સંજોગો નહીં, સ્વભાવ બદલો! .
- પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ
- એ ભસ્મીભૂત થયેલી લેબોરેટરીને જોઈને બોલ્યો, 'અરે! આ લેબોરેટરીમાં લાગેલી આગમાં મારી બધી ભૂલો બળીને ખાખ થઈ ગઈ. બસ, હવે બધું નવેસરથી શરૂ કરી શકીશ'
આ પણી જિંદગી એક એવી હોસ્પિટલ છે કે જ્યાં દરેક દર્દી પોતાનો પલંગ બીજાની સાથે બદલવા માટે અતિ આતુર અને ઉત્સુક હોય છે. એ પોતાની વર્તમાન જિંદગીથી પારાવાર કંટાળેલો, થાકેલો અને અકળાયેલો હોય છે. એને ચોતરફ વિષાદભરી ઘોર હતાશા જ દેખાય છે અને એમ માને છે કે જીવનમાં આવતાં સઘળાં કપરાં સંજોગો મને જ ઘેરી વળ્યાં છે. એ પોતાના પ્રત્યે નફરત સેવે છે અને એ બીજાનાં સુખની ઇર્ષ્યા કરે છે. પોતાને જે પ્રાપ્ત છે એ એને સહેજે પૂરતું લાગતું નથી કે સાવ અપૂરતું લાગે છે અને બીજાને જે કંઈ પ્રાપ્ત થયું છે એ જ એની નજ૨માં વસે છે.
કોઈને પત્ની પસંદ નથી, તો કોઈને નોકરી પસંદ નથી. કોઈને પિતા સાથે અણબનાવ છે, તો કોઈને જ્ઞાાતિ સાથે ઝઘડો છે. કોઈ આસપાસનાં સમાજ પ્રત્યે નફરત સેવે છે, તો કોઈને આ દેશમાં રહેવું સહેજે પસંદ નથી અને છતાં વિદેશને બદલે આ દેશમાં રહેવું પડે છે એના સતત નિસાસા નાખતો હોય છે. આથી એ સતત પોતાને સાચો, સારો અને ઉદ્યમી માને છે અને પોતાનાં સઘળાં દુઃખનું કારણ આસપાસનાં સંજોગોને ગણે છે. એ સંજોગ પરિવારનો હોય, વ્યવસાયનો હોય, સામાજિક પરિસ્થિતિનો હોય કે રાજકીય ઉથલપાથલનો હોય, પરંતુ આ બધા સંજોગોમાંથી કોઈને કોઈ સંજોગને પોતાના પારાવાર દુઃખનું મુખ્ય ગુનેગાર ગણે છે.
પરિણામે એ પરમાત્માને સતત પ્રાર્થના કરતો હોય છે કે, 'હે પ્રભુ ! મારા સંજોગો બદલી નાખ. કર્કશા પત્નીનો સ્વભાવ તું પલટી નાખ, મારા પિતા મને સમજે એવું કંઈક કર, નોકરીમાં પ્રમોશન પ્રાપ્ત થાય એવી પરિસ્થિતિનું નિર્માણ કર. બસ, તું સંજોગો બદલી નાખ એટલે મારું જીવન બદલાઈ જશે.'
વળી એ પ૨માત્માને કહેશે ઃ 'આજે જે જીવન જીવી રહ્યો છું, એમાં ક્યાંય નિરાંત નથી. આ જીવન તો એક મજબૂરીથી થતી વેઠ કે વૈતરાં જેવું લાગે છે. રોજ શાંતિ માટે ઝંખના કરું છું અને એક પછી એક અશાંતિ ઊભી થતી જાય છે. હજી માંડ એક મુશ્કેલીમાંથી બહાર આવું, ત્યાં સામે બીજી મુશ્કેલી ઊભી જ હોય છે. આમાંથી મને છુટકારો આપ.'
દરેક વ્યક્તિએ પરમાત્માને પોતાના સંજોગો બદલી નાખવા માટે પ્રાર્થના કરી હોય છે; પરંતુ એ પોતાની જાતને બદલવા માટે તૈયાર હોતી નથી. હકીકતમાં પરિસ્થિતિ ક્યારેય બદલાતી નથી. તમારે બદલાવું પડે છે. આસપાસના સંજોગોમાં રાતોરાત કોઈ મોટું પરિવર્તન આવી જતું નથી. તમારે પોતે પરિવર્તન પામીને એ સંજોગો વચ્ચે જીવવાનું અને એમાંથી માર્ગ કાઢવાનો છે.
