Get The App

'આન્ટી, તમે 'સ્વમાની' કે 'અભિમાની'?

Updated: Feb 8th, 2025

GS TEAM


Google News
Google News
'આન્ટી, તમે 'સ્વમાની' કે 'અભિમાની'? 1 - image


- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- 'અંતરીક્ષ, સગાઈ પર પૈસો રાજ કરે ત્યારે ઘરનું પતન થાય છે. પવિત્રાની એ વાત સો ટકા સાચી છે કે જીવનમાં નફરતને વિજેતા બનવા દેવાય નહીં સાચી મહોબ્બતનું કામ નફરતને દૂર કરવાનું છે'

પ ડોશીનો પુત્ર દીપ પવિત્રા આન્ટીને પૂછે છે : 'આન્ટી, મારે એક સ્વમાનીની આત્મકથા લખવી છે. મારી મમ્મી કહે છે કે, જા પવિત્રા આન્ટીને મળ એમના જેવું કોઈ સ્વમાની મેં આજ સુધી નથી જોયું. હેં આન્ટી, આપ સ્વમાની કહેવાઓ કે અભિમાની ?'

પવિત્રા આન્ટીએ વિચાર કરીને કહ્યું : 'બેટા, દીપ, સ્વમાન એટલે પોતાનું માન, પોતાની ઇજ્જત. જ્યારે અભિમાન એટલે ગર્વ, અહંકાર, મગરૂબી. હું સ્વાભિમાનમાં કે સ્વમાનમાં માનું છું, પણ અભિમાનમાં માને તો એ મારા પ્રત્યેનો અન્યાય જ કહેવાય.'

પવિત્રા આન્ટી ભૂતકાળમાં સરી પડયાં. ત્યારે પોતાની ઉંમર ૧૦ વર્ષની હતી. સ્વભાવથી જ પોતે સ્વાભિમાની, પણ પિતાજી સુકેશકુમાર માનતા કે પવિત્રા અભિમાની છે. એટલે એનું અભિમાન તોડવું જ પડશે. આખરે તો એ છોકરીની જાત છે. અભિમાન કરવાનું છોકરીને ન શોભે, એટલે સુકેશકુમારે પવિત્રાની અભિમાન નાબૂદીનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. પોતે કહે ત્યારે પવિત્રાએ ઊઠવાનું, પોતે કહે ત્યારે સૂઈ જવાનું, પોતે કહે ત્યારે બહાર જવાનું. પોતાની સાથે ફરજિયાત મંદિરે આવવાનું અને પોતે કહે ત્યારે મિત્રોને મળવાનું. સુકેશકુમારના શિસ્તના નિયમોએ પવિત્રા માટે ઘરને કેદખાનું બનાવી દીધું હતું. પવિત્રા સામે પ્રશ્ન કરે તો તેને મહાપ્રસાદી રૂપે બે તમાચા અને એક ટંક ભૂખ્યા રહેવાની સજા. સુકેશકુમાર ઘરમાં તાંડવ મચાવે, ત્યારે કોની તાકાત કે એમને કોઈ રોકે ? મમ્મી સુલભાદેવી પોતાની પુત્રીને મદદ કરવા તૈયાર, પણ સુકેશકુમારની ધાક તેમને શબ્દ સરખો ય ઉચ્ચારતાં રોકતી. પરિણામ એ આવ્યું કે પિતાનાં ત્રાસ અને નિયંત્રણોથી કંટાળીને પવિત્રાએ ગૃહત્યાગ કર્યો, બાર વર્ષની બાળવયે!

