Get The App

અરે ઓ પાપીસ્તાન..ઘર મેં ઘૂસકર મારા હૈ, કબ્ર તુમ્હારી ખોદી હૈ... ભારત કી ગદ્દી પર બૈઠા, દેખો યહ મોદી હૈ! .

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
અરે ઓ પાપીસ્તાન..ઘર મેં ઘૂસકર મારા હૈ, કબ્ર તુમ્હારી ખોદી હૈ...  ભારત કી ગદ્દી પર બૈઠા,  દેખો યહ મોદી હૈ!                     . 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- ઓપરેશન સિંદૂર થકી એક તીરથી કેવાં અનેક નિશાન આપણે તાક્યાં છે એનો ચિતાર જાણો, પણ આ યુદ્ધ માત્ર સીમાપારનું નથી, વિચારનું પણ છે!

- સોફિયા કુરેશી

कहेके गये थे ना तुम उनको-

बता देना तुम मोदी को ?

बताया जब यह मोदीजी को,

बता दिया ना मोदीने ?

र्इट होती तो पत्थर लेते

गोली पर गोला दाग दिया ।

भूल गये तुम दहेशतगर्दो,

खूद ही मौत को मांग लिया ।

यह तो होना ही था कहा था,

याद है या तुम भूल गये ?

चूनके मारेंगे तुम को

है भारत के अंदाज नये

निर्दोष निःशस्त्र के हत्यारों को 

मार गिराया मोदीने ।

बताया जब यह मोदीजी को,

बता दिया ना मोदीने ?

पुत्री की आंख के सामने तुमने 

पिता को गोली मारी थी 

मां की आंखो के आगे 

पुत्रों की लाश बिछाइ थी

हैवानों की हरकत से तब

मानवता शरमाइ थी

पत्नी के सिंदूर को पोंछा

तब ही कसम यह खाइ थी 

ओपरेशन सिंदूर की शक्ति को 

दिखलाया मोदीने

बताया जब यह मोदीजी को,

बता दिया ना मोदीने ?

एक है सोफिया, एक व्योमिका,

बहादूर बेटियां भारत की 

नींव हिला कर रख दी है

आंतकी नापाक इमारत की

सिंदूर की ताकात दिखलाइ

जब घर में घूसकर के मारा 

जय हिंद और जय हिंद की सेना,

गर्वान्वित भारत सारा

कहा था जो वह किया,

खून के आंसु ऱुलाया मोदीने

बताया जब यह मोदीजी को,

बता दिया ना मोदीने ?

સા ત મેની તારીખે 'સાથ મેં' આખા દેશનો જે મૂડ હતો એનું પ્રતિબિંબ તુષાર શુક્લની આ કવિતામાં છે. જેમ સુરક્ષા ચૂક બાબતે કે હેડ ને બદલે હેડલાઈનના ડેમેજ કન્ટ્રોલ બાબતે અણિયાળા સવાલો પૂછવાનો અપજશ જો સરકારના વડા તરીકે પ્રધાનમંત્રીને મળે તો આ નક્કર નિર્ણયાત્મકતાનો જશ પણ મળે. આમ પણ સ્ટોપ પ્રેસ આ લખાય છે ત્યારે એટલો ખ્યાલ તો આખી દુનિયાને આવે છે કે આમાં દેખીતી રીતે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ટ્રેડમાર્ક પર્સનલ ટચ છે. નામ જ એમણે આપ્યું એ તો જગજાહેર થઇ ગયું છે. માત્ર આ નામ પણ દુશ્મન પર ફેંકાયેલો એક માનસિક હાઈડ્રોજન બોમ્બ છે ! જેહાદી ઇસ્લામિક ત્રાસવાદીઓએ સ્ત્રીઓના સુહાગ એમની નજર સામે પહેલગામમાં ટાર્ગેટ કરીને ઉજાડયા હતા, એનો બદલો લેવાનો હોય તો એક ચુટકી સિંદૂરની કિંમત એમણે ચૂકવવી પડે. વળી, એ ત્રાસવાદીઓએ ધર્મ પૂછયો હતો મારતા પહેલાં હિદુઓને મારવા, તો સિંદૂરનું દાંપત્યમાં મહત્ત્વ માત્ર હિંદુ ધર્મમાં છે. સેંથામાં સિંદૂર એ લગ્નમાં પતિના આયુષ્યનું પ્રતીક છે, જે વિધવા થયા પછી પુરાતું નથી. એટલે ધર્મ જ પૂછવો હોય તો જવાબ ધર્મના પ્રતીકથી પણ અપાશે. 

