Get The App

દીપાવલી પર્વ : મનોમંથન કે મનોરંજન ? .

Updated: Nov 11th, 2023

GS TEAM


Google News
Google News
દીપાવલી પર્વ : મનોમંથન કે મનોરંજન ?                                 . 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- દીપાવલી એ અમાસની અંધારી રાતે પ્રકાશિત થઈને અજ્ઞાન, અણસમજ અને દુર્વૃત્તિઓનાં ગાઢ અંધકારમાંથી માનવીને જ્ઞાનનાં પ્રકાશ તરફ લઈ જવાનું પર્વ છે 

આ પણા જીવનમાં લેખાં-જોખા કરીને મનોમંથન કરવાના સમયને આપણે સ્થૂળ મનોરંજનમાં પલટાવી નાખ્યો છે. આપણા ઉત્સવોમાં ભારતીય સંસ્કૃતિનો જીવન દ્રષ્ટિનો જીવંત આલેખ મળે છે. એ ઉત્સવનું હાર્દ તો એમાં રહેલી કથા અને આપણું જીવન હોય છે. તેથી આ કથાઓ એ આપણી ભારતીય ભાવનાઓનો નિચોડ સમાન છે તેથી એ કથાની પાછળ રહેલી ભાવના-દ્રષ્ટિ આપણે આત્મસાત્ કરવાની હોય છે, પરંતુ આપણી આદત પ્રમાણે આપણે ઉચ્ચ આદર્શ કે ભવ્ય ભાવનામાં આપણો પોતાનો કચરો નાખીએ છીએ અને એને વિકૃત બનાવી દઈએ છીએ. પછી ઉત્સવોમાંથી એ કથાઓ ચાલી જાય, એની દ્રષ્ટિ ચાલી જાય, પૂર્વજો પ્રત્યેનો ભાવ સમૂળગો લુપ્ત થઈ જાય અને ઉત્સવ એ કેવળ રજાની ગણતરી અને મોજ-મજા, આરામ કે પ્રવાસને અવસર બની જાય.

ક્યારેક એ ઉત્સવ સાંજે કે રાત્રે ઉજવવાનો હોય છે, પણ આપણે ત્યાં ઉત્સવોને નામે રજાનો કે કામચોરીનો રોગ લાગુ પડયો છે. એ ઉત્સવોને આપણે કેવળ રજાની મજામાં ફેરવી નાખ્યા છે અને એથી તો ગોકુળષ્ટમીની ભાવના તો ક્યારની ય વિદાય થઈ ગઈ. વર્તમાન સમયનાં અનિષ્ટો જોતાં તો શ્રીકૃષ્ણને પુનઃ અવતાર ધારણ કરવો પડે છે. એમાં પણ જન્માષ્ટમીને તો તો જુગારાષ્ટમી બનાવીને તો હીનતાની પરાકાષ્ટા સર્જી દીધી છે.

હકીકતમાં આ ઉત્સવોની પાછળ ભાવનાનું મહત્વ છે. જો ભીતરમાં ભાવના નહીં હોય તો ઉત્સવ માત્ર યાંત્રિક ઉજવણી બની રહેશે. માનવજીવનને ઊંચે લઈ જવાને બદલે એનામાં જડતા, પ્રમાદ અને અનિષ્ટનું નિર્માણ કરશે. પરિણામે ગતાનુગતિક પરંપરાથી સમજ્યા વિના ઉજવાતા ઉત્સવોનો કોઈ અર્થ સરતો નથી. એમાં ય આપણા દેશમાં જ્યાં માનવીના જીવનનો ઘણો મોટો ભાગ સંસાર વ્યવહારમાં અથવા તો કાર્ય પ્રત્યેની નિષ્ઠાના અભાવમાં કે પછી એક પ્રકારની આળસમાં વેડફાતો હોય છે, ત્યારે એમ લાગે કે આ ઉત્સવ એ ક્યારેક વ્યક્તિના સમય, શક્તિ અને સંપત્તિનો બગાડ કરે છે.