૧૯૧૪ના ડિસેમ્બર મહિનાની એક રાત્રે એડિસનની લેબોરેટરીમાં આગ લાગી અને થોડીક ક્ષણોમાં એના જીવનની સઘળી મહેનત રાખ થઈ જાય એમ હતી. વીસ લાખ ડોલરથી વધુ નુકસાન થયું હતું અને માત્ર બે લાખનો જ વીમો હતો. આવે સમયે એડિસન એના પુત્રને કહે છે કે, 'આ સળગતી લેબોરેટરી જોવા માટે તારી માતાને જલ્દી બોલાવ, કારણ કે આવું દ્રશ્ય ફરી જોવા નહીં મળે.' એડિસનની આ સમયે ૬૭ વર્ષની ઉંમર હતી. આગમાં એનું સઘળું સંશોધનકાર્ય હોમાઈ ગયું હતું.
હવે અહીં એ આ પરિસ્થિતિનો એ કેવો આબાદ સ્વીકાર કરે છે તે જુઓ! એ ભસ્મીભૂત થયેલી લેબોરેટરીને જોઈને બોલ્યો, 'અરે ! આ લેબોરેટરીમાં લાગેલી આગમાં મારી બધી ભૂલો બળીને ખાખ થઈ ગઈ. બસ, હવે બધું નવેસરથી શરૂ કરી શકીશ' અને હકીકત એ છે કે ત્રણ અઠવાડિયા બાદ એડિસને ગ્રામોફોનનાં જેવા ફોનોગ્રાફનું સંશોધન કર્યું.
આમ જીવનમાં પડકાર તો રહેવાના જ; પરંતુ એ પડકાર ઈશ્વર એ માટે મોકલે છે કે માનવી પોતાનું ખમીર શોધી શકે. આજે તો એવું બને છે કે વ્યક્તિના જીવનમાં કોઈ મુશ્કેલી કે પડકાર આવે, ત્યારે તે ઈશ્વરને દોષ આપે છે. એની સઘળી શ્રદ્ધા ચલિત થઈ જાય છે. હકીકતમાં ઈશ્વર પરની દ્રઢ શ્રદ્ધાની જ આ કસોટી હોય છે અને એને ઈશ્વર જ મોકલતો હોય છે. માટે આવી કસોટી બદલ ઈશ્વરને દોષ દેવાનો કોઈ અર્થ નથી. એને બદલે ઈશ્વર પરની સાચી શ્રદ્ધા સાથે આ કસોટીનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.
પહેલી વાત એ છે કે સંજોગો બદલવા માટે તમારે બદલાવું પડશે અને એ માટે તમારે તમારી જાતને કેળવવી પડશે. કશુંક પ્રતિકૂળ થાય એટલે 'અપસેટ' થઈ જવાની આદત છોડવી પડશે. મોટાભાગની વ્યક્તિઓનું જીવન એવી રીતે વહેતું હોય છે કે એ હંમેશાં 'અપસેટ' જ હોય છે અને એનું કારણ એમની આસપાસની પરિસ્થિતિમાં પડેલું હોય છે. એમને ઘણીવાર એ અકળામણ હોય છે કે કુટુંબીજનો એમની યોગ્ય સારસંભાળ લેતા નથી. રામો ન આવે તો એમનો 'મૂડ' ખરાબ થઈ જાય છે. ફ્રિજ બગડી જાય કે લાઇટ જતી રહે, તો એમના મન પર દુઃખનું આખું આકાશ તૂટી પડે છે !
એક જમાનામાં તીવ્ર બુદ્ધિશક્તિ, છટાદાર વક્તત્વ ધરાવતો ફ્રેંચ ક્રાંતિનો સર્જક વોલ્તેર દુનિયાની સઘળી બાબતો વિશે આકરી ટીકાઓ કરતો હતો. આ સમયે ઇંગ્લેન્ડના તત્ત્વચિંતક, નિબંધકાર અને ઇતિહાસકાર થોમસ કાર્લાઇલ સાથે વાતચીત કરતા વોલ્તેરે ગુસ્સાભરી આક્રોશપૂર્ણ ભાષામાં સઘળું જમીનદોસ્ત કરી નાખવું જોઈએ. એમ કહ્યું, ત્યારે કાર્લાઇલે કહ્યું, 'તમારી પાસે ભાંગીને ભૂક્કો ક૨વા માટે હથોડો છે, પણ ચણવા માટે લીલું તમે ૨ાખતા જ નથી.'
