Get The App

દયાની દેવીનું અજાણ્યું દર્દ

- લેમ્પ લઈને ઘૂમતી દયાની દેવી ફલોરેન્સ નાઈટિંગલે છેક નેવું વર્ષની આવરદા સુધી સેવાકાર્ય કર્યું, પરંતુ આ દયાની દેવીના પોતાના દેહની દશા કેવી હતી, એ વાત તો અજ્ઞાાન જ રહી!

- પારિજાતનો પરિસંવાદ- ડૉ. કુમારપાળ દેસાઈ

Updated: Jun 13th, 2020

GS TEAM

Google News
Google News
દયાની દેવીનું અજાણ્યું દર્દ 1 - image


'કો રોના વોરિયર્સ'ની અજાણી વેદનાને આપણે પિછાનીએ છીએ ખરા ? હોસ્પિટલના ડૉક્ટર કે નર્સ પ્રાણની બાજી લગાવીને કોરોના વાયરસની મહામારીથી પીડિત આબાલવૃદ્ધની સારવાર કરતા હોય છે. એમની સામે ભય ખડો હોય છે, પરંતુ સેવાની ભાવનાથી ભયને સાવ ભૂંસી નાખે છે. કોઈએ આ ડૉક્ટર કે નર્સના પોતાના સ્વાસ્થ્યની કઈ પરિસ્થિતિ હશે. એનો વિચાર કર્યો છે ખરો ?

લેમ્પ લઈને ઘૂમતી દયાની દેવી ફલોરેન્સ નાઈટિંગલે છેક નેવું વર્ષની આવરદા સુધી સેવાકાર્ય કર્યું, પરંતુ આ દયાની દેવીના પોતાના દેહની દશા કેવી હતી, એ વાત તો અજ્ઞાાન જ રહી ! બીજાનાં દુ:ખો દૂર કરનારી ફલોરેન્સ નાઈટિંગલ પોતે કેટલી બીમારીઓ સામે ઝઝૂમતી હતી, એનો ખ્યાલ છે ખરો ?

ઈંગ્લેન્ડમાં સમાજસુધારણા કરનારી ફલોરેન્સ નાઈટિંગલ ઈંગ્લેન્ડની સેલિમિયે બેરેક્સ ઈન્સ્ટિટયુટમાં કાર્યરત કુશળ આંકડાશાસ્ત્રી હતી અને આધુનિક નર્સિંગના સ્થાપક તરીકે જગત આજે એનું સ્મરણ કરે છે. સ્વાસ્થ્ય માટે ચોખ્ખાઈ અને હાથ ધોવાની વાતનો આગ્રહ રાખવામાં આવે છે. ફ્લૉરેન્સે જીવનભર આની વાત કરી હતી ! ક્રીમિયાના યુદ્ધ સમયે એક નર્સ તરીકે ઘાયલ સૈનિકોની એણે કરેલી સેવાએ જગતભરમાં સહુનું ધ્યાન ખેંચ્યું. એ સમયે સેવા એનો આદર્શ હતો અને સમય જતાં એ સેવાનો આદર્શ બની ગઈ. વિશ્વભરમાં દયાની દેવી તરીકે ઓળખાતી એણે લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલ નર્સિંગ સ્કૂલની સ્થાપના કરી અને આ વ્યવસાયને એક આદરપાત્ર પ્રોફેશનલ રૂપ આપ્યું.

આજે આ વ્યવસાયમાં પ્રવેશ કરનારને 'નાઈટિંગેલ પ્લેજ' આપવામાં આવે છે અને એના જન્મદિવસેને આંતરરાષ્ટ્રીય નર્સિંગ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. એણે બ્રિટનના સમાજની સ્વાસ્થ્ય સેવાઓમાં સમૂળગું પરિવર્તન આણ્યું. સ્ત્રીઓ પ્રત્યે અમાનવીય એવા વેશ્યાવૃત્તિના ધારામાં સુધારો કરાવ્યો અને ભૂખમરાથી પીડિત ભારતને માટે એણે અવાજ ઉઠાવ્યો.

ફ્લોરેન્સ નાઈટિંગેલ એક સુંદર લેખિકા હતી અને એણે આંકડાઓની ગ્રાફિક રજૂઆત કરવાની આગવી કુશળતા હાંસલ કરી હતી તેમજ એના અવસાન બાદ એના ધર્મ અને રહસ્યવાદ અંગેના વિસ્તૃત લખાણો ગ્રંથાકારે પણ પ્રસિદ્ધ થયા. આવી ફ્લોરેન્સ નાઈટિંગેલ (૧૮ર૦ થી ૧૯૧૦) ક્રિમિયાના યુદ્ધમાં ગઈ, તે પહેલાં એક પ્રકારની માનસિક હતાશા અનુભવતી હતી. ફલોરેન્સના ચિત્તમાં એના પિતાએ ભવિષ્યનાંએટલાં બધાં ભવ્ય સ્વપ્નો ગૂંથ્યા હતાં કે જેને લીધે એ એક પ્રકારનું ડીપ્રેશન અનુભવતી હતી.

