવા માટે સ્થિરતા અનિવાર્ય છે. કશુંક નિરખવા માટે સ્થિરતા અનિવાર્ય છે. એકસો પચાસ માઈલની ઝડપે એકમેક સામેથી પસાર થતી બે ટ્રેનોમાં કોઈને કશું દેખાતું નથી. ક્યારેક સ્થિરતા ગતીથી દૂર જઈને નહીં પણ ગતિ વચ્ચે પણ મેળવવાની હોય છે. બિલ વાયોલા કહે છે, 'વિશ્વથી દૂર એ માણસ જઈ શકતો હોય છે જેનો ઝભો અને ખભો અન્યના આંસુઓથી ભીંજાયેલો હોય છે.'
દૂર-દૂર નીકળી પડવું સહજ અને સરળ છે. પણ સ્વયંની અંદર રહેવું અને ક્યાંય ન જવું એ સૌથી લાંબી અને પડકારરૂપ યાત્રા છે. પિકો અય્યર કહે છે, 'અત્યારે તમે ક્યાંથી આવો છો તે ખાસ અગત્યનું નથી પણ ક્યાં જઈ રહ્યા છો તે વધુ મૂલ્યવાન છે.' બાલી કે હવાઈ, ઈટાલી કે ગ્રીસના પ્રવાસોમાં મોજ, મજા, વસ્તુઓ તો બેસુમાર આવશે પણ ક્યારેક આશા, આસ્થા, સ્થિરતા, પાવકતા, સત્વશીલતા લાવવી હોય તો ક્યાંય ન જાઓ. બસ જાત પાસે અને સાથે રહો. આ અંગે પિકો અય્યરની ટેડ ટોક સાંભળવા જેવી છે. તે લખે છે;
ગતિના યુગમાં ધીમાપણું આનંદદાયક છે,
વિક્ષેપના યુગમાં એકાગ્રતા સમૃદ્ધિદાયક છે,
નિરંતર હલનચલનના યુગમાં સ્થિર બેસવું અનિવાર્ય છે.
કેન્દ્રસ્થ બનવું અનિવાર્ય છે. તે રીતે આ ક્યાંયે ન જવાનો અને જાતમાં અને જાત પાસે બેસવાનો પ્રવાસ કરવા જેવો છે. આવો બુક કરીએ એક સીટ-'નો- વ્હેર'ની....