ઘર છોડયા પછી એણે એક અનાથઆશ્રમમાં આશ્રય લીધો. સ્વમાનભેર જીવવા માટે એણે અનાથઆશ્રમમાં જ કચરાં પોતા વાસણ માંજવાની નોકરી સ્વીકારી. ત્યાં પણ છણકા છાકોટાથી તેનું સ્વમાન ઘવાતું રહ્યું. એ નોકરી છોડવાનો વિચાર કરતી હતી. એવામાં એક શેઠ જેવા દેખાતા વૃદ્ધ વડીલ રોડ ક્રોસ કરવા જતાં સડક પર જ ઢળી પડયા. ત્યારે પવિત્રા દોડીને તેમની પાસે ગઈ. શેઠને ઉભા કર્યા અને તેમની સૂચના મુજબ એમ્બ્યુલન્સ બોલાવી તેમને લઇને હોસ્પિટલ પહોંચાડયા. અનુરાગ શેઠની સૂચના મુજબ પવિત્રાએ તેમને ઘેર ફોન કર્યો. અનુરાગ શેઠ વિધુર હતા. એમની પુત્રવધૂ આંચલ આવી પહોંચી. પવિત્રાને સસરાજીની સેવા કરતી જોઈ, તે ખુશ થઇ ગઈ. એણે પૂછ્યું : 'તારાં મમ્મી પપ્પા છે ? આટલી નાની ઉંમરે તને એકલી કેમ રઝળતી મૂકી દીધી છે ? જે હોય તે, જો તારે કામ કરવું હોય તો તક આપું, મારા સસરાજીને પગમાં ઇજા થઇ છે. ડૉક્ટરે એક મહિનો હોસ્પિટલમાં રહેવું પડશે એવું જણાવ્યું છે. તું એમની પાસે એક મહિનો રહીશ તો હું તને દસ હજાર રૂપીયા આપીશ. મારા સસરાજી માટે ઘરેથી જમવાનું આવશે અને તારા માટે પણ જમવાની વ્યવસ્થા કરી દઈશ.'

પોતાને સ્વમાનભેર કામ કરવાની તક મળી એટલે પવિત્રા રાજી થઇ ગઈ. એણે ખૂબ નિષ્ઠાથી અનુરાગ શેઠની સેવા કરી. શેઠે પ્રસન્ન થઇને કહ્યું : 'બેટા, હું સાજો થઇ જાઉં પછી પણ તારે બીજે ક્યાંય કામ કરવા જવાનું નથી. આજથી હું જ તારો 'બાપ'. તારે મારી સાથે જ રહેવાનું અને આંચલભાભી ચીંધે એ નાનું મોટું કામ કરવાનું અને તારો અધૂરો અભ્યાસ પણ પૂર્ણ કરવા સ્કૂલ જવું પડશે.'

આંચલ ભાભી પણ પવિત્રાતને બહુ જાળવતી હતી. પવિત્રાને શેઠનું કામ કરવામાં આનંદ આવતો હતો. પવિત્રા સવારની સ્કૂલેથી આવ્યા બાદ શેઠનું ટિફીન લઇને તેમની પેઢી પર જતી અને ત્યાં પણ તેમના કામમાં તે મદદ કરતી હતી.

વર્ષો વીતતાં ગયાં. પણ પવિત્રાના પિતાએ પવિત્રાને શોધવાનો પ્રયત્ન ન કર્યો. હવે તો પવિત્રા ભણી-ગણીને ગ્રેજ્યુએટ બની ગઇ હતી. એણે અનુરાગ શેઠને કહ્યું : 'શેઠજી, મારે હવે સ્વતંત્ર રીતે નોકરી કરવી જોઇએ. ક્યાં સુધી આપને ત્યાં હું ફ્રીમાં રહીશ ?'

અનુરાગ શેઠે કહ્યું : 'જો બેટા, હવે તું અનુરાગ શેઠની પુત્રી છે. શેઠની દીકરીએ નોકરી કરવાની ના હોય. તારે અહીં જ રહેવાનું અને મારી પેઢી સંભાળવાની છે.'

પવિત્રા અનુરાગ શેઠના પગ પકડી રડી પડી. એણે મનોમન વિચાર્યું : 'હું જેની પુત્રી છું, એ મને સ્વીકારવા તૈયાર નથી. અને આ નિ:સ્વાર્થ પ્રેમ દાખવતા અનુરાગ શેઠ મને લોહીની સગાઈ વગર પુત્રીથી પણ અધિક પ્રેમથી ચાહે છે.