ઉત્સવનો એક અર્થ છે જીવનમાં આનંદનું નિર્માણ, પણ આપણે જ આપણા અંતઃકરણને સવાલ કરવો જોઈએ કે આ ઉત્સવો ગયા પણ અંતઃકરણમાં કોઈ નવી ભાવના જાગી ખરી ? જીવનમાં કોઈ નવો આનંદ અનુભવ્યો ખરો ? કે પછી માત્ર રોજિંદા કામમાંથી મળતી મુક્તિને કારણે એનો આનંદ ભોગવીએ છીએ. શું એ ઉત્સવમાં આપણા જીવનના પ્રેય અને શ્રેય બંનેનો સમન્વય સધાયો હોય છે ખરા ? એ ઉત્સવની ભાવનાએ આપણા ભીતરમાં કોઈ નવો ઉજાસ પાથર્યો હોય છે. આપણને એણે જીવન-વિકાસ માટે કોઈ નવી રાહ બતાવી છે ? આપણું જીવન ઉર્ધ્વગામી બન્યું છે ખરું ? ગાંધીનું દર્શન, મહાવીરનો ત્યાગ કે ઈસુની કરૂણા એ ઉત્સવો નિમિત્તે આપણામાં જાગી છે ખરી ?

વાત એટલી છે કે આપણે આ ઉત્સવોને નવેસરથી પામવાને પારખવા જોઈએ. એ ઉત્સવોમાં રહેલી ભાવનાઓનો પ્રસાર કરવો જોઈએ અને જેમ લોકમાન્ય તિળકે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવને સાવ ભિન્ન રૂપ આપી દીધું. એવું ભિન્ન રૂપ આપવાની જરૂર છે.

હકીકતમાં ઉત્સવ શબ્દ ઁજીશ્ર + હિં' ધાતુમાંથી બન્યો છે અને એનો અર્થ એ છે કે ઉત્સવ એટલે જે ઉર્ધ્વ જન્મ કરાવે તે.

આપણા ભીતરની ઉર્ધ્વતા એનાથી સધાય. જીવનને કોઈ ગતિ કે માર્ગદર્શન મળે. હોળીમાં આપણા વહેમો, દૂષણો અને જાતિ-જાતિ વચ્ચેનાં ભેદોને બાળી નાખીએ, દિવાળીમાં જીવનનો હિસાબ મેળવીએ, રક્ષાબંધન કે ભાઈબીજમાં ભગિની પ્રત્યેના ભાવનું સર્વધન કરીએ. આ ઉત્સવ એ આપણા જીવનના અરિસામાં આત્મપ્રતિબિંબ જોવાનો અને અંતરખોજ કરવાનો સમય છે. દીપાવલીના સમયે વર્ષભરનાં નફા-તોટાનો વેપારી વિચાર કરતો હોય છે. એ જ રીતે વ્યક્તિએ માત્ર ગત વર્ષનું જ નહીં, પણ એના આજ સુધીના જીવનનું સરવૈયું કાઢવું જોઈએ. પોતાના હૃદયમાં રહેલા ભાવોની ચિકિત્સા કરતો હોય છે અને નવા વર્ષના દિવસે પુરાંતમાં ઉર્ધ્વજીવનનો ઉત્સાહ અને સર્વવ્યાપી પ્રેમ કઈ રીતે વધે એનો વિચાર કરે છે.

વળી દીપોત્સવી પર્વમાં ઘેર ઘેર દીવા પ્રગટે છે, પણ એ દીવા પ્રગટે ક્યારે ? જ્યારે ધનતેરસ અને કાળીચૌદસનો મર્મ સમજીએ ત્યારે અમાસની અંધારી રાતે દીવાઓ પ્રગટાવી એને પ્રકાશિત કરીએ છીએ. ધનતેરસે લક્ષ્મીની ચંચળતા વિશે વિચારીએ છીએ. આ લક્ષ્મી માનવીને સન્માર્ગે વાળે અથવા તો કુમાર્ગે પણ લઈ જાય. ભોગ અને ત્યાગ બંનેમાં લક્ષ્મીનો ઉપયોગ થાય છે, પણ તે સાવ જુદી રીતે. લક્ષ્મીનો અહીં અનાદર નથી, પણ યોગ્ય આદર છે. કારણ એટલું જ કે વિકૃત માર્ગે વપરાતી લક્ષ્મી એ પતન લાવનારી છે અને એનો સુયોગ્ય ઉપયોગ વ્યક્તિના જીવનમાં ઉર્ધ્વતા લાવનારો છે.

