Get The App

71મા વર્ષના વિદાય પ્રસંગે ચાલો, ઉજવીએ આપણા શ્વાસનો ઉત્સવ!

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
71મા વર્ષના વિદાય પ્રસંગે ચાલો, ઉજવીએ આપણા શ્વાસનો ઉત્સવ! 1 - image


- જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

- શ્વાસને ઓળખીએ, સ્વીકારીએ, સમજીએ અને પછી સત્યમ્, શિવમ્, સુન્દરમ્ની ભાવના સેવીને સુંદર જીવન દ્વારા એ શ્વાસના સંગીતનું સૌંદર્ય પામીએ

ચા લો, આપણે આપણા શ્વાસનો ભર્યો ભર્યો, અનેરો ઉત્સવ ઉજવીએ. જીવનમાં ઉત્સવો તો ઘણા જોયા હશે ? કોઈ ભવ્યાતિભવ્ય ધાર્મિક ઉત્સવ યોજાતો હોય, કોઈ સામાજિક પ્રસંગ રંગેચંગે ઉજવાતો હોય, ક્યાંક ખુશાલી છલકાતી હોય તો ક્યાંક દુર્ઘટનાથી સર્જાયેલો ઘોર વિષાદ હોય ! પણ બધે જ એક યા બીજા પ્રકારે ઉત્સવ ઉજવાતો હોય છે. 

એક અર્થમાં કહીએ તો આજે 'જાણ્યું છતાં અજાણ્યું' કોલમનો પણ નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. આ કોલમનો પ્રારંભ 'ગુજરાત સમાચાર'નાં દીર્ઘદ્રષ્ટા કર્મયોગી તંત્રી શ્રી શાંતિલાલ શાહે એમના મિત્ર અને સર્જક જયભિખ્ખુ પાસે કરાવ્યો હતો. જયભિખ્ખુએ શરૂ કરેલું આ કોલમ આજે ૭૨મા વર્ષમાં પ્રવેશે છે. ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે સર્જક જયભિખ્ખુનું અવસાન થયું, ત્યારબાદ તેમના સુપુત્ર ડો. કુમારપાળ દેસાઈ આ કોલમ લખે છે, જે વાચકોને વિદિત છે અને આજે એમના દ્વારા લખાતું આ કોલમ ૫૫ વર્ષ પૂરા કરીને ૫૬મા વર્ષમાં પ્રવેશે છે. છે ને આ ઉત્સવની વાત ! ખેર ! 

આપણે જાણીએ છીએ કે સમાજમાં કોઈનો જન્મ થાય એટલે ઉત્સવ થાય, કોઈના લગ્ન થાય એટલે ઉત્સવ થાય અને કોઈનું મૃત્યુ થાય ત્યારે પણ અન્ય અર્થમાં ઉત્સવ થતો હોય છે. જેમ લગ્નની આસપાસ કર્મકાંડ, રીતરિવાજ અને રુઢિઓનાં બંધન બાંધી દીધાં છે અને એ રીતે આપણે ઉમંગભેર લગ્નોત્સવ માણીએ છીએ, એ જ રીતે માનવી મૃત્યુ પામે, ત્યારે પણ કેટલાંય રૂઢ રિવાજો, કેટલીય ઘટનાઓ અને કેટકેટલી વિધિ થતી હોય છે. સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે તેમ, 'માણસ ઉત્સવપ્રિય છે.' 

આપણે જાણીએ છીએ કે આપણા તહેવારોનાં ઉત્સવો તો ઉજવીએ, પણ એથીયે વિશેષ વિદેશમાં ઉજવાતા 'વેલેન્ટાઈન ડે' જેવાં ઉત્સવો પણ ઉજવવામાં પાછા પડતા નથી. વળી ઉત્સવની એ દરેક ભાવનાની આજુબાજુ આપણે પોતાની રીતે રંગરોગાન કરીએ છીએ. સજાવટ કરીએ છીએ, જેથી એ ઉત્સવનો ઠઠારો વધે અથવા તો એની ચમક વધે, પણ ક્યારેય તમે શ્વાસનો ઉત્સવ કર્યો છે ખરો ? 

હકીકતમાં આપણે જન્મથી અવસાન સુધી સતત શ્વાસ લેતા હોઈએ છીએ. આ ક્રિયા સતત ચાલતી હોવા છતાં આપણે એના તરફ લક્ષ આપતા નથી, પરંતુ આપણો પ્રત્યેક શ્વાસ એ આપણા પ્રાણવાન જીવનનું એક અંગ હોય છે. પ્રત્યેક શ્વાસે આપણે આગળ વિચારતા હોઈએ છીએ. એ શ્વાસનો ખરો ખ્યાલ તો આપણને કોઈ ઊંચા પર્વત પર ચઢતી વખતે હાંફ ચઢી જાય, ત્યારે આવે છે અથવા તો બ્લડપ્રેશર માપતી વખતે શ્વાસને અટકાવવાનો હોય છે, ત્યારે આપણને એના અસ્તિત્વનો અહેસાસ થાય છે, પરંતુ એ શ્વાસનાં સંગીતને સાંભળવા જેવું છે. 