બુદ્ધિશાળી અને વાચતુર વોલ્ટેર કાર્લાઇલના આવા સીધાસાદા સવાલનો જવાબ આપી શક્યા નહીં અને ઊંડા વિચારમાં ડૂબી ગયા. હકીકત એ છે કે આવે સમયે તમે બહારના સંજોગોને બદલી શકવાનાં નથી. તમારે તમારા મનને બદલવાનું છે. એ મનને શાંત અને સ્વસ્થ રાખીને તમારે તમારું કામ આગળ ધપાવવાનું છે. એક શિક્ષક વર્ગમાં જાય, ત્યારે કોઈ વિદ્યાર્થી સહેજ તોફાન કરે અને જો એ ગુસ્સે ભરાઈને ગમે તેમ બોલવા લાગે, તો એ નિષ્ફળ જાય છે. એ શિક્ષક પાસે એટલી સ્વસ્થતા હોવી જોઈએ કે વિદ્યાર્થીની એ ટીખળને એવી રીતે લે કે જેથી એમના પોતાના ચિત્તની શાંતિ હણાય નહીં અને એ પોતાનો વર્ગ શાંતિથી લઈ શકે અને પોતાનો વિષય સરસ રીતે શીખવી શકે.
પરિસ્થિતિ પ્રત્યે તમારો પ્રતિભાવ કેવો છે તે ચકાસવું જોઈએ. તમારી આસપાસના પરિચિતોને જોશો તો તમને તરત ખ્યાલ આવશે કે આ વ્યક્તિને અમુક વાત કહીશું એટલે એનો અમુક જ પ્રતિભાવ આવવાનો. એ તરત ઉકળી જશે અથવા તો એ તત્કાળ એ વિષયમાં કોઈ નેગેટિવ ટિપ્પણી કરશે એમ તમે કહી શકશો. એવી જ રીતે ઘરમાં પત્ની કોઈ માંગણી કરે અને તમારો વિચાર કોઈ બીજી વસ્તુ લાવવાનો હોય, તો એ વાતથી જ પત્ની 'અપસેટ' થઈ જશે. કેટલીક વ્યક્તિઓ તત્કાળ અકળાય જાય છે, ત્યારે કેટલીક વ્યક્તિઓ એ પ્રશ્નને શાંત રીતે સમજવાની કોશિશ કરે છે.
કેટલીક બાબત એવી છે કે જેને તમે તમારા જીવનમાં બદલી શકતા નથી. તમારો ભાઈ, બહેન, મમ્મી કે પપ્પા જે મળ્યાં હોય, તેનો સ્વીકાર કરવો પડે છે. હવે કોઈ બીજાના પપ્પાને જોઈને તમે એમ વિચારો કે મારા પપ્પા પણ આના જેવા હોત તો કેવું સારું ! પણ આવું બનવું શક્ય નથી. કોઈની મમ્મીમાં વધુ વાત્સલ્ય અને આવડત જોઈએ તે આપણી મમ્મીમાં પણ મળવાં જોઈએ એવું બનતું નથી. તમારું શરીર ખૂબ સ્થૂળ હોય અને તમે દોડની સ્પર્ધામાં પ્રથમ નંબર આવવાની કલ્પના કરો તો તે અશક્ય છે. મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં પણ પરાજય પામ્યા હો અને આવતે વરસે મેયર બનવાનું સ્વપ્ન સેવો તે ખોટું છે.
આમ, કેટલીક બાબતો કે વસ્તુઓ આપણે માટે શક્ય નથી જ એટલે એની ઝંખના રાખવાને બદલે એને ભૂલી જવી યોગ્ય છે. જેને તમે કોઈ કાળે બદલી શકતા નથી, એને બદલવાનો વિચાર છોડી દેજો. એને બદલે એના પ્રત્યે સ્વીકારભાવ રાખજો. જે છે એનો હસતે મોઢે સ્વીકાર કરીને જીવવાથી અભાવ કે અતૃપ્તિ તમને પજવશે નહીં અને તમે તમારી આસપાસની પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી શકશો.
