'પ્રાણ ચિકિત્સા' તરીકે ઓળખાતી યૌગિક સારવાર પદ્ધતિ ઈમ્યુનિટી વધારી અનેક રોગોનું નિવારણ કરે છે!
- અગોચર વિશ્વ- દેવેશ મહેતા
- પ્રાણશક્તિ પર આધારિત ઉપચાર પદ્ધતિને 'પ્રાણિક હિલિંગ' કહેવામાં આવે છે. પ્રાણશક્તિનો ઉપયોગ કરી સારવાર આપતી આ પદ્ધતિ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બન્ને પર અસર કરે છે
'પ્રાણં દેવા અનુપ્રાણન્તિ । મનુષ્યે પરાવશ્ચમે ।
પ્રાણો હિ ભૂકાનામાયુઃ । તસ્માત્સર્વાયુષમુચ્યતે ।
સર્વમેવત આયુર્વન્તિ મે પ્રાણ બ્રાહ્મોપાસતે ।
પ્રાણો હિ ભૂતાનામાયુ : તસ્માત્ સર્વાયુષમુચ્યતે ।
દે વો, મનુષ્ય, પશુ અને બધા પ્રાણીઓ પ્રાણથી અનુપ્રાણિત છે. પ્રાણ જ જીવન છે, એને કારણે જ એને આયુષ્ય કહે છે. આ જાણીને જે પ્રાણ રૂપ બ્રહ્મની ઉપાસના કરે છે તે ચોક્કસપણે પૂર્ણ આયુષ્યને પ્રાપ્ત કરે છે.'
- તૈતરિય ઉપનિષદ
તૈત્તરીય ઉપનિષદની જેમ છાંદોગ્ય ઉપનિષદમાં કહેવાયું છે - 'સર્વાણિ હવા ઈમાનિ ભૂતાનિ પ્રાણમેવાભિસંવિશન્તિ પ્રાણમન્યુગ્જિહતે । આ બધા પ્રાણીઓ પ્રાણમાંથી જ ઉત્પન્ન થાય છે અને પ્રાણમાં જ લીન થઇ જાય છે.' 'પ્રાણાદ્ધિ ખાલ્વિમાનિ ભૂતાનિ જાયન્તે, પ્રાણેન જાતાનિ જિવન્તિ । પ્રાણથી જ બધા પ્રાણીઓનો ઉદ્ભવ થાય છે અને જન્મ્યા પછી તે પ્રાણથી જ જીવિત રહે છે.'
તૈત્તરીય, છાંદોગ્ય, કૌષીતકિ, બ્રહ્મ ઉપનિષદ જેવા અનેક ઉપનિષદોમાં પ્રાણ શક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે. વેદોમાં એક ઉપાખ્યાન આવે છે જેમાં જિજ્ઞાાસુ બ્રહ્મજ્ઞાાની ઋષિને પૂછે છે- 'એવી કઇ વસ્તુ છે જેનું જ્ઞાાન થવાથી બાકીની બધી વસ્તુઓનું જ્ઞાાન થઇ જાય છે ?' એનો જવાબ આપતાં ઋષિ કહે છે- 'તે પ્રાણ તત્ત્વ જ છે જેને જાણી લીધા પછી કશું જાણવાનું બાકી રહેતું નથી.'
સૃષ્ટિમાં જે ચૈતન્ય દેખાય છે એનું મૂળ કારણ પ્રાણ છે. અનંત સૃષ્ટિ પ્રવાહમાં પ્રાણ તત્ત્વ જ હિલોળા લઇ રહ્યું છે. એ જ સૃષ્ટિના સર્જન અને સ્થિતિનું કારણ છે. સ્થૂળ અને સૂક્ષ્મ બધામાં એની જ અભિવ્યક્તિ છે. પ્રાણ બધાની જીવનશક્તિ છે. એનાથી જ બળ, બુદ્ધિ, ક્રિયા અને સ્વાસ્થ્ય ટકી રહે છે. જેની પ્રાણશક્તિ પ્રવૃદ્ધ હોય એની આ તમામ બાબતો બળવાન હોય છે. પ્રાણશક્તિને પ્રવૃદ્ધ કરવા યોગ સર્વાધિક શક્તિશાળી સાધન છે. યોગની જ એક પ્રક્રિયા પ્રાણાયામ છે જેના થકી પ્રાણ વધારે બળવત્તર બને છે.