યોગીઓએ આ શ્વાસનું સંગીત સાંભળ્યું અને એમનાં યોગાસનોમાં એનો મહિમા કર્યો. કોઈએ વળી ઊંડા શ્વાસ દ્વારા પોતાના હૃદયતંત્રને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો. આ બધું તો આપણે કરીએ છીએ, પરંતુ ક્યારેય આપણે એ શ્વાસનું સંગીત સાંભળ્યું છે ખરું ? બાળકનો જન્મ થાય અને માતા નિકટ જઈને એના શ્વાસનું સંગીત સાંભળતી હોય છે અને પછી એ વારંવાર સાંભળીને હૃદયમાં ટાઢક અનુભવતી હોય છે. એના શ્વાસને જોઈને એને સધિયારો બેસે છે કે મારું સંતાન જીવંત છે. આ કેવું કહેવાય કે વ્યક્તિ જીવંત નથી એની ઓળખ પણ શ્વાસ દ્વારા જ થતી હોય છે ! 

જો વ્યક્તિ શ્વાસ લેતી ન હોય તો એને શ્વાસ લેતી કરવા માટે તબીબો સઘળા ઉપાયો અજમાવતા હોય છે. એનું કારણ શ્વાસ સાથે જીવન જોડાયેલું છે. વ્યક્તિ અવસાન પામ્યો છે એનું એંધાણ પણ શ્વાસ જ છે. કેવું હશે આ શ્વાસનું મશીન કે જે ગવાહી આપશે કે આ વ્યક્તિ જીવંત છે કે મૃત છે અને જરૂ૨ પડયે એ શ્વાસને ફરી ચાલુ કરવા માટે ડોક્ટર દર્દીની છાતીમાં મસાજ કરતો હોય છે અથવા તો મશીનથી એનો શ્વાસ ચાલુ રાખવા પ્રયત્ન કરતો હોય છે. એ શ્વાસ સંભળાય નહીં એટલે ડોક્ટર જાહે૨ ક૨શે કે આ વ્યક્તિ મૃત્યુ પામી છે. 

આથી જ 'બ્રહ્મપુરાણ'(૧૧૦/૬૫)માં કહ્યું છે, 

ાૃ્ર્ઙ્ઘ્છ શ્નિંહૃક્નશપ્ેંહ્લ ર્યંઋવ્શ્ન।શપ્ પ્।્ઝ્ય શ્નસ ઝ્ર્હ્વ્ છિંશ્નર્યંલ્યૈ્થ ળ

'જેમણે દેહ ધારણ કર્યો છે, એમના પ્રાણ એકને એક દિવસ અવશ્ય જશે.' 

આમ માનવજીવન સતત શ્વાસથી ચાલતું હોય છે. વિચાર કરો કે તમે દરિયામાં નૌકા લઈને નીકળ્યા છો અને હલેસાં લગાવીને આગળ વધી રહ્યા છો. બસ, આ હલેસું એ જ આપણા શ્વાસ. દરિયાનાં પાણીમાં જેમ જેમ આગળ વધીએ તેમ તેમ સતત આસપાસની સૃષ્ટિનો અનુભવ થાય. ક્યારેક દરિયાનાં પાણીનું કોઈ મોજું તમારી પાસેથી હળવેથી પસાર થાય અને તમને એનો મુલાયમ સ્પર્શ કરવો પસંદ પડે અને ક્યારેક કોઈ મોજું એવું પણ આવે કે જે તમારી નૌકાને જોરથી થપાટ મારતું હોય તેમ હાલક-ડોલક કરી દે અને તમે પહેલાં જે આનંદ અનુભવતા હતા એને બદલે હવે ભય અનુભવશો. 

ઘણી વ્યક્તિઓ સવાલ કરે છે કે કુમારપાળભાઈ, આ શ્વાસનો આટલો બધો મહિમા કેમ ? તો મારે શ્વાસ વિશે પણ એ જ કહેવું છે કે, 'તમે તમારી જીવન નૈયા જે હલેસાંથી પસાર કરો છો એ હલેસાં પર થોડું મન કેન્દ્રિત કરો. કારણ કે જો આપણે આપણા શ્વાસને ઓળખીએ તો એની ભીતરમાં રહેલા અનેક ભાવોનો આપણે અનુભવ કરી શકીએ.'