અને સિંદૂર કેટલાક વામપંથી વિષાણુઓને ટોકનિઝમ લાગ્યું તો એમને કહેવાનું કે આ સિમ્બોલિઝમ છે. એક પ્રકારનો આર્ટીસ્ટિક કલ્ચરલ ટચ છે, જેનો અભાવ જ માણસને શેતાની ટેરરિસ્ટ બનાવે છે. પ્રતીકોમાં વાત કહેતા આવડે એ તો યુધ્ધના મેદાન વચ્ચે ગીતા જેવી કવિતા છે. ભારતનો વારસો છે. ને સાંસ્કૃતિક વારસા વિના તો ભારત ભારત જ ના રહે . માત્ર સરહદ કે નકશો  એ દેશ નથી. વિચારધારા અને સાંસ્કૃતિક ઓળખ એ પણ દેશ છે.

અને એ જ વારસામાં સિંદૂર માત્ર સુહાગ સાથે જ જોડાયેલું નથી. વીર, ધીર એવા પરમપરાક્રમી ચિરંજીવ હનુમાનજી સાથે પણ એનો અભિન્ન નાતો આપણા દેશના ગામેગામ છે. બજરંગબલિ પણ એક મેસેજ છે. રામ સીતા વનમાં વિહાર કરતાં કિલ્લોલ કરતાં હતાં. એકમેકના આનંદમાં ગૂંથાઈને ભાઈ લક્ષ્મણ સાથે શાંતિ અને પ્રેમથી પ્રકૃતિના સૌંદર્યનો આનંદ ઉઠાવતા જીવન પસાર કરતાં હતાં. એ રાવણને નડવા નહોતાં ગયાં. સામેથી શૂપર્ણખા અને રાવણ વારાફરતી આવ્યાં. રાવણે સીતા પર ત્રાસ ગુજાર્યો ત્યારે પ્રતિશોધ નહિ, પણ ન્યાયની ભાવના સાથે રામ મેદાને પડયા અને સીતા થકી સ્ત્રી ગૌરવનું સન્માન હનુમાનજીએ પ્રભુ મુદ્રિકા મેલી મુખ માંહીં એમને શોધીને શત્રુના ઘર લંકામાં ઘૂસીને કર્યું.

બજરંગબલિએ લંકાના નાગરિકોને ઈજા ના કરી ને સામા પક્ષે રહેલા વિભીષણ જેવા સારા શુભચિંતક સાથે તો વ્હાલભરી મુલાકાત પણ કરી. પણ ટાર્ગેટ કરીને રાવણ તથા એની જોડે રહેલા ઉન્માદી રાક્ષસો સામે શક્તિપ્રદર્શન કરીને લંકા બાળી, જે એકઝેટલી આપણી મહાન સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં ૯ ત્રાસવાદી અડ્ડાઓનો સફાયો કરીને રિપીટ કર્યું કે હજુ આ યુદ્ધ નથી. પણ આ જ્વાળા એક ઝલક છે અમારી તાકાત અને સંકલ્પની. માટે ચેતજો. અને આ વખતે તો આ મિસાઈલ સ્ટ્રાઈકના પુરાવા ખુદ પાકિસ્તાને જ કબૂલ કરીને આપ્યા છે !