માનવ કાયામાં શક્તિનો સુષુપ્ત ભંડાર પડેલો છે. એને પ્રાણ ઊર્જા, જીવન શક્તિ, યોગ-અગ્નિ કે કુંડલિની શક્તિ વગેરે નામોથી ઓળખવામાં આવે છે- જેમ પરમાણુના નાભિક (ન્યૂક્લિઅસ)માં પ્રચંડ શક્તિ ભરેલી પડી હોય છે પણ તે જોઇ શકાતી નથી કે ઉપયોગમાં લઇ શકાતી નથી, ખાસ પ્રક્રિયા પછી જ તેનું નાભિકીય વિખંડન થાય છે ત્યારે જ તે પ્રગટ થાય છે તેમ યોગ્ગાનિ, કુંડલિની મહાશક્તિ પણ દરેક મનુષ્યમાં સુષુપ્તાવસ્થામાં પડેલી હોય છે પણ પ્રાણાયમ અને યોગના પ્રયોગ પછી તે પ્રગટ થાય છે.
કુંડલિનિ જાગરણ માટે પ્રાણશક્તિનો પ્રચંડ આઘાત જરૂરી હોય છે. એના માટે આખા બ્રહ્માંડમાં વ્યાપેલા પ્રાણતત્ત્વને આકર્ષિત કરી પોતાની અંદર પ્રસ્થાપિત કરવું પડે છે. સૂર્યભેદન પ્રાણાયામ આ હેતુ સિદ્ધ કરવા સર્વાધિક સહાયક બને છે. આ પ્રકારના પ્રાણાયામમાં સૂર્યમાંથી પ્રાણ ઊર્જા આકર્ષિત કરી એને ઈડા અને પિંગલા નાડીના માધ્યમથી મૂળાધાર ચક્ર અવસ્થિત ચિનગારી જેવા પ્રસુપ્ત અગ્નિ સુધી પહોંચાડવામાં આવે છે. એ પછી તે પ્રવૃદ્ધ થાય છે એટલે સૂસવાટા મારતા અગ્નિની જ્વાળાઓના રૂપમાં આખા તંત્રને દિવ્ય અગ્નિમય બનાવી દે છે. સૂર્યવેધન પ્રાણાયામની પ્રક્રિયા દરમિયાન આટલી પ્રક્રિયા પૂરી કર્યા બાદ પ્રાણ અગ્નિને સુષુમ્ણા નાડી સ્થિત ધન વિદ્યુત પ્રવાહવાળી પિંગલા નાડીમાંથી પસાર કરી પાછો વાળવામાં આવે છે, તેમાં પ્રવેશ કરતી વખતે અંતરીક્ષ સ્થિત પ્રાણ શીતળ હોય છે. ઋણ ધારાને પણ શીતળ માનવામાં આવે છે. એટલે 'ઈડા'ને ચંદ્રનાડી કહેવામાં આવે છે, શ્વાસને ડાબા નસકોરામાં અંતર્કુંભક પછી પાછો વાળવામાં આવે છે. પાછા વળતી વખતે અગ્નિ ઉદ્દીપન, પ્રાણ પ્રહારની સંઘર્ષણ પ્રક્રિયાથી ઉષ્ણતા વધે છે અને પ્રાણમાં સંમીલિત થઇ જાય છે. પાછા ફરવાનો પિંગલા માર્ગ ધન વિદ્યુતનું ક્ષેત્ર હોવાથી ઉષ્ણતાનો આવિર્ભાવ કરે છે. પિંગલાને સૂર્યનાડી કહેવામાં આવે છે. આ સૂર્યવેધન પ્રાણાયામની વિશેષતા એ છે કે એમાં ફરીથી જમણા નસકોરાથી સૂર્યનાડી રેચક પ્રકારનો પ્રાણાયામ કરવામાં આવે છે. મૂલાધાર ચક્ર પર પ્રાણ પ્રહાર અને પ્રાણોદ્દીપનની ભાવના સતત કરવી પડે છે. આમ આ પ્રાણાયામ યૌગિક ચક્રોને જાગૃત અને સક્રિય કરવા ખૂબ ઉપયોગી બને છે.