ફ્લોરેન્સ નાઈટિંગલના માતાપિતા એમ માનતા હતા કે ઉમદા સ્ત્રીઓએ નર્સનું કામ કરવું જોઈએ નહીં. એથી એમણે ફલોરેન્સનો વિરોધ કર્યો. આને પરિણામે ફલોરેન્સના તેની માતા અને બહેન સાથેના સંબંધો જીવનભર તણાવપૂર્ણ રહ્યા. એણે પોતાની રોજનીશીમાં નોંધ્યું છે કે વિકટોરિયા યુગના આવા રૂઢિચૂસ્ત વાતાવરણમાં એને 'મૃત્યુ સિવાય બીજી કોઈ ઈચ્છા થતી નહોતી'. ક્રિમિયાના યુદ્ધ સમયે પણ એ એના પાંત્રિસમાં જન્મદિવસે બિમાર પડી હતી અને ડૉક્ટરોએ એવું ડાયગ્નોસીસ કર્યું હતું કે એને 'ક્રિમિયન ફિવર' થયો છે. કેટલાય સપ્તાહો સુધી એ બીમાર રહી અને યુદ્ધમાંથી ઈંગ્લેન્ડ પાછી ફરી. તે પછી પણ ઘણો લાંબો સમય રોગથી ઘેરાયેલી રહી. આને કારણે થોડો સમય એણે મુલાકાત આપવાનું ઘણું ઓછુ કર્યું તેમજ જુદાં જુદાં સ્થળોની મુલાકાતે જવાનું પણ ઓછું કર્યું.

૧૮૬૧માં એને કરોડરજ્જુનો દુ:ખાવો એવો થયો કે થોડો સમય તો એ ચાલી શકતી નહોતી અને પથારીમાંથી ઊચકીને સોફા પર બેસાડવી પડતી. આમ છ એક વર્ષ સુધી ઘરમાં પુરાઈ રહેવું પડયું. એમ માનવામાં આવતું હતું કે ફલોરેન્સ નાઈટિંગેલે ક્રિમિયાના યુદ્ધ સમયે ઘેટાનું દૂષિત દૂધ પીધું હતું અને તેથી એની શારીરિક હાલત કથળી ગઈ હતી. એ સમયે સ્કુટારી નામના સ્થળે ઘણા લોકો મૃત્યુ પામ્યા. ફલોરેન્સને થયું કે એણે શૌચાલયો અને આનુષંગિક આરોગ્ય-વ્યવસ્થાઓ પર ધ્યાન આપ્યું હોત તો આટલા બધા મૃત્યુ થયા ન હોત. આને પરિણામે એ એક પ્રકારના 'ગિલ્ટ'નો અનુભવ કરતી અને ક્યારેક એવું બનતું કે એ તદ્દન નિષ્ક્રિય બનીને પથારીમાં પડી રહેતી હતી.

હવે વિચાર કરો કે આટઆટલા શારીરિક દર્દીઓની સાથે ફલોરેન્સ નાઈટિંગલે નર્સ તરીકે થતી સેવાનો ઈતિહાસ બદલી નાખ્યો. પબ્લિક હેલ્થને માટે ક્રિમિયાના યુદ્ધમાંથી પાછા આવ્યા બાદ એણે બસો જેટલાં રિપોર્ટ, પેમ્ફલેટ અને પુસ્તકો લખ્યાં. એનો એક જ આશય હતો કે પ્રજાની સુખાકારી માટે જાહેર આરોગ્ય વ્યવસ્થામાં પરિવર્તન આણવું. સાવ પથારીવશ થઈ ગઈ હોવા છતાં એણે એનું કામ ચાલુ રાખ્યું. એક અંદાજ પ્રમાણે ફલોરેન્સ નાઈટિંગલે એના જીવનમાં દસ હજારથી વધારે પત્રો લખ્યાં છે.

એણે એક સ્થળે લખ્યું : 'જ્યારે મારે કોઈ કામ અમુક સમયમર્યાદામાં પૂરું કરવાનું હોય, ત્યારે હું ઘણીવાર ચોવીસ કલાકમાંથી વીસ કલાક કામ કરું છું.' ક્રોનિક બિમારી ધરાવનારી આ સ્ત્રીની કેટલી મોટી સિદ્ધિ ગણાય ! એણે કરેલાં આરોગ્યસેવા માટેનાં આંદોલનો ફળદાયી બન્યા. ૧૮૬૦માં નર્સોને માટે ટ્રેનિંગ સ્કૂલની સ્થાપના કરી. બીજાં સ્થળોએ પણ નર્સિંગ સ્કૂલો સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો અને સૌથી વધુ તો નર્સિંગને એક આદરપાત્ર અને મહત્વના વ્યવસાય તરીકે સ્થાપિત કર્યો.