સિંદૂર એ હનુમાનજીની જેમ જ સૌરાષ્ટ્રમાં તો આબરૂ કાજે લડતા લડતા વીરગતિને પ્રાપ્ત થયેલા શૂરાઓની ખાંભીએ પણ ચડાવાય છે. ત્રાસવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષોના અને સુરક્ષા માટે માતૃભૂમિ પર મારી ફિટેલા જવાનોના પાળિયા પર જાણે આ અભિષેક છે. ભારત સરકારે જ કહ્યું કે છેલ્લા એક દસકામાં જ ક્રોસ બોર્ડર ટેરરિઝમમાં ૩૫૦થી વધુ સિવિલિયન્સ અને ૬૦૦થી વધુ સુરક્ષાકર્મીઓએ પ્રાણ ગુમાવ્યા છે. એટલે જ છેલ્લા થોડા સમયથી બેનમૂન રીતે કોઈ સંઘ પરિવારના આગેવાન કરતાં પણ વધુ આક્રમક અને આકર્ષક રીતે પાકિસ્તાનની ધોલાઈ કરતા પહેલેથી જ ઉત્તમ વક્તા એવા અસદદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે હવે પાકિસ્તાનને સમજાવવાનો નહિ, સજા દેવાનો આ સમય છે. ૩૨ વર્ષ પહેલાં ખુદ પાકિસ્તાનનો રિપોર્ટ હતો કે ભારત તૂટી પડે તો એની સેના જ નષ્ટ થઇ જાય પણ એ મોકો ચુકાયો તો હવે પરમાણુ સત્તા ને બદલાયેલાં સમીકરણોમાં સીધું પૂરું યુદ્ધ આપણાથી શરુ થાય નહિ, એટલે પાકિસ્તાનને ઉશ્કેરીને મોકો ઝડપવો પડે યુદ્ધ કરવું હોય તો પણ.

એની વે, આ નિમિત્તે દેશમાં સિંદૂરને પણ યાદ કરવામાં આવ્યું. 

***

સિંદૂરનો છોડ હોય છે, એ ઘણાને ખબર નહિ હોય. એ આસાનીથી દેખાતો નથી. એને કામિલા ટ્રી કહેવાય છે. એનું ઝાડ ૨૦થી ૨૫ ફીટ ઊંચું હોય. આ ઝાડના ફળમાંથી નીકળતા બીજને પીસીને સિંદૂર બનાવવામાં આવે છે. ફળો ઝૂમખામાં આવે છે, જે શરૂઆતમાં લીલા રંગનાં હોય છે, પરંતુ પછીથી આ ફળ લાલ રંગમાં ફેરવાઈ જાય છે. આ ફળોની અંદર જ સિંદૂર હોય છે. સિંદૂર નાના દાણાના રૂપમાં હોય છે, જેને પીસી શકાય છે. હળદર, ચૂનો, અમુક રસાયણો જેમ કે મર્ક્યુરી સલ્ફાઇડ વગેરે થકી બજારમાં વેંચાતું સિંદૂર પાવડર કે લિક્વિડ રૂપમાં તૈયાર થાય. સિંદૂર કેસરિયા રંગનું હોય ને એને લાલ કે મરૂન રંગ આપવામાં આવે થોડી પ્રોસેસથી એટલે એ કંકુ થઇ જાય. હવે તો જો કે મોટે ભાગે કુમકુમ કે સિંદૂર કેમિકલ પ્રોસેસથી સિન્થેટિક જ બને છે. સિંદૂર નામ ટાઈટલમાં હોય એવી ઘણી ફિલ્મો પણ છે.

આદિ શંકરાચાર્યે આજકાલના સનાતનના નામે અરસિક જડસુ બનીને એક રીતે તાલિબાની કોપીકેટ થનારા બુદ્ધિબુઠ્ઠાઓના ડોળા તડબૂચ જેવા થઇ જાય એવી શૃંગારિક સ્તુતિ મા ભગવતીની સૌંદર્યલહરી રૂપે લખી છે, જેના અનુવાદનો લેખ વર્ષો પહેલાં લખેલો. એમાં કેવો સુંદર કાવ્યાત્મક શ્લોક છે કે, 'એમના લલાટ પર પાથી પાડવામાં આવી છે જે ફરતા વાળના ઉછળતા મોજાં વચ્ચે એક નહેર જેવી લાગે છે. જેમનું સિંદૂર જાણે ઉગતા સુરજ જેવું ભાસે છે (માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો !) અને એની સામે કાળા કેશ જાણે બંદીવાન બનાવેલા અંધારાના શત્રુસૈનિકો ! આહા !