એક દિવસ સવારે એણે પેપરમાં બેસણાના સમાચાર વાંચ્યા. પોતાની માતા સુલભાદેવીની સ્વર્ગવાસના સમાચાર વાંચી એ ધૂ્રસકે ધૂ્રસકે રડી પડી. પોતાની માતાના ફોટાના અંતિમ દર્શન કરવાની તેની ઇચ્છા હતી. અનુરાગ શેઠે કહ્યું 'ચાલ બેટા હું પણ તારી સાથે આવું છું. પવિત્રા તારા જેવી સુપુત્રીની જન્મ આપનારી માતાના ફોટાને વંદન કરી હું પણ ધન્ય થઇ જઈશ.'

શેઠ અનુરાગ સાથે પવિત્રા પોતાને ઘેર પહોંચી. માતાના ફોટાને વંદન કરી એણે પિતા સુકેશકુમારના ચરણ સ્પર્શ કરવાની કોશિશ કરે પણ સુકેશકુમાર તાડૂક્યા : 'ઘરેથી ભાગી ગયેલી છોકરી તું શું મોં લઇને અહીં આવી છે ? શરમ નથી આવતી ?' 

પવિત્રાએ સુલભાદેવીના ફોટાને વંદન કરતાં કહ્યું : 'મા, તારા અવસાન સાથે આ ઘર સાથેનો મારો 'નાતો' પૂરો થાય છે. 

અને પવિત્રા અનુરાગ શેઠ સાથે તેમના ઘરે પાછી ફરી. અનુરાગ શેઠનો સગો દીકરો અંતરીક્ષ યુ.એસ.માં રહેતો હતો. અંતરીક્ષે યુ.એસ જતી વખતે પોતાની પત્ની આંચલ અને પિતાજી અનુરાગ શેઠને થોડા સમય પછી યુએસ બોલાવી લેશે એવી હૈયાધારણ આપી હતી. પરંતુ યુએસ ગયા પછી અંતરીક્ષે ના કદી ફોન કર્યો કે ના કદી પત્ર લખ્યો, કે ના પોતાનું એડ્રેસ જણાવ્યું. આંચલ સમજી ગઈ હતી કે અંતરીક્ષ તેને યુએસ બોલાવવા માગતો જ નથી. આંચલ ખૂબ સમજદાર હતી. એણે સસરાની સેવા કરવા માટે સાસરે રહેવાનું પસંદ કર્યું.અનુરાગ શેઠ કાયમ કહેતા કે 'મારે બે પુત્રીઓ છે એક મારી આંચલ અને બીજી મારી પવિત્રા.'

એક દિવસ સસરા અનુરાગ શેઠે આંચલને કહ્યું : 'બેટા, મારે તારો હોદ્દો બદલવો છે.'

'હોદ્દો, કયો હોદ્દો ? હું તમારી પુત્રવધૂ છું એ જ મારો હોદ્દો છે. પુત્ર કરતાં પણ વધુ પ્રેમ તમે મને આપ્યો છે.' આંચલે કહ્યું હતું.

'કબૂલ દીકરી, પણ મારે તને 'વેવાણ'બનાવવી છે. ભગવાને આપણને પુત્રનેય ટપી જાય તેવી દીકરી પવિત્રા આપી છે. તેની લગ્નની ઉંમર થઇ ગઈ છે. પવિત્રાને પરણાવીને જમાઈ ઘરે લાવીએ એટલે તારો હોદ્દો આપોઆપ બદલાઈ જશે.' સસરાજીની મહાનતા અને ઉદારતા જોઇને પુત્રવધૂ આંચલ શેઠને કોટે વળગીને એક નાની બાળકીની 

જેમ રડવા લાગી ત્યારે પવિત્રા પણ નાના બાળકની જેમ મુક્તમને રડી હતી.