લશ્કરી અને નાગરિકો માટેની હોસ્પિટલમાં સુધારા કરવા માટે પ્રયત્ન કર્યો, તો બીજી બાજુ નર્સોને મેડિકલ સારવારની તાલીમ આપવા માટે અને હોસ્પિટલમાં સેનિટેશનની વધુ સારી વ્યવસ્થા માટે સતત ઝઝૂમતી રહી. વળી દાયણ અને જિલ્લાઓમાં થતાં નર્સિંગ દ્વારા એણે છેક ગામડાંઓ સુધી સ્વાસ્થ્ય સેવાઓ વિસ્તારી અને હંમેશા ગ્રામજનોના સ્વાસ્થ્ય અંગે એ ચિંતિત રહેતી હતી.

આટલી કામગીરીથી સંતુષ્ટ થવાને બદલે ફલોરેન્સ નાઈટિંગેલે ભારતમાં જાહેર સ્વાસ્થ્યની સુધારા માટે ૪૦-૪૦ વર્ષ કામ કર્યું અને એમણે નોંધ્યું કે ક્રિમિયામાં કરેલી કામગીરીથી એમને વિશ્વભરમાં પ્રસિધ્ધિ મળી. પરંતુ તેઓએ કામગીરી કરતા પણ વધુ મહત્વની કામગીરી ભારતમાં કરેલી આરોગ્યસેવાને ગણે છે.

ફલોરેન્સે નાઈટિંગેલને ઈંગ્લેન્ડના યુદ્ધમંત્રી સીડની હર્બરનો સાથ મળ્યો. રાજકીય ક્ષેત્રે ફલોરેન્સ નાટિંગેલ પોતાની ભાવના અને કાર્યમાં સાથ આપનારા રાજપુરુષો સાથે સતત પત્રવ્યવહાર કર્યો. ઈંગ્લેન્ડની પાર્લમેન્ટનો એક સભ્ય હેન્ની બોનહામ કાર્ટર તો રાજકીય ક્ષેત્રે ફલોરેન્સ નાઈટિંગલના વિચારોને અત્યંત આક્રમક રીતે રજૂ કરતો રહ્યો અને તેથી કેટલાક એને 'ઓનરેબલ મેમ્બર ફોર ફલોરેન્સ નાઈટિંગેલ' એમ મજાકમાં કહેતા હતા.

જીવનભર જુદા જુદા દર્દથી પિડાતી ફલોરેન્સ નાઈટિંગેલ પોતાની દૃઢતા, માનવતા અને પારકાને ખાતર ખપી જવાની વૃત્તિને લીધે સેવાના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ બની રહી.

મનઝરૂખો

શિકાગોની હોટલમાં વેઈટર તરીકે કામ કરતા નિકલ્સનના પિતાનું એકાએક અવસાન થયું. એકાદ વર્ષ બાદ એની માતાનું મૃત્યુ થયું. અનાથ નિકલ્સન પર દયા આણીને હોટલના માલિકે એને બેલ-બૉયની નોકરી આપી. પગાર સાવ મામૂલી. પણ આ નોકરી સ્વીકાર્યા સિવાય નિકલ્સનને માટે બીજો કોઈ ઉપાય નહોતો. બેલ-બૉય તરીકે નિકલ્સનને ઘણી વાર મુસાફરોની તોછડાઈ કે અપશબ્દો સહન કરવા પડતા હતા.

એક વાર એવું બન્યું કે એક પ્રવાસીનું પાકીટ ખોવાઈ જતાં નિકલ્સન પર આરોપ આવ્યો. મેનેજરની પોલીસ બોલાવવાની ધમકીથી નિકલ્સન કાંપવા લાગ્યો. એવામાં પ્રવાસીને પાકીટ મળી જતાં નિકલ્સનને નિરાંત વળી, છતાં હોટલના મેનેજરે ઠપકો આપ્યો કે ભવિષ્યમાં તારી આવી કોઈ ફરિયાદ આવવી જોઈએ નહીં.