જ્યારે કાળીચૌદસ એ નરકાસુરના નાશની કથા સાથે જોડાયેલી છે. ત્રાસમુક્તિનું આ પર્વ છે અને એ પર્વ અસુરના નાશનું છે. એ અસુરનો નાશ થતા લોકો સુંદર અને કિંમતી વસ્ત્રો પહેરીને ફરવા નીકળ્યા. નરકાસુરના નાશની આ કથા હોવાથી કાળીચૌદસ એ નરક ચતુર્દશી પણ કહેવાય છે. આજે વિચારીએ તો આ જગત પર અંધારી રાત ફેલાયેલી છે. આ નરક ચતુર્દશીએ આળસ, પ્રમાદ, અનાચાર ફેલાવ્યા છે. માનવ દાનવ બન્યો છે. એ સમયે જેમ શ્રીકૃષ્ણએ નરકાસુરનો નાશ કર્યો હતો, તો આજે બીજા નરકાસુરોનો નાશ કરવાનો આ સમય છે. નરકાસુરના એ સમયની સ્થિતિ આપણને આજના જગત વિશે વિચારતા કરી દે છે.

દીપાવલી એ અમાસની અંધારી રાતે પ્રકાશિત થઈને અજ્ઞાન, અણસમજ અને દુર્વૃત્તિઓનાં ગાઢ અંધકારમાંથી માનવીને જ્ઞાનનાં પ્રકાશ તરફ લઈ જવાનું પર્વ છે. પણ હૃદય પર હાથ મૂકીને વિચારીએ કે દીપાવલી પૂર્વે બહારના કે ભીતરના કોઈ નરકાસુરનો નાશ કરવાનો વિચાર કર્યો છે ખરો ? આ જગતને કોઈ ત્રાસમાંથી, ગરીબીમાંથી કે અજ્ઞાનતામાંથી મુક્ત કરવાનો ભાવ સેવ્યો છે ખરો ? દીપોત્સવી મહોત્સવ ઉજવીને પોતાના અંતરનાં અજવાળાંને ઓળખવા પ્રયાસ કર્યો છે ખરો ? બહાર તો દીવા પ્રગટાવીશું, પણ દિલમાં દીવો પ્રગટાવ્યો છો ખરો ? કારણ એટલું જ કે બહાર સેંકડો દીવા પ્રગટાવીએ તો માત્ર બહારના જગતમાં પ્રકાશ રેલાશે જ્યારે આપણે તો ભીતરનો દીવો પ્રગટાવવાનો છે અને એ પ્રગટાવીને નૂતન વર્ષમાં પ્રવેશવાનું છે.

આપણી આ કથાઓ માનવજીવન સાથે જોડાયેલી છે, પણ આજે એ કથાઓ અને માનવીના જીવન વચ્ચે કોઈ સાંધતી કડી નથી, જેને પરિણામે એ કથા માત્ર વાર્તામાં પરિણમે છે અને એની ભાવનાઓ ભુલાતી જાય છે. નૂતન વર્ષના દિવસે બલિનો વામને પરાજય કર્યો અને એની સ્મૃતિમાં નવું વર્ષ એ બલિ પ્રતિપદા કહેવાય છે અને એનો માર્મિક અર્થ આપતા પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી અઠવલેજી કહે છે કે, 'તેજસ્વી વૈદિક વિચારોની ઉપેક્ષા કરી વર્ણાશ્રમ વ્યવસ્થાને ઉધ્વસ્ત કરનાર બલિનો વામને પરાભવ કર્યો. 

