'તંત્રસાધના માટે આપ ભવિષ્યમાં અહીં આવશો!'
- સનાતન તંત્ર - બ્રહ્મચારી પરખ ઓમ
- 'દેવી માની પ્રાપ્તિ સિવાય આપને બીજી કોઈ ઈચ્છા નથી. એમનો સાક્ષાત્કાર એ જ આપનો મૂળ ઉદ્દેશ્ય છે!'
- ગયા અઠવાડિયે યક્ષિણી સાધના અને તે વિશે પ્રવર્તતી ભ્રમણા દૂર કરતી એક સત્યઘટના અંગે ચર્ચા માંડી હતી. વર્ષ ૨૦૧૦માં સંસારનો ત્યાગ કરતા પહેલાં કરોડપતિ રહી ચૂકેલાં શ્રી ઓમ સ્વામીએ જ્વાલામાલિની મંદિરમાં યક્ષિણી સાધના કરી હોવાનું વર્ણન એમના હિન્દી પુસ્તક 'પ્રાચીન મંત્રવિજ્ઞાાન'માં મળી આવે છે. સંન્યાસ ધારણ કર્યાના અમુક જ મહિના અગાઉ તેઓ અચાનક એક પર્વત પર આવેલાં સાવ નાના જ્વાલામાલિની મંદિરમાં ગયા હતા. પાંચ ફૂટ બાય પાંચ ફૂટનાં એ મંદિરમાં દેવી મા જ્વાલામાલિનીનો વિગ્રહ પ્રાણપ્રતિષ્ઠિત હતો, જે તૃતીય મહાવિદ્યા - શ્રીવિદ્યા - મા લલિતા મહાત્રિપુરસુંદરીની એક સંગિનીશક્તિ અર્થાત્ નિત્યાદેવીનું નામ છે.
ગર્ભગૃહની બરાબર સામે એક યજ્ઞાકુંડનું નિર્માણ થયેલું હતું, પરંતુ આ કોઈ સામાન્ય કુંડ નહોતો. પહેલી નજરે જોનારને એ અન્ય યજ્ઞાકુંડ સમાન જ લાગે, પરંતુ ધ્યાનપૂર્વક જોઈએ તો સમજાય કે એ ચોરસ કુંડનો એક ખૂણો દેવી મા જ્વાલામાલિનીનાં ગર્ભગૃહ તરફ દિશાનિર્દેશ કરતો હતો અને સામેની બાજુ બેસીને જ્યારે કોઈ સાધક યજ્ઞા કરે તેની સામે યજ્ઞાકુંડનો બીજો ખૂણો આવે. સ્વામીજીને તો જોતાંવેંત સમજાઈ ગયું કે આ યજ્ઞાકુંડ કોઈ વિશેષ તાંત્રિક સાધના હેતુ એક નિપુણ તંત્ર-ઉપાસક દ્વારા બનાવવામાં આવ્યો છે. દેવી મા અને યજ્ઞાકુંડને પ્રણામ કરી તેઓ જેવા મંદિરની બહાર પોતાના બૂટ પહેરીને ફરી કાર તરફ રવાના થાય, એ પહેલાં અચાનક પાછળથી એમને કોઈકે સાદ પાડયો, 'આપને ત્યાં પરિવારમાં એક ભાઈ અને
બહેન છે!'
સ્વામીજીના પગ રોકાઈ ગયા. બૂટ પહેરવાનું માંડી વાળીને એમણે પાછળ જોયું તો ફક્કડ ભગવાધારી સાધુ પોતાની ધૂનમાં બોલ્યે જતાં હતાં. આશ્ચર્ય એ વાતનું હતું કે સ્વામીજી જ્યારે મંદિરમાં પ્રવેશ્યા હતા એ વેળા એમને ત્યાં કોઈ દેખાયું નહોતું. સાવ નિર્જન ભાસતા એ મંદિરમાં કોઈ અચાનક આવી શકે એવી શક્યતા પણ દૂર દૂર સુધી જણાતી નહોતી.
તેમણે સાધુ પાસે જઈને પ્રણામ કર્યા.