શક્તિપીઠોમાં જે રંગની ચૂડી મૂર્તિને પહેરાવાય એ સિંદૂર પીવાથી ગળું ખરાબ થાય એ સિચ્યુએશનનો ઉપયોગ અમિતાભ બચ્ચન શશી કપૂરની કોમેડી ફિલ્મ 'દો ઔર દો પાંચ'માં બખૂબી કરવામાં આવેલો. સિંદૂરના ડાઘ ઝટ જાય નહિ. અને ગળું બંધ કરી દે તો અવાજ નીકળે નહિ, ઘોઘરો થઇ જાય ! આમ જ ભારતની વીર સેનાની ત્રણે પાંખોએ સલામીને લાયક ઓપરેશન કરીને પાકિસ્તાનની જબાન ખેંચી લીધી છે !

***

પક્ષભક્તોએ મેસેજોમાં ચગાવીને જેને સસ્તો કરી નાખ્યો છે, એ માસ્ટરસ્ટ્રોક શબ્દનો ખરો ઉપયોગ બોર્ડર પર નહિ પણ એ સિવાય પ્રેસ કોન્ફરન્સના ઓર્ડરમાં આપણે બતાવ્યો. આ પણ મોદીવિઝન. કારણ કે, આ યુદ્ધ કેવળ સરહદ પાર લડવાનું નથી. ઇસ્લામના મઝહબી આદેશોનું પોતાને અનુકૂળ અનર્થઘટન કરીને આધુનિક મિજાજના મુસ્લિમોને પણ નડતા કનડતા અને દુનિયાના બીજા ધર્મો કે દેશોના નિર્દોષ નાગરિકોને શાંતિ અને આનંદથી જીવવાનો અધિકાર છીનવી લેતા, જેહાદ જેવા આત્મકલ્યાણના શબ્દને હિંસાહોળીમાં ફેરવતા ત્રાસવાદીઓ એક શૌચાલયમાં ફ્લશ કરવા જેવી ધર્માંધ સોચ ધરાવે છે, એની પણ સફાઈ કરવાની છે. એ રાજકીય યુદ્ધ નથી. વૈચારિક છે અને બહુ લાંબુ ચાલવાનું છે. આપણે એમાં પણ શતરંજની ચાલ જેવો પાસો ફેંકીને મલ્ટિપલ મેસેજ દુનિયાને આપ્યા છે. 

સમજો, કટ્ટર ઇસ્લામિક સિસ્ટમ જ પુરુષપ્રધાન છે. શરિયાના કાનૂન મુજબ જીવતા પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન, સાઉદી વગેરેમાં સ્ત્રીઓ રીતસર ઝઝૂમી રહી છે, મોકળાશના શ્વાસ માટે. મનગમતી મોજની આઝાદી માટે. ફેશન પણ જીવલેણ અપરાધ ગણવામાં આવે છે ને શિક્ષણ માટે મલાલા પર ગોળીઓ ચાલે છે. ત્યારે ભારત પહેલેથી જ સ્ત્રીઓ માટે મુક્ત રહ્યો છે. વૈદિક ભારતમાં શૌર્ય અને શૃંગારમાં સ્ત્રીઓ પાછળ નહોતી. આપણા કથાનકોની નાયિકાઓ રસિક છે, અને અભયવાળી આત્મનિર્ભર પણ છે. આ દેશ રાધાનો છે અને મૈત્રેયીનો છે. એ રથના પીડામાં આંગળી ખોસી યુદ્ધમાં સાથ આપતી કૈકયીનો ને વાળ છુટા રાખી પોતાના પર નિર્લજ્જ અપમાન કરનારના લોહીથી એ બાંધવાની પ્રતિજ્ઞાા લેતી દ્રૌપદીનો પણ છે. અહીં રામકથા પણ છે, કામસૂત્ર પણ છે. અહીં કૃષ્ણ વૃંદાવનમાં રાસ પણ લે છે ને કુરુક્ષેત્રમાં શંખ પણ ફૂંકે છે. અહીં નવર્દુગાના રણચંડી સ્વરૂપ છે (એટલે ૯ ઠેકાણાં ઉડાડયા હશે ?) અને દેશનું નામ જેના પરથી આવી એવી પ્રિયતમા અપ્સરા મેનકા પણ છે. અહીં જુલ્મી અસુરો સામે ખડગ લઈને લોહીનું ખપ્પર ભરતા કાલિકાની રાતીચોળ જીભ પણ છે યુદ્ધનો નાદ જગાવતી !

આપણે કશું કહ્યા વિના ઘણું કહી દીધું, ગુજરાતના મૂળ વડોદરાના લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને આગળ કરીને. બેઉ ભારતની નારીશક્તિની પહેચાન અને ઉડાન છે. બેમાંથી કોઈ બુરખા કે ઘૂંઘટમાં નથી. સિંદૂર નામને પિતૃસત્તાક પરંપરાની સ્ત્રીઓને ગુલામ રાખતી માનસિકતા કહીને વગોવનારા વાયડાઓને પણ આ જવાબ છે. ભારતની નારી પોતાની ચોઈસ મુજબ જીવવા આઝાદ છે. એ અભયથી આત્મનિર્ણય લે છે. કરિઅર બનાવે છે. આધુનિક વસ્ત્રો પહેરે છે.

 લેટેસ્ટ ટેકનોલોજીથી રક્ષિત ને સાયન્સથી શિક્ષિત છે. પતિઓનું બુરખાબંધ ઘરમાં નજરકેદ પગલૂછણિયું નથી. એ આપણે બતાવી દીધું.

અને એક મેલો મનસૂબો હતો ત્રાસવાદીઓનો, જે પારખી આગળના લેખોમાં પણ ચેતવેલા કે એ તો કાશ્મીરમાં ઘુસી હુમલા કરી શકે છે, પણ દાવ એ છે કે ધર્મના નામે રોષ ફાટી નીકળે અને દેશમાં હિંદુ મુસ્લિમ રમખાણો ફાટી નીકળે. એટલે ચેઈન રિએકશન આવે ને કશું કર્યા વિના ભારતની એકતા તૂટે, જાનમાલને હાનિ થાય. આર્થિક ફટકા પડે, જગતમાં થૂ થૂ થાય. આમે દરેક વાતે નવરા બેઠા રોજ સવારે ઉઠીને હિંદુ-મુસ્લિમની માળા તસ્બી ફેરવ્યા કરતા ફાંકાઠોક ફોલ્ડરિયાઓની જમાત વધી છે, ત્યારે ભડકો કરવા ચિંગારી જ જોઈએ ખાલી. સમજ્યા વગર મુસ્લિમ બહિષ્કારના ને એવા અવિશ્વાસના મેસેજીઝ પણ ચાલુ થઇ ગયેલા. આ વખતે તો કલાકારોથી મૌલવીઓ સુધી, વિપક્ષો પણ એકમત હતા પહેલગામ એટેકને વખોડવામાં. ત્યારે ધીરજ ને સંયમથી વ્યુહાત્મક કામ લેતા વડાપ્રધાને એક સટલ મેસેજ આપ્યો કે હમ એક હૈ, નેક હૈ, તભી સેફ હૈ.

દુનિયાને દેખાડયું કે ભારત પાકિસ્તાનમાં આર્મીનો આસિફ મુનિર આજે પણ જે ટુ-નેશન થિયરીના ફાટેલ તુંબડા વગાડે છે, એ ખોટી હતી. ગાંધી સાચા હતા. જિન્નાહના જીન્ન નહિ. ભારતમાં હિંદુ-મુસ્લિમ સાથે સુખેથી રહી શકે છે, ને અગાઉ પણ અનેક ઉદાહરણ છે એમ દેશની સેનામાં કે સ્પોર્ટ્સમાં ટીમ તરીકે એક બનીને દુશ્મનો સામે લડી શકે છે. સહઅસ્તિત્વનો ઉત્સવ પણ ત્રાસવાદ સામેનું એક યુદ્ધ છે. આપણે બધા એના યોદ્ધા છીએ. જાહેર વ્યવહારમાં મોડર્ન બનો, ધર્મને અંગત આસ્થા તરીકે જાત પુરતો રાખો. બીજા પર ના થોપો. એમાંથી માનવતાના મૂલ્યો શીખો, એને પોતાની મર્યાદા ના બનવા દો.

સોફિયા વ્યોમિકા પણ લોહીનું એક ટીપું પણ રેડયા વિનાની, પરદેશનાં શસ્ત્રોના સોદાગરોને નિરાશ કરતી આપણી એક સ્ટ્રાઈક જ હતી, કે ભારત આ છે, આ હતું અને આ રહેશે. અહીં દેશવિરોધી માનસિકતા ધરાવતા મુસ્લિમોને રસ્તો બતાડવામાં આવશે પણ પાકિસ્તાનને બદલે અહીં રહીને ભારતના સંસ્કારવારસાને આદર આપવાનું નક્કી કર્યું, એને દુનિયા સામે ચહેરો પણ બનાવવામાં આવશે. મેટ ગાલામાં જતો શાહરૂખ હોય, ઓપરેશન સિંદૂરને ફત્તેહ કહેતો મોહમ્મદ શમી હોય કે સુપ્રીમ કોર્ટે ૨૦૨૦માં જેનું આર્મીમાં મહિલાઓ માટે ઉદાહરણ આપેલું એવી ત્રણ પેઢીથી સેનાને સમપત બાયોકેમિસ્ટ્રી ભણીને વિશ્વકક્ષાએ આર્મીનું નામ રોશન કરતી કર્નલ સોફિયા કુરેશી હોય. વડોદરાની બે સોફિયા ઇસ્લામિક કટ્ટરવાદી સોચને જવાબ છે, બુરખા ફગાવી બિન્દાસ ટૂંકા વસ્ત્રો પહેરી ડાન્સ કરતી મોડલ સોફિયા અન્સારી અને સેનાનું ખમીર ને ખુમારીનું પ્રતીક સોફિયા કુરેશી. બેઉ મુલ્લાઘેલા પાકિસ્તાનના ડાબા જમણા ગાલ પર પડેલા ગુજરાતી તમાચા છે !

આ યુદ્ધ હજુ તો લાંબુ ચાલશે. એમ તો ઇઝરાયેલ પણ એટેક કરી જીતી નથી શક્યું રાતોરાત અને અમરિકા પણ. આ લડાઈ સહેલી નથી. આંતરરાષ્ટ્રીય સમીકરણો પણ છે. પાકિસ્તાનને તો ગુમાવવાનું કશું નથી, પણ આપને વિકાસ પર ફોકસ પણ કરવાનું છે. હજુ તો નવા અધ્યાય ઉમેરાશે. સિંદૂર પછી મહેંદી આવી તો આપણી ભવ્ય સેના નાપાક ધરતી પર નિર્દોષોને રંજાડયા વિના બાંગ્લાદેશની જેમ એના ટુકડા કરીને ત્રાસવાદીઓની ગોબરી સંકુચિત વિચારધારાનાં ઉછેર કેન્દ્રોનો ખાત્મો કરી સુહાગરાત પણ ઉજવે એ સામના બધા દેશવાસીઓના હોય પણ એ વિષે વિસ્તારથી પછી વાત. અત્યારે તો આપને અનુશાસનમાં રહીને સંયમથી નિયમ પાલન કરીએ. ભલે ચર્ચા કરીએ, ઝગડીએ, પણ એ જ બતાવે છે કે આપણે અંતે એક પરિવાર છીએ. ભારતનો પરિવાર. જ્યાં આઝાદીનું આસમાન પણ છે અને અને એને રોકવા માંગતા દુશ્મનોને પાતાળમાં દફન કરવાનો સામાન પણ છે. સલામ જય હિન્દ કી સેના. 

ફાસ્ટ ફોરવર્ડ

'પ્રહારાય સન્નિહિતા. જયાય પ્રશિક્ષિતા' : પ્રહાર માટે તૈયાર, વિજય માટે તાલીમબદ્ધ  ! 

(ઓપરેશન સિંદૂર વખતનું  ટવીટ)

Tags :