તેની સ્મૃતિમાં બલિ પ્રતિપદાનો ઉત્સવ ઉજવવા લાગ્યો. બલિ દાનશૂર હતો. તેના ગુણોનું સ્મરણ નવા વર્ષને દિવસે આપણને ખરાબ માણસોમાં રહેલા શુભત્વને જોવાની દ્રષ્ટિ આપે છે.  કનક અને કાન્તાના મોહમાં બંધ બનેલો માણસ અસુર થાય છે, તેથી બલીનો પરાભવ કરનાર ભગવાન વિષ્ણુએ, કનક અને કાન્તા તરફ જોવાની વિશિષ્ટ દ્રષ્ટિ આપતા બે દિવસો પ્રતિપદાની આસપાસ ગોઠવી, ત્રણ દિવસનો ઉત્સવ મનાવવાનો આદેશ કર્યો. દિવાળીના દિવસે કનક એટલે કે લક્ષ્મી તરફ જોવાની પૂજ્ય દ્રષ્ટિ કેળવવાની અને ભાઈ-બીજના દિવસે સમસ્ત સ્ત્રી જાત તરફ મા કે બહેનની દ્રષ્ટિએ જોવાનું શિક્ષણ લેવાનું. સ્ત્રી એ ભોગ્ય નથી તેમજ ત્યાજ્ય પણ નથી. તે પૂજ્ય છે એવી માતૃદ્રષ્ટિ આપનાર સંસ્કૃતિ જ માનવને વિકારો સામે સ્થૈર્ય જાળવવાની શક્તિ આપી શકે. મોહ એટલે જ અંધકાર. દીપોત્સવી એટલે અજ્ઞાન અને મોહના ગાઢ અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ !

આ રીતે ધનતેરસનો સંદેશ લક્ષ્મીના ઉચિત ઉપયોગનું સૂચન કરે છે. કાળીચૌદશ દેશનાં અને દિલનાં નરકાસુરોનો નાશ કરવાની પ્રેરણા આપે છે અને દિવાળીના દિવસે નવો પ્રકાશ પ્રાપ્ત થાય છે. જીવનમાં જે વેર, ઝેર અને દ્વેષ હોય એને ઓગાળીને નવા વર્ષના શુભ સંકલ્પનો પ્રારંભ થાય છે. ઉત્સવોની આ દ્રષ્ટિ, એની કથાઓનો મર્મ અને સંસ્કૃતિનાં પ્રાણનો જ્યારે વિચાર કરીશું, ત્યારે આપણે સમજણનાં તેજસ્વી દીપક પ્રગટાવી શકીશું અને એના એ તેજથી નવું વર્ષ અને શેષ જીવન ઉજમાળ કરી શકીશું.

મનઝરૂખો

રોબર્ટ હટકિન્સ નામના યુવકે પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી. અમેરિકાની પ્રસિદ્ધ યેલ યુનિવર્સિટીમાંથી એ સ્નાતક થઈને બહાર નીકળ્યો, પરંતુ આ ગરીબ છોકરાને કોણ નોકરીએ રાખે ? આથી એણે હોટલમાં વેઈટરની નોકરી સ્વીકારી. એ પછી ભંગાર ભેગો કરનારા કબાડી તરીકે કામ કર્યું. ક્યાંક ટયૂટર તરીકે ભણાવવા લાગ્યો તો પછી સાબુના સેલ્સમૅન તરીકે પણ એ ઠેર ઠેર ફરવા લાગ્યો. પરંતુ પોતાના પ્રયત્નોમાં કોઈ કચાશ રાખી નહીં અને એનું ચમત્કારિક પરિણામ એ આવ્યું કે માત્ર આઠ જ વર્ષમાં આ તેજસ્વી વિદ્યાર્થી ઘણું ઊંચું પદ પામ્યો.

અમેરિકાની ચોથા ક્રમની જાણીતી યુનિવર્સિટી શિકાગો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તરીકે માત્ર ત્રીસ વર્ષની ઉંમરે નિયુક્ત થયો.

અખબારોએ એની આ સિદ્ધિને 'યુવા-ચમત્કાર' ગણાવી. એને વિશે પ્રશંસાના લેખો પ્રસિદ્ધ થયા, પણ સાથોસાથ એને વિશે ટીકાઓ પણ થવા લાગી. કોઈએ એની વયને જોઈને કહ્યું કે, 'એ તો સાવ બાળક જેવો છે. એને ક્યાંથી શિક્ષણની ગતાગમ પડે.' કોઈએ એના શિક્ષણવિષયક ખ્યાલોનું વિશ્લેષણ કરીને  સાવ વાહિયાત હોવાનું જાહેર કર્યું.

