Get The App

પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિનો સિદ્ધાંત ન્યૂટનથી પણ પહેલાં ભારતના પ્રાચીન ઋષિ-મુનિઓએ સ્પષ્ટ દર્શાવેલો છે !

Updated: Feb 5th, 2022

GS TEAM

Google News
Google News
પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિનો સિદ્ધાંત ન્યૂટનથી પણ પહેલાં ભારતના પ્રાચીન ઋષિ-મુનિઓએ સ્પષ્ટ દર્શાવેલો છે ! 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- કોઈપણ વસ્તુ ધરતી પર પડે છે કેમકે એ પૃથ્વીની સ્વાભાવિક શક્તિ છે તે વસ્તુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. જેમ પાણીની પ્રકૃતિ વહેવાની છે તેમ પૃથ્વીની પ્રકૃતિ આકર્ષિત કરવાની, ખેંચવાની છે 

યુ નાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના બાયોકેમેસ્ટ્રી વિભાગના પ્રાધ્યાપક, અગ્રગણ્ય મહાન વિજ્ઞાાનકથા લેખક ઈઝાક એસિમોવ કહે છે -  "The ancients were as wise as we are, perhaps wiser. Could we have done as much with as little?" ધ પ્રાચીન કાળના લોકો એટલા જ જ્ઞાાની હતા જેટલા આપણે છીએ. કદાચ, તે આપણા કરતાં વધારે માત્રામાં જ્ઞાાની હતા. એટલા ઓછા વિજ્ઞાાન અને ટેકનોલોજીના ઉપકરણો થકી શું આપણે એમના જેટલું પુષ્કળ જ્ઞાાન મેળવી શક્યા હોત ખરા?' ઈઝાક એસિમોવ (Isaac Asimov)જેવા મહાન વિજ્ઞાાની થકી કહેવાયેલી આ વાત બિલકુલ સાચી છે અને તે આપણા પ્રાચીન કાળના ઋષિ-વિજ્ઞાાનીઓએ કરેલા સંશોધનો પરત્વે આદર અને અહોભાવ વ્યક્ત કરે છે.

'પિતાજી, આ પૃથ્વી જેના પર આપણે નિવાસ કરીએ છીએ તે શેના પર ટકેલી છે?' લીલાવતીએ એના પિતા ભાસ્કરાચાર્યને પૂછ્યું હતું. એના ઉત્તરમાં ભાસ્કરાચાર્યે કહ્યું હતું - 'લીલાવતી! કેટલાક લોકો એમ કહે છે કે આ પૃથ્વી શેષનાગ, કાચબો કે હાથી પર ટકેલી છે તો એમની વાત સાવ ખોટી છે. જો એવું માની પણ લઈએ કે તે કોઈ વસ્તુ પર ટકેલી છે તો પણ એ પ્રશ્ન તો ઊભો જ રહે છે કે તે વસ્તુ શેના આધારે ટકેલી છે? આ રીતે કારણનું કારણ અને ફરી પાછું એનું કારણ આ ક્રમ ચાલતો રહે તો એને ન્યાયશાસ્ત્રમાં 'અનવસ્થા દોષ' કહેવાય છે. લીલાવતીએ કહ્યું - 'એમ છતાં પણ પિતાજી, પૃથ્વી શેના આધારે રહેલી છે?' ત્યારે ભાસ્કરાચાર્યે કહ્યું - કેમ એવું ના બની શકે કે પૃથ્વી કોઈ વસ્તુ પર ટકેલી જ ના હોય. તે પોતાના બળથી જ ટકેલી છે અને એને ગુરુત્વાકર્ષણ શક્તિ કહીએ તો શો વાંધો છે? આ સાંભળી લીલાવતીએ પૂછ્યું - તે કેવી રીતે સંભવ છે? તેના જવાબમાં ભાસ્કરાચાર્ય સિદ્ધાંતની વાત સમજાવતા કહે છે કે વસ્તુઓની શક્તિ બહુ વિચિત્ર છે - 'મહુચ્લો ભૂરચલા સ્વભાવતો યતો વિચિત્રાવત્ વસ્તુ શક્ત્ય: ।' એને આગળ સમજાવતા કહે છે - 'આકૃષ્ટિ શક્તિશ્ય મહી તયા યત્ ખસ્થં ગુરુ સ્વાભિમુખં સ્વશક્ત્યા । આકૃષ્યતે તત્પતતીવ ભાતિ સમેસમન્તાત્ ક્વ પતત્વિયં ખે ।। એટલે કે પૃથ્વીમાં આકર્ષણ શક્તિ છે. પૃથ્વી પોતાની આકર્ષણ શક્તિથી ભારે પદાર્થોને પોતાની તરફ ખેંચે છે અને આકર્ષણને કારણે તે પદાર્થો જમીન પર પડે છે. પણ આકાશમાં સમાન શક્તિ ચારે તરફથી લાગે તો તે ક્યાંથી નીચે પડે? એટલે કે આકાશમાં ગ્રહો કોઈ આધાર કે ટેકા વગર રહે છે કેમ કે વિવિધ ગ્રહોની ગુરુત્વ શક્તિઓ સંતુલન બનાવી રાખે છે.' - સિદ્ધાંત શિરોમણી, ગોલાધ્યાય, ભુવનકોશ શ્લોક - ૬, ૭