મહાન વૈજ્ઞાાનિક આઇઝેક ન્યૂટન પોતાના દીર્ઘકાળનાં સંશોધનનાં પરિપાક રૂપે એક ગ્રંથ લખતા હતા. તેઓ ચર્ચમાં પ્રાર્થના કરવા ગયા અને
એ પુસ્તકની હસ્તપ્રત ટેબલ પર એમને એમ પડી રહી. આઈઝેક ન્યૂટનના પાળેલા કૂતરા ડાયમંડે જોયું કે એક ઉંદરડો ફરતો ફરતો ટેબલ પાસે આવ્યો છે અને ન્યૂટનની હસ્તપ્રતનાં કાગળો કાપવા લાગ્યો છે. વફાદાર કૂતરા ડાયમંડે ઉંદર પર જોરથી ઝાપટ લગાવી, તો ટેબલ પર મૂકેલી સળગતી મીણબત્તી નીચે પડી ગઈ અને મહાન વૈજ્ઞાાનિક આઇઝેક ન્યૂટન પાછો આવ્યો. એણે જોયું તો એની વર્ષોની સાધના બળીને ખાખ થઈ ગઈ હતી. જિંદગીની સઘળી મહેનત, એની વર્ષોની સાધના પર પાણી ફરી વળ્યું હતું. સામાન્ય માનવી હોત તો કૂતરાને લાકડીએ ને લાકડીએ મારે ને પોતાનો ગુસ્સો ઓગાળે. પણ આ તો યુગપુરુષ આઇઝેક ન્યૂટન હતા. એમણે માત્ર એટલું જ કહ્યું ઃ 'ઓ ડાયમંડ ! તને ખબર નથી કે તેં કેટલું મોટું નુકસાન પહોંચાડયું છે ?' આમ કહી ન્યૂટન પોતાના સંશોધનકાર્યમાં ડૂબી ગયા. જીવનમાં કેટલીક પરિસ્થિતિ એવી આવે છે કે જેને તમે બદલી શકતા નથી. કોઈ પણ ભોગે સ્વીકારવી જ રહી, ત્યારે કરશો શું ? એ વિશે હવે પછી...
- ક્ષણનો સાક્ષાત્કાર
મધુર મલકાટ સાથે હળવેથી હસી રહેલાં વૃક્ષો, આમતેમ ભ્રમણ કરતાં વાદળાંની સાથે ગેલ કરતી ટેકરીઓ કે પછી લીલીછમ હરિયાળી જાજમ પાથરી હોય તેવું રમણીય ઉદ્યાન આપણી આંખને સૌંદર્યથી ભરી દે છે. પ્રકૃતિના આવા સૌંદર્ય માળવા માટે માનવી અવિરત પ્રવાસો ખેડતો હોય છે. એક પ્રદેશનું સૌંદર્ય માણ્યા પછી એના મનમાં અન્ય પ્રદેશનું સૌંદર્ય પાણવાની અભીપ્સા જાગતી હોય છે. સૌંદર્યનું પાન કરીએ છીએ નેત્રોથી, પણ એનું ગાન સર્જાય છે આપણા મનોભાવોમાં. આપણું મન એ બાહ્ય સૌંદર્યના ઉલ્લાસથી તરબતર બની જતું હોય છે.
વળી પાછા એ ૨મણીય સ્થળેથી નીકળીએ, ત્યારે ચિત્તમાં એ સૌંદર્યની છબી મનમાં સંઘરી રાખીએ છીએ. જોકે વર્તમાનમાં તો એ પ્રકૃતિ સૌંદર્યનું પાન કરવાને બદલે એને મોબાઈલથી ક્લીક કરવાની વધુ આતુરતા હોય છે. મેં આ જોયું, તમે પણ એને માણો એવા ઉત્સાહથી એ દ્રશ્યો બીજાને મોકલતાં હોઈએ છીએ. ક્યારેક નાનકડો અહમ્ પણ કામ કરતો હોય છે કે જુઓ, હું કેવી સૌંદર્યમય પ્રકૃતિની વચ્ચે ઊભો છું. સૌંદર્યને માણવાને બદલે પ્રદર્શન કરવાની આ વૃત્તિ પ્રકૃતિથી ભાવવિભોર થતાં અને એનો અગમ્ય અનુભવ પામતાં અટકાવે છે.
શું માત્ર અઢળક પ્રકૃતિનો અસબાબ હોય એવી જ જગ્યાએ તમે સૌંદર્યનો અનુભવ કરો છો ? હકીકતમાં માનવીના ભીતરમાં રહેલા સૌંદર્યને જોઈને આપણે આનંદીત થઈએ છીએ ખરા ? વ્યક્તિની ગુણસમૃદ્ધિ જોઈને આપણા ચિત્તમાં પ્રસન્નતા જાગે છે ખરી ? કોઈ સજ્જનને જોઈને અંતરમાં ગુણસ્તુતિનો મધુર અનુભવ થાય છે ખરો ?
આપણે માત્ર બાહ્ય સૌંદર્યને જ સૌંદર્ય તરીકે ઓળખીએ છીએ, પણ એનાથી ય વધુ સાચો સૌંદર્યપ્રેમી સામેની વ્યક્તિના ભીતરી સૌંદર્યને જોશે. એની ગુણસમૃદ્ધિનું પ્રેરક હૃદયસ્પર્શી સૌંદર્ય એના ચિત્તને પ્રસન્નતાથી હર્યુંભર્યું કરી દેશે. માનવીમાં પ્રગટતા શિવમ્, સત્યમ્ અને સુંદરમ્ ના સૌંદર્યને જોઈને પણ આપણું ચિત્ત લુબ્ધ બનવું જોઈએ.