ટીકાની દોડમાં અમેરિકાનાં મોટાં અખબારો પણ જોડાયાં અને એમણે આ યુવાનની ઠેકડી ઉડાડી. આ સમયે રોબર્ટ હટકિન્સના પિતાને એમના એક નજીકના મિત્રએ કહ્યું, 'જુઓ, તમારા દીકરાની કેવી દશા થઈ છે! નાની ઉંમરમાં આટલી મોટી સિદ્ધિ મેળવી એ સાચું. પરંતુ એને વિશે અખબારોમાં કેટલી બધી ટીકાઓ, આક્ષેપો થાય અને અભિપ્રાયો પ્રગટ થાય છે. એનાથી ખૂબ દુઃખ થાય છે અને હૃદય બેચેન બની જાય છે.'

રોબર્ટ હટકિન્સના પિતાએ કહ્યું, 'સાવ સાચી વાત છે તમારી. એના પર બેફામપણે ટીકા-ટિપ્પણીનો વરસાદ વરસે છે, પણ એક વાત યાદ રાખવી જોઈએ કે આ દુનિયામાં કોઈ માણસ મરેલા કૂતરાને લાત મારતો નથી.'

ક્ષણનો સાક્ષાત્કાર

વ્યવસાયના બોજનું સતત રટણ કરીને વ્યક્તિ ગ્લાનિની ઉપાસના કરે છે. એના ભાર હેઠળ દબાઈને એ બ્લડપ્રેસરને ઊંચું લાવે છે. વ્યવસાય એ જ્યારે કાર્ય બની જાય છે, ત્યારે બોજનું રૂપ ધારણ કરે છે. આવો બોજ જીવનને નિરસ, શુષ્ક અને ક્યારેક ચીડિયું બનાવી દે છે અને પછી તમે જીવનમાં રોજ એ કરમાઈ ગયેલા છોડને પાણી પાઈને ઉછેરવાનો પ્રયત્ન કરતા રહેશો. ઉશ્કેરાટ તમારા મનમાં રહેશે અને ઉદાસીનતા તમારા ચહેરા પર રહેશે. માત્ર યંત્રવત્ કાર્ય કરતા રહેશો અને ધીરે ધીરે એ બોજ કમને થતી વેઠ બની જશે અને તમારા જીવનમાં સુસ્તી ધામા નાખશે.

જો વ્યવસાયમાં પોતિકી ભાવનાનું આરોપણ કરશો તો એ આનંદનું સરનામું બની રહેશે. 'આ મારું કામ છે', એવી ભાવના ભીતરમાં જાગે, ત્યારે એ કામનો અધિકો આનંદ થશે. એમાં મારાપણાનો સંચાર થતા વ્યવસાયનો બોજ ઉતરી જશે અને એની સાથે અંતરનો ઉમંગ ગૂંથાઈ જશે.

'આ મારું સ્વજન છે' કે પછી 'આ મારું સર્જન છે', એમ જ્યારે અનુભવશો ત્યારે એ વ્યવસાય પ્રત્યે પ્રેમ જાગશે. કઠિનમાં કઠિન કાર્ય સરળ બની જશે. મને એના ભારથી ભાંગી નહીં જાય, પણ એની ભાવનાથી હસતું રહેશે. આને પરિણામે તમારા કાર્યમાં એક એવી નિષ્ઠાનો સંચાર થશે. અગાઉ જ્યાં ગ્લાનિ હતી ત્યાં હવે ઉલ્લાસનો અનુભવ થશે. આથી જીવનની ખૂબી જ એ છે કે વ્યવસાયને જો વેઠ માની લીધી, તો એ વ્યવસાય જીવનના આનંદ અને ઉલ્લાસને ગળી જશે. જો એમાં આનંદની ભાવનાને ગૂંથી શક્યા તો એ વ્યવસાય તમારા જીવનનો ઉત્સવ બની જશે.

Tags :