ભાસ્કરાચાર્ય કે ભાસ્કર દ્વિતીય (૧૧૧૪-૧૧૮૫) પ્રાચીન ભારતના પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. તે ઉજ્જૈનની વેધશાળાના અધ્યક્ષ પણ હતા. તેમને મધ્યકાલીન ભારતના સર્વશ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી માનવામાં આવે છે. તેમણે રચેલા 'સિદ્ધાંત શિરોમણિ' ગ્રંથમાં લીલાવતી, બીજગણિત, ગ્રહગણિત અને ગોલાધ્યાય નામના ચાર વિભાગો છે. આ ચાર વિભાગ અનુક્રમે અંક ગણિત, બીજ ગણિત, ગ્રહોની ગતિ અને ગોળ સંબંધિત છે.

આધુનિક યુગમાં પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિની શોધનું શ્રેય બ્રિટિશ વિજ્ઞાાની આઈઝેક ન્યૂટન (૧૬૪૩-૧૭૨૭)ને આપવામાં આવે છે. પરંતુ એમના જન્મના સેંકડો વર્ષો પૂર્વ પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિની વાત ભાસ્કરાચાર્યે એમના સિદ્ધાંત શિરોમણિ ગ્રંથમાં સ્પષ્ટ આલેખી છે. એ જ રીતે એમના પુરોગામી ન્યૂટનથી એક હજાર વર્ષ પૂર્વે જન્મેલા ભારતના મહાન ગણિતજ્ઞા અને ખગોળશાસ્ત્રી બ્રહ્મગુપ્તે પણ ગુરુત્વાકર્ષણનો ઉલ્લેખ એમના ગ્રંથમાં કર્યો હતો. ભાસ્કરાચાર્ય પોતે બ્રહ્મગુપ્તથી ખૂબ પ્રભાવિત હતા અને તેમણે તેમના ગ્રંથોમાં બ્રહ્મગુપ્તની પુષ્કળ પ્રશંસા પણ કરી છે. બ્રહ્મગુપ્ત (૫૯૮-૬૬૮) તેમના 'બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત' નામના ગ્રંથમાં કહે છે - કોઈપણ વસ્તુ ધરતી પર પડે છે કેમકે એ પૃથ્વીની સ્વાભાવિક શક્તિ છે તે વસ્તુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. જેમ પાણીની પ્રકૃતિ વહેવાની છે તેમ પૃથ્વીની પ્રકૃતિ આકર્ષિત કરવાની, ખેંચવાની છે. બ્રહ્મગુપ્તે બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતમાં સૂર્ય સિદ્ધાંતની ચર્ચા કરી છે તે વખતે આ શબ્દોથી પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિની વાત કરી જ છે. તેમણે ખકડખાદ્ય અને ધ્યાનગ્રહોપદેશ નામના ગ્રંથો પણ લખ્યા છે.