આંચલની સમ્મતિથી અનુરાગ શેઠે પોતાની પેઢીમાં મુનીમ તરીકે કામ કરતાં ઉત્પલરાયના પુત્ર આદેશ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. પવિત્રા સાથે લગ્ન પછી પણ આદેશ તેમના બંગલે જ રહેશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. અને સાદગીથી પવિત્રા તથા આદેશનો લગ્નોત્સવ ઉજવાઈ ગયો. આદેશ પણ અનુરાગ શેઠના બંગલે રહેવા આવી ગયો હતો. આદેશ અને પવિત્રા બન્ને અનુરાગશેઠની પેઢીમાં કામ કરવા લાગ્યાં.

પોતાના પિતા પારકી પવિત્રાતને પુત્રી બનાવી પુત્રી અને જમાઈને પોતાકી બનાવી પેઢીના તમામ અધિકારો તેમને સોંપશે અને પોતે રઝળી પડશે, એવા ભયથી વર્ષો પછી પુત્ર અંતરીક્ષ ભારત દોડી આવ્યો હતો. અનુરાગ શેઠ વકીલને બોલાવી પોતાનું વીલ તૈયાર કરાવી રહ્યા હતા ત્યારે અંતરીક્ષે વીલના કાગળો અધવચ્ચે જ ફાડી નાખ્યા હતા. અને કહ્યું હતું : 'પિતાજી, તમારી મિલકત પચાવી પાડવા પુત્રીવત સેવાનો ઢોંગ કરતી પવિત્રાને હું ક્યારેય મારા અધિકાર નહીં ભોગવા દઉં. પપ્પાજી, એટલું યાદ રાખજો કે પ્રેમની સગાઈ કદી લોહીની સગાઈનો વિકલ્પ બની શકે નહીં.'

અનુરાગ શેઠે કહ્યું હતું : 'અંતરીક્ષ, તારા લોહીનો રંગ લાલ નથી સફેદ છે. પેઢીનાં માલિક તો આંચલ અને પવિત્રા જ રહેશે.'  

પવિત્રાએ કહ્યું હતું : 'શેઠજી, આપ મારા પિતાતુલ્ય છો. પણ અંતરીક્ષભાઈનો અધિકાર હું છીનવી લેવા માગતી નથી. જીવનમાં નફરતને ક્યારેય વિજેતા બનવા દેવાય નહીં. સાચી મહોબ્બતનું કામ નફરત દૂર કરવાનું છે. અંતરીક્ષભાઈ, તમે ચિંતા ના કરશો. તમે મારા વડીલબંધુ અને હું તમારી નાની બહેન. અનુરાગ શેઠની સેવા ભગવાનની સેવા બરાબર છે. વીલ દિલથી ચઢિયાતું કદી બની શકે નહીં. દીકરી પરણ્યા પછી સાસરે જ શોભે. હું અને આદેશ મારા સસરા ઉત્પલરાયની સાથે રહેવા જવાના જ હતા. અનુરાગ શેઠની પરમિશન માગું તે પહેલાં તો ભાઈ તમે આવી ગયા. હું મારે સાસરે જઉં તો પણ મારો સ્નેહ અનુરાગ શેઠની સાથે રહેશે. મારા સ્વમાનની રક્ષા મારા તારણહાર અનુરાગ શેઠ પોતે જ કરશે અને મને સાસરે જવાની પરવાનગી આપશે. અંતરીક્ષભાઈ, આપ પણ અહીં ભારતમાં જ રહો તો સારું. પિતા અનુરાગ શેઠ અને આંચલભાભી સાથે આનંદથી રહો અને પિતાના આશીર્વાદ મેળવો.'

પવિત્રાની ત્યાગભાવના જોઈ અંતરીક્ષ ગદ્ગદ થઇ ગયો. એણે પવિત્રાતને ભેટીને કહ્યુ 'બહેના, તેં પુત્રીધર્મ નિભાવ્યો, કશાય સ્વાર્થ વગર. આજથી મારા પિતાના બે સંતાનો : 'અંતરીક્ષ અને પવિત્રા.' 

અને પવિત્રાને યાદ આવ્યો નાનકડા દીપે પૂછેલો પ્રશ્ન : આન્ટી, તમે સ્વમાની કે અભિમાની ?

Tags :