તમારી આશા અને નિરાશાની નિશાની તમારા શ્વાસ છે. આશા હશે તો શ્વાસમાં ઉછળતો ઉત્સાહ હશે અને નિરાશા હશે તો શ્વાસમાં ભારેખમ નિસાસા હશે. એ શ્વાસ તમારા પ્રેમ કે ક્રોધનો પ્રતીક બની રહે છે. પ્રેમ સમયે શ્વાસની સંવાદીગતિનો અનુભવ થશે અને ક્રોધ વખતે શ્વાસની તીવ્ર ગતિનો અનુભવ થશે. તમારે ક્રોધને વશ કરવો હોય તો શ્વાસનાં આ વિજ્ઞાાનને જાણો. જો ચિત્ત શ્વાસ પર કેન્દ્રિત હશે તો તરત જ એ કહી દેશે કે હવે તમને અમુક વ્યક્તિ, પરિસ્થિતિ કે પદાર્થ પ્રત્યે અણગમો આવવાની તૈયારી છે. થોડા ઝડપથી ચાલતા શ્વાસ તમને મનમાં જાગેલા ગુસ્સાની આગાહી આપશે અને એ પછી એથીયે વિશેષ ઝડપથી ચાલતો શ્વાસ તમારા ક્રોધની જીવંત નિશાની બની રહેશે. 

ભગવાન મહાવીરે દર્શાવેલી કાયોત્સર્ગની યોગપ્રણાલીમાં આ શ્વાસનું વિજ્ઞાાન છુપાયેલું છે. જેમાં અંગોનું હલનચલન ન હોય, મન તદ્દન શાંત હોય, ચક્ષુ સ્થિર હોય. બધી જ ક્રિયા બંધ હોય, માત્ર શ્વાસ ચાલુ હોય. બહારની પરિસ્થિતિ તમારા શ્વાસને પ્રભાવિત કરતી હોય છે. આપણે આપણા શ્વાસને ઓળખવો જોઈએ. એને ઓળખવા માટે તમારે કોઈ એપોઇટમેન્ટની જરૂર નથી, કોઈ ઓળખાણનો આશરો જરૂરી નથી. બસ, એ તો સતત તમારી સાથે જ રહેતો હોય છે. માત્ર તમારે એની પરખ કરવાની છે કે એ શ્વાસની પાછળ ચિત્તની શુભસ્થિતિ છે કે અશુભસ્થિતિ છે. એ શ્વાસમાં મંગળ ભાવના વહે છે કે અમંગળ વિચાર બહાર નીકળે છે. એ શ્વાસ તમારી ચિત્ત સ્થિતિનું પ્રતિબિંબ બની રહેશે અને એ પ્રતિબિંબ પરથી તમે મૂળબિંબની અર્થાત્ તમારા ચિત્તના મૂળભાવની ઓળખ પામી શકશો. 

આથી એ શ્વાસને ઓળખીએ, સ્વીકારીએ, સમજીએ અને પછી સત્યમ્, શિવમ્, સુન્દરમ્ ની ભાવના સેવીને સુંદર જીવન દ્વારા એ શ્વાસના સંગીતનું સૌંદર્ય પામીએ. એ શ્વાસ આપણા મનની મૂંઝવણને પણ કહેશે અને ભીતરની ચિંતાની વાત પણ કરશે. એ શ્વાસમાં તમે તમારી નિષ્ફળતા કે સફળતાનો પ્રતિઘ્વનિ સાંભળી શકશો. ચિત્તમાં રહેલાં સારા-નરસા વિચારોનો અનુભવ કરી શકશો. આ બધાને પાર શ્વાસનું સંગીત છે. એ મધુર સંગીતનું વાજિંત્ર આપણું જીવન છે. એના તાર આપણું ચિત્ત છે અને એના સૂર આપણી બુદ્ધિ છે. જો એ સંગીતને આપણે બરાબર સાંભળીએ તો આપણા જીવનને એક નવું સૌંદર્ય બક્ષી શકીએ છીએ. આપણી જિંદગીને લયબદ્ધ બનાવી શકીએ છીએ અને એથીયે વધારે આપણા મનનાં ગોડાઉનમાં વેરવિખેર પડેલા વિચારો, દ્વિધાઓ, ચિંતાઓ, કલ્પનાઓ, ખ્યાલો, આદર્શો એને યોગ્ય રીતે ઓળખી શકીએ છીએ. 

આ શ્વાસમાં રહેલી તાકાતને ઓળખવાની જરૂ૨ છે, એની શક્તિને જુઓ અને એ શક્તિને વધુ વિકસાવો. એ શ્વાસથી જીવનનાં દૂષિતભાવોને શુદ્ધ કરો અને શુદ્ધભાવોમાં પવિત્રતાનું સિંચન કરો. એ શ્વાસ તમારો સાથી છે, સંગાથી છે, માર્ગદર્શક છે અને જીવન વિધાયક છે. આવા શ્વાસનાં સંગીતને સાંભળીને જીવનમાં શ્વાસનો ઉત્સવ માણીએ. અઢળક સમૃદ્ધિ આપતા પણ આવા ઉત્સવની પ્રાપ્તિ નહીં થાય. બાહ્ય જગતમાં અથાગ પુરુષાર્થ કરશો તો પણ એ શ્વાસનું સંગીત સાંપડશે નહીં. 

આથી આપણા જીવનને માટે સૌથી મહત્ત્વનો છે શ્વાસ અને આપણી ઓળખને માટે સૌથી મોટો માર્ગદર્શક છે આપણો શ્વાસ.

Tags :