પ્રાણશક્તિ પર આધારિત ઉપચાર પદ્ધતિને 'પ્રાણિક હિલિંગ' કહેવામાં આવે છે. ફિલિપાઇન્સના ગૂઢવાદી આધ્યાત્મિક પુરુષ ગ્રાન્ડ માસ્ટર ચોઆ કોક સુઇએ પ્રાણિક હિલિંગ અને અર્હટિક યોગનો વિશ્વભરમાં પ્રસાર કર્યો. પ્રાણશક્તિનો ઉપયોગ કરી સારવાર આપતી આ પદ્ધતિ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બન્ને પર અસર કરે છે. સૂક્ષ્મ શરીરમાં આવેલા મુખ્ય ૧૧ ચક્રોને 'જીવદ્રવ્યશરીર'ના ઊર્જા કેન્દ્રો કહેવામાં આવે છે. મોટા ચક્રો લગભગ ત્રણ-ચાર ઈંચ જેટલા કદના અને નાના ચક્રો લગભગ એકાદ બે ઈંચ જેટલા કદના હોય છે.
બેઇજિંગના 'ચાઇના ઈમ્યુનોલોજી સેન્ટર'માં થયેલો એક પ્રયોગ પ્રાણિક હિલિંગની અકલ્પ્ય અસરકારતા દર્શાવે છે. ડી.બી.એ ઉંદરના લ્યુકેમિયા (બ્લડ કેન્સર) કે.એલ. ૧૨૧૦ કોશિકાઓ પર પ્રાણિક હિલિંગ દ્વારા ઉત્સર્જિત દૈવી ઊર્જાનો પ્રભાવ કેવો પડે છે તેનું તેમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રયોગ માટે પસંદ કરાયેલ ઉંદરોના એક સમુદાયને દસ દિવસ સુધી પંદર મિનિટ માટે પ્રાણઊર્જા પ્રસારિત કરવામાં આવી. જ્યારે બીજા જૂથને તે આપવામાં આવી નહોતી. એનું પરિણામ જોઇ શરીરવિજ્ઞાાનીઓ પણ વિસ્મયમાં મૂકાઇ ગયા હતા. જેમને પ્રાણશક્તિનો ઉપચાર આપવામાં આવ્યો હતો એ જૂથના ઉંદરોમાં કે.એલ. ૧૨૧૦ કોશિકાઓ મોટી સંખ્યામાં ઘટી ગઇ હતી જ્યારે જે જૂથને પ્રાણશક્તિનો ઉપચાર આપવામાં આવ્યો નહોતો તેના ઉંદરોમાં કેન્સર કરનારી કે.એલ. ૧૨૧૦ કોશિકાઓમાં જરાય ઘટાડો થયો નહોતો. આ પ્રયોગ દર્શાવે છે કે પ્રાણિક હિલિંગ કેન્સર જેવા ભયાનક રોગને મટાડવા કેટલી અસરકારક બની શકે છે !
બેઈજિંગની આ સંસ્થામાં એક અન્ય પ્રયોગ કરાયો હતો. પ્રાણ શક્તિ (Chi Power) ના સંપર્કમાં આવ્યા પછી શરીરની રોગ-પ્રતિકારક શક્તિ (Immunity) માં કોઇ ફેરફાર થાય છે કે નહીં તે જોવાનો આ પ્રયોગ હતો. ગિગાંક માસ્ટર્સે ઉંદરોના એક જૂથ પર પ્રાણ શક્તિનો ઉપચાર કર્યો હતો. જ્યારે બીજા જૂથ પર પ્રાણ શક્તિનો ઉપચાર કર્યો નહોતો. પ્રાણશક્તિનો ઉપચાર પામેલા ઉંદરોની રોગ-પ્રતિકારક શક્તિ (ઇમ્યૂનિટી) અત્યંત વધી ગયેલી જોવા મળી હતી- પ્રાણશક્તિ પેરિટોમિયલના મેક્રોફેગસની ફેગોસાઇટિક ક્રિયામાં સારા એવા પ્રમાણમાં વધારો કરે છે. 'પ્રાણ- ધ સિક્રેટ ઑફ યોગિક હિલિંગ'ના લેખક અને પ્રાણ ચિકિત્સક આત્રેયે એક મહિલાને પ્રાણ ચિકિત્સા આપી તેની મોટા કદની ઓવેરિયન સીસ્ટ (Cyst) ને ઓગાળી તેને સારી કરી દીધી હતી. આ ચિકિત્સાથી અનેક રોગો દૂર થયાના ઉદાહરણો જોવા મળ્યા છે.