રોજ ચાલો એટલે ફાયદો તમને, નુકશાન ફાર્માને...!!
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- માણસની તંદુરસ્તીનો ખ્યાલ એ બાબતથી આવે છે કે તે ગોળીઓ લે છે કે દાદરનો ઉપયોગ કરે છે.
ઈલેકટ્રોનિક મીડિયા એવું ઠસાવે છે ''તંદુરસ્તી માટેનો વૉક-ઈવેન્ટ ભારે સફળ રહ્યો હતો.'' આની પાછળ તેમને મળતી જાહેર ખબરનો પાવર છે. વીમા કંપનીઓ અને હોસ્પિટલો આવા ઈવેન્ટ યોજતી હોય છે. હેલ્થી લાઈફ સ્ટાઈલ એ ફાયદાકારક હોય છે એવું આ ઈવેન્ટથી સ્થાપિત કરવામાં આવે છે. બીજા દિવસે બધુ બંધ થઈ જાય છે અને નિયમિત દિનચર્યા ચાલે છે. તો પછી આની ફળશ્રુતિ શું છે ?
મોટી મોટી કંપનીઓ આવા મોટા ચાલવાના કે દોડવાના ઈવેન્ટ અમસ્તા કરતી નથી. તેમને પોતાને આમાંથી ફાયદો જ થાય છે.
વિશ્વની સૌથી મોટી મોટી ચેરિટી પોતાનો ૮૦ ટકા ખર્ચ ''એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ'' તરીકે રજૂ કરે છે. તો તેઓની ચાલ શું હશે ? હોસ્પિટલ જ્યારે આવા મોટા ઈવેન્ટ કરે છે ત્યારે તેમની ફેસિલિટીની જાહેરાત તો થાય જ છે પરંતુ બીજા ફાયદા પણ થાય છે... જે અજાણ્યા નથી...!
જે લોકો નિયમિત ચાલતા નથી અને આવા વૉકાથોનમાં ભાગ લે છે તેમને સાંધાના દુખાવા, સાંધાના સોજા અને મસલ્સની તકલીફો થઈ શકે છે. થોડાક લોકોને શ્વાસ રૂંધાવાની તકલીફ પણ થાય છે અને છેવટે આ બંધાયે તબીબી નિદાન કરાવવા પડે છે અને છેવટે એક નવી સારવાર ચાલુ થઈ જાય છે. ઘણીવાર તંદુરસ્ત માણસ રૂટીન ચેકઅપના ચક્કરમાં પડી જાય છે. મોર્ડન વેસ્ટર્ન મેડિસિનના રૂટીન ચેકઅપ એક ખૂબ જ ભયજનક પ્રવૃત્તિ છે.
વેસ્ટર્ન સાયન્સમાં 'નોર્મલ'ની વ્યાખ્યા નથી એટલે આપણે 'એવરેજ'ને નોર્મલ તરીકે વાપરીએ છીએ. જે ભયજનક છે. દરેક કસોટી કે પેરામીટર ચેક થાય એમાં આ પદ્ધતિને કારણે ૫ ટકાથી ૨.૫ ટકા ''ફૉલ્સ પોઝિટિવ'' આવે છે. આ ચેકઅપ પછી આપવામાં આવતી દવાઓ જિંદગીભર લેવી પડે છે...! ઘણીવાર તેની સાઈડ ઈફેક્ટ થાય છે. દા.ત. એસ્પિરિન લોહીને પાતળુ રાખવા વપરાય છે. જે લાંબો સમય લેતાં પેટમાં બ્લીડિંગ થાય છે. હાર્ટએટેક પણ આવી જાય છે. વસ્તીનો ૧૦ ટકા ભાગ ''સેરેબરલ હેમરેજ''થી મૃત્યુ પામે છે.
એના કરતાં નિયમિત ચાલવું સારૂ છે. ધીમે ધીમે શરૂ કરો. થોડા દિવસ પછી સ્પીડ વધારો. તમારી શરીરની શક્તિ પ્રમાણે ૫૦૦૦ કે ૧૦,૦૦૦ સ્ટેપ્સ ચાલો. રોજ ચાલો. તેનાથી સ્ટ્રોક, હૃદયરોગ કે ડાયાબીટીસના બનાવો ઘટી શકે છે. જે કામ કરો તેમાં રસ દાખવો, બુદ્ધિજનક આહાર લો. તમે તમારી સાથે રહેતાં શીખો. તંદુરસ્ત ટેવો સાથે પ્રાણાયમ, યોગ, ધ્યાન પણ કરો.
બેઠાડુ જીવન જીવતાં હો તો વૉકાથોનમાં પહોંચવાથી કંપનીને ફાયદો થશે જે તમારો ગેરફાયદો બની રહેશે...!