અમેરિકાના 'સાયન્સ' મેગેઝિનના એસોસિયેટ એડિટર રહી ચૂકેલા ડિક ટેરેસીએ એમના પુસ્તક 'એસિયન્ટ રૂટ ઓફ મોડર્ન સાયન્સિઝ'ના પૃષ્ઠ નંબર ૭ પર લખેલું છે - 'આઈઝેક ન્યૂટનથી ૩૪૦૦ વર્ષ પૂર્વે હિંદુઓના ઋગ્વેદમાં એ જણાવવામાં આવ્યું છે કે આખું બ્રહ્માણ્ડ ગુરુત્વાકર્ષણ શક્તિથી એકબીજા સાથે જોડાયેલું છે.'

શ્રીમદ્ ભાગવત મહાપુરાણના અષ્ટમ સ્કંધના છઠ્ઠા અધ્યાયમાં આડત્રીસ અને ઓગણચાલીસમા શ્લોકમાં કહેવાયું છે - 'ગિરિં ચારોળ્ય ગરુડે હસ્તેનૈકેન લાલયા । આરુણ્ય પ્રયયાવબ્ધિં સુરાસુરગહૌર્વૃત: ।। અવરોળ્ય ગિરિં સ્કન્ધાત્ સુપર્ણ : પતતાં વર: । યયૌ જલાન્ત ઉત્સૃજ્ય હરિણા સ વિસર્જિત: ।। મદોન્મત તેમણે મંદરાચળ પર્વતને ઉખેડયો પણ તેને લઈ જઈ શક્યા નહીં અને વિવશ બની દેવ-દાનવોએ એને રસ્તામાં જ મૂકી દીધો. આ જાણી ભગવાન શ્રીહરિ અજિત સ્વરૂપે ગરુડગામી બન્યા. સરળતાથી એક જ હાથે પર્વતને ગરુડ પર મૂકી તેના પર બેસી દેવ-દાનવો સાથે સમુદ્ર પર આવ્યા. પક્ષી શ્રેષ્ઠ ગરુડે પર્વતને ખાંધ ઉપરથી ઉતાર્યો અને સમુદ્રના જળમાં પધરાવ્યો.'

આ પ્રસંગમાં પણ એ બાબત સ્પષ્ટ થાય છે કે વસ્તુનું વજન પૃથ્વી પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ(Force of Gravity)થી લાગે છે. જેમ જેમ ઊંચે જઈએ, પૃથ્વીના વાતાવરણથી બહાર દૂર જવાય તેમ તેમ પૃથ્વીનું આ ગુરુત્વાકર્ષણ બળ ઘટતું જાય અને વસ્તુનું વજન પણ ઓછું કે સાવ નહીંવત્ થઈ જાય. અવકાશયાત્રીઓ આવી અનુભૂતિ કરે છે તે તો જાણીતું જ છે. વસ્તુને લાગતું આવું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી દરેક પદાર્થને તેના વાતાવરણમાં પોતાના કેન્દ્ર તરફ ખેંચતી હોવાથી ઉદ્ભવે છે. વસ્તુના અમુક સ્થાને આવું બલ નહીંવત્ હોય છે તેથી વજન પણ નહીંવત્ જ લાગે. આ સ્થાન વસ્તુનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર  (ભીહાિી ર્ક ર્કબિી ર્ક ય્ચિપૈાઅ)કહેવાય છે. ભગવાને અજિત રૂપે મંદરાચળ પર્વત અને શ્રીકૃષ્ણ રૂપે ગોવર્ધન પર્વતને એક હાથે રમત માત્રમાં ઉપાડીને આ 'ગુરુત્વાકર્ષણ કેન્દ્ર'નું રહસ્ય સૂચવી દીધું છે!

વાલ્મીકિ રામાયણના બાલકાણ્ડમાં તથા અન્ય પુરાણોમાં આવતો ઇક્ષ્વાકુ વંશના રાજા ત્રિશંકુનો પ્રસંગ પણ આ બાબતનો સૂચક છે. ઇન્દ્રએ તેને સ્વર્ગમાંથી ધકેલી દીધો હતો. વિશ્વામિત્ર ઋષિએ તેને આકાશમાં જ અટકાવી દીધો. પછી તે સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે જ લટકતો રહ્યો તે બાબત પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિથી દૂર હોવાથી તે નીચે નથી પડતો એ બાબતનું સૂચન કરે છે.

Tags :