'આપ ઘણાં વર્ષો સુધી વિદેશ રહ્યા, અને હવે સંપૂર્ણ જીવન માટે ભારત સ્થાયી થવાના હેતુથી અહીં આવ્યા છો.' સાધુએ ફરી કહ્યું.
સ્વામીજી શાંતિથી એમની વાણીને સાંભળતાં હતાં. આવા અનેક અનુભવો એમને પહેલાં પણ થઈ ગયા હોવાને કારણે એમને આ વાતનું ઝાઝું આશ્ચર્ય નહોતું કે એક અજાણ્યા સાધુ એમના જીવન અંગે આટલું બધું કઈ રીતે કહી શકે!
'દેવી માની પ્રાપ્તિ સિવાય આપને બીજી કોઈ ઈચ્છા નથી. એમનો સાક્ષાત્કાર એ જ આપનો મૂળ ઉદ્દેશ્ય છે!' સાધુએ માર્મિક શબ્દોમાં કહ્યું, 'આવનારા ગણતરીનાં મહિનાઓની અંદર આપ આ મંદિરમાં આવીને એક તાંત્રિક અનુષ્ઠાન પૂર્ણ કરશો.'
આ વાત સાંભળીને સ્વામીજી ચોંક્યા. મૂળ કારણ એ કે મંદિરમાં દર્શન કરીને આવ્યા પછી પણ એમના મનમાં એવું સહેજેય નહોતું કે ભવિષ્યમાં તેઓ ક્યારેય અહીં પુનરાગમન કરશે અને એ પણ એક તાંત્રિક સાધના માટે!
સાધુએ અચાનક સ્વામીજીને એક મંત્ર આપીને કહ્યું કે, 'રોજ દિનચર્યા શરૂ કરતાં પહેલાં આ મંત્રનું ઉચ્ચારણ કરજો. ફળની પ્રાપ્તિ અવશ્ય થશે.'
સ્વામીજીએ એ મંત્રને આશીર્વાદ સમજીને મસ્તક પર ધારણ કર્યો અને સાધુ દ્વારા આપવામાં કેટલાંક વિશેષ સૂચનોને મનોમન નોંધી લીધાં. એમને સાધુ સાથે ઘણો વાર્તાલાપ કરવાની ઈચ્છા હતી, પરંતુ સાધુએ તો સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે એમની પાસે કોઈ જ્ઞાાન નથી. એમના ગુરુ દ્વારા જે મંત્ર આપવામાં આવ્યો, એનું જ જીવનભર એમણે ઉચ્ચારણ કર્યુ છે. એ સિવાય એમને કશી ખબર નથી.
જતાં પહેલાં સ્વામીજીએ સાધુને યથાયોગ્ય દક્ષિણા આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ સાધુએ કહ્યું કે તેઓ તો સતત ભ્રમણ કરવામાં માનનારા અલગારી સાધુ છે અને એક સ્થાન પર ત્રણ દિવસથી વધુ સમય સુધી રોકાવું એમને પોસાય નહીં. પૈસા લેવાની એમણે ના પાડી દીધી. અનેક વિનંતી અને પ્રાર્થનાઓ પછી આખરે એમણે સ્વામીજી પાસેથી દક્ષિણાની રકમ સ્વીકારી, કારણ કે સ્વામીજીના માતારાની (એમને જન્મ આપનાર મા) હંમેશા કહેતાં કે ક્યારેય ખાલી હાથે સાધુને મળવું નહીં. યથાશક્તિ પોતાના તરફથી સાધુ-મહાત્માને દક્ષિણા આપવી એ પ્રત્યેક સનાતની હિંદુની ફરજ છે.
આ ઘટનાના થોડા જ સમયની અંદર ખરેખર સાધુએ ભવિષ્યવાણી કરી હતી એમ, સ્વામીજી ફરી દેવી મા જ્વાલામાલિનીનાં મંદિરમાં પધાર્યા, યક્ષિણી સાધના કરવા માટે! એમની આ સાધના કેવી રહી અને એના થકી શું પ્રાપ્તિ થઈ એ અંગે વાત કરીશું આવતાં અઠવાડિયે.