Get The App

પ્રેમચંદ રાયચંદે સંખ્યાબંધ ફાયનાન્સિયલ અને બેકિંગ કંપનીઓ સ્થાપી લોકોને વગર મહેનતે લખપતિ થવાની લાલચ આપી હતી

- સુરતમાં જન્મેલા અને મુંબઈમાં ઉછરેલા સટોડીયા પ્રેમચંદ રાયચંદે (1831-1906) મુંબઈ અને ગુજરાતને સટ્ટામાં કેવી રીતે ઝંપલાવ્યું

Updated: Oct 11th, 2020

GS TEAM

Google News
Google News

- ડૉ. મકરન્દ મહેતા

કેટલાંક બનાવો ધરતીકંપ સર્જે છે. જેમકે આજનો મહાવિનાશ કોવિડ વાઇરસ અને સામ્યવાદી ચીન સામેનો ભારતનો આર્થિક અને મિલિટરી સંઘર્ષ બરાબર તેવી જ રીતે અમેરિકન સિવિલ વૉર વખતે (૧૮૬૧-૧૮૬૫) શેર સટ્ટા અને ફાયનાન્સીયલ બાબતનાં નિષ્ણાંત પ્રેમચંદ રાયચંદે મુંબઈ ઈલાકામાં માનસિક ધરતીકંપ સર્જ્યો હતો. એમનો જન્મ અને ઉછેર સુરતમાં થયો હતો પણ દસમે વર્ષે કુટુંબ સાથે સ્થળાંતર કર્યું હતું. એમણે અંગ્રેજો, યુરોપિયનો, પારસીઓ, જૈનો, હિંદુઓ અને મુસલમાનોને રાતોરાત લખપતી થવાનાં સ્વપ્નો વેચીને મુંબઈ ઇલાકામાં 'શેર મેનીયા'નું વાવાઝોડું સર્જયું હતું. સંજોગો વૈશ્વિક સ્વરૂપનાં હતાં, શેરમેનીયાનું થિયેટર લોકલ હતું. તેના મૂળમાં અમેરિકન આંતરવિગ્રહ હતો.

અમેરિકન સિવિલ વૉર અને પ્રેમચંદ

ગુલામી સામે ઝઝૂમનાર અબ્રાહ્મ લિંકન ૧૮૬૦માં જ્યારે અમેરિકાનો પ્રમુખ બન્યો ત્યારે દક્ષિણ અમેરિકાનાં ગુલામી પ્રથામાં માનતા રાજ્યોએ ઉત્તર અમેરિકા સામે યુદ્ધ શરૂ કર્યું અને પોતાને સ્વતંત્ર દેશ તરીકે ઘોષિત કર્યો. ઇંગ્લેંડ પાસેથી સ્વતંત્ર દેશની માન્યતા માંગતા દક્ષિણ અમેરિકાનાં રાજ્યોએ તેની ઉપર દબાણ લાવવા ઇંગ્લેંડને કપાસ મોકલવો બંધ કર્યો. તેથી ઇંગ્લેન્ડની કાપડની મીલો બેકાર બની તે સમયે હિંદ ઉપર ઇંગ્લેંડનું શાસન હોવાથી ઇંગ્લેંડે હિંદમાંથી ઢગલાબંધ કપાસ ઇંગ્લેંડ ઠાલવવા માંડયો, અને તેની સાથે રૂ અને કપાસનાં ભાવ આસમાને ચડયા. પ્રેમચંદ રાયચંદ ખૂબ દીર્ઘદ્રષ્ટિ ધરાવતા વેપારી હતાં. એમણે તેનો પૂરેપૂરો લાભ લીધો. એણે કપાસ અને રૂ નું વેચાણ કરવા સંખ્યાબંધ ફાયનાન્સીયલ અને બેંકિંગ કંપનીઓ સ્થાપી, લોકોને વગર મહેનતે લખપતી થવાની લાલચ આપી, શેરસટ્ટાનાં બજારનું નેટવર્ક ઊભું કર્યું અને શેરો ખરીદવાને લોકોને લલચાવ્યા માત્ર ધનિક વેપારીઓ જ નહીં, ભલભલા ડૉક્ટરો, વકીલો, પ્રોફેસરો, કેળવણીકારો, સમાજ સુધારકો અને દરજી, સુથાર, લુહાર અને મોચી જેવા સામાન્ય લોકો ઘરવખરી વેચીને શેર ખરીદવા લાગ્યા. ચાર પાંચ મહીનાં સૌ કમાયા, મજૂરો, સરકારી અધિકારીઓને તો જાણે લોટરી લાગી. એમને વધારે કમાણી કરવાની લાલચ લાગી લોકો કમાયા. ઘોડાગાડીમાં ફરવા લાગ્યા. પ્રેમચંદ એમનાં ભગવાન હતા. પ્રેમચંદની આગાહી મુજબ ચાલતા. તેમાંથી પ્રેમચંદ રાયચંદે લાખો નહીં પણ કરોડો રૂપિયા પેદા કર્યા. 

