Get The App

જીવન રખડપટ્ટી છે, રઝળપાટ નથી .

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
જીવન રખડપટ્ટી છે, રઝળપાટ નથી                                   . 1 - image


- લેન્ડસ્કેપ - સુભાષ ભટ્ટ

આજે હું ઘાંસના તણખલાંની ઉપસ્થિતિ ઉજવી રહ્યો છું

- નોંધપોથી-રસ્કીન બોન્ડ

આ જીવન-પ્રેમી સર્જક મળવા જેવા છે. સોળ વરસે લખવાનું આરંભેલું. આજે તેઓ નેવું વર્ષના થયા. હિમાલયના લેન્ડુર(મસુરી)નામના હિલ સ્ટેશન પર રહે છે. તેના પાંચસો જેટલા પુસ્તકો હશે. તેમને સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો છે અને પદ્મભૂષણ પણ મળ્યું છે. તેઓ સવાયા ભારતીય છે. તેમણે આપણને સ્વસ્થ અને શાતાદાયક જીવન જોવાની, જાણવાની અને જીવવાની શૈલી આપી છે. 

બટ સોરી. આપણે સતત ક્લિક પર આંગળી રાખીને અભિપ્રાય, મંતવ્યો કે કોમેન્ટસ લખવામાં વ્યસ્ત છીએ. સાચ્ચા-ખોટા નામોથી, નાની-મોટી વાતોમાં કોમેન્ટસ લખવાથી મોટું કોઈ કામ નથી અને જીવનનો  તેનાથી મોટો કોઈ અર્થ નથી, તેમ માનીએ છીએ. આપણી સર્જનાત્મકતા અને રચનાત્મકતા આટલામાં જ હાંફી જાય છે. જીવન અને જગતના શાંત સરોવરમાં સૌ કોઈ મારો ચહેરો જોઈ લે અને મારા હસ્તાક્ષર ઓળખી લે તેવી વાસના સાથે આપણે કાંકરી કે પથ્થર ઉછાળીને રાજી થઈએ છીએ. કદાચ, તેથી જ ઘણા સાહસવીરો પબ્લીક પ્લેટફોર્મ કે સોસીઅલ મિડીયા પર કાદવ ઉછાળ્યા કરે છે - સ્વયંની યોગ્યતા કે ક્ષમતા તપાસ્યા વિના જ.

રોલ્ફ ડોબેલ્લી નામનો એક આધુનિક સ્વીસ વિચારક એક સરસ શબ્દ આપે છે. 'ઓપીનીયન વોલ્કેનો' અર્થાત, અભિપ્રાયોનો જ્વાળામુખી. જેને આપણે સતત ખળભળતો અને ખદબદતો, ઉકળતો અને ઉછળતો રાખીએ છે. જગત આખામાં અભિપ્રાયોના પરપોટા કે બુદબુદા ફૂટયા કરે છે. આપણી આવડત કે નિસબત ન હોય તેમાં પણ ચંચુપાત કરીએ છીએ. તેમાં ભલેને વિચાર કે વિચારણા ન હોય તો પણ. ૩ મિનિટના વિડીઓ પર  ૩૦  હજાર અભિપ્રાયો પણ હોય છે,  આ વ્યાધિ છે- ટોકસીક છે. સોસીયલ મિડીયામાં પૂછો; આવતા દાયકામાં ત્રીજું વિશ્વયુધ્ધ થશે કે નહીં ? પછી જુઓ... અલબત્ત, આમાં આભિજાત્ય અપવાદો છે તેમને સલામ! તેમના થકી જ આજે જીવન પ્રત્યેની આસ્થા ટમટમે છે. 

ઈ.ઈ ક્યુમીન્ગ (ઈ.સ ૧૮૯૪-૧૯૬૨) નામનો એક અમેરિકન સાહિત્યકાર-ચિત્રકાર એક અદભૂત વિચાર આપે છે, 'આ જગત દિવસ-રાત્રી મથે છે. તમને અન્ય જેવા સરેરાશ બનાવી દેવા માટે. તમે તમે જ બની રહો અને હું હુંજ બની રહું એ સૌથી લાંબી, મોટી અને મૂશ્કેલ લડાઈ છે. માનવ માત્રે તે લડવાની છે, લડયા કરવાની છે, ટકવાનું છે, અટકવાનું નથી'.    

આજે-અત્યારે, અભિપ્રાય લખવો કે અસ્ત થતો સૂરજ નિરખવો એ જીવનરસાયણ બદલી નાખતો સ્વતંત્ર નિર્ણય છે !


Tags :