આખી રાત નિકલ્સન ચોધાર આંસુએ રડયો. બીજે દિવસે નક્કી  કર્યું કે પોતાની માતા જેમ કપડાં ખરીદીને વેચવા નીકળતી હતી. એમ ટાઈ, અન્ડરવેર, ટુવાલ, રૂમાલ, ને ડસ્ટર લઈને વેચવા નીકળવું. નિકલ્સન રાતદિવસ મહેનત કરવા લાગ્યો. આમાંથી પહેલે મહિને જ હોટલના પગાર કરતાં વધુ કમાણી કરી. થોડા સમય બાદ મોટર સાઈકલ ખરીદીને દૂર દૂર સુધી કપડાં વેચવા જવા લાગ્યો.

સમય જતાં તૈયાર વસ્ત્રો બનાવતી કંપનીની કમિશન એજન્ટ બન્યો અને સિલાઈના ચાર મશીન વસાવીને એક કટિંગ માસ્ટરને નોકરીએ રાખી જુદી-જુદી સ્ટાઈલનાં વસ્ત્રો બનાવવા લાગ્યો. વિખ્યાત ડ્રેસ-ડિઝાઈનરની ડિઝાઈનનો અભ્યાસ કરે અને પછી પોતાનું ભેજું લડાવી નવી ડિઝાઈન તૈયાર કરે. પહેલાં શિકાગોમાં અને પછી અમેરિકાના અન્ય મહાનગરોમાં પોતે બનાવેલા પોશાક વેચવા લાગ્યો.

થોડા સમયે વિશાળ જગ્યા લઈ મોટી કંપની ઊભી કરી દેશ-વિદેશ કપડાં મોકલવા લાગ્યો અને સમય જતાં નિકલ્સન અમેરિકાનો સૌથી મોટો ફેશન-ડિઝાઈનર બન્યો.

ક્ષણનો સાક્ષાત્કાર

બે મહિનાના લોકડાઉન પછી ફેક્ટરીની દુર્દશા જોઈને ઉદ્યોગપતિ બોલી ઊઠયા, 'આ તો ડિઝાસ્ટર થઈ ગયો. હવે ફરી ઊભા થઈ શકાય તેમ નથી.'પુષ્કળ મેહનત કરી તેજસ્વી વિદ્યાર્થીને ઉચ્ચ પરીક્ષામાં નિષ્ફળતા મળતાં એ માની લે છે કે હવે બધું ખતમ થઈ ગયું. અભ્યાસ કરવાનો કોઈ અર્થ નથી. ક્રિકેટમાં ટેસ્ટ પ્રવેશે કંગાળ દેખાવ કરનાર ખેલાડી મનમાં એવી ગાંઠ મારી દો છે કે મારી આજ સુધીની મહેનત પર પાણી ફરી વળ્યું. હવે આ બેટ અને બોલને અભરાઈએ ચડાવી દેવાં છે.

પોતાના કાર્યમાં નિષ્ફળતા મળતાં તરત વ્યક્તિ એના પૂર્ણવિરામ તરફ ઘસી જાય છે. નિષ્ફળતા મળ્યા પછી સાંભળવા પડતાં મહેણાંટોણાં કે સહેવી પડતી ઉપેક્ષા કે અવગણના એના 'બધું માંડી વાળવાનાં' નિરધારે વધુ દૃઢ બનાવે છે.

મારું કહેવું છે કે તમારી નિષ્ફળતાને તમે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ માનો. એ દુ:ખદ ઘટના અથવા એ હતાશાભરી સ્થિતિને મિત્રભાવે જુઓ. શત્રુ તરીકે નહીં. એના પ્રત્યેનો અભિગમ બદલતાં જ એ નિષ્ફળતા તમને કહેશે કે તમારી ક્યાં ચુક થઈ હતી અને હવે ભવિષ્યમાં એક ચુક ન થાય તે માટે પૂરેપૂરા જાગ્રત રહેજો. એ તમારી અશક્તિ બતાવીને કઈ શક્તિ કેળવવાની જરૂર છે એની સમજ આપશે. વિજય મર્ચન્ટ કે સચિત તેંડૂલકર જેવા ખેલાડીઓ સતત પોતાની ક્ષતિ શોધતા હતા અને પછી એને સુધારવાનો મરણિયો પ્રયાસ કરતા હતા. આને કારણે તો તેઓ મહાન ખેલાડી બન્યા.

આમ નિષ્ફળતા એ તમને વધારે શક્તિવાન બનવા માટે હાકલ કરે છે. ભૂલો પ્રત્યે સમજદાર બનીને એના નિવારણ માટે સજ્જ કરે છે. આમ જે ભૂલોમાંથી શીખે છે, એ જ પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરે છે. તમારી ભૂલો, ક્ષતિઓ કે નિષ્ફળતાઓ પ્રત્યે યોગ્ય અભિગમ દાખવશો. તો તમે વધુ શક્તિશાળી, વધુ સમજદાર કે વધુ વિચારશીલ બનશો.

Tags :