પણ ૧૫ એપ્રિલ ૧૮૬૫નાં રોજ ગુલામીનાં તારણહાર અબ્રાહ્મ લિંકનનું ખૂન થયું, દક્ષિણ અમેરિકા યુદ્ધમાં હાર્યું, અને સ્થિતિ પૂર્વવત્ થઈ ગઈ. તેથી હવે રૂ અને કપાસનાં ભાવ વીજળી વેગે ગગડયા અને લખપતિઓ રોડપતી બની ગયા. પ્રેમચંદની તે ... સમયે ૯ કરોડ રૂપિયાની મિલકત હતી, પણ તે છ લાખની દેખાડીને નાદારી નોંધાવી દીધી. બજારો રડતા રહ્યા, પ્રેમચંદ મુંબઈમાં હસતા રહ્યાં. પોતાની પોપ્યુલારીટીને ચાલુ રાખવા પ્રેમચંદે મુંબઈ, સુરત, નવસારી, ભરૂચ, વડોદરા, નડિયાદ અને અમદાવાદ એમ બધે ઠેકાણે લાખોનાં દાન કરવા માંડયા. અમદાવાદની પ્રખ્યાત સંસ્થા ''પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ'' પ્રેમચંદ રાયચંદના બાદશાહી દાનમાંથી સ્થપાઈ હતી. તે જ પ્રમાણે મુંબઈ યુનિવર્સિટીના પટાંગણામાં પ્રેમચંદે એમની માતાની સ્મૃતિમાં 'રાજાબાઈ ટાવર' સ્થાપ્યો હતો. આજે પણ અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ અને મુંબઈમાં રાજાબાઈ ટાવર અસ્તિત્ત્વ ધરાવે છે.

પ્રેમચંદ રાયચંદ રાજકપૂરની ફિલ્મનાં જાણે અદલ 'શ્રી ૪૨૦' ! તિબ્બતમાં સોનાનું સ્વપ્ન દેખાડીને જેવી રીતે રાજકપૂર લોકોને શેરનાં કાગળીયા વેચે છે તેવું પ્રેમચંદ શેઠે પોતાની અક્કલ હોંશિયારીથી શ્રીમાન ૪૨૦નાં દોઢસો વર્ષ પહેલાં કર્યું હતું. 

ફિલ્મમાં રાજ કપૂર જેવી રીતે જાપાનીઝ અને ચાઇનીઝ દલાલો મારફત માટીમાંથી સોનું બનાવે છે તેવી રીતે પ્રેમચંદે કર્યું હતું. પ્રેમચંદે તેમની લાઇફમાં એકી સાથે 'હીરો' અને 'વિલન' એમ બન્નેનો રોલ ભજવ્યો હતો.

પ્રેમચંદ રાયચંદે સંખ્યાબંધ ફાયનાન્સિયલ અને બેકિંગ કંપનીઓ સ્થાપી લોકોને વગર મહેનતે લખપતિ થવાની લાલચ આપી હતી 1 - image

કવિ દલપતરામને શેર સટ્ટાનો મોહ લાગ્યો

પ્રેમચંદ રાયચંદ અમદાવાદ પધાર્યા અને ફેબુ્રઆરી ૧૮૬૫માં એમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને દસ હજાર રૂપિયા દાનમાં આપ્યા. ભરી સભામાં દલપતરામે કહ્યું કે, ''શેઠ પ્રેમચંદ તો કર્ણ જેવા દાનેશ્વરી છે.'' તે પ્રસંગે કવિ દલપતરામે ''શેઠ પ્રેમચંદ'' અને ''નગરશેઠ પ્રેમાભાઈ''ની હાજરીમાં નીચેની કવિતા ગાઈ સંભળાવી, બન્ને જૈન શેઠીયાઓએ મૂછે તાવ લગાડીને તે ગૌરવપૂર્વક સાંભળી.

''અવનીને એક ચંદ ઇશ્વરે ઉજાશ માટે

આપ્યો એથી અડચણો પડે ઘણાં કોશ-વાં

જ્યારે હોય જોડ ચંદ કસૂર ન કશી રહે

ક્યાંથી આવે કોઈ ખરી, અડચણો ખોરવા ?

પ્રેમચંદ રાયચંદ, પ્રેમચંદ હેમચંદ

જોડચંદ મળ્યા તને, પ્રેમ કરી પોષવા

થયું તારૂં સિદ્ધ કામ કહે દલપતરામ,

હવે તું સોસાયટીને લાગ અવશોષવા...''

મહેનત કરીને મહીને માંડ ચાલીસ પચાસ રૂપિયા કમાતા દલપતરામને શેર સટ્ટાનો મોહ લાગ્યો. ફોર્બ્સે ઘણી સલાહ આપી કે ''તમે સોસાયટીની નોકરી છોડીને ઇન્સ્યોરન્સ કંપનીની નોકરીમાં ન પડશો અને શેર સટ્ટો ન રમશો.'' તેમ છતાં દલપતે ''ફારબસ સાહેબ''ની સલાહ ન માની. શેરસટ્ટામાં કમાયા અને ઝૂંપડા જેવું ઘરછોડીને હાજા પટેલની પોળમાં બંગલો બાંધ્યો. તેમાં ૧૮૬૪નાં ઓક્ટોબરમાં રહેવા ગયા. રમણ કવિએ મિત્રોને ''ગાર્ડન પાર્ટી'' આપી. દલપતરામ સુદામાંમાંથી શેઠ થયા પણ શેરના ભાવ અચાનક ગગડતાં બંગલાના રસિક દલપતરામ ''રોડ-સાઈડ'' પર આવી ગયા. બંગલો છોડવો પડયો અને સુદામા જેવા ઝૂંપડામાં રહેવા જવું પડયું. સપ્ટેમ્બર ૧૮૬૫નાં ''બુદ્ધિપ્રકાશ''માં દલપતરામે ''બેંકો અને કંપનીઓ વિષે'' લેખ પ્રસિદ્ધ કરીને લખ્યું: ''હું પણ સોબતની અસરથી ફસાયો છું, તથાપી બની શકે તેટલી ધીરજ રાખું છું, દરીદ્રી થયો છું.'' લેણદારો માંગવા આવે તે પહેલાં દલપતરામ સંતાઈ જતા હતા !! બુદ્ધિ પ્રકાશનાં આ જ અંકમાં દલપતરામે શેરબજારનું પદ છાપ્યું:

''શેર બજારે આ શું કર્યું, વાળ્યો દુનિયાનો દાટ

લાજ લીધી લાખો લોકની, ઉપજાવ્યા ઉચાટ.

પ્રથમ તો પૈસા પમાડીયા, લલચાવીયા લૌક

મૂડી વગર કીધા માનવી, ફાંફાં મારતાં લોક.

બાગમાં બહુ સારો શોભતો, જેવો ફૂલનો ફાલ

જેવો તમાસો જાદૂતણો, તેવો થઈ ગયો તાલ

નૂર ગયું નર નારીનું, મુખ ઝાંખાં જણાય

શત્રુને લશ્કરે લૂંટીયા, એવાં ડોળ દેખાય

કોઈકે વાસણ ઘર વેચીયા, વેચ્યા બંગલા બાગ

કંઈક કાજ દરિયે પડયા, તેનો ન જણાય તાગ

એક સંકટ આ જુગારનું, બીજો રૂ તણો રોપ

ત્રીજું કોગળિયું તૂટી પડયું, ધરા થઈ તરબોળ

કોઈ રામા મેલી રખડતી, મેલ્યાં રખડતાં બાળ

નાસી છૂટયા નર એકલા, આવ્યો કઠણ આ કાળ

ક્રોડપતી હતા કૈંક તે, થયા કોડીનાં આજ

અતીશે વધારેલી આબરૂ, તેની લૂંટાણી લાજ

કંઈકે હબક ખાધી કારમી, ઘણા ચિત્તભ્રમ રોગ

નાણું જતાં લાજ નવ રહી, જેવો દેવોનો જોગ

ઘરમાં સંતાઈ ઘણા રહે, લાગે લોકમાં લાજ

મરણ ઇચ્છે કંઈક માનવી, દેખી ન ખમામ દાઝ

પ્રભૂને જોયું કરી પ્રાર્થના, એ જ છેલ્લો ઉપાય

દલપતરામનાં દેવ તું, સઉની કરજે સહાય.''

જો કે સમગ્ર વિશ્વ અને ગુલામ હિંદને હચમચાવી નાંખનાર ઘટના તો યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકામાં ૧૮૬૧-૧૮૬૫ દરમિયાન સર્જાયેલો આંતરવિગ્રહ હતો. તે ગુલામી પ્રથાનાં પ્રશ્ન પરત્વે ફાટી નીકળેલો. આજે જેવી રીતે અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેવી રીતે તે સમયે તેનાં પ્રમુખ અબ્રાહ્મ લિંકન (૧૮૬૧-૧૮૬૫) હતા અને ગુલામીનાં આ તારણહારની ૧૫ એપ્રિલ ૧૮૬૫નાં રોજ કતલ થઈ હતી. આમ પ્રેમચંદે શરૂ કરેલું શેરસટ્ટાનું વાવાઝોડું વૈશ્વિક મહત્ત્વ ધરાવતું હતું.

પ્રેમચંદ રાયચંદે સંખ્યાબંધ ફાયનાન્સિયલ અને બેકિંગ કંપનીઓ સ્થાપી લોકોને વગર મહેનતે લખપતિ થવાની લાલચ આપી હતી 2 - image

સુરતમાં જન્મેલા પ્રેમચંદ રાયચંદને અબજોપતિ થવાની તીવ્ર ઈચ્છા હતી

દસ વર્ષનો પ્રેમચંદ મુંબઈ ગયો અને ભણતાં ભણતાં બાપનાં વેપારમાં રસ લેવા લાગ્યો. અંગ્રેજી ભાષા ઉપર કાબૂ પ્રાપ્ત કર્યો અને ૨૧મે વર્ષે રૂ અને શેરબજારમાં ઝંપલાવીને હથેલીનાં આંગળા ફેરવવા માંડયા. બોલવાનું નહીં, માત્ર હથેળીનાં આંગળા આમતેમ ફેરવીને વાયદાનો વેપાર (સોદો) કરવાનો

પ્રેમચંદ શકવર્તી ઘટનાઓની હારમાળા સર્જનાર લેજેન્ડસ ફિગર હતો. એક જમાનામાં તેનાં જેવો પોપ્યુલર એક પણ બીજો માણસ ન હતો. પ્રેમચંદને દેવગણીને તેની આગાહીઓ લોકો ઝીલતા આ કામ કોઈ સાધારણ માણસનું નહીં. આ પ્રકારની ઘટનાઓનું 'સર્જન' કરવા માટે ચપળ બુદ્ધિ, દીર્ઘદ્રષ્ટિ, અગમચેતી અને મૂડી અને માનવોને ભેગાં કરીને સંઘબળ ઉભું કરવાની આવડત હોવી જરૂરી છે. પ્રેમચંદ તો મેટ્રિક પાસ પણ થયો નહતો. એણે મેનેજમેન્ટનાં પુસ્તકો વાંચ્યા ન હતાં. પણ તીવ્ર બુદ્ધિ, આજનાં કમ્પ્યૂટર જેટલી ઝડપી અને વિશ્વસનીય ગણતરી અને તેની સાથે ડે-ટુ-ડે પ્રત્યક્ષ લાઇફના અનુભવ તેનાં મૂળમાં અબજોપતિ થવાની તીવ્ર ઇચ્છા હતી. 

દશા ઓસવાલ જૈન કુટુંબમાં સુરતમાં જન્મ. સુરતમાં દુર્ગારામ મહેતાજીની શાળામાં પ્રેમચંદ અને નર્મદ ભણ્યા. બ્રાહ્મણ નર્મદે સાહિત્યસ્વામી થયો, અને જૈન પ્રેમચંદ મુંબઈ ઇલાકાનો સ્વામી થયો. ૧૮૪૧માં પિતાએ સુરતથી મુંબઈમાં સ્થળાંતર કર્યું. ત્યારે દસ વર્ષનો પ્રેમચંદ મુંબઈ ગયો અને ભણતાં ભણતાં બાપનાં વેપારમાં રસ લેવા લાગ્યો. અંગ્રેજી ભાષા ઉપર કાબૂ પ્રાપ્ત કર્યો અને ૨૧મે વર્ષે રૂ અને શેરબજારમાં ઝંપલાવીને હથેલીનાં આંગળા ફેરવવા માંડયા. બોલવાનું નહીં, માત્ર હથેળીનાં આંગળા આમતેમ ફેરવીને વાયદાનો વેપાર (સોદો) કરવાનો. 

એ બુદ્ધિપૂર્વક સ્ટોક માર્કેટનો અંદાજ લગાવતો. 

૧૮૬૭માં એક પારસીએ પ્રસિદ્ધ કરેલ ગ્રંથ ''મુંબઈના શેર સટ્ટાની તવારીખ''માં લખ્યું હતું: ''પ્રેમચંદ કદમાં ઠીંંગણો, પણ હસમુખો છે. તેહની ચાલચલણ ઘણી જ ચપળ છે અને મિજાજમાં નરમાસવાળો છે. બીજાઓને સમજાવીને પોતાનાં પક્ષમાં ભેળવવાની કલામાં તે એક્કો છે.'' 

અમદાવાદનાં શેઠીયાઓ, સાહિત્યકારો અને કેળવણીકારો શેર સટ્ટામાં ઝંપલાવ્યું

મહીપતરામ અને દલપતરામે રૂ. પાંચ લાખની થાપણથી ''અમદાવાદ યુનાઈટેડ પ્રિન્ટિંગ કંપની'' સ્થાપી

અમદાવાદનાં નગર શેઠ પ્રેમાભાઈ હીમાભાઈ, મગનભાઈ કરમચંદ, બેચરદાસ લશ્કરી, કવિ દલપતરામ, કેળવણીકાર અને સમાજ સુધારક મહીપતરામ અને પ્રાર્થના સમાજનાં સ્થાપક ભોળાભાઈ સારાભાઈ જેવા અમદાવાદનાં શેઠીયાઓ, સાહિત્યકારો અને કેળવણીકારો એ પણ શેર સટ્ટામાં ઝૂકાવ્યું.

મહીપતરામ અને દલપતરામે રૂ. પાંચ લાખની થાપણથી ''અમદાવાદ યુનાઈટેડ પ્રિન્ટિંગ કંપની'' સ્થાપી, તો ભોળાનાથ અને એમનાં પુત્ર બાબાભાઈએ ''કોટન પરચેસીંગ એન્ડ જીનીંગ કંપની'' સ્થાપી. 

''લાકડા બેંક'' તરીકે ઓળખાતી ગુજરાત મર્કન્ટાઈલ બેંક સ્થાપી ભગુભાઈ પ્રેમચંદ અને છોટાભાઈ મોતીચંદ નામના જૈનોએ 'અમદાવાદ બેકીંગ એન્ડ ઈન્સ્યોરન્સ કંપની' શરૂ કરી. સ્વામીનારાયણ પંથનાં ચૂસ્ત અનુયાયી કાકાભાઈ હરનારાયણે ''અમદાવાદ યુનિવર્સિટી બેંક'' સ્થાપી તો નરોત્તમ જમનાદાસે ''ગુજરાત ફાઈનાન્સર કંપની'' સ્થાપી. તેજીનાં સમયમાં શેરોનાં ભાવો ઊંચકાયા અને અમદાવાદીઓ ''લખેશ્રી'' થયા.

Tags :