હેરિટેજ સિટી અમદાવાદ એટલે કે અજુબાબાદ
- રસવલ્લરી- સુધા ભટ્ટ .
અનોખું અમદાવાદ એક વ્યવસાયકેન્દ્રી નગરની સાથે સાથે અગત્યના કળાપ્રેમી પરિસર તરીકે પણ ઓળખવા માંડયું છે. વિશ્વાકાશની ક્ષિતિજે અનેકાનેક અનુપમ લલિત કળાઓનો ઉદય તો દાયકાઓ પૂર્વે થઇ ગયેલો હતો પણ હવે આકાશ ચોખ્ખું લાગે છે અને તેજસ્વી તારલાઓ જેવી કળાઓ જાણે કે પરીવૃંદની જેમ રૂમઝૂમતી મ્હાલે છે. સ્વબળે આગેકૂચ કરતી તે ઊંચે ને ઊંચે વિલસી ગગનવિહાર કરતી ભાસે છે.
દુનિયાના નામી શહેરો સંગાથે કળાના વ્યાવસાયિક પાસાંઓ પણ પાસેદાર જણાય છે. અહીં કળાકર્મીઓ છે. તો સુજ્ઞાાત કળામર્મીઓ પણ છે. ઉત્સુક રસિકોનાં ઝોલેઝોલાં આ કળાભૂમિમાં રમણ કરતાં હોય તેવો દુર્લભ નઝારો નયનરમ્ય તો લાગે જ છે પરંતુ આંખને તે ઠારે પણ છે; એ કોઇ ઓચ્છવથી ઓછો નથી. સમગ્ર કળાવિશ્વ ભૌગોલિક સીમાઓથી પર એકમેકને ચાહે છે અને એકમેક પર અવલંબેય ખરી.
આંતરરાષ્ટ્રીય સ્તરે કળાકૃતિઓ અને કળાકારો અંગે અવલોકનો, ચર્ચા-વિચારણા, તારણો અને કૃતિઓની યથાર્થતા અંગે પરામર્શ ચાલ્યા જ કરે છે જેમાં કેટલીક કૃતિઓ એની મૌલિકતાને કારણે અમર બની જાય છે ત્યારે એની અનેક અનુકૃતિઓની આવશ્યકતા ઊભી થાય છે. અનેક સંગ્રહાલયો પોતાની પાસે મૂળ કૃતિ હોવાનો દાવો કરે છે. તો શું કલાકાર સ્વહસ્તે પોતાની રચના અનેકવાર કરી શકે છે ? અને એ પણ ડિટ્ટો ટુ ડિટ્ટો ? અસંભવ ! એમ.એફ. હુસેનનો ઘોડો, અમિત અંબાલાલનો વાંદરો કે કાગડો, નટુભાઇ પરીખનો દરિયો, ઈટાલીના લિયોનાર્ડોદ વિન્ચીની મોનાલીસા, મોનેનાં કમળ, રાજા રવિ વર્માનાં ધાર્મિક પૌરાણિક પાત્રો - બધાં જ અદ્વિતીય છે.
બન્ને કલાકૃતિઓમાં ભાવ તો એકસરખો જ અનુભવાય, પણ ભાવમાં ઊભો ફેર હોય
આવી મન-હર, મન-ભર કળાકૃતિઓ માત્ર એક જ હોય અને એક જ સ્થળે હોય તો ઠેર ઠેર વિચરતા રસિકો અને દૂર-સુદૂર વસતા ભાવકો કરે, તો કરે શું ? સેરિગ્રાફી એનો એક એવો ઉકેલ છે જેનાથી સૌની મનોવાંછના પૂરી કરી શકાય - અને તે પણ વાજબી કિંમતે ! ફોટોકૉપી કે ''ઝેરોક્સ'' કે તસવીર એનો ઉપાય નથી જ.
વળી, માત્ર નકલની નાવ ઉપર સવાર થનાર કલાકાર, ચિત્રને ભૌતિક રીતે પહોંચી વળવાની કોશિશ કરી શકે પરંતુ તેના હાર્દ સુધી તો પહોંચી ન જ શકે એની ખાતરી. જ્યારે સેરિગ્રાફી ટેક્નિક એક વફાદાર મિત્રની ગરજ સારી એક સાથે અનેકને સંતુષ્ટ કરી શકે છે. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ચિત્રકળાએ નૂતન વિશ્વમાં પગલાં પાડયાં. વીસમી સદીના પૂર્વાર્ધમાં કલાત્મક માધ્યમ તરીકે, કલાત્મક કૃતિ માટે સેરિગ્રાફનું ચલણ વધ્યું. આ સર્જન ખૂબ જ ઝીણવટભર્યું અને થકવી દેનારું છે પરંતુ એનું પરિણામ અતિ સંતોષજનક છે અને તે બહુપરિમાણીય કૃતિઓને જન્મ આપવામાં નિમિત્ત બને છે.
પ્રલંબ પધ્ધતિને કારણે તેને સારુ અવકાશની પણ અપેક્ષા હોય છે. મૂળ કલાકારી સંમતિ મેળવી એનું પ્રતિરૂપ રસિકોને ચરણે ધરી શકાય છે. એમની સંમતિથી કૃતિનો કાયાકલ્પ પણ થઇ શકે. આ પ્રક્રિયા સ્હેજ જટિલ ખરી પરંતુ તે વર્સેટાઇલ (સર્વતોમુખી) છે. આરંભે જ મૂળ કૃતિને રંગ અનુસાર અનેક ભાગમાં વહેંચીને અનુસર્જન સારુ ગોઠવવી પડે. એક સાથે અનેક પ્રતો માટે એક સરખો રંગ જ કરી શકાય- કારણ, રંગ-ઝાંય બદલાઇ જાય તો ચિત્રને અન્યાય થાય. આમ, પેઇન્ટિંગનું પૃથક્કરણ અતિ આવશ્યક છે. વારાફરતી રંગોને રેળાવવા પડે.
આ છે સેરિગ્રાફી
રંગવિભાજન પ્રક્રિયાનો સૌથી મોટો હીરો અને હાથ - એ કોમ્પ્યૂટર છે
શરૂઆત થઇ હતી બધાં જ કાર્યો જાતે કરવાથી - પણ હવે કમ્પ્યૂટર નામનો જાદૂઇ ચિરાગ હાથ લાગી ગયો છે. તે ઝડપથી અને ચોકસાઇપૂર્વક - સ્પષ્ટ, સુરેખ કામ કરે છે. રંગકર્મીની દ્રષ્ટિ અને અનુભવ સદાબહાર રહે છે. તે નાજુક રંગ અને સુંવાળા પોતને નવજીવન બક્ષે છે. સંવેદનશીલ રંગમિશ્રણ, સેલોટેપનો માસ્ક (કોરોનાવાળો નહિ), સ્ટેન્શિલ જેવી ફિલ્મ સઘન પ્રકાશકિરણોને કારણે વિવિધ રંગછાયા શક્ય બને અને પછી તેને સૂકવી, વધારાના ડાઘા, ધબ્બા, કાણાનો ઉપાય કરવામાં આવે. સ્ક્રિનને ઉપર-નીચે કરી કાળજીપૂર્વક વિવિધ રંગછાયા પ્રમાણે તેનાં રંગોને ઉપસાવવામાં આવે.
રબરનાં બ્રશ - ચિત્રની ડિઝાઇનની દિશા, દબાણ અને ધક્કા જેવી ટેકનિકલ બાબતો ઉપર નિયંત્રણ રાખે છે. આખરે સૂકાઇ ગયા બાદ મૂળકૃતિની આવી રંગીન તસવીર મશીનની મદદથી તૈયાર થાય જેને અનુપમ અનુસર્જન અવશ્ય કહી શકાય. બન્ને પ્રકારની કલાકૃતિમાં એવી તાકાત છે કે તે કલાવિશ્વમાં નવી ચહલપહલ ઊભી કરી દે અને કળા વધુ સુગમ્ય અને લોકપ્રિય બને. સેરિગ્રાફી મૂળ કૃતિને ચોકસાઇપૂર્વક મહદંશે વફાદાર રહી શકે છે.
જેમ ભગવાનનાં મૂળ થાનકની મૂર્તિ કે છબીનાં હજારો સ્વરૂપો હોઇ શકે તેમ આ અનુકૃતિઓ પણ હૃદયનો શણગાર બની સૌની દીવાલો લગી પહોંચી શકે. એના પુનર્જન્મની આગવી ઓળખ હોય. મોંઘી, મૂળ કલાકૃતિ અશક્ય - આ પધ્ધતિ સંતોષ પરમ ધન આપે. નવા પ્રયોગો થકી આપણે પોરસાઇએ પણ ખરા. હકુ શાહનું સાબરમતી આશ્રમવાળું બાપુ અને બકરીનું ચિત્ર આર્ચરે ખાદી પર ઉતાર્યું છે અને ચમકીલાં રંગોથી સજાવ્યું છે.
આર્ચર થકી સેરિગ્રાફી પાંચમાં પૂછાય - સર્વત્ર પોંખાય
વરસાદમાં પણ અમદાવાદી પતંગ ચગાવી શકે એ વિષયનું નબીબક્ષ મનસુરીનું ચિત્ર પતંગનાં પ્રતીકોને ચગાવે છે. માનવાકૃતિના ચહેરાના માત્ર આકારમાં માહિર વૃંદાવન સોલંકી મા-બાળકને કેવાં ઉપસાવે છે ! તેના પ્રતિરૂપમાં ભડક રંગ વાપરવામાં આવ્યાં છે. જ્યોતિ ભટ્ટનું ''જલ-થલ-નભ'' ચિત્ર અત્યંત શૃંગારયુક્ત ઝીણવટભર્યાં લસરકાવાળું છે જેમાં ઝીણાં ઝીણાં ટપકાં તેમણે જાતે જ કર્યાં છે તે ચિત્ર પણ મૂળની કેટલું નજીક છે ! અમિત અંબાલાલના ચિત્ર ''જબ કૂત્તે પે સસ્સા આયા''ની સેરિગ્રાફી આ મૂળ રંગોમાં ઘોડેસ્વાર બાદશાહ, કૂતરા અને સસલાને ગતિ વડે ઓળખાવે છે.
દિલ્હીના માધવી પારેખનું ગણેશજીનું ચિત્ર વાદળી વૉશ લઇને આવે છે. તિલકવાળા બેઠા ગણેશજીના આ જટિલ ચિત્રમાં સૂર્ય, ચન્દ્રનાં પ્રતીકો, મુગટ આદિના લસરકા ચતુર્ભુજ સ્વરૂપને સુપડકન્નાની આધુનિક આકૃતિમાં ઢાળે છે. પારિજાતની પુષ્પમાળાથી આખેઆખા ઢંકાયેલા ગણરાયના પાય પાસે ઉંદર ચૂં ચૂં કરે છે.
ચારે હાથમાં ઉંદર, ખડગ, પુષ્પો લાલ મુખારવિંદ સહ શોભે છે જેમાં આડી, સીધી, ઊભી રેખાઓ, ત્રાંસી આંખ, બાળસહજ સ્મિત, લોકકલા જેવી સરળ આકૃતિ ડોકાય છે. સામાન્ય રીતે કાચ પર કે એક્રેલિક શીટ પર રિવર્સ પ્રિન્ટ કરતા માધવીબેન બારીક વિગતો વડે અને રંગસંયોજન સાથે આ સેરિગ્રાફીમાં સચવાયાં છે, ચાલો, થોડા વધુ આગળ.....
લસરકો :
સેરિગ્રાફીમાં સમાય સમસ્વરૂપનું